[૮] શબે બરાતની નફલ નમાઝો સાબિત નથી

Chapter :

(Page : )

સવાલ :– શબે બરાઅત (પંદરમી શાબાન)ની નમાઝ વિષે એક પત્રિકા ‘શબે બરાઅતકી નફલ નમાઝના શિર્ષકથી અમારા વાંચવામાં આવી છે, તે પત્રિકામાં એક ખાસ આયત અને ખાસ સૂરતની નિશ્ચિત સંખ્યામાં કિરાઅત સાથે વિવિધ સંખ્યામાં નફલ નમાઝની રકઅતો  પઢવાની અલગ અલગ ફઝીલત  બતાવવામાં આવી છે. દા.ત., બે રકઆત તહિય્યતુલ્‌ વુઝૂની દરેક રકઆતમાં અલ્હમ્દુ પછી એક વાર આયતુલ કુર્સી અને ત્રણ વાર કુલ હુવલ્લાહ પઢવામાં આવે તો પાણીના દરેક ટીપાંના બદલામાં ૭૦૦ રકઆત નફલ નમાઝનો સવાબ મળશે અને જો બે રકઆત નફલ એ પ્રમાણે પઢવામાં આવે કે દરેક રકઆતમાં અલ્હમ્દુ પછી એક વાર આયતુલ કુર્સી અને ૧પ વાર કુલ હુવલ્લાહ અને સલામ પછી ૧૦૦ વાર દુરૂદ શરીફ પઢવામાં આવે તો રોઝીમાં બરકત, રંજો–ગમથી નજાત અને ગુનાહોની બક્ષિશ થશે અને જો આઠ રકઆત બે બે રકઆત ઉપર સલામ સાથે એ પ્રમાણે પઢવામાં આવે કે દરેક રકઆતમાં અલ્હમ્દુ પછી પાંચ વાર કુલ હુવલ્લાહ પઢવામાં આવે તો ગુનાહોથી પાક સાફ થઈ જશે, દુઆઓ કબૂલ થશે અને મોટો સવાબ મળશે અને જો આઠ રકઆત એક સલામથી એ પ્રમાણે પઢવામાં આવે કે દરેક રકઅતમાં અલ્હમ્દુ પછી ૧૧ વાર કુલ હુવલ્લાહ પઢે અને તેનો સવાબ ખાતૂને જન્નત હઝરત ફાતિમહ (રદિ.)ને બખ્શી આપે તો હઝરત ફાતિમહ (રદિ.) ફરમાવે છે કે, હું આ નમાઝ પઢનારની શફાઅત કર્યા વગર જન્નતમાં કદમ નહિ મૂકું. આ સિવાય આવી મખ્સૂસ કિરાઅત સાથે ૪, ૧ર અને ૧૪ રકઆત પઢવાની પણ જુદી જુદી ફઝીલત મજકૂર પત્રિકામાં લખવામાં આવી છે. તો શું પત્રિકામાં લખેલ તમામ રકઅતો શબે બરાઅતમાં પઢવી જાઈઝ છે ? અગર નહિ તો શબે બરાઅતમાં શું શું અમલ જાઈઝ છે?

જવાબ :– શબે બરાઅતની ફઝીલત અને તેમાં ઈબાદત કરવાની ફઝીલત ઘણી હદીસોથી સાબિત છે. માટે શબે બરાઅતમાં નફલ નમાઝની કિરાઅત માટે કોઈ ચોકકસ આયત કે સૂરતને મખ્સૂસ કર્યા વગર અને મખ્સૂસ સૂરતને નિશ્ચિત સંખ્યામાં પઢવાની કોઈ મખ્સૂસ ફઝીલત સમજયા અને માન્યા વગર ગમે તેટલી સંખ્યામાં નફલ રકઆતો પઢવી એ વિના કરાહતે જાઈઝ છે. પરંતુ પત્રિકામાં દર્શાવેલ ફઝીલતને મોઅતબર અને દુરૂસ્ત સમજીને તેને પ્રાપ્ત કરવાના હેતુથી તેમાં બતાવેલા તરીકા મુજબ નમાઝ પઢવી દુરૂસ્ત નથી. કારણકે મજકૂર પત્રિકામાં લખવામાં આવેલી મખ્સૂસ કિરાઅતવાળી નમાઝ અને તેની ફઝીલત કોઈ સહીહ અને મોઅતબર હદીસથી સાબિત નથી.

               શૈખ ઈબ્રાહીમ હલબી હનફી (રહ.) (વફાત ૯પ૬ હિજરી) શબે બરાઅતની મખ્સૂસ નમાઝની હદીસને મવઝૂઅ અને મનઘડત લખે છે અને આવી મવઝૂઅ હદીસોમાં નકલ થયેલ નમાઝો પઢવાની ખરાબીઓ આ પ્રમાણે દર્શાવે છે કે,

(૧) કિરાઅતમાં સૂરએ ઈખ્લાસ (કુલ હુવલ્લાહ)ને નકકી સમજવું, હાલાંકે શરીઅતથી શબે બરાઅતની નમાઝ માટે તેનું નકકી હોવું સાબિત નથી.

(ર) સામાન્ય લોકો આ મખ્સૂસ તરીકાની નમાઝને સુન્નત સમજવા અને માનવા લાગશે અને પરિણામે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) તરફ જૂઠી વાતની નિસ્બત કરવાનો ઝરીયો બનશે.

(૩)  આવી મવઝૂઅ હદીસથી સાબિત નમાઝ પઢવાની મનઘડત હદીસો વર્ણન કરનારાઓનો ઉત્સાહ વધશે.

(૪)  હઝરાત સહાબએ કિરામ, તાબિઈન અને મુજતહિદ ઈમામો (રદિ.)થી આવી કોઈ નમાઝ મનકૂલ નથી.

