ફરિશ્તાઓ વિશે

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 118 to 122)
  • આ દુનિયામાં આપણી નિગાહો કે નજરોથી છૂપાયેલી એક એવી મખ્લૂક પણ મૌજૂદ છે, જેને અલ્લાહપાકે નૂરથી બનાવી છે. આ મખ્લૂકને ફરિશ્તા (મલાઈકહ) કહેવામાં આવે છે.
  • ફરિશ્તાઓ નૂરથી સર્જન (પેદા) કરવામાં આવેલ માસૂમ (નિર્દોષ) તાબેદારી કરનાર બંદાઓ છે.

અલ્લાહ તઆલા એમની તાબેદારી વિશે ફરમાવે છે કે, (અલ્લાહ તઆલા) જે કંઈ હુકમ તેમને આપે તેમાં તેઓ અલ્લાહ તઆલાની જરા પણ નાફરમાની કરતા નથી અને જે કંઈ તેમને હુકમ થાય છે તે કામ (તરત) કરે છે. (સૂરએ તહરીમ : ૬)

  • ફરિશ્તાઓ દરેક સ્વરૂપ ધારણ કરી શકે છે. જેમકે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે હઝરત જિબ્રઈલ અલયહિ- સ્સલામ કેટલીક વાર માનવ સ્વરૂપમાં પણ આવેલા છે.
  • ફરિશ્તાઓની નક્કી સંખ્યા અલ્લાહ સિવાય કોઈને ખબર નથી.
  • ફરિશ્તાઓ ન નર છે, ન નારી. (તફસીરે મૂઝિહુલ કુર્‌આન, કુર્‌આન મજીદ ગુજરાતી : ૧ર૪પ/૩)
  • ફરિશ્તાઓ માનવીય ગુણો, ક્રોધ, દ્વેષ, અભિમાન વગેરેથી પાક છે. જેમકે કુર્‌આનમાં છે : અને જે કાંઈ આકાશોમાં અને જે કાંઈ પૃથ્વીમાં પ્રાણીઓમાંથી છે, તે સૌ તથા ફરિશ્તાઓ પણ અલ્લાહ તઆલાને જ સિજદો કરે છે. અને તેઓ અભિમાન કરતા નથી. (સૂરએ નહલ : ૪૯)
  • ફરિશ્તાઓ ખાતા-પીતા નથી, ઉંઘતા નથી, શાદી-વિવાહ કરતા નથી. તેઓને કોઈ સંતાન નથી અને તેઓ કોઈના સંતાન નથી.
  • ફરિશ્તાઓનો ખોરાક અલ્લાહપાકની બંદગી અને એની પ્રસન્નતા (ખુશ્નૂદી) છે. અને એમની તરસ કલામે ઈલાહીને સાંભળવાની ઉત્કંથા છે. જ્યાં કલામે ઈલાહી (કુર્‌આન શરીફ)ની તિલાવત થાય છે, ત્યાં ફરિશ્તાઓના ઝૂંડને ઝૂંડ આવી જાય છે.

કુર્‌આન શરીફમાં છે : અને રઅદ (ફરિશ્તો) તેની ખૂબીઓ વર્ણવે છે તેમજ સઘળા ફરિશ્તા પણ અલ્લાહપાકથી ડરતા તસ્બીહ પઢે છે. (સૂરએ રઅદ : ૧૩) અને ફરિશ્તા પોતાના પરવરદિગારના વખાણ સહિત તેની તસ્બીહ પઢતા રહે છે, તેમજ પૃથ્વીવાળાઓ માટે બખ્શિશ માંગતા રહે છે. (સૂરએ શૂરા : પ)

  • ફરિશ્તાઓ પોતાના ફરજ પાલનમાં અપ્રમાણિકતા અને આળસ કરતા નથી. ફરિશ્તાઓ અલ્લાહ તઆલાના દરેક હુકમને જરા પણ વિલંબ અને સંકોચ વિના અંજામ આપે છે.

જેમકે અલ્લાહપાકે ફરિશ્તાઓને સિજદો કરવા કહ્યું તો તમામે વિના સંકોચ, વિના વિલંબે સિજદો કર્યો. કુર્‌આનમાં છે : જ્યારે આપના પરવરદિગારે ફરિશ્તાઓને કહ્યું કે બેશક, હું એક ઈન્સાનને માટીથી બનાવનાર છું. પછી જ્યારે તેને પૂરો બનાવી રહું અને તેમાં પોતાની એક રૂહ નાખું તો તેમની આગળ તમે બધા સિજદામાં પડી જજો. પછી સર્વ ફરિશ્તાઓએ (તેમને) સિજદો કર્યો, પરંતુ શયતાને અહંકાર કર્યો. (સૂ.સાદ : ૭૧-૭૪) શયતાન મૂળ જિન્નાતોમાંથી હતો, પરંતુ તે ફરિશ્તાઓ સાથે રહેવા લાગ્યો હતો એટલે તેને પણ હુકમ લાગુ પડ્યો જે તેણે ન માન્યો. બીજી જગ્યાએ ફરમાવ્યું : અને તે (ફરિશ્તા)ઓ (આજ્ઞાપાલનમાં) કંઈ કમી કરતા નથી. (સૂરએ અન્આમ-૬૧)

  • ફરિશ્તાઓનું એક જૂથ જન્નતની વ્યવસ્થા પર નિયુક્ત છે અને એક જૂથ દોઝખના સુરક્ષક છે.

