[૧૮૯] ઈકામત વખતે ઈમામ અને મુકતદીઓએ હાથ બાંધવા

Chapter : નમાઝ

(Page : 229)

સવાલ :– નમાઝની જમાઅત માટે લોકો ઊભા થાય અને મુઅઝ્‌ઝિન ઈકામત કહે ત્યારે અમુક લોકો અદબ બાંધીને ઊભા રહે છે, અમુક લોકો નમાઝમાં હાથ બંધાય તે પ્રમાણે હાથ બાંધી ઊભા રહે છે, અમુક માણસો બંને હાથની મુઠ્ઠીવાળીને એક હાથનું કાંડુ બીજા હાથના કાંડા પર નાફ નીચે મૂકીને ઊભા રહે છે, ઈમામ સાહેબ પણ ઉપરની ત્રણ સૂરતોમાંથી કોઈ એક સૂરત પ્રમાણે હાથ બાંધી ઊભા રહે છે, ઈકામત પૂરી થયા પછી ઈમામ સાહેબ તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરે છે. તકબીરે તહરીમા પહેલાં ઈમામ તથા મુકતદીઓનું કોઈ પણ સૂરતથી હાથ બાંધવું જાઈઝ છે કે નથી? સહીહ તરીકો બતાવશો.

જવાબ :– ઈકામત વખતે જમાઅતની સફમાં ઊભા થાય ત્યારે તકબીરે તહરીમા કહેતા સુધી ઈમામ અને મુકતદીઓએ હાથ છૂટા અને લટકતા રાખવા જોઈએ. સવાલમાં દર્શાવેલ ત્રણ સૂરતોમાંથી કોઈ પણ સૂરત પ્રમાણે હાથ બાંધવા કે મૂકવા કોઈ હદીસમાં અથવા ફિકહની કોઈ કિતાબમાં જોવામાં આવ્યું નથી અને સાબિત નથી. માટે મજકૂર તરીકાને સુન્નત કે મુસ્તહબ સમજી કરવામાં ન આવે અને આ પ્રમાણે ઈકામત વખતે હાથ બાંધવામાં નુકસાન થવાનો પણ ભય છે કે કોઈ બહેરો માણસ જો તકબીર વખતે પાછળની સફમાં આવી આ હાલતને જોશે (કે જે નમાઝમાં હોવાની હાલતના જ જેમ છે) તો એમ સમજી કે નમાઝ શરૂ થઈ ગઈ, ઈમામથી પહેલાં જ તકબીરે તહરીમા કહી નમાઝ શરૂ કરી દેશે. ફર્ઝ નમાઝ બાદ તે જગ્યાએથી હટીને બીજી જગ્યાએ નફલ પઢવાના મુસ્તહબ હોવા બાબત એ કારણ પણ દર્શાવવામાં આવે છે કે કોઈ પાછળથી આવનાર માણસ સફોને જેમની તેમ જોઈને ઈમામને જમાઅતની નમાઝમાં સમજી ઈકતિદા ન શરૂ કરી દે.    (‘શામી ૧/૩પ૬)

                અને હનફી ફિકહ મુજબ તકબીરે તહરીમા વખતે કાનો સુધી હાથ ઉઠાવવાના મુસ્તહબ હોવામાં એ હિકમત પણ બયાન કરવામાં આવે છે કે બહેરો માણસ જો તકબીરે તહરીમા ન સાંભળી શકે તો કમથી કમ પોતાનાથી આગળ ઉભેલા ઈમામ અથવા મુકતદીઓના હાથ ઉઠાવવાને જોઈને નમાઝ શરૂ કરી શકે.                    (‘હિદાયહ અવ્વલૈન ૮૪)

Log in or Register to save this content for later.