અંઘશ્રઘ્ઘા અપસુકન બાબત ઈસ્લામી માર્ગદર્શન

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 92 to 97)

ઈન્સાનને અશ્રફુલ મખ્લૂકાત એટલે કે જગતની બધી જ મખ્લૂક અને સર્જનસૃષ્ટિ કરતાં ઉચ્ચતર સ્થાન આપ્યુ છે. છતાં તે પોતાનાથી નીચલી કક્ષાની વસ્તુઓનો ડર અને ભય મેહસૂસ કરે, અને સર્વશક્તિમાન હકીકી માલિક અલ્લાહપાકનો ડર ન રાખે એ કેટલી શર્મજનક બાબત છે.

ઇસ્લામ એક સંપૂર્ણ ધર્મ છે. તે માનવજીવનના દરેક ક્ષેત્રે દરેક પ્રકારની બધી જ તઅલીમ અને શિક્ષણ વ્યવસ્થિત માળખામાં આપે છે. માનવ ફિતરત (પ્રાકૃતિ) અને સ્વભાવનો ઘણી જ સારી રીતે ખ્યાલ રાખે છે. તેની તઅલીમમાં અલ્લાહપાકનો ખૌફ અને ડર સાથે તેની રહમત અને ઉમ્મીદનું પણ વર્ણન છે. પોતાની ઝાતથી બંદાઓને જરૂર ડરાવ્યા, પરંતુ એટલી હદે નહીં કે બંદાઓ નાઉમ્મીદ થઈ જાય. અને ઉમ્મીદો પણ એટલી હદે નથી દર્શાવી કે બંદાઓ બિલ્કુલ નિડર થઈ જાય.

અવલાદની કેળવણી, સારસંભાળ અને સંસ્કારમાં આ બન્નેવ વસ્તુઓનો ખ્યાલ રાખવો જરૂરી છે. નાની–નાની બાબતોમાં બાળકોને ડરાવવાથી તે બીકણ અને ડરપોક બની જાય છે. ભવિષ્યમાં કોઈ મોટુ સાહસ કરવાથી હિંમત નથી દાખવી શકતા. કોઈ ઓફીસર સામે વાત કરવાથી પણ ડરે છે. અને બિલ્કુલ આઝાદ છોડી દેવાથી તે કોઈની પણ માનમર્યાદા અને અદબ જાળવતા નથી. મતલબ કે હિંમત અને ખૌફ બન્નેવ વસ્તુ મર્યાદામાં શિખવાડવી જરૂરી છે.

સહાબાએ કિરામની તરક્કીનો ભેદ આ જ હતો કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે તેમના દિલોમાં અલ્લાહપાકનો ખૌફ જન્માવી સમગ્ર મખ્લૂક (સૃષ્ટિ)થી તેમને બેખૌફ અને નિડર કરી દીધા હતા. એમના ખ્યાલમાં ભૂતઢપલીતઢઅપશુકનઢછૂટછાટ વગેરે કોઈ વસ્તુની બીક ન હતી. ચાંદ, સૂરજ, પહાડ, સમુદ્ર વગેરે કોઈ એમના માટે રૂકાવટરૂપ ન હતી. તેમના મુકાબલામાં જે કૌમો હતી તે બાતિલ અકીદાઓ, અંધશ્રધ્ધાઓ તથા રાતઢદિવસની અમુક ઘડીઓમાં અપશુકન માનવાવાળી હતી. તેમણે કૂતરા બિલાડાને પોતાના ભવિષ્યના માલિક બનાવી લીધા હતા. તારા તથા ગ્રહોનો ભય તેમને સતાવતો હતો. વહેમો, ટોણા ટચકા, છૂટછાટ, હસ્તરે ખાઓ, બદફાલી તથા પક્ષીઓના બોલવાને પોતાની કિસ્મતના ફેંસલા સમજતા હતા. ભવિષ્યવેત્તાઓ તથા ફાલ જોનારાને હાથની રેખાઓ બતાવી પોતાનું ભાવિ ભાખતા હતા. આજે પણ શેરના ભાવ ઘટવાને લઈ કાંસાના બનાવેલ આખલા (શેર માર્કેટ)ની દિશા બદલવાની વાતો થઈ રહી છે.

આપ (સલ.)ના યુગમાં સૂરજ ગ્રહણ થયું. તે જમાનાની માન્યતા પ્રમાણે સહાબાએ કિરામમાં પણ ચર્ચા થઈ કે સૂર્યગ્રહણ વખતે કોઈ મોટી હસ્તી મરણ પામશે અને કોઈ મહાન વ્યક્તિ પેદા થશે. અને તે દિવસોમાં આપ (સલ.)ના સાહબઝાદા હઝરત ઈબ્રાહીમ (રદી.)ની વફાત થઈ હતી. આપ (સલ.)ને આ વાતની ખબર પડી તો આપે સહાબાએ કિરામને ભેગા કરી ફરમાવ્યું કે, સૂર્ય અને ચંદ્ર અલ્લાહપાકની (કુદરત અને તાકતની) નિશાનીઓ પૈકી છે. તે કોઈના મૃત્યુ કે જીવનને લઈ ગ્રહણ થતા નથી.

