Chapter : હજ
(Page : 50-51-52)
સવાલ :– ઈન્ડિયાના એક માણસ રમઝાનુલ મુબારકમાં ઉમરહ કરવાના ઈરાદાથી મક્કહ મુકર્રમહ ગયા, રમઝાન મુબારકનો મહિનો પૂરો થઈ ગયા પછી માહે શવ્વાલના થોડા દિવસો તે માણસ મક્કહમાં રહ્યા અને પછી ઈન્ડિયા પાછા આવી ગયા. તો શું તે માણસ ઉપર હજ ફર્ઝ થઈ જશે અને જો હજ ફર્ઝ થઈ ગઈ હોય અને પોતાની જીંદગીમાં હજ ન પઢી શકે તો તેમણે હજ્જે બદલની વસિય્યત કરવી પડશે ? જો કોઈ માણસ હજના મહિનાઓ સિવાય બીજા મહિનાઓમાં હરમે મક્કહમાં પહોંચી જાય તો શું હુકમ છે? વિગતવાર હવાલાઓ સાથે જવાબ આપશો.
જવાબઃ– મજકૂર માણસ હજના મહિનાઓ પૈકી માહે શવ્વાલ શરૂ થયા પછી ત્યાં મવજૂદ છે એટલે તે મક્કી (મક્કહના રહેવાસી) માણસના હુકમમાં ગણાશે, હજ ફર્ઝ થવા માટે મજકૂર માણસ ઈન્ડિયા પાછો આવીને ટિકિટ ખરીદીને હજ માટે જઈ શકે એ વાતનો એઅતિબાર નહિ થાય, પરંતુ હજના દિવસો પૂરા થતાં સુધી ત્યાં રહેવાનો અને ખાવા પીવાનો ખર્ચ, અને પોતાના વતન પાછા ફરતા સુધી પોતાની ફેમીલીના તે સભ્યોનો ભરણપોષણ ખર્ચ, જેમનો ભરણપોષણ ખર્ચ મજકૂર માણસના શિરે શરઈ દ્રષ્ટિએ વાજિબ હોય, આ બધા ખર્ચાઓની વ્યવસ્થા તેની પાસે મવજૂદ હોય અને સરકાર તરફથી હજના દિવસો સુધી ત્યાં રહેવા ઉપર કોઈ પાબંદી અને પ્રતિબંધ ન હોય તો આવા ઈન્ડિયન માણસ ઉપર હજના મહિનાઓ શરૂ થયા પછી ત્યાં હરમે મક્કહ મુકર્રમહમાં હોવાથી હજ ફર્ઝ થઈ જશે અને તે માણસે ફર્ઝ હજની નિય્યતથી હજ અદા કરીને પાછા ફરવું જોઈએ. જો મજકૂર માણસ હજ અદા કર્યા વગર વતન પાછો ફરશે તો તેના ઉપર હજ ફર્ઝ થઈ જવાથી ભવિષ્યમાં હજ પઢવી ફર્ઝ છે અને જો ભવિષ્યમાં છેલ્લી ઉંમર સુધી હજ અદા નહિ કરે તો પોતાના તરફથી હજ્જે બદલ ફર્ઝની વસિય્યત કરવી લાઝિમ થશે.
અને જો મજકૂર માણસ પાસે ઉપર લખેલી વિગત મુજબ ખર્ચાઓની વ્યવસ્થા ન હોય અથવા સરકાર તરફથી મજકૂર માણસ માટે હજના દિવસો સુધી ત્યાં રહીને હજ કરવાની મનાઈ હોય અને તે માણસ મજકૂર કાયદાકીય પ્રતિબંધના કારણે ત્યાં ન રહી શકયો અને કાયદા મુજબ વતન પાછો આવી ગયો અને હાલ ઈન્ડિયાથી હજ માટે જઈ શકે એવી આર્થિક પરિસ્થિતિ અને માલી વ્યવસ્થા નથી, તો આ હાલતમાં મજકૂર માણસ ઉપર હજના મહિનાઓની શરૂઆતમાં હરમે મક્કહ મુકર્રમહમાં રહેવાથી હજ ફર્ઝ નહિ થાય અને હવે પછી જયાં સુધી ઈન્ડિયાથી હજ પઢવા જવા માટેની ચોક્કસ શર્તો આધારિત માલી વ્યવસ્થા નહિ થાય તેના ઉપર હજ ફર્ઝ નહિ થાય અને છેલ્લી ઉમર સુધી હજ ફર્ઝ થવા પાત્ર આર્થિક માલદારી પ્રાપ્ત ન થાય તો હજ્જે બદલની વસિય્યત કરવી પણ લાઝિમ નહિ ઠરે. કારણ કે તેના ઉપર છેલ્લી ઉમર સુધી હજ ફર્ઝ થયેલી નહિ ગણાય.
જો કોઈ આફાકી માણસ હજના મહિનાઓ સિવાય અન્ય કોઈ મહિનામાં હરમે મક્કહમાં જાય અને હજના મહિનાઓ શરૂ થતાં પહેલાં જ વતન પાછો આવી જાય તો માત્ર હરમે મક્કીમાં પહોંચવાના કારણે તેના ઉપર હજ ફર્ઝ નહિ થાય, કારણ કે હજ ફર્ઝ થવા માટે બીજી શર્તો પૈકી એક શર્ત હજનો મહિનો હોવું પણ છે. અલબત્ત, અગર તે માણસ સાહિબે ઈસ્તિતાઅત (એટલે કે તે હજના ખર્ચની વ્યવસ્થા) ધરાવે છે તો તેના ઉપર હજ ફર્ઝ છે અને આ સૂરતમાં હરમમાં પહોંચવાની અને ઉમરહ કરવાની કોઈ પાબંદી અને શર્ત નથી.
આ બધી વિગત બદાઈઅઃર/૧ર૧, શામીઃર/૧૪ર, ઝુબ્દતુલ મનાસિકઃ૧/૧૪, મુઅલ્લિમુલ્ હુજજાજઃ૮૧, આપકે મસાઈલ – ૪/૩૬, અને ઉમ્દતુલ ફિકહઃ ૪/૪૩,૪૯માં સામૂહિક રીતે જોઈ શકાય છે.
Log in or Register to save this content for later.