[૧] માલદારના બે પ્રકાર

Chapter : ઝકાત

(Page : 36-37-38)

સામાન્ય રીતે મુસ્લિમ ભાઈઓમાં ઘણા ભાઈઓ શરઈ દ્રષ્ટિએ માલદાર હોય છે, પરંતુ તેમના ઉપર ઝકાત ફર્ઝ હોતી નથી અને ઘણા ભાઈઓ માલદાર હોય છે અને તેમની ઉપર ઝકાત આપવી પણ ફર્ઝ હોય છે. આ બન્ને પ્રકારના લોકોમાં તફાવત ન સમજવાના કારણે ઘણી ગેર સમજ ઉભી થાય છે અને ઝકાત હરામ હોવા છતાં ઘણા ભાઈઓને ઝકાત આપવામાં આવે છે અને તેઓ ઝકાત સ્વીકારી પણ લે છે.

               માટે આ મસ્અલો જાણવો ખૂબ ઝરૂરી છે કે શરીઅતની દ્રષ્ટિએ સામાન્ય રીતે માલદારના બે પ્રકાર છે :

એક એવો માલદાર જેની પાસે નિસાબના પ્રમાણમાં માલદારીનો સામાન હોવાથી તેના ઉપર ઝકાત ફર્ઝ થાય છે.

બીજો એવો માલદાર મુસલમાન કે જેની પાસે માલદારીનો માલ–સામાન હોવાથી તેના માટે કોઈ માલદારની ઝકાત કે અન્ય કોઈ વાજિબ સદકહ લેવો તો હરામ અને નાજાઈઝ હોય છે, પરંતુ તેના ઉપર ઝકાત ફર્ઝ હોતી નથી.

               જે માલ–સામાનનો માલિક હોવાથી બન્ને પ્રકારના મુસલમાનો માલદાર ગણાય છે, તે માલ – સામાનથી માલદારીના નિસાબના પ્રમાણમાં કોઈ તફાવત નથી, બન્નેના નિસાબનું પ્રમાણ અને મિકદાર તો એક જ છે, પરંતુ બન્નેના માલદારીના નિસાબમાં ગણાતી વસ્તુઓમાં તફાવત હોય છે.

               જે મુસલમાન પાસે સોનું, ચાંદી, રોકડ રકમ, વેચવા માટે ખરીદેલ માલ–મિલકત, જેમ કે નફો લઈને વેચવા માટે ખરીદેલ મકાન, દુકાન, પ્લોટ, તિજારતી કંપનીના શેરો, બેંકમાં જમા મૂડીમાંથી કોઈ એક વસ્તુ અથવા અનેક વસ્તુઓ મળી દેવા મુકત નિસાબના પ્રમાણમાં હોય તેવા માલદાર માટે ઝકાત લેવી તો હરામ છે, પરંતુ પોતાના ઉપરોકત ઝકાતપાત્ર નિસાબની ઝકાત આપવી પણ ફર્ઝ અને ઝરૂરી છે.

               જે મુસલમાન પાસે મઝકૂર ઝકાત ફર્ઝ થવા પાત્ર વસ્તુઓમાંથી કોઈ એક અથવા અનેક નિસાબના પ્રમાણમાં ન હોય, પરંતુ તે સિવાય તેની પાસે પોતાની ખાવા – પીવા – રહેવાની રોજીંદી ઝરૂરતોથી વધારે માલ–મિલકત હોય જેમકે ત્રણ જોડથી વધારે કપડાં હોય, ફાઝલ વાસણો હોય, એવું મકાન હોય જે પોતાના રહેવા માટે બનાવ્યું છે, પરંતુ તેનો રહેવા માટે પોતે ઉપયોગ કરતો નથી, બલ્કે પોતે બીજી જગ્યાએ રહેવાથી બીજાને ભાડે આપ્યું છે અથવા મફત રહેવા માટે આપ્યું છે અથવા બંધ પડયું છે અથવા મકાનનો પ્લોટ છે જેનો પોતે કોઈ ઉપયોગ કરતો નથી અથવા રહેવાના મકાન ઉપરાંત પ્લોટ છે અથવા જેની આવકથી પોતાનું જીવન નિર્વાહ થાય તેથી વધુ ખેતીની જમીન છે, અથવા ટી.વી. જેવા એવા ફુઝૂલ સાધનો છે, જેનો પોતાની રોજીંદી જીંદગીથી કોઈ સંબંધ નથી અથવા ખેતીના એવા ફાઝલ સાધનો છે, જેનો તે ખેતીમાં ઉપયોગ કરતો નથી અને આવી એક અથવા અનેક વસ્તુઓ મળીને દેવા મુકત નિસાબના પ્રમાણમાં મવજૂદ છે તો આવા માલદાર માણસ માટે કોઈ માલદાર પાસેથી ઝકાત લેવી તો હરામ અને નાજાઈઝ છે, કારણ કે તે શરઈ દ્રષ્ટિએ માલદાર છે, માટે તેની ઉપર કુરબાની અને સદકએ ફિત્ર આપવો પણ વાજિબ થાય છે, પરંતુ આવી ગેર તિજારતી વસ્તુઓના નિસાબના કારણે તેના ઉપર તે વસ્તુઓની ઝકાત આપવી ફર્ઝ નથી.

Log in or Register to save this content for later.