એ જ પ્રમાણે સુલેહ હુદયબિય્યહ વખતે આપે એક જગ્યાએ પડાવ નાંખ્યો હતો. એક દિવસ રાત્રે વરસાદ પડયો. સવારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફજરની નમાઝ બાદ ફરમાવ્યું કે, અલ્લાહ તઆલાએ મારી ઉપર વહી ઉતારી કે આજની રાત મારા અમુક બંદાઓએ ઈમાનની હાલતમાં અને અમુકે કુફ્રની હાલતમાં ગુઝારી. જેમણે એમ કહયું કે અલ્લાહપાકે વરસાદ વરસાવ્યો, તેમણે તો ઈમાનની હાલતમાં રાત્રી ગુઝારી અને જેમણે એમ કહયું કે, ફલાણા તારાના ફલાણી જગ્યાએ જવાથી વરસાદ પડયો, તેમણે કુફ્રની હાલતમાં રાત્રી ગુઝારી.

આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી પહેલા જાહિલિય્યત યુગમાં આ પ્રમાણેની ઘણી અંધશ્રધ્ધાઓ પ્રચલિત હતી. આપે તેનાથી સહાબાએ કિરામને વાકિફ કરી સહીહ માર્ગદર્શન આપ્યું. એક રિવાયતમાં ઘણી જ ચોખવટ સાથે ફરમાવ્યું કે એક માણસની બીમારી બીજાને લાગતી નથી. અર્થાત્‌ એકબીજાના સહવાસને લઈ બીમારી લાગતી નથી. જ્યાં સુધી કે અલ્લાહ તઆલાનો હુકમ ન હોય. એક સહાબીએ આ મોકાસર સવાલ કર્યો કે, અમુક વખતે એક ઉંટને ખૂજલીની બીમારી થાય છે અને ત્યારબાદ બધા જ ઉંટોને તે બીમારી ઘણી જ ઝડપથી લાગી જાય છે. તો આપ (સલ.)એ તેના જવાબમાં સવાલ કર્યો કે, પહેલા ઉંટને કોણે ખૂજલીનો રોગ લગાડયો? મતલબ કે પહેલાને પણ ખૂજલી અલ્લાહ તઆલાના હુકમથી થઈ અને બીજા બધા ઉંટોને પણ અલ્લાહ તઆલાના હુકમથી જ ખૂજલી થઈ.

પ્લેગની બીમારીમાં જ્યાં પ્લેગ પ્રસર્યો હોય ત્યાંના લોકોને તે જગ્યાએથી બહાર જવાની મનાઈ ફરમાવી. અને બહારના લોકોને ત્યાં જવાની મનાઈ ફરમાવી. એટલા જ માટે કે કદાચ બહારવાળો કોઈ ખુદાના હુકમથી તે બીમારીમાં સપડાય જાય તો તે એમ સમજશે કે, મારા ત્યાં જવાથી બીમારી લાગુ પડી અને તેના ઈમાનમાં કમજોરી પેદા થઈ જશે. જેમકે સુરત શહેરમાં અમુક વર્ષો પહેલાં પ્લેગ પ્રસર્યો તો ત્યાંથી જે લોકો બહાર નીકળી ગયા તેમને બધી જ જગ્યાએથી નિરાશ થઈ પાછુ ફરવુ પડયું. ત્યાં સુધી કે ઘણા પેટ્રોલપંપો અને ગેરેજોવાળાઓએ પણ સુરત શહેરથી આવવાની જાણ થતા ત્યાંથી પણ તેમને પાછા કાઢયા હતા. ત્યારે આપ (સલ.)ની હદીષ શરીફની કદર થઈ.

 હઝરત ઉમર (રદી.)ના ખિલાફતકાળમાં આપ સિરિયા દેશ જવા નીકળ્યા. રસ્તામાં ખબર પડી કે ત્યાં પ્લેગ ફાટી નીકળ્યો છે. તો આપે સહાબાએ કિરામથી મશ્વેરો કર્યો. અને જ્યારે હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદી.)થી આ હદીષ સાંભળી તો પાછા ફરવાનું નક્કી કર્યુ. તે વખતે એક સહાબીએ કહયું કે, શું અલ્લાહ તઆલાની તકદીરથી આપ ભાગી રહયા છો ? તેના જવાબમાં હઝરત ઉમર (રદી.)એ ફરમાવ્યું કે, જી હાં ! અલ્લાહપાકની તકદીરથી ભાગી તો રહયા છીએ, પરંતુ અલ્લાહપાકની તકદીર તરફ જ ભાગી રહયા છીએ. અર્થાત્‌ તેના હુકમ ઉપર જ અમલ કરી રહયા છીએ.

