Chapter : નમાઝ
(Page : 211)
સવાલ :– અહિંયા દરેક મસ્જિદમાં અસરની નમાઝનો ટાઈમ શાફઈ મઝહબ પ્રમાણે છે, અહિંયા સુધી કે મક્કહ શરીફ તથા મદીનહ તય્યિબહમાં પણ અસરની નમાઝ હાલમાં ૪ વાગ્યે ખતમ થઈ જાય છે. તો અમે લોકો હનફી મઝહબના ટાઈમ પ્રમાણે પ વાગ્યે અઝાન અને સવા પાંચ વાગ્યે જમાઅત કરીએ છીએ. આથી જે અરબ લોકો એવા ટાઈમ ઉપર મસ્જિદમાં આવે છે કે તે વખતે ઓફિસમાં હોય છે એ વાત વિશે બહસ (ચર્ચા) કરે છે અને એ લોકો મક્કા–મદીનાના ટાઈમ મુજબ નમાઝ પઢવા તથા પઢાવવા માટે ખૂબ આગ્રહ કરે છે અને અમે લોકો તૈયાર થતા નથી, તો ઈન્ડિયન લોકોને ફિત્નાખોર સમજે છે, એમને સમજાવવાથી માનવા તૈયાર નથી. ફક્ત એ તો મક્કા–મદીનાના ટાઈમની જ વાત કરે છે તો અમારે આ વિશે શું કરવું ? અમારા ટાઈમ ઉપર જ નમાઝ પઢાવવી કે પછી મક્કા–મદીનાના ટાઈમ મુજબ પઢાવવી ?
જવાબ :– ખૂદ હનફી ઈમામોનો અસરના શરૂ વખત વિશે પરસ્પર મતભેદ છે. સાહિબૈન (રહ.) શાફઈ, માલિકી અને હમ્બલી ફિકહ મુજબ કોઈ વસ્તુનો પડછાયો તેના અસલી પડછાયા ઉપરાંત એક મિસ્લ થઈ જવાથી માને છે, જ્યારે ઈમામ અબૂ હનીફા (રહ.) બે મિસ્લ થવાથી માને છે અને એહતિયાત એ જ છે કે બે મિસ્લ થવા બાદ અસરની નમાઝ પઢવા–પઢાવવામાં આવે, પરંતુ જો ફિત્ના–ફસાદના ભયના લઈ હનફી ઈમામોમાંથી સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ શાફઈ ટાઈમ મુજબ અસરની નમાઝ જલ્દી પઢવા–પઢાવવામાં આવશે તો હનફી ફિકહ મુજબ પણ હનફીઓની અસરની નમાઝ દુરુસ્ત અને જાઈઝ થઈ જશે. (શામી : ૧/ર૪૦, ફ. રશીદિય્યહ, કિ. મુફતી : ૩/ર૪)
Log in or Register to save this content for later.