અવલિયાએ કિરામ વિશે

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 122 to 125)
  • જ્યારે કોઈ મુસલમાન અલ્લાહપાકની ખૂબ ઈબાદત કરે છે, રિયાઝત (કઠોર પરિશ્રમ અને તપસ્યા) કરે છે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ખૂબ તાબેદારી કરે છે, પોતાના બાહ્ય અને અંતર (જાહેર અને બાતિન)ને શરીઅતના પાબંદબનાવી લે છે, ગુનાહો અને લિઝઝતોથી અળગો રહે છે અને દુનિયાથી મુહબ્બત કરતો નથી, તો એવો માણસ અલ્લાહપાકનો દોસ્ત અને પ્રિય બની જાય છે. આવા મુબારક વ્યક્તિને “વલી” કહેવામાં આવે છે.
  • જેમ અમ્બિયાએ કિરામ (અલયહિમુસ્સલામ) મુઅજિઝહ બતાવવામાં અલ્લાહપાકના મોહતાજ હોય છે, તેમ અવલિયાએ કિરામ પણ કરામત જાહેર કરવામાં અલ્લાહપાકના મોહતાજ હોય છે.
  • જેમકે અસ્હાબે કહફની તમામ કરામતો અલ્લાહપાકે જાહેર કરી. તેઓ એમાં અલ્લાહ તઆલાના મોહતાજ રહ્યા. એ જ રીતે બની ઈસ્રાઈલના ત્રણ માણસો ગુફામાં ગયા, ત્યાર બાદ તેના દ્વાર પર મોટી ચટ્ટાન (શિલા) આવી ગઈ, તો તે ત્રણેવએ અલ્લાહ તઆલા પાસે કરગરીને દુઆ કરી અને શિલા હટી ગઈ, તો આ કરામતમાં તેઓ અલ્લાહપાકના મોહતાજ રહ્યા.
  • ‘વલી’ને ઉંઘમાં કે જાગતા હોવાની હાલતમાં ભેદી અને ગુપ્ત વાતોની જાણ થઈ જાય છે. એને કશ્ફ અને ઈલ્હામ કહે છે.
  • જેમકે હઝરત ઉમર (રદી.)ને મદીનામાં મસ્જિદે નબવીમાંમિમ્બર પર પોતાના ઇસ્લામી લશ્કરની હાલતની જાણ થઈ ગઈ અને મિમ્બર પરથી જ હઝરત સારિયહ (રદી.)ને માર્ગદર્શન આપ્યું અને લશ્કર તે વખતે શામમાં હતું અને એ જાણ અલ્લાહપાકે કરી.
  • વલીની મોટી નિશાની શરીઅતની પાબંદી છે.
  • વલી માટે શરીઅતના હુકમો શરીઅતે બતાવેલ લાચારી વિના કદી માફ થતા નથી તેમજ વલી માટે ગુનાહના કાર્યો પણ કદી જાઈઝ થતા નથી.

કુર્‌આન શરીફમાં છે : જાણી લો કે જેઓ અલ્લાહપાકના દોસ્ત છે. તેમને (આખિરતમાં) ન કંઈ ડર હશે અને ન તેઓ દિલગીર થશે. (અને) અલ્લાહ તઆલાના (દોસ્ત) તે છે, જે ઈમાન લાવ્યા અને ગુનાહોથી બચતા રહ્યા. (સૂરએ યૂનુસ : ૬ર-૬૩)

  • કોઈ પણ વિદ્વાન, પુખ્તવયનો (બાલિગ), બાહોશ માણસ શરીઅતે ઠેરવેલ (બતાવેલ) ઉઝર (મજબૂરી અને કારણ) વિના શરીઅત- ના આદેશોથી મુક્ત નથી.

કુર્‌આનમાં છે : (હે લોકો !) જે (કુર્‌આન) તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી આવ્યું છે, તે પ્રમાણે જ ચાલો. (સૂ.અઅ્‌રાફ-૩)

  • સંપૂર્ણ પરહેઝગારી વિના કોઈ વલી બની શકતો નથી.