ખુદાએ લમ યઝલકા દસ્તે કુદરત તુ જબાં હે તુ

યકીન પયદા કર એ ગાફિલ કે મગ્લૂબે ગુમાં હે તુ

એ જ પ્રમાણે પક્ષીઓને ઉડાડી જમણી તરફ ઉડે તો સારૂ સમજવામાં આવતુ અને ડાબી તરફ ઉડે તો ખરાબ સમજવામાં આવતુ હતું. અને ઘુવડ રાત્રે કોઈના ઘર ઉપર બેસે તો તે ઘરવાળાનું મૃત્યુ થાય છે અથવા બોલે તો તેને અપશુકનવાળુ સમજવામાં આવતુ. આપ (સલ.)એ તેનો પણ સખ્ત વિરોધ કરી ફરમાવ્યું કે, આની કોઈ હકીકત નથી.

એ જ પ્રમાણે સફરના મહિનાને અરબ લોકો અપશુકનવાળો સમજતા હતા. તો તેના વિશે પણ ફરમાવ્યું કે, આની કોઈ હકીકત નથી. સમય અને યુગને અપશુકનિયાળ માની તેને ગાળો ભાંડવાથી રોકયા. આજે પણ મુસ્લિમ સમાજમાં સફરના મહિનાને ખાલી મહિનો સમજી તેમાં શાદીઢવિવાહ કરવાને સારૂ સમજવામાં આવતુ નથી. જ્યારે ઈસ્લામે ઈન્સાનનો ઘણો ઉંચો મરતબો દર્શાવ્યો છે. ઈન્સાનને અશ્રફુલ મખ્લૂકાત એટલે કે જગતની બધી જ મખ્લૂક અને સર્જનસૃષ્ટિ કરતાં ઉચ્ચતર સ્થાન આપ્યુ છે. છતાં તે પોતાનાથી નીચલી કક્ષાની વસ્તુઓનો ડર અને ભય મેહસૂસ કરે, અને સર્વશક્તિમાન હકીકી માલિક અલ્લાહપાકનો ડર ન રાખે એ કેટલી શર્મજનક બાબત છે.

ઘણા મુસીબતના માર્યા લોકો, કરજદારો, પરેશાનીમા ઘેરાયેલા, બેરોજગારો અને બીમારો ખોટા વહેમો કે અંધશ્રધ્ધાઓ રાખી પોતાનું ઈમાન ખરાબ કરે છે. ફૂટપાથ પર બેસનારા, ફાલ જોનારા, પીંજરામાં પક્ષીઓ રાખી તેમની ચાંચ વડે બંધ કવરમાંથી કોઈ એક કવર ઉઠાવી લોકોને ઉલ્લુ બનાવે છે. તેમને પોતાના ભવિષ્યની તો ખબર નથી અને બીજા લોકોના ભાવિના ફેંસલા કરવા બેસી જાય છે.

હઝરત હફસહ (રદી.)ની રિવાયત છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ફરમાવે છે કે, ‘‘જે માણસ કોઈ કાહિન અથવા નજૂમી કે ભવિષ્ય જોનારા પાસે જઈને કોઈ વાત પૂછે અને તેની વાત ઉપર યકીન કરી લે તો તેની ચાલીસ રાતોની નમાઝ કબૂલ થશે નહીં. [મુસ્લિમ શરીફ]

એક હદીષ શરીફમાં છે કે, જે કોઈ માણસ નજૂમી પાસે જઈ કોઈ ગેબની વાતો તેને પૂછે તો ચાળીસ રાત સુધી તેની તવબહ કબૂલ થતી નથી. અને જો નજૂમીની વાત બિલ્કુલ દિલથી સાચી માની લીધી અને તેના ઉપર યકીન કરી લીધુ તો તેણે કુફ્ર કર્યુ કહેવાશે. [તબરાની, મિશ્કાત]

માટે ઈમાનવાળા ભાઈઓ અને બહેનોએ પોતાના સઘળા કામોમાં અલ્લાહપાક ઉપર જ સંપૂર્ણ ભરોસો રાખી તેની જ બારગાહમાં પોતાની સઘળી હાજતો પેશ કરવી જોઈએ. તે આપણી ધોરી નસથી પણ વધારે આપણાથી નજીક છે. દરેકની દરેક પ્રકારની પૂકાર તે સાંભળે છે. તેણે પોતાની પાસે જ માંગવાની તાકીદ કરી છે. માટે વહેમ, અંધશ્રધ્ધા, શુભઢઅશુભ, ટોણાં ટચકા, મણકા, ગ્રહ નડતર કે ચોઘડિયા વગેરે ઉપરથી યકીન હટાવી તંદરૂસ્ત ઈસ્લામી તૌહીદવાળા અકીદા ઉપર યકીન જમાવો.

Log in or Register to save this content for later.