Chapter : તહારત
(Page : 156-157-158)
સવાલ :– ઈસ્લામી અરકાન નામની કિતાબમાં પેજ નં. પ૭ ઉપર લખેલ છે કે સ્પિરિટ અને દારૂ નાપાક છે, તો જે બીમાર માણસને ઈન્જેકશન આપવાની જરૂરત હોય, તેને ઈન્જેકશન લગાવતા પહેલાં અને પછી ઈન્જેકશનની જગ્યાએ શરીર ઉપર સ્પિરિટ લાગ્યા પછી તેને ધોયા વિના નમાઝ પઢાય કે નહિ ?
જવાબ :– સ્પિરિટ દારૂ (શરાબ)નો જ એક પ્રકાર છે અને તે ઘણું જ તેજાબ હોય છે અને તેને શરાબનો સાર અને સત્ત્વ પણ કહી શકાય છે, સ્પિરિટ વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, ઈન્જેકશન આપતી વખતે વપરાતું સ્પિરિટ જો લીલી, સૂકી દ્રાક્ષમાંથી અથવા ખજૂર કે ખારેકમાંથી બનાવવામાં આવેલું હોય તો આ પ્રકારનું સ્પિરિટ સર્વાનુમતે સખત હરામ અને નાપાક છે અને તેના વિકલ્પરૂપે બીજા હલકા પ્રકારના સ્પિરિટનો ઉપયોગ સરળ અને શકય હોવાથી આવા સખત હરામ અને નાપાક પ્રકારના સ્પિરિટનો ઉપયોગ કરવો જાઈઝ પણ નથી અને જો સંજોગોનુસાર ઈન્જેકશન લેતી વખતે આ પ્રકારના સ્પિરિટનો ઉપયોગ થઈ ગયો તો શરીર અને કપડું નાપાક ગણાશે અને શરીર તથા કપડાં ઉપરથી તેને ધોયા વગર અને તેને લગાડવાની જગ્યા પાક કર્યા વગર નમાઝ પઢવી જાઈઝ નથી. (‘શામી પ/ર૯૧, ‘ઈમ્દાદુલ ફતાવા ૧/૧૩૩)
અને જો ઈન્જેકશન માટે વપરાતું સ્પિરિટ દ્રાક્ષ અને ખજૂર સિવાય અન્ય વસ્તુઓમાંથી જેમ કે બટાકા, બોર, ઘઉં, જવ, મહુડા અને શેરડીમાંથી બનાવવામાં આવેલું હોય તો આ પ્રકારના સ્પિરિટના નાપાક હોવામાં અને થોડા પ્રમાણમાં તેનો ઉપયોગ જાઈઝ હોવામાં હઝરાત મુજતહિદ ઈમામો (રહ.)નો મતભેદ છે ઈમામ મુહમ્મદ (રહ.)ના અમલ માન્ય અને એહતિયાતી મંતવ્ય મુજબ આ પ્રકારનું સ્પિરિટ પણ નાપાક છે અને વધતા–ઓછા કોઈ પણ પ્રમાણમાં તેનો ઉપયોગ નાજાઈઝ છે અને શૈખૈન (ઈમામ અબૂ હનીફહ, ઈમામ અબૂ યૂસુફ રહ.)ના મંતવ્ય મુજબ આ પ્રકારનું સ્પિરિટ પાક છે અને બિનકેફ પ્રમાણમાં તેનો ઉપયોગ જાઈઝ છે. આજકાલ દવાદારૂમાં સ્પિરિટનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત હોવાથી તેના બાહ્ય અને આંતરિક ઉપયોગથી બચવું મુશ્કેલ છે, માટે દવાદારૂમાં જો ઉકત બંને પ્રકારના સ્પિરિટમાંથી બીજા પ્રકારનું સ્પિરિટ વપરાતુ હોય તો ઈમામ શૈખૈન (રહ.)ના મંતવ્ય મુજબ તેનો ઉપયોગ કરવાની ગુંજાઈશ છે અને આ બીજા મંતવ્ય મુજબ બીજા પ્રકારનું સ્પિરિટ નાપાક નહિ ગણાય, માટે જો ઈન્જેકશન લેતી વખતે આ પ્રકારનું સ્પિરિટ શરીર કે કપડાં ઉપર લાગશે તો શરીર અને કપડું નાપાક નહિ ગણાય અને તેને ધોયા વગર નમાઝ પઢવી જાઈઝ ગણાશે. અલબત્ત, પહેલા પ્રકારનું સ્પિરિટ હોવાની શંકાના કારણે અથવા પહેલા મંતવ્ય મુજબ એહતિયાતના કારણે આ સૂરતમાં પણ સ્પિરિટ વાળી જગ્યા ધોવામાં આવે તો અફઝલ અને બેહતર છે. (‘બિહિશ્તી ઝેવર ૯/૧૦૧)
હઝરત મૌલાના મુફતી રશીદ અહમદ લુધ્યાનવી (દા.બ.) લખે છે કે,
તહકીક કરતાં ખબર પડી છે કે આજકાલ સ્પિરિટ અને આલકોહોલ બનાવવા માટે દ્રાક્ષ અને ખજૂરનો ઉપયોગ નથી કરવામાં આવતો. માટે શૈખેન (રહ.)ના મંતવ્ય મુજબ તે પાક છે. (‘અહસનુલ ફતાવા ર/૯પ)
હઝરત મૌલાના મુફતી મુહમ્મદ તકી ઉસ્માની (મ.આ.) ‘ઈનસાઈકલો પેડયા ઓફ બર્ટાનીકાના હવાલાથી લખે છે કે આજકાલ દવાદારૂમાં વપરાતુ મોટા ભાગનુ આલકોહોલ (અને સ્પિરિટ) ખજૂર અને દ્રાક્ષમાંથી નથી બનતુ, બલકે તે સલફેટ, ગંધક, મધ, ઘઉં, જવ વગેરેમાંથી બનાવવામાં આવે છે. (‘બુહૂસ ફી કઝાયા ફિકહિય્યહ ૩૪૦)
અત્યાર સુધીની બહસ અને છણાવટનો ખુલાસો આ છે કે, આજકાલ દવાદારૂમાં વપરાતા સ્પિરિટનો ઉપયોગ કરવો જાઈઝ છે અને તે પાક છે.
Log in or Register to save this content for later.