Chapter : નમાઝ
(Page : 236)
સવાલ :–(૪) અગર હય્ય અલલ્ ફલાહથી પહેલાં ઊભું થવું મકરૂહ નથી તો આલમગીરીના આ લખાણનો શું મતલબ છે કે,
‘ જો કોઈ માણસ ઈકામત વખતે મસ્જિદમાં દાખલ થાય તો તેના માટે ઊભા રહીને રાહ જોવી મકરૂહ છે; પરંતુ તે બેસી જાય અને જયારે મુઅઝ્ઝિન હય્ય અલલ ફલાહ કહે તો ઊભો થાય.
અને આ લખાણ દુર્રે મુખ્તાર સહ શામીમાં પણ નકલ કરવામાં આવ્યું છે. (‘આલમગીરી ૧/પ૭)
જવાબ :–(૪) ઉપરના જવાબોમાં દુર્રે મુખ્તાર, શામી અને તહતાવીના હવાલાઓથી એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ઈકામત વખતે ઈમામના મસ્જિદમાં હોવા ન હોવાની દ્રષ્ટિએ અને તેઓના મસ્જિદમાં મિહરાબથી નઝદીક અને દૂર હોવાની દ્રષ્ટિએ અલગ અલગ સૂરતોમાં મુકતદી માટે ઊભા થવાનો હુકમ પણ જુદો જુદો છે. બધી સૂરતોનો હુકમ એક સરખો નથી અને એ વાત પણ સાબિત થઈ ગઈ છે કે જો ઈમામ મિહરાબ પાસે હોય તો મુકતદીએ હય્ય અલલ ફલાહથી પહેલાં ઊભું થવું વિના કરાહતે જાઈઝ છે અને ખાસ આ સૂરતમાં વહેલા ઊભા થવાની કરાહતની કોઈ નકલી કે કયાસી દલીલ પણ મવજૂદ નથી. માટે સવાલમાં આલમગીરીના હવાલાથી જે લખાણ નકલ કરવામાં આવ્યું છે તેનો મતલબ એ છે કે જો ઈકામત વખતે ઈમામ મસ્જિદમાં (જમાઅત ખાનામાં) પહોંચ્યા ન હોય તો મસ્જિદમાં આવનાર મુકતદીઓએ ઈકામત વખતે ઊભા રહી ઈમામની રાહ ન જોવી જોઈએ; બલ્કે બેસી જવું જોઈએ. આ સૂરતમાં મુકતદીઓએ ઊભા રહીને ઈમામની રાહ જોવી મકરૂહ છે અને આ સૂરતમાં ઊભા રહી ઈમામની રાહ જોવાની કરાહતની દલીલ હઝરત અબૂ કતાદહ (રદિ.)ની હદીસ છે કે,
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,
‘જયારે નમાઝની ઈકામત કહેવામાં આવે તો તમો લોકો ત્યાં સુધી ઊભા ન થાઓ જયાં સુધી કે તમો મને મકાનથી બહાર નીકળતાં જોઈ ન લો. (‘મુસ્લિમ શરીફ ૧/રર૦)
Log in or Register to save this content for later.