કુર્‌આન શરીફમાં છે : તે(જહન્નમ)ના ઉપર ઓગણીસ ફરિશ્તા ચોકીદાર છે. અને અમે જહન્નમના પહેરાવાળા ફરિશ્તા જ રાખ્યા છે. (સૂરએ મુદ્દસ્સિર : ૩૦-૩૧) તે(જહન્નમ)ના ઉપર કડક સ્વભાવના બળવાન ફરિશ્તા નિમાયેલા છે કે (અલ્લાહ) જે કંઈ તેમને હુકમ આપે તેમાં તેઓ અલ્લાહપાકની જરા પણ નાફરમાની કરતા નથી અને જે કંઈ તેમને હુકમ થાય તે કામ (તરત) કરે છે. (સૂ.તહરીમ-૬)

  • આઠ ફરિશ્તાઓ અર્શે ઈલાહીને ઉઠાવનારા છે.

કુર્‌આન શરીફમાં છે : જે ફરિશ્તા અર્શને ઉઠાવી રહ્યા છે તથા જેઓ તેમની આસપાસ છે, તે સૌ પોતાના પરવરદિગારના વખાણ સાથે પવિત્રતા બયાન કરે છે. (સૂ.મુઅમિન : ૭) અને (તે વેળા) ફરિશ્તા તેના કિનારાઓ પર આવી જશે અને આપના પરવરદિગારના અર્શને તે દિવસે આઠ ફરિશ્તા પોતાના ઉપર ઉઠાવી રાખશે. (સૂ.હાક્કહ- ૧૭)

  • કેટલાક ફરિશ્તાઓ માનવજાતની હિફાઝત અને સુરક્ષા માટે નિયુકત છે.

કુર્‌આન શરીફમાં છે : અને તે જ (અલ્લાહપાક) પોતાના બંદાઓ ઉપર ગાલિબ (વર્ચસ્વ ધરાવે) છે, અને તે તમારા ઉપર રક્ષકો (ફરિશ્તા) મોકલે છે. (સૂરએ અન્આમ : ૬૧)

 કિરામન-કાતિબીન નામી ફરિશ્તા હંમેશા ઈન્સાનો સાથે લાગેલા રહે છે. જે એમના અઅ્‌માલ લખવા પર નિયુક્ત છે.

કુર્‌આનમાં ફરમાવ્યું : અને બેશક, તમારા ઉપર રક્ષકો માનવંત કરણી લખનારા (કિરામન-કાતિબીન) છે. (સૂ.ઈન્ફિતાર-૧૦-૧૧)

  • મુન્કર અને નકીર નામી ફરિશ્તાઓ ઈન્સાનને મૃત્યુ પછી કબરમાં સવાલ કરે છે.
  • દરેક ઈન્સાન સાથે અમૂક એવા ફરિશ્તાઓ પણ નિયુક્ત હોય છે, જે તેને આફતોથી બચાવતા રહે છે. આ ફરિશ્તાઓને હ-ફ-ઝહ (મુહાફિઝ અને સુરક્ષક ફરિશ્તા) કહેવાય છે.
  • બધા ફરિશ્તાઓના દરજ્જા એકસરખા નથી. ચાર ફરિશ્તાઓ સર્વ ફરિશ્તાઓમાં અફઝલ (શ્રેષ્ઠ) અને નિકટવર્તી ગણાય છે. હઝરત જિબ્રઈલ અલયહિસ્સલામ, હઝરત મીકાઈલ અલયહિ- સ્સલામ, હઝરત ઈઝરાઈલ અલયહિસ્સલામ અને હઝરત ઈસરાફીલ અલયહિસ્સલામ.
  • હઝરત ઈઝરાઈલ અલયહિસ્સલામ પોતાના સહાયકો સાથે મખ્લૂકના બદનમાંથી રૂહ કાઢવાની જવાબદારી બજાવે છે.

કુર્‌આનમાં છે : આપ ફરમાવી દો કે, તમારા પ્રાણને મૌતનો તે ફરિશ્તો કબ્જે કરી લે છે, જે તમારા ઉપર નિયુક્ત છે. (સૂ.સિજદહ-૧૧)

  • દરેક ફરિશ્તાનું સ્થાન અલ્લાહપાકની બારગાહમાં નક્કી થઈ ચૂક્યું છે. એ સ્થાનથી આગળ વધવાનો શોખ અને જઝબો ફરિશ્તાઓમાં નથી.
  • ફરિશ્તાઓ પર ઈમાન લાવવું જરૂરી છે, અને એમનો ઈન્કાર (ન માનવું) કુફ્ર છે.

કુર્‌આન શરીફમાં છે : પરંતુ મહાન નેકી એ છે કે, જે કોઈ અલ્લાહપાક પર અને છેલ્લા દિવસ (આવવા) પર અને ફરિશ્તાઓની હસ્તી પર અને (સર્વ આકાશી) કિતાબો અને (સઘળા) પયગમ્બરો પર ઈમાન લાવે. (સૂ.બકરહ-૧૭૭) હે ઈમાનવાળાઓ ! (જરૂરી અકીદાઓ સબંધી સાંભળો કે) અલ્લાહ તઆલા ઉપર અને તેના રસૂલ (મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઉપર યકીન રાખો તથા જે કિતાબ (કુર્‌આને કરીમ) પોતાના રસૂલ (મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ઉતારી છે તેના ઉપર તથા જે કિતાબ પ્રથમ (બીજા નબીઓ પર) ઉતારી હતી તેના ઉપર (પણ યકીન રાખો). અને જે શખ્સ અલ્લાહપાક પર અને તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તેમજ તેના રસૂલો પર અને કિયામતના દિવસ પર યકીન નહીં રાખે, તો તે શખ્સ માર્ગ (રસ્તો) ભૂલી બહુ દૂર જઈ પડ્યો. (સૂરએ નિસાઅ : ૧૩૬)

Log in or Register to save this content for later.