તકદીર (ભાગ્ય) વિશે અકીદાઓ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 87 to 92)
  • દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે, તે અલ્લાહ તઆલાના ઈરાદા- ઈખ્તિયાર અને એની તકદીરથી થઈ રહ્યું છે. એવી માન્યતા પ્રત્યેક મુસલમાને રાખવી જરૂરી છે.
  • તકદીરે ઈલાહીનો ઈન્કાર કુફ્ર છે.
  • ભલી અને બૂરી તકદીર (અલ્લાહ તઆલા તરફથી હોવા) પર ઈમાન લાવવું જરૂરી છે.

હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ (રદી.) ફરમાવે છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : કોઈ પણ બંદો ત્યાં સુધી મુઅમિન નથી બની શકતો, જ્યાં સુધી તે સારી અને ખરાબ તકદીર પર ઈમાન ન લાવે. એટલે સુધી કે તે એ પણ જાણી લે કે, જે વસ્તુ એને મળવાવાળી હતી, તે એને જ મળી. તે કોઈ બીજા પાસે નહીં જઈ શકે. અને જે વસ્તુ એના ભાગ્યમાં નથી, તે વસ્તુ કોઈ પણ હાલતમાં એને મળશે નહીં. (તિરમિઝી શરીફ, અબ્વાબુલ કદ્ર, સારી અને ખરાબ તકદીર પર ઈમાન લાવવા વિશેનો બાબ)

  • બંદામાં અલ્લાહ તઆલાના અહકામનું પાલન કરવાની શક્તિ હોવાને કારણે જ અલ્લાહ તઆલાએ એને કોઈ કામ કરવાનો અથવા કોઈ કામથી વેગળા રહેવાનો હુકમ દીધો છે. અલ્લાહ તઆલાએ કોઈને ગુનાહ પર કે ફરમાંબરદારીના ત્યાગ પર મજબૂર કર્યો નથી.

ફરમાવ્યું : અલ્લાહપાક કોઈને ગજા ઉપરાંત તકલીફ (બોજ) આપતો નથી. (સૂ.બકરહ-ર૮૬) માટે તમારી યથાશક્તિ અલ્લાહપાકથી ડરતા રહો અને તેનો હુકમ સાંભળો અને માનો. (સૂ.તગાબૂન -૧૬)

  • પ્રત્યેક સારી અને ખરાબ વસ્તુનો અંદાજો (તકદીર) અલ્લાહ તઆલાની જાણમાં પહેલેથી જ નિયુક્ત છે. અને તે દરેક ચીજને પેદા કરતાં પહેલાં જાણે છે. અલ્લાહપાકના આ ઈલ્મ અને અંદાજાને તકદીર કહે છે.

કુર્‌આન શરીફમાં છે : અને દરેક વસ્તુને તેણે જ બનાવી (પેદા કરી), ફરી તે દરેક વસ્તુનો જુદો જુદો અંદાજો રાખ્યો (તકદીર નિયુક્ત કરી). (સૂરએ ફુરકાન : ર)

  • અલ્લાહપાકે સત્કાર્યો અને દુષ્કાર્યો કરવાની શક્તિ માનવને આપેલી છે. માનવ જે કાંઈ કરે છે, તે અલ્લાહપાકે આપેલા આ અધિકાર અને શક્તિથી જ કરે છે.
  • અલ્લાહ તઆલાએ ઈન્સાનને કુલ મુખ્તાર (સર્વસત્તાધીશ) અને તદૃન મજબૂર પણ બનાવ્યો નથી.

અલ્લાહ તઆલાએ બંદાઓને તેમના કૃત્યોમાં બિલ્કુલ મજબૂર અને વિવશ બનાવ્યા નથી, બલ્કે વિવશતા અને અખત્યારના દરમ્યાન એમના માટે જાત કર્મ (જાતે અમલ કરવા)નો માર્ગ ખુલ્લો રાખ્યો છે. પછી ભલાઈ તથા બૂરાઈની કમાણીને (જે કરવામાં બંદાઓના અખત્યાર અને ઈરાદાને સંપૂર્ણ દખલ છે) જન્નત અને જહન્નમ પ્રવેશનો સબબ ઠરાવ્યો છે.

