[૧૦૭] સાબુમાં મુરદાર જાનવરની ચરબીની મિલાવટ

Chapter : તહારત

(Page : 148)

સવાલ :– આજકાલ જે સાબુ ન્હાવા તથા ધોવાના ઉપયોગ માટે બને છે, એમાં મુરદાર જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે, એમ સાંભળવામાં આવ્યું છે, તો એવી બનાવટનો સાબુ ઈસ્તેઅમાલ કરવો જાઈઝ છે કે નહિ ?

જવાબ :– સાબુ બનાવવામાં તેલ અને દિવેલની જેમ ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોય અને સાંભળવામાં આવતી ખબરો મુજબ તે ચરબી નાપાક પ્રકારની હોય, એ પણ શકય છે, જેમકે સુવ્વર (ડુકકર) કે મુરદારની ચરબી, પરંતુ સાબુ બનાવતી દરેક કંપની ચરબીનો ઉપયોગ કરતી હોય અને તે ચરબી નાપાક પ્રકારની જ હોય એ જરૂરી નથી અને વિશ્વાસપાત્ર સાધનો દ્વારા એ વાતની શંકામુકત જાણકારી પણ નથી માટે ન્હાવા ધોવાના દરેક સાબુમાં નાપાક પ્રકારની ચરબીના ઉપયોગ થવાની માત્ર શકયતા અને શંકા જ હોય છે, સંપૂર્ણ વિશ્વાસ હોતો નથી અને ફકત શકયતા અને શંકાના આધારે તેવો સાબુ શરઈ દ્રષ્ટિએ નાપાક નહિ કહેવાય.

                અને દરેક સાબુની બનાવટમાં નાપાક પ્રકારની ચરબીના ઉપયોગ થવા બાબત વિશ્વાસપાત્ર સાધનો દ્વારા શંકામુકત જાણકારી હોય તો પણ જો નાપાક ચરબીને બીજી વસ્તુઓ સાથે મીલાવીને સાબુની ભઠ્ઠીમાં એટલી ઉકાળવામાં આવતી હોય કે ચરબીનો કોઈ અસર બાકી ન રહે અને ચરબી સાબુમાં રૂપાંતર થઈ જાય તો મજકૂર ચરબી સાબુમાં પલટાય જવાથી હવે તે નાપાક નહિ રહે, બલ્કે પાક ગણવામાં આવશે અને તેવો સાબુ ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી, બાકી એવી બનાવટનો સાબુ ઉપયોગ ન કરવો કે જેમાં નાપાક ચરબીના વપરાશની શંકા હોય, અથવા તેનું સાબુમાં રૂપાંતર થવામાં શંકા હોય, એ તકવા અને એહતિયાતની વાત છે.       (‘શામી ૧/ર૧૦, ‘કિફા. મુફતી–ર)

Log in or Register to save this content for later.