કુર્આન શરીફ વિશે

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 111 to 113)
  • કુર્‌આન શરીફને અલ્લાહ તઆલાએ પોતાના મહબૂબ હઝરત મુહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર વહી સ્વરૂપે હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) મારફત ર૩ વર્ષમાં જરૂરત મુજબ ક્રમશઃ ઉતાર્યું છે.

કુર્‌આન શરીફમાં છે : અને આ (કુર્‌આન) સર્વે જગતના પરવરદિગારનું ઉતારેલું છે. તેને પ્રામાણિક ફરિશ્તા હઝ. જિબ્રઈલ

 (અલયહિસ્સલામ) લઈને ઉતર્યા છે. આપના દિલ પર (ઉતાર્યું) કે જેથી આપ (અલયહિસ્સલામ) ડર સંભળાવનાર થાવ, શુદ્ધ અરબી ભાષામાં. (સૂરએ શૂઅરા : ૧૯ર-૧૯પ) એ(ની વાણી) તો માત્ર વહી છે, જે મોકલવામાં આવે છે કે તેમને એક મહા શક્તિવાન (ફરિશ્તો આ વહી) શીખવે છે કે જે (મૂળથી જ) બળવાન છે. (સૂ.નજમ : ૪-૬)

  • કુર્‌આને પાક પોતાની અસલી હાલત પર અક્ષરશઃ અને શબ્દશઃ મૌજૂદ છે, અને કિયામત સુધી રહેશે.
  • કુર્‌આન મજીદની સુરક્ષાની જવાબદારી ખુદ અલ્લાહ તઆલાએ પોતે લીધી છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે : બેશક, અમે જ આ કુર્‌આને પાક ઉતાર્યું છે, અને અમે જ તેના રક્ષક છીએ. (સૂરએ હિજ્ર : ૯)

  • કુર્‌આન પૂર્વેની મશહૂર આસમાની કિતાબો તવરાત, ઈન્જીલ અને ઝબૂર (બાઈબલ નવો-જૂનો કરાર) છે. પરંતુ આજે આ કિતાબો પોતાની અસલ હાલત પર બાકી રહી નથી.

અલ્લાહપાક ફરમાવે છે : પછી તેઓના કરાર તોડવાના કારણે જ અમે તેઓના ઉપર લઅનત કરી અને તેઓના દિલ અમે સખત કરી દીધા. તેઓ(માંના આલિમો તવરાતના) કલામને તેના યોગ્ય સ્થળેથી ફેરવી નાખતા હતા. (માઈદહ : ૧૩) (હે મુસલમાનો !) શું હવે પણ તમે આશા રાખો છો કે, એ (યહૂદીઓ) તમારા કહેવાથી ઈમાન લાવશે ? જો કે તેઓ માંહે કેટલાક લોકો એવા થઈ ગયા છે, જેઓ અલ્લાહપાકનું કલામ સાંભળતા હતા. ફરી તેને સમજ્યા પછી કંઈનું કંઈ કરી નાખતા હતા. (બકરહ : ૭પ)

  • કુર્‌આન મજીદના અવતરણ (નાઝીલ થવા) પછી બીજી કોઈ આસમાની કિતાબ પર અમલ કરવો જાઈઝ નથી.
  • પોતાની બુધ્ધિથી કુર્‌આન શરીફની તફસીર (ભાષ્ય) કરનાર માણસનું ઠેકાણું જહન્નમ છે.
  • કુર્‌આન મજીદની કોઈ વાત, ખબર કે હુકમની ઠેકડી ઉડાડવી કુફ્ર છે.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : અને જ્યારે અમારી આયતો પૈકી અમૂકની તેને જાણ થાય છે ત્યારે તેની હાંસી ઉડાવે છે. એવા જ લોકોમાટે ઝિલ્લતનો અઝાબ છે. (સૂરએ જાષિયહ : ૯)

  • કુર્‌આન મજીદના કોઈ પણ હુકમનો ઈન્કાર કુફ્ર છે.

કુર્‌આન શરીફમાં છે : અને એવી જ રીતે અમે આપના ઉપર કિતાબ ઉતારી, તો જેમને અમે કિતાબ(ની સમજ) આપી છે, તેઓ એ કુર્‌આનને માને છે અને આ (અરબ) લોકોમાં પણ કેટલાક એને માને છે અને (ધર્માંધ) નાફરમાનો સિવાય અમારી આયત કોઈ ઈન્કાર કરતું નથી. (અન કબૂત : ૪૭)

  • કુર્‌આન મજીદ રમઝાન મુબારકમાં લયલતુલ કદ્રમાં એકી સાથે લવ્હે મહફૂઝથી આસમાની જગત પર ઉતારવામાં આવ્યું.

કુર્‌આન શરીફમાં છે : બેશક, અમે એ (કુર્‌આન)ને એક બરકતવાળી રાત્રે ઉતાર્યું. (સૂરએ દુખાન : ૩) બેશક, અમે જ આ (કુર્‌આન)ને શબે કદ્રમાં ઉતાર્યું છે. (સૂરએ કદ્ર : ૧) મતલબ કે લવ્હે મહફૂઝથી પહેલા આકાશ પર જે એકી વખતે પુરૂં કુર્‌આન મજીદ ઉતાર્યું, તે શબે કદ્રમાં જ ઉતાર્યું હતું.

  • કુર્‌આન કોઈ ઈન્સાનની વાણી નથી અને એવું સમજવું કુફ્ર છે.

આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના સમયમાં વલીદ બિન મુગીરહે કુર્‌આન વિશે કહ્યું કે, ત મનુષ્યવાણી છે. તો અલ્લાહપાકે તેને જહન્નમી ઠેરવ્યો. ફરમાવ્યું : આખરે બોલ્યો કે એ તો માત્ર આગલાઓથી ચાલ્યો આવતો જાદૂ છે. એ તો માત્ર મનુષ્યની વાણી છે. (પણ એની શિક્ષામાં) હવે હું તેને જહન્નમમાં નાંખીશ. (સૂરએ મુદ્‌સ્સિર : ર૪-ર૬)

Log in or Register to save this content for later.