કુર્‌આન શરીફમાં છે : અને દરેક માણસ પોતાની કરણીમાં સપડાયેલો છે. (સૂરએ તૂર : ર૧) પછી દરેકને પોતાની કરણીનો પૂરે પૂરો બદલો મળશે અને તેઓ પ્રત્યે જરા પણ અન્યાય થશે નહીં. (સૂરએ આલિ ઈમરાન : ૧૬૧) આજે દરેકને તેની કરણીનો જ બદલો આપવામાં આવશે. આજે જરા પણ જુલ્મ થનાર નથી. (સૂરએ મુઅમિન -૧૭) અને જે અમલો પેદા કર્યા છે, એ વિશે ફરમાવ્યું : જો કે તમને તથા તમારી એ બનાવેલી વસ્તુઓને (તમારા અમલોને) અલ્લાહપાકે જ ઉત્પન્ન કર્યા છે. (સૂરએ સાફ્ફાત : ૯૬) અલ્લાહપાક જ દરેક વસ્તુનો સર્જનહાર અને તે જ દરેક વસ્તુનો રક્ષક છે. (સૂરએ ઝુમર : ૬ર)

  • અલ્લાહ તઆલાએ બંદાઓમાં ઈલ્મ, ઈરાદા અને અખ્તયારની જે સિફત પેદા કરી છે, તે એ જ કારણે પેદા કરી છે કે તેઓ અલ્લાહ તઆલાના હુકમોના મુકલ્લફ (પાબંદ) અને મુખાતબ (સન્મુખ) બની શકે તથા ઈતાઅત (તાબેદારી અને ફરમાંબરદારી) અને મઅસિયત (નાફરમાની) પર જઝા (સવાબ) અને સજા (અઝાબ) થઈ શકે. જેવી રીતે દુનિયાના બાદશાહ માત્ર યોગ્યતા અને પાત્રતા પર ઈનામ કે સઝા આપતા નથી, એ જ પ્રમાણે અલ્લાહ તઆલા પણ માત્ર પાત્રતા પર સવાબ કે અઝાબ આપતા નથી. જ્યાં સુધી કે ભલાઈ (સદ્‌કાર્ય) કે બૂરાઈ (બદકાર્ય) અસ્તિત્વમાં ન આવે.
  • ઈન્સાનને સદ્‌કાર્યો બદલ આખિરતમાં ઈનામ અને સન્માન મળશે, અને દુષ્કાર્યો બદલ સજા અને અપમાન મળશે.

કુર્‌આન શરીફમાં છે : તો પરિણામ એવું થવું જોઈએ કે તે દુરાચારીઓને તેઓની (દુષ્ટ) કરણીનો બદલો આપે અને નેકીવાળા ઓને તેઓની નેકીનો બદલો આપે. (સૂરએ નજ્‌મ : ૩૧) (કિયામત આવશે) કે જેથી તે લોકોને ભલો બદલો આપે, જેઓ ઈમાન લાવ્યા અને ભલા કામ કર્યા. એવા લોકો માટે જ માફી અને (જન્નતમાં) માનભરી રોજી છે. (સૂરએ સબા : ૪) જે કોઈ કંઈ બદી (ખરાબ કામો) કરશે તેને તો તે (બદી)ના પ્રમાણમાં જ બદલો (સજા) મળશે, પણ જે સદ્‌કર્મ કરશે, પુરૂષ હોય કે સ્ત્રી અને તે મુઅમિન પણ હોય તો એવા જ લોકો જન્નતમાં દાખલ થશે (અને) ત્યાં તેઓ અપાર રોજી પામશે. (સૂરએ મુઅમિન : ૪૦)

  • તવક્કુલ અને તકદીરની હકીકત આ છે કે, સંપૂર્ણ કોશિશ કરીને એના પરિણામને અલ્લાહ તઆલા પર છોડી દેવું.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : અને (નિયમ પ્રમાણે લડાઈના) કામમાં તેમની સલાહ પણ લેતા રહો. (સલાહ) પછી જ્યારે આપ નિશ્ચય કરી લો, તો અલ્લાહ તઆલા પર જ ભરોસો રાખો. સાચે જ અલ્લાહ તઆલા તવક્કુલવાળાઓને દોસ્ત રાખે છે. (સૂરએ આલિ ઈમરાન : ૧પ૯)

