Chapter : નિકાહ
(Page : 53-54-55)
સવાલ :– મેં આજથી દસ વર્ષ અગાઉ કે જયારે મેં લગ્ન પણ ના કર્યા હતા, ત્યારે હું અને મારા બનેવી ચુડેશ્વર મુકામે છોકરી જોવા ગયા હતા. છોકરી પસંદ કરી અને થોડા દિવસમાં લગ્ન કરવા માટે અમો ગયા. શરીઅતના મુતાબિક અમારા લગ્ન પણ થઈ ગયા, પરંતુ મને જે છોકરી બતાવી હતી તેની સાથે નિકાહ ખ્વાની ન કરતાં, બીજી છોકરી સાથે નિકાહ પઢાવ્યા કે જેની સાથે મારો પરિચય પણ ન હતો અને મને બતાવી પણ ન હતી અને સાથે આ છોકરીને લકવાની બીમારી હતી, મેં જયારે ઘરે જઈ જોઈ તો મને ખબર પડી અને આ છોકરીને મેં બીજે જ દિવસે એના મા–બાપને જાણ કરી મોકલી આપી.
જયારે મેં આ છોકરીને વિદાય કરી, ત્યારે એમને બોલાવવા આવેલા ભાઈ, એમના માસી તથા એણે પોતે એવો જવાબ આપેલો કે અમોએ તમારી સાથે દગો કરેલ છે. એના ભાઈ તથા માસીએ પણ મને એવું જણાવેલ, તદ્ઉપરાંત એમણે મને બીજા લગ્ન કરવા માટે પણ સંમતિ આપેલ, ત્યારપછી એ છોકરીને બોલાવી નથી અને બીજા બે વર્ષ પછી બીજા લગ્ન કર્યા. અત્યારે હાલમાં મારે બે બાળકો છે. આ વાતને નવ વર્ષ વીતી ગયા, આ સમય દરમ્યાન તે છોકરી સાથે અમારો કોઈ સંબંધ રહયો નથી.
આ નવ વર્ષ પછી અત્યારે તે છોકરીએ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો છે, હું એક ગરીબ માણસ છું, જેમ તેમ કરીને જીવન ગુજારું છું અને આ છોકરીએ લગભગ સાત માસથી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
મારો સવાલ એ છે કે મારી સાથે દગો કરીને જે શાદી કરેલ તે શરીઅતના મુતાબિક ગણી શકાય કે નહીં? એ ભરણ પોષણની હકદાર છે કે નહીં?
જવાબ :– નિકાહ ખ્વાનીની મજલિસમાં જે છોકરીનું નામ લઈ તમારા સાથે નિકાહ પઢાવવામાં આવ્યો અને તમોએ નિકાહ પઢાવનાર સામે તે નામ વાળી છોકરીનો નિકાહ કબૂલ કર્યો, ચાહે તે છોકરી ખોડ ખાંપણ વાળી હોય અને તમોએ તેને નિકાહ પહેલાં જોઈ ન હોય, તો પણ તે છોકરી સાથે તમારો નિકાહ દુરસ્ત અને સંપૂર્ણ થઈ ગયો કહેવાશે.
(શામી ર૭પ ભા.ર / ઈ. મુફતીનઃ પ૧૮)
મજકૂર ઓરત જેની સાથે તમારો નિકાહ થયો હતો તે પાછલી મુદ્દતના ભરણ પોષણની શરઈ દ્રષ્ટિએ હકદાર નથી, પરંતુ હવે પછી તમોએ તેને પોતાના ઘરે બોલાવી લાવવી અને ભરણપોષણ ખર્ચ આપવો જરૂરી છે, જો તે તમારા ઘરે આવવા અને તમારી સાથે રહેવા તૈયાર હોય અને તે છતાં તમો નહીં બોલાવી લાવો તો તે ભરણ પોષણની હકદાર ગણાશે. (શામી ભા.ર)
Log in or Register to save this content for later.