Chapter : ઝકાત
(Page : 48-49-50)
સવાલ :– ભારતમાં હવે આવકવેરા વગેરેના હિસાબ માટે એપ્રિલથી માર્ચ મહિના સુધીનું વર્ષ નકકી કરવામાં આવ્યું છે, માટે વેપારી લોકો સામાન્ય રીતે પોતાના માલના સ્ટોકનો અને આવક જાવકનો હિસાબ માર્ચ મહિનાના અંતમાં કરે છે અને ઝકાતની અદાયગી માટે ઈસ્લામી વર્ષ મુજબ હિસાબ કરવો પડે છે અને આ પ્રમાણે વર્ષમાં બે વાર હિસાબ કરવામાં ઘણી તકલીફ પડે છે અને જો સરકારી વર્ષ મુજબ એપ્રિલથી માર્ચ સુધીનું વર્ષ ગણી ઝકાતનો હિસાબ કરવામાં આવે તો ઈસ્લામી વર્ષ અને અંગ્રેજી વર્ષમાં અગિયાર દિવસોનો તફાવત હોય છે, તો ઝકાત માટે આવક–જાવકના હિસાબમાં આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય?
જવાબ :– આપ મુહતરમ એ વાત જાણો છો કે ઝકાત ઈસ્લામી (કમરી) વર્ષ પ્રમાણે આપવી ઝરૂરી છે અને ઈસ્લામી વર્ષ અંગ્રેજી વર્ષથી લગભગ અગિયાર દિવસ નાનું હોય છે, માટે ઈસ્લામી તારીખ મુજબ ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે જ ઝકાતના માલનો હિસાબ કરવો ઝરૂરી છે, કારણ કે જો સરકારી હિસાબી વર્ષ મુજબ અંગ્રેજી તારીખ પ્રમાણે ઝકાતનો હિસાબ કરવામાં આવશે, તો પ્રથમ વર્ષમાં ઈસ્લામી વર્ષ પૂરું થયા પછી લગભગ અગિયાર દિવસો પછી, બીજા વર્ષમાં ઈસ્લામી વર્ષ પૂરું થયા પછી બાવીસ દિવસો પછી, ત્રીજા વર્ષમાં ઈસ્લામી વર્ષ પૂરું થયા પછી તેત્રીસ (૩૩) દિવસો પછી અને એ જ રીતે તે પછીના દરેક વર્ષમાં અગિયાર દિવસોના વધારા સાથે ઝકાતના માલનો હિસાબ થશે. હવે આ પ્રમાણે અંગ્રેજી તારીખથી હિસાબ કરવામાં જો પહેલા વર્ષે પાછલા અગિયાર દિવસોમાં અને બીજા વર્ષે પાછલા બાવીસ દિવસોમાં અને ત્રીજા વર્ષે પાછલા તેત્રીસ દિવસોમાં ઝકાત પાત્ર મૂડી માલમાં વધારો થયો હશે તો તે વધારાના હિસાબથી ફર્ઝ પ્રમાણ કરતા વધુ ઝકાત આપવી પડશે અને જો ઈસ્લામી વર્ષ ઉપર આ વધારાના દિવસોમાં ઝકાતપાત્ર મૂડી માલમાં ઘટાડો થયો હશે તો અંગ્રેજી તારીખ મુજબ હિસાબ કરવાથી પૂરી ઝકાત અદા નહિ થાય, બલ્કે ફર્ઝ પ્રમાણ કરતા ઓછી ઝકાત અદા થશે અને અંગ્રેજી તારીખ મુજબ ઝકાતનો હિસાબ કરવામાં ઝકાતની અદાયગીમાં પહેલા વર્ષે અગિયાર દિવસ બીજા વર્ષે બાવીસ દિવસ, ત્રીજા વર્ષે તેત્રીસ દિવસ અને એ જ પ્રમાણે દર વર્ષે અગિયાર દિવસ વધુ મોડું થતું રહેશે, માટે ઈસ્લામી વર્ષ પૂરું થવા ઉપર ઝકાતના માલનો હિસાબ કરી લેવો અને ઝકાતનું પ્રમાણ નકકી કરી લેવું ઝરૂરી છે. ચાહે આ મુજબ હિસાબ કરવામાં વર્ષમાં બે વાર હિસાબ કરવો પડે. (શામી ભાગ –ર )
Log in or Register to save this content for later.