આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ વિશે માન્યતઓ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 107 to 111)
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની રિસાલત પર ઈમાન લાવ્યા વગર અને આપની નુબૂવ્વતની શહાદત દીધા વગર કોઈનુ ઈમાન દુરૂસ્ત થઈ શકતું નથી.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : સંપૂર્ણ ઈમાનવાળા તો તે લોકો જ છે, જેઓ અલ્લાહપાક પર અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ઈમાન લાવ્યા. ફરી કંઈ શંકા ન કરી. (સૂ.હુજૂરાત : ૧પ) (હે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ !) આપ ફરમાવી દો કે, હે (જગતના) લોકો ! હું તમારા સૌની તરફ તે અલ્લાહપાકનો રસૂલ છું, જેની આકાશો અને પૃથ્વીમાં સત્તા છે. તેના સિવાય કોઈ બંદગીના લાયક નથી. તે જ જીવન અર્પણ કરે છે અને તે જ મૌત આપે છે. માટે એવા અલ્લાહપાક ઉપર તથા તેના મોકલેલા નબી ઉમ્મી પર, જે (પોતે પણ) અલ્લાહ તઆલા પર અને તેના દરેક હુકમો પર યકીન રાખે છે, તેના ઉપર ઈમાન લાવો અને તેની તાબેદારી કરો. (સૂરએ અઅ્‌રાફ : ૧પ૮)

  • આપ (અલૈહિસ્સલામ) અંતિમ નબી અને પયગમ્બરોના સરદાર છે. આપના પછી કિયામત સુધી કોઈ નબી આવનાર નથી.

જેમકે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : હું તમામ ઈન્સાનોનો સરદાર છું અને એમાં કોઈ ગર્વ નથી. મારા હાથમાં અલ્લાહપાકની તારીફ (વખાણ) અને હમ્દનો ઝંડો હશે, એમાં પણ કોઈ ગર્વ નથી. અને તે (કિયામતના) દિવસે હઝ. આદમ અલયહિ- સ્સલામથી લઈને અંત (હઝ. ઈસા અલયહિસ્સલામ) સુધીના જેટલા પણ નબીઓ હશે, તે સર્વે મારા ઝંડા હેઠળ હશે. (તિરમિઝી શરીફ)

  • આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પછી કિયામત સુધી કોઈ નબી આવનાર નથી.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : હું અંતિમ નબી છું, મારા બાદ કોઈ નબી (આવનાર) નથી. (તિરમિઝી શરીફ)

  • હઝરત ઈસા (અલૈ.) કિયામત પૂર્વે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના એક ઉમ્મતી તરીકે દુનિયામાં તશરીફ લાવશે.

જેમકે આથી પહેલા વિસ્તારપૂર્વક હઝ. ઈસા અલયહિસ્સલામનું કિયામત પૂર્વે દુનિયામાં આગમન વિશે હદીષ આવી ગઈ છે, જેમાં હઝરત ઈસા અલયહિસ્સલામ આપણા પ્યારા નબી (સલ્લલ્લાહુઅલયહિ વસલ્લમ)ની શરીઅતનું પાલન કરશે અને કરાવશે એ વિશેના અમૂક ઉદાહરણો પણ આવી ગયા છે.

  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પછી નુબૂવ્વતનો દાવો ગુમરાહી અને જહાલત છે.

કારણ કે આપે હદીષ શરીફમાં આપના પછી નુબૂવ્વતનો દાવો કરનારા લોકો વિશે ફરમાવ્યું કે, મારી ઉમ્મતમાં ૩૦ અત્યંત જૂઠ્ઠા દજ્જાલો પેદા થશે, દરેકનો દાવો હશે કે તે નબી છે. અને (સાચી વાત એ છે કે) મારા પછી કોઈ નબી નથી.

  • આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે જાગૃતાવસ્થામાં બદન મુબારક સાથે મેઅરાજ કરી છે.

કુર્‌આને પાકમાં છે : પાક છે તે ઝાત, જે રાતોરાત પોતાના બંદા (હઝ. મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને મસ્જિદે હરામ (બયતુલ્લાહ)થી મસ્જિદે અકસા (બયતુલ મુકદ્દસ) સુધી, કે જેને અમારી બરકતોએ ઘેરી રાખી છે (ત્યાં સુધી) લઈ ગયા કે જેથી અમે તેમને અમારી કુદરતના કંઈક નમૂના દેખાડીએ. (બની ઈસ્રાઈલ-૧) સિદ્રતુલ મુન્તહા પાસે કે જેની નજીકમાં આરામથી રહેવાની જન્નત છે. (તે વખતે તેને જોયો) જ્યારે કે તે સિદરા પર કંઈક છવાઈ જનાર હતું તે છવાઈ રહ્યું. (તે જોવામાં નબી અલયહિસ્સલામની) નજર આમ-તેમ હટી નહીં અને ન તે હદથી આગળ વધી. બેશક, તેમણે પોતાના પરવરદિગારની ઘણી ઘણી અજાયબીઓ પ્રત્યક્ષ નિહાળી. (સૂરએ નજ્‌મ : ૧૪-૧૮)

  • આપની કબર મુબારકની ઝિયારત ઉચ્ચ કક્ષાની નિકટતા, અત્યંત સવાબકારક અને ઉંચા દરજ્જા માટે સબબરૂપ છે, બલ્કે વાજિબ સમાન છે.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : જેણે મારી કબર મુબારકની ઝિયારત કરી, તેના માટે મારી સિફારીશ વાજિબ થઈ ગઈ. (દારે કુત્ની) બીજી એક હદીષમાં છે કે, જે માણસ મારી ઝિયારતે આવ્યો અને મારી ઝિયારત સિવાય બીજી કોઈ જરૂરત એને (મારી ઝિયારતે) ન લાવી હોય, તો કિયામતના દિવસે એની સિફારીશ કરવાનો મારા શિરે હક રહે છે.

