ઇસ્લામ પ્રાકતિક (ફિતરી) ઘર્મ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 53 to 55)

કેટલાક લોકો અલ્લાહપાકના રસૂલ (સલ.)ની પાસે આવ્યા અને આપ (સલ.)ના મુબારક હસ્તે ઈસ્લામ સ્વીકાર્યો, તેમના વિશે કુર્‌આન શરીફમાં કહેવામાં આવ્યું છે કે, “અને જ્યારે આ (કુર્‌આન) પેલા લોકોને સંભળાવવામાં આવે છે, તો તેઓ કહે છે કે, અમે તેના પર ઈમાન લાવ્યા (વિશ્વાસ મૂક્યો). નિઃશંક, આ એ સત્ય છે, જે અમારા પરવરદિગાર તરફથી આવેલું છે. અમે તો પહેલાંથી જ આને માનવાવાળા હતા. (સૂરએ કસસ્‌ : પ૩)

ઇસ્લામ પ્રકૃતિ (કુદરતી)નો ધર્મ છે. તે માનવીય પ્રકૃતિની પુકાર છે. જો માણસની પ્રકૃતિ (અંતરાત્મા) પર બનાવટી પડદાઓ પડેલા ન હોય તો તે ઇસ્લામને પ્રાપ્ત કરવાની સાથે જ તેને ઓળખી લેશે. અને તેને તરત જ પોતાની ચીજ સમજી સ્વીકારી લેશે. ઇસ્લામ અને માનવીય પ્રકૃતિ બન્ને એક જ સિક્કાની બે બાજુ જેવા છે. એક સાચા માનવી અને સાચા ઇસ્લામ વચ્ચે કોઈ દૂરી કે પારકાપણું નથી.

ઇસ્લામની આ વિશેષતા એ ઇસ્લામની સૌથી મોટી તાકાત છે. આ વિશેષતાના લીધે ઇસ્લામનું પ્રચારકાર્ય તેના પ્રચારકો માટે સરળ બની ગયું છે. એમ કહો કે ઇસ્લામનો પ્રચારક અન્યોને તે જ વસ્તુ આપે છે, જેની તેઓ પહેલાંથી જ પ્રતિક્ષા કરી રહ્યા છે.

આ જ કારણ છે કે, ઇસ્લામ પોતાના પ્રારંભિકકાળ પછી પણ કોઈ ખાસ પ્રકારના પ્રચારલક્ષી પ્રયત્નો વગર આખા વિશ્વમાં પ્રસરી ગયો. આના ઉદાહરણો પુષ્કળ પ્રમાણમાં પ્રાચીનકાળમાં પણ જોવા મળે છે અને વર્તમાનકાળમાં પણ મળી આવે છે.

વર્તમાનકાળમાં વિવિધ દેશોમાં જે લોકો ઇસ્લામ સ્વીકારી રહ્યા છે, તેમના પ્રતિભાવો આની પુષ્ઠિ કરે છે. દા.ત. અમેરિકાના એક ઉચ્ચ શિક્ષણ પામેલ વ્યક્તિ મિ.ગેરી મિલર (Gary Miller)એ ઇસ્લામ સ્વીકાર્યો. તેઓ પહેલાં ખ્રિસ્તી હતા. તેમનાથી પૂછવામાં આવ્યું કે, તમે તમારો ધર્મ ત્યજી દઈ ઇસ્લામ ધર્મ કેમ અંગીકાર કર્યો. તેમણે કહ્યું કે, મેં ધર્મ પરિવર્તન નથી કર્યું, બલ્કે હું મારા મૂળ ધર્મ તરફ પાછો ફર્યો છું.

આ ઘટનાએ ઇસ્લામના પ્રચારની તરફેણમાં કાયમી ધોરણની એક સાનુકૂળ શક્યતા ઉભી કરી દીધી છે. બધા માનવીઓ હંમેશ એક જ પ્રકૃતિ ધરાવતા હોય છે. એક માનવી તથા બીજા માનવી વચ્ચે બાહ્ય રીતે કંઈક ફર્ક હોય શકે છે, પરંતુ મૂળ પ્રકૃતિના હિસાબથી જુઓ તો એક માનવી અને બીજા માનવી વચ્ચે કોઈ ફર્ક નથી. આનો મતલબ એ છે કે, પ્રાચીનકાળના માનવી માટે ઇસ્લામમાં જે અપીલ (આકર્ષણ) હતી, તે જ અપીલ વર્તમાનકાળના માનવી માટે પણ યથાવત્‌ રહેશે. આ મામલામાં ન દેશ બદલાય જવાથી કંઈક ફર્ક પડશે, ન કાળ બદલાય જવાથી.

પ્રાચીનકાળને પરંપરાગતકાળ કહેવામાં આવે છે, અને નૂતનકાળ ને વૈજ્ઞાનિકકાળ. પરંતુ ઇસ્લામી પ્રચાર માટે આ વહેંચણી સંપૂર્ણપણે ગૌણ છે. પરંપરાગતકાળ હોય કે સાયન્સ કાળ કે સુપર સાયન્સનો કાળ, દરેક કાળમાં માનવીની પ્રકૃતિ એક જેવી જ રહે છે. ઇસ્લામનો પ્રચારક આજના કાળમાં પણ તે જ વિશ્વાસ સાથે ઇસ્લામની દઅવત લઈને ઉભો થઈ શકે છે, જેવી રીતે આના પહેલાં સહાબાએ કિરામ (રદી.) અને તાબિઈને ઈઝામ ઇસ્લામની દઅવત લઈને ઉભા થયા હતા, અને વિશ્વાસના પાયા પર ઉભા રહેવાના કારણે આખી દુનિયામાં ઇસ્લામને પહોંચાડી દીધો.

કોઈ કામની સફળતા માટે સૌથી વધારે મહત્વ એ વાતનું હોય છે કે તેના કાર્યકર્તાઓ વિશ્વાસથી ભરપૂર હોય. તેઓને પહેલાંથી જ એ યકીન હોય કે તેઓ જે પયગામ લઈને ઉભા થયા છે, તેને કોઈ પણ સંજોગોમાં સફળ થવાનું છે, તેની સફળતા આડે કોઈ અવરોધ નથી. ઇસ્લામ પ્રચારના અભિયાનને આ વિશેષતા પૂર્ણ પણે હાસિલ છે. અનેતેની આ જ વિશેષતા તેની સફળતા માટેની સૌથી મોટી બાંહેધરી છે.

આ જ કારણે પ્રારંભિકકાળમાં સહાબા તથા તાબિઈન પોતપોતાનો દેશ છોડી આખા વિશ્વમાં ફેલાય ગયા. જો કે એ લોકો જ્યાં પહોંચ્યા, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંની ભાષા, બલ્કે ત્યાંની દરેક વસ્તુ જુદી હતી. તેમની આ પ્રચારસબંધી (દઅવતી) પ્રવૃત્તિનું રહસ્ય એ હતું કે, તેઓને વિશ્વાસ હતો કે પહેલી નજરે ભલે જેટલા પણ અવરોધો કે મતભેદો હશે, માનવીની સાત્વિક પ્રકૃતિ એક જ ધર્મ ઈચ્છે છે. અને તેઓ અદ્દલ તે જ ઈચ્છિત ધર્મની ભેટ લઈને તેમની પાસે જઈ રહ્યા છે.

Log in or Register to save this content for later.