કુર્‌આન શરીફમાં છે : તેના મુતવલ્લી (વલી) તો પરહેઝગારો સિવાય બીજા કોઈ પણ માણસો (થઈ શકતા) નથી, પરંતુ તેઓમાંના ઘણાખરા (પોતાની નાલાયકીને) જાણતા નથી. (સૂરએ અન્ફાલ : ૩૪) અને અલ્લાહ તઆલા પરહેઝગારોનો દોસ્ત છે. (સૂરએ જાષિયહ : ૧૯) બેશક, અલ્લાહપાકને ત્યાં તમારામાંથી તે જ વધુ માનવંત છે, જે વધુ પરહેઝગાર હોય. (સૂરએ હુજૂરાત : ૧૩)

  • કોઈ પણ વલી ગમે તેટલા ઉચ્ચ દરજ્જા પર પહોંચેલ હોય, પણ તે એક પણ નબીના દરજાને પહોંચી શકતા નથી.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું : હું આગલા અને પાછલા તમામ લોકોમાં સૌથી વધુ માનવંત (પરહેઝગાર) છું. (તિરમિઝી શરીફ) હવે કોણ છે, જે આપના આ ફરમાન પછી પણ તેમના દરજા સુધી પહોંચવાનો પોકળ દાવો કરે.

  • વલી માટે સૌપ્રથમ શર્ત એ છે કે, પોતે સાચા નબીના ઉમ્મતી હોવાનો એકરાર કરતો હોય.
  • તમામ અવલિયાએ કિરામ સન્માનપાત્ર છે. હદીષે કુદ્‌સીમાં છે કે, જે મારા દોસ્ત (વલી)થી દુશ્મનાવટ રાખશે, તો એને મારા તરફથી લડાઈની ચેલેન્જ છે.
  • શરીઅતના અહકામનું ઉલ્લંઘન કરનાર કદી વલી હોઈ શકતો નથી. એવા માણસથી જો કોઈ આશ્ચર્યજનક બીના જાહેર થાય, તો એ શયતાની ધતિંગ કે ઈસ્તિદરાજ (અલ્લાહપાક તરફથી મળતી ઢીલ) છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે : અલ્લાહ તઆલા પરહેઝગારોનો દોસ્ત (વલી) છે. જે માણસ તેના હુકમોનું પાલન ન કરે, તે કઈ રીતે અલ્લાહ તઆલાનો વલી હોઈ શકે ? (સૂરએ જાષિયહ : ૧૯)

  • વલીની મોટામાં મોટી કરામત અલ્લાહપાક અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સંપૂર્ણ તાબેદારી છે.

જેમકે કુર્‌આને કરીમમાં જાહેર એલાન ફરમાવ્યું : અને જે કોઈ અલ્લાહપાક અને તેના રસૂલના હુકમ પર ચાલે અને અલ્લાહપાકથી ડરતો રહે અને તેની વિરૂદ્ધતાથી બચે, તો એવા જ લોકો સફળ થનારછે. (સૂરએ નૂર : પર) જે કોઈએ રસૂલે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો હુકમ માન્યો, તો તેણે ખરેખર અલ્લાહ તઆલાની તાબેદારી કરી. (સૂરએ નિસાઅ-૮૦)

  • અવલિયાએ કિરામના ચમત્કારો હક (સત્ય) છે, અને એમના ચમત્કારો (કરામતો)ને પૂરવાર કરવા માટે ઘણી દલીલો અને દાખલાઓ છે.

જેમકે હઝરત મરયમ (અલયહિસ્સલામ) નબી ન હતા. તેણી સાચા અને અલ્લાહ તઆલાના વલીયહ હતા. તેમની પાસે મોસમ વગરના ફળો હોવાનો ઉલ્લેખ કુર્‌આને કરીમમાં છે. જ્યારે પણ હઝરત ઝકરિય્યા (અલયહિસ્સલામ) તેણી (હઝરત મરયમ અલૈ.) પાસે મેહરાબમાં જતા, ત્યારે તેણી પાસે કંઈક ખાવાની વસ્તુ જોતા. (તેથી આશ્ચર્ય પામી) પૂછ્યું કે, હે મરયમ ! આ ખાણું તમારી પાસે ક્યાંથી આવે છે ? તેણીએ (જવાબમાં) કહ્યું કે, અલ્લાહ તઆલાની પાસેથી આવે છે. (સૂરએ આલિ ઈમરાન : ૩૭)

એ જ રીતે હઝરત ઉમર (રદી.)એ નાઈલ (નીલ) નદીને પત્ર લખ્યો તો તેનું પાણી ભરાઈને વહેવા માંડ્યું.

  • વલીનો ચમત્કાર (કરામત) વાસ્તવિકમાં તે નબીનો ચમત્કાર (મોઅજીઝા) હોય છે, જે નબીનો તે વલી ઉમ્મતી છે.
Log in or Register to save this content for later.