તવાફે વિદાઅ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 136 to 139)

મીકાતથી બહાર રહેનારાઓ ઉપર વાજિબ છે કે જ્યારે મક્કા મુકર્રમહથી પાછા ફરવા લાગે તો રૂખ્સતી (વાપસી) તવાફ કરે. આ હજનો છેલ્લો વાજિબ છે અને આ વાજિબ હજના ત્રણેવ પ્રકારોવાળા (કારીન, મુતમત્તિઅ, મુફરિદ) ઉપર વાજિબ છે. આ તવાફ હરમ શરીફ અને મીકાતની અંદર રહેવાવાળા ઉપર વાજિબ નથી.

મસ્અલો : તવાફે વિદાઅ (સદ્‌) માટે નિય્યત જરૂરી નથી. જો વાપસી વખતે નફલી તવાફ કર્યો તો તેનાથી પણ તવાફે વિદાઅ અદા થઈ જશે, પરંતુ અફઝલ છે કે ખાસ તવાફે વિદાઅની નિય્યત કરી તવાફ કરે.

મસ્અલો : તવાફે વિદાઅ કર્યા બાદ કોઈ જરૂરતને લઈ મક્કા મુકર્રમહમાં થોભી જાય તો ફરીથી તવાફ કરવો વાજિબ નથી. હાં, મુસ્તહબ છે કે ફરીથી કરી લે.

મસ્અલો : તવાફે વિદાઅ પછી બે રકાઅત નમાઝ તવાફની પઢે. પછી કિબ્લા તરફ મોઢુ કરી ઉભો થઈ ઝમઝમનું પાણી પીએ. પછી હરમ શરીફથી રૂખ્સત (પાછા) થાય.

મસ્અલો : તવાફે વિદાઅથી પહેલાં મક્કા મુકર્રમહના રોકાણ દરમ્યાન એ પણ ઈખ્તીયાર છે કે વધુ ઉમરહ કરે. જેના માટે હરમ શરીફની બહાર જઈ એહરામ બાંધવો જરૂરી છે. નજીકની હદ તન્ઈમ છે.

મુલ્લાં અલી કારી (રહ.) વધુ તવાફ કરવાને અફઝલ સમજે છે. અને સહાબાએ કિરામ (રદી.) તથા તાબિઈન (રહ.)ના અમલો પણ વધુ તવાફ કરવાના જ હતા.

મસ્અલો : કોઈ માણસ તવાફે વિદાઅ કરવા વગર મક્કા મુકર્રમહથી રવાના થઈ ગયો તો જ્યાં સુધી મીકાતથી નહીં નીકળે, તેને ફરી પાછા ફરી તવાફે વિદાઅ કરવો વાજિબ છે. એહરામની જરૂર નથી. અને જો મિકાતથી બહાર ચાલ્યો ગયો તો તેને બે કામોમાંથી એક કામ કરવુ જરૂરી છે. વાજિબ છોડવાને લઈ દમ મોકલી આપે, અથવા એહરામ બાંધી મક્કા મુકર્રમહ જઈ ઉમરહ કરી તવાફે વિદાઅ કરી લે. આ પ્રમાણે મોડુ કરવાથી દમ કે સદકો વાજિબ થશે નહીં, પરંતુ આ પ્રમાણે કરવુ ઠીક નથી.

મસ્અલો : ફકત ઉમરહ માટે આવનાર ઉપર તવાફે વિદાઅ વાજિબ નથી. તવાફે વિદાઅ કરતી વખતે પોતાના ઉપર ગમ કે અફસોસની હાલત, (આંખોથી આંસુ વહે અથવા રડવાની શકલ) બનાવે. મુલ્તઝમ અને ચોખટ પાસે ખૂબ રડીને દુઆ માંગે કે આ પાક જગ્યા ફરીથી નસીબ થાય. પોતાના માટે સગાં–સંબંધીઓ તથા તમામ મુસલમાનો માટે આફિયતની દુઆ માંગે. મસ્જિદમાંથી ઉલ્ટા પગે નીકળવુ રસૂલુલ્લાહ થી સાબિત નથી. પરંતુ આલિમો અને બુઝુર્ગોએ કાબા શરીફના માન અને ઈઝઝત માટે સારૂ સમજ્યુ છે. તવાફે વિદાઅ પછી હરમ શરીફમાં નમાઝો પઢી શકે છે. અમુક લોકો તવાફે વિદાઅ પછી હરમ શરીફમાં જવાનુ ના કહે છે. તે સદંતર ખોટુ છે, નિઃસંકોચ (કોઈપણ જાતના વાંધા વગર) જઈ શકાય છે.

હજજે કિરાન તથા હજજે તમત્તુઅના મસાઈલ

હન્ફી મસ્લકમાં કિરાન અફઝલ છે, પરંતુ જે હાજીઓને પોતાની ઝાત ઉપર ભરોસો ન હોય કે એહરામ વિરૂદ્ધ કામોથી બચી શકીશ. કારણકે કિરાનનો એહરામ લાંબો રહે છે, તો તમત્તુઅ કરે.

મસ્અલોઃ મક્કા મુકર્રમહના રહેવાસી માટે તમત્તુઅ જાઈઝ નથી.

મસ્અલોઃ જે માણસ હજના મહિનાઓ (શવ્વાલ, ઝિલ્કઅદહ, ઝિલ્હજ્જહ). પહેલાં મક્કા મુકર્રમહમાં આવી હલાલ થઈ ગયો તો તેના માટે પણ તમત્તુઅ જાઈઝ નથી.

મસ્અલોઃ હજના મહિનાઓમાં ઉમરહ કરી મદીના મુનવ્વરહ જનાર જ્યારે મક્કા મુકર્રમહ પાછો ફરે તો કિરાનનું એહરામ બાંધવું બેહતર નથી.

મસ્અલોઃ જે માણસ હજના મહિનાઓમાં ઉમરહ કરી મદીનહ શરીફ ગયો તો ઈમામ અબૂ હનીફા (રહ.)ના મત મુજબ ફકત હજનું એહરામ બાંધી મક્કા મુકર્રમહ આવે. તમત્તુઅની નિય્યત ન કરે.

મસ્અલોઃ જો કોઈ આફાકી માણસ હજના મહિનાઓમાં ઉમરહ કર્યા બાદ મદીના મુનવ્વરહ અથવા જિદ્દહ વગેરે જગ્યાઓએ ચાલ્યો જાય તો વાપસી વખતે તેણે હજ્જે ઈફરાદનો એહરામ બાંધવો બેહતર છે.

અને જો કોઈ મદીના મુનવ્વરહથી વાપસી વખતે ઉમરહનો એહરામ બાંધશે તો કોઈ વાંધો નથી. પરંતુ બેહતર છે કે ઈફરાદનો એહરામ બાંધે. મદીના મુનવ્વરહથી વાપસી પછી હજના દિવસો ઘણા બાકી છે અને એહરામની પાબંદીઓ ઉપર અમલ કરવો મુશ્કેલ છે તો પછી ઉમરહનો એહરામ બાંધવો બેહતર છે. અને જો એક–બે દિવસ પછી હજના દિવસો શરૂ થઈ જાય છે તો બેહતર છે કે ઈફરાદનો એહરામ બાંધે.

Log in or Register to save this content for later.