  • જમીનનો તે ભાગ જે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના બદન મુબારકને સ્પર્શીને અને અડીને છે, તે કા’બા, અર્શ અને કુર્સીથી પણ અફઝલ છે.
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પોતાની કબર મુબારકમાં જીવંત છે. અલ્લાહ તઆલાએ જમીન પર હરામ ઠેરવ્યું છે કે, તે અમ્બિયાએ કિરામ અલયહિમુસ્સલામના બદનને ખાઈને નાશ કરે. બસ, અલ્લાહના દરેક નબી કબરમાં જીવંત છે. (મિશ્કાત શરીફ)
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કબર મુબારકમાં એવા જ હયાત છે, જેવા કે દુનિયામાં હતા.
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઝિયારત વખતે ચહેરા મુબારક તરફ મુખ કરીને ઉભા રહેવું બેહતર છે.
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબર મુબારક પર પઢાતા દુરૂદો-સલામને આપ પોતે સાંભળે છે, અને તેનો જવાબ પણ આપે છે.
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબર મુબારકથી દૂર પઢાતા દુરૂદો-સલામને ફરિશ્તાઓ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં પહોંચાડે છે.
  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના કથન, વર્તન અને શરીઅતનો ઈન્કાર કુફ્ર છે.

કુર્‌આન શરીફમાં છે : ફરી તેઓએ પોતાના પરવરદિગારના રસૂલની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો અલ્લાહપાકે પણ તેઓને સખત પકડમાં પકડ્યા. (સૂરએ અલ હાક્કહ : ૧૦)

  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કોઈ વાતમાં શંકા કરવી, એને જૂઠાડવી, એમાં ખામી શોધવી અને એની ઠેકડી ઉડાડવી જાઈઝ નથી. એનાથી ઈમાન જતું રહે છે.

અલ્લાહપાક ફરમાવે છે : અને તેમની પાસે તેઓમાંથી એકરસૂલ આવ્યા છતાં તેઓએ તેમને જૂઠાડ્યા, જેથી તેઓને અઝાબે એવી હાલતમાં પકડી લીધા કે તેઓ જુલ્મ પર જ કેદ બાંધેલા હતા. (સૂરએ નહલ : ૧૧૩) સંપૂર્ણ ઈમાનવાળા તો તે લોકો જ છે, જેઓ અલ્લાહપાક પર અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર ઈમાન લાવ્યા, ફરી કંઈ શંકા ન કરી. (સૂરએ હુજૂરાત : ૧પ)

  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અલ્લાહ તઆલાનીપરવાનગીથી ગુનેહગારોની શફાઅત ફરમાવશે.
  • કિયામતના દિવસે આપની શફાઅત પછી લોકોના દરમિયાન ફેંસલો થશે અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ઉમ્મત તમામ ઉમ્મતોથી પહેલી જન્નતમાં જશે.
  • આપના વસીલાથી દુઆ કરવી જાઈઝ છે, બલ્કે મુસ્તહબ અને દુઆની કબૂલિયત માટે અત્યંત અસરકારક છે. સહાબએ કિરામ (રદી.) તાબિઈન તથા અન્ય બુઝુર્ગો આપના વસીલાથી દુઆ કરતા રહ્યા છે, અને પોતાના મકસદો (હેતુઓ) પ્રાપ્ત કરતા રહ્યા છે. અહાદીષથી પણ વસીલાનું જાઈઝ હોવું સાબિત થાય છે.

જેમકે હાકિમ અને બયહકીમાં છે કે, હઝરત આદમ અલયહિ- સ્સલામથી જ્યારે ચૂક થઈ ગઈ હતી, તો આપે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના વસીલાથી મગફિરતની દુઆ માંગી હતી. હઝરત અબૂબક્ર સિદ્દીક, હઝરત ઉમર, હઝરત બિલાલ વગેરે સહાબા (રદીયલ્લાહુ અન્હુમ) આપના વસીલાથી દુઆ ફરમાવતા હતા. આપની ઝિંદગીમાં પણ અને વફાત પછી પણ. (બુખારી શરીફ, તિરમિઝી શરીફ)

  • આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જ અલ્લાહ તઆલાએ “મકામે મહમૂદ” અર્પણ કરવાનો વાયદો ફરમાવ્યો છે. આપને જ અલ્લાહ તઆલાએ “હૌઝે કવષર” અર્પણ કરી છે. અલ્લાહ તઆલાએ “વસીલહ” નામી સ્થાન પોતાના ખાસ બંદા નબીએ અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને આપવાનો વાયદો ફરમાવ્યો છે.

અલ્લાહ તઆલા ફરમાવે છે : બેશક, (હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ !) અમે આપને કૌષર અર્પણ કરી છે.(સૂ.કૌષર-૧)

Log in or Register to save this content for later.