  • હઝરત અલી (રદી.)થી રિવાયત છે કે, હુઝૂર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે, પ્રત્યેક માણસનું સ્થાન જન્નત અથવા જહન્નમમાં અલ્લાહ તઆલાએ પહેલેથી જ લખી આપ્યું છે. સહાબએ કિરામ (રદી.)એ અરજ કરી કે, હે અલ્લાહપાકના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! અમે અઅ્‌માલ કરવાનું છોડી દઈએ ? (અને તકદીરમાં) લખેલા પર ભરોસો કરીને બેસી રહીએ ? આપે ફરમાવ્યું : અઅ્‌માલ કર્યે જાઓ. જે સ્થળના માટે અલ્લાહપાકે જેને પેદા કર્યો છે, તેને માટે એ પ્રમાણેના કાર્યો સરળ બનાવી દીધા છે. ભલા લોકો માટે ભલા કાર્યો અને બૂરા લોકો માટે બૂરા કાર્યો સરળ થઈ જાય છે. (આ રિવાયત બુખારી અને મુસ્લિમ શરીફમાં છે.)
  • તકદીર અલ્લાહ તઆલાનું એક રહસ્ય અને ભેદ છે, જેનાથી નિકટવર્તી કોઈ ફરિશ્તા જાણકાર નથી અને ન તો કોઈ નબી.
  • તકદીરમાં ચિંતન-મનન અને ઊંડે ઉતરવાથી પરેશાની, મૂંઝવણ, વ્યાકુળતા અને નાફરમાનીનું મુખ જોવું પડે છે. જેથી તકદીર વિશે ઊંડી ચર્ચા કરવાથી અળગા રહેવું જોઈએ.
  • હઝરત વહબ ઈબ્ને મુનબ્બહ (રહ.) ફરમાવે છે કે, મેં તકદીરના મસ્અલા પર વારંવાર મનોમંથન કર્યું, પરંતુ દરેક વાર આશ્ચર્ય અને માયૂસી સિવાય કાંઈ મળ્યું નહીં. મેં આ મસ્અલામાં સૌથી મોટા આલિમને મહા જાલિમ અને સૌથી મોટા જાહિલને મહા આલિમ પામ્યો છે.
  • અલ્લાહ તઆલાનો ઈર્શાદ છે : (તે એવો છે કે) જે કંઈ તે કરે છે તે વિશે તેને કોઈ પૂછી શકતું નથી, પણ એ લોકોને પૂછવામાં આવશે. (સૂરએ અંબિયા : ર૩)
  • ઈમામ તહાવી (રહ.)એ લખ્યું છે કે, જે કોઈએ પૂછ્યું કે અલ્લાહ તઆલાએ આમ કેમ કર્યું ? તો એ માણસે ઉપરોક્ત આયતના હુકમનું ઉલ્લંઘન કર્યું કહેવાશે અને તે કાફિર થઈ જશે. (અલ અકીદતુત્તહાવિય્યહ : ૧ર)
  • હઝરત અનસ અને હઝરત ઈબ્ને ઉમર રદિયલ્લાહુ તઆલા અન્હુમાની રિવાયતમાં છે કે, અલ્લાહ તઆલા ફરમાવે છે : જે માણસ મારા નિર્ણય, મારી કઝા અને કદ્ર તથા મેં નિયુક્ત કરેલ કિસ્મતથી રાજી ન હોય તો તેણે મારા સિવાય બીજો કોઈ રબ તલાશ કરી લેવો જોઈએ. (તબરાની, બયહકી, ઈબ્ને હિબ્બાન)
  • દરેકના મૃત્યુનો સમય નક્કી છે.

કુર્‌આન શરીફમાં છે : અને અલ્લાહપાકના હુકમ સિવાય કોઈ મરી પણ શકતો નથી. જેનો ચોક્કસ વખત લખેલો હોય છે. (સૂરએ આલિ ઈમરાન : ૧૪પ) તે (અલ્લાહપાક) તે જ છે, જેણે તમને માટીથી પેદા કર્યા, તે પછી (પ્રત્યેક માટે મૌતનો) એક વખત નક્કી કર્યો. (સૂરએ અન્આમ : ર)

  • ખૂન થનાર વ્યક્તિ પણ પોતાના નિર્ધારીત સમયે જ મૃત્યુ પામે છે.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : કહે છે કે, જો અમને પણ કંઈ અધિકાર હોત તો અમે અત્રે (ખૂનમાં) માર્યા જાત નહીં. આપ ફરમાવી દો કે જો તમે પોતાના ઘરોમાં રહ્યા હોત, તો પણ જેમના માટે (ખૂનમાં) માર્યા જવાનું નક્કી થઈ ચૂક્યું હતું તેઓ પોતાના મરણની જગ્યા તરફ જરૂર નીકળી આવત. (સૂરએ આલિ ઈમરાન : ૧પ૪)

  • દરેક પોતાની રોજી ખાય છે, કોઈ અન્યની રોજી ખાય શકતું નથી.
  • દુનિયામાં દરેક બાબત અને દરેક કામ તકદીર મુજબ થાય છે.
Log in or Register to save this content for later.