        શૈખ મુહ્યુદ્દીન નવવી (રહ.)થી નકલ કરી લખે છે કે,

               આ બંને નમાઝો (રજબ અને શબે બરાઅતની નમાઝ) નિંદનીય અને બૂરી બિદઅતો છે અને ‘કુવ્વતુલ કુલૂબ તથા ‘ઈહ્યાઉલ ઉલૂમ નામી કિતાબોમાં આ નમાઝોનું વર્ણન હોવાથી ધોકામાં ન પડવું જોઈએ.  (‘શર્હે મુન્યહ ૪૩૩)

‘મજ્‌મઉલ બહરૈનના લેખક પોતાની શર્હમાં નકલ કરે છે કે,

               એક માણસે ઈદના દિવસે ઈદગાહમાં ઈદની નમાઝથી પહેલાં નમાઝ પઢવાનો ઈરાદો કર્યો તો હઝરત અલી (રદિ.)એ તેઓને મનાઈ ફરમાવી.

               તે માણસ કહેવા લાગ્યો કે,

“ હે અમીરૂલ મુઅમિનીન! હું તો એ વાત જાણું છું કે અલ્લાહ તઆલા નમાઝ પઢવા ઉપર અઝાબ નહિ આપે.

               હઝરત અલી (રદિ.)એ જવાબ આપ્યો કે,

               ‘હું પણ એ વાત જાણું છું કે અલ્લાહ તઆલા કોઈ કામ ઉપર ત્યાં સુધી સવાબ નહિ અતા ફરમાવે જયાં સુધી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ તે કામ કર્યું ન હોય અને બીજાઓને તે કામ કરવાની તઅલીમ ન આપી હોય, માટે તમારી આ નમાઝ અબસ (બેકાર) સાબિત થશે અને અબસ કામ હરામ છે, શકય છે કે અલ્લાહ તઆલા આ નમાઝ ઉપર અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની મુખાલફત કરવા ઉપર તને અઝાબ આપે. (‘મજાલિસુલ અબરાર ૧૯)

               હઝરત અલી (રદિ.)ના ઉકત મંતવ્યથી માલૂમ પડયું કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત ન હોય એવા તરીકાથી ઈબાદત કરવાને ફઝીલત અને સવાબનું કામ સમજીને કરવું એ જાઈઝ નથી.

               મૌલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)એ શબે બરાઅત વિષે એક પુસ્તિકા લખી છે, જેમાં તેની ફઝીલત અને તે રાતના સુન્નતથી સાબિત અમલો અને તેમાં થતી પ્રચલિત બિદઅતોની ખૂબ છણાવટ ફરમાવી છે. આ પુસ્તિકામાં તે રાતના અમલોને લગતી હદીસોમાં આવી મખ્સૂસ નમાઝનું કોઈ વર્ણન નથી. રહી વાત શબે બરાઅતના જાઈઝ અમલોની, તો એ વિશે હઝરત મુફતી સાહેબ (રહ.) મજકૂર પુસ્તિકામાં લખે છે કે,

આ હદીસોથી જેવી રીતે આ મુબારક રાતની મૂલ્યવાન ફઝીલતો માલૂમ થઈ એવી જ રીતે આ પણ માલૂમ થયું કે મુસલમાનો માટે આ રાતમાં નીચેના અમલો મસ્નૂન છે.

(૧) રાત્રે જાગીને નમાઝ પઢવી અને ઝિક્ર તથા તિલાવતમાં મશગૂલ રહેવું.

(ર) અલ્લાહ તઆલાથી મગફિરત અને તંદુરસ્તી તથા દુનિયા–આખિરતના પોતાના મકસદો માટે દુઆ માંગવી.

(૩) આ રાતે કદી કદી એકલા કબ્રસ્તાન જવું અને મર્હૂમો માટે દુઆ અને ઈસ્તિગફાર કરવું.

(૪) તેની સવારે એટલે કે પંદરમી શાબાનનો રોઝો રાખવો.

               આગળ લખે છે, ‘મતલબ કે આ રાતના મસ્નૂન અમલો માત્ર તે જ છે જે ઉપર વર્ણન કરવામાં આવ્યા, તે સિવાય લોકોએ જે કંઈ ઉપસ્થિત કરી લીધું છે (હલવો પકાવવો, મસ્જિદો અને રસ્તાઓમાં ખૂબ રોશની કરવી, વાસણો બદલવા, મસૂરની દાળ પકવવી, મસ્જિદોમાં ભેગા થવું અને શોર–બકોર કરવો) તે બધું બિદઅત, હરામ અને દીની–દુન્યવી નુકસાન અને બરબાદીનું સાધન છે. એવા અમલો કરવા કરતાં તો કેટલાય દરજજે એ વાત બહેતર છે કે માણસ પગ લંબાવીને સૂઈ જાય અને કંઈ ન કરે. (‘શબે બરાઅત)

               ‘મજાલિસુલ અબરારમાં શબે બરાઅતની ફઝીલત બયાન કરીને ઉલમાએ હિજાઝના મંતવ્યને (કે શબે બરાઅતની ઈબાદતો બિદઅત છે) રદિયો આપતાં લખ્યું છે કે, હક વાત આ છે કે જો કોઈ ઈમાનવાળો આ મખ્સૂસ રાતમાં નમાઝ, તિલાવત, ઝિક્ર અને દુઆ જેવી અનેક પ્રકારની ઈબાદતોમાં મશગૂલ રહેશે તો એ વિના કરાહતે જાઈઝ છે. (મજલિસ નં. ર૪)

(page number 49-50-51-52-53-54)

Log in or Register to save this content for later.