સલાતો સલામ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 177 to 186)

રિયાઝુલ જન્નહ (જન્નતની કયારી)માં તહિય્યતુલ મસ્જિદની બે રકાઅત પઢે. ત્યારબાદ રોઝએ અકદસની પાસે હાજર થઈ મસ્જિદમાંથી એ પ્રમાણે નીકળે કે આપﷺ ના સરહાના (માથુ મુબારક)ની પાસેવાળી રવઝએ અકદસની જાલી અને કિબ્લાવાળી દિવાળની વચમાં મારબલની પટ્ટીવાળા થાંભલા લાગેલા છે તેની પાસે ઉભો રહે. જેથી જવાવાળાઓ માટે રસ્તો રહે. કિબ્લા તરફ પીઠ કરી ચહેરો સામે જરા ડાબી તરફ વળેલો રાખે. જેથી પ્યારા આકાﷺ ના નૂરથી ભરપૂર ચહેરા સામે થઈ જાય. નજર નીચી રાખે. આ સમયે આમ–તેમ જોવુ સખ્ત બેઅદબી છે. હાથ અને પગ પણ સ્થિર અને વિનમ્રતાથી રહે. ત્યારબાદ દિલમાં આ ખ્યાલ રાખે કે આપﷺ પોતાની કબર મુબારકમાં જીવંત છે. અને મારી સલાતો સલામ સાંભળે છે અને એમ સમજે કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની હયાતીમાં આપની મજલિસમાં હાજરી આપી રહયો છું.

સલાતો સલામ વિશે એ ખ્યાલ રહે કે ફકત શબ્દો પઢી લેવા અસલ નથી, પરંતુ શબ્દોના અર્થ અને મુબારક મજલિસનો ખ્યાલ રાખી નમ્રતા અને આજીઝી સાથે ટૂંકી સલામ અર્જ કરે.

સલામ વિશે જે લાંબી દુઆઓ કિતાબોમાં લખી છે, સામાન્ય માણસો તેને પઢી નથી શકતા, અને યાદ પણ નથી કરી શકતા. ફકત પોપટની જેમ સહીહ ઉચ્ચાર વગર અર્થનો અનર્થ કરી પઢે છે. આ પ્રમાણે પઢવાથી નમ્રતા પેદા થતી નથી. માટે જરૂરી છે કે, થોડાક વાકયો યાદ કરી લે. તે વારંવાર સુકૂન સાથે ધીમે ધીમે પઢતા રહે. જેમકે….

اَلصَّلٰوۃُ وَالسَّلَامُ عَلَیْکَ یَا رَسُوْلَ اللّٰہِ

اَلصَّلٰوۃُ وَالسَّلَامُ عَلَیْکَ یَا نَبِیَّ اللّٰہِ

 اَلصَّلٰوۃُ وَالسَّلَامُ عَلَیْکَ یَا حَبِیْبَ اللّٰہِ

 اَلصَّلٰوۃ ُوَالسَّلَامُ عَلَیْکَ یَاخَیْرَ خَلْقِ اللّٰہِ

 اَلصَّلٰوۃُ وَالسَّلَامُ عَلَیْکَ یَا خَاتِمَ الاَنْبِیَائِ

اَلصَّلٰوۃُ وَالسَّلَامُ عَلَیْکَ یَا سَیِّدَ الاَنْبِیَائِ وَالْمُرْسَلِیْنَ وَرَحْمَۃُ اللّٰہِ وَبَرَکَاتُہٗ۔

અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા રસૂલુલ્લાહ

અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા નબિય્યલ્લાહ

 અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા હબીબલ્લાહ

 અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા ખયર ખલ્કિલ્લાહ

 અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા ખાતિમલ અંબિયા

અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા સય્યિદલ્અંબિયાઈ વલ મુર્સલીન વરહમતુલ્લાહિ વબરકાતુહ.

અર્થ :

[૧] અય અલ્લાહ પાકના રસૂલ ! અલ્લાહ પાકના તરફથી આપ ઉપર દુરૂદો સલામ નાઝિલ હો.

[ર] અય અલ્લાહ પાકના નબી ! અલ્લાહ પાકના તરફથી આપ ઉપર દુરૂદો સલામ નાઝિલ હો.

[૩] અય અલ્લાહ પાકના હબીબ ! અલ્લાહ પાકના તરફથી આપ ઉપર દુરૂદો સલામ નાઝિલ હો.

[૪] અલ્લાહ પાકની મખ્લૂકમાં સૌથી બેહતર ! અલ્લાહ પાકના તરફથી આપ ઉપર દુરૂદો સલામ નાઝિલ હો.

[પ] અય નબીઓની નુબૂવ્વત ખતમ ફરમાવનાર ! અલ્લાહ પાકના તરફથી આપ ઉપર દુરૂદો સલામ નાઝિલ હો.

[૬] અય સઘળા નબીઓ અને રસૂલોના સરદાર ! અલ્લાહ પાકના તરફથી આપ ઉપર દુરૂદો સલામ અને રહમત તથા બરકત નાઝિલ હો.

જો લાંબી સલાતો–સલામ યાદ ન હોય તો ફકત ‘અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા રસૂલલ્લાહ’ પઢતો રહે. બીજા તરફથી સલામ કહે તો ‘અસ્સલાતુ વસ્સલામુ અલય્ક યા મિન…., મિન પછી જેણે સલામ કહેવા માટે કહયું હોય તેનું નામ લે અને જો અરબી ન બોલી શકે તો પોતાની ભાષામાં કહે કે યા રસૂલલ્લાહﷺ ફલાણા તરફથી આપની ખિદમતમાં સલાતો સલામ પેશ કરૂં છું.

 નોંધ : અત્રે યાદ રહે કે રવઝએ અકદસની જાળીઓમાં મસ્જિદ તરફથી બહાર નીકળતા પ્રથમ જે જાળી છે તે ખાલી જગ્યા છે, ત્યાં કંઈ જ નથી. અમુક ભાઈઓ ત્યાં ઉભા રહી સલાતો સલામ પઢે છે. એ જ પ્રમાણે વચલી મોટી જાળી છોડી છેલ્લી જાળીએ પણ ખાલી જગ્યા છે. વચલી જાળીમાં ત્રણ ગોળ કુંડાળા છે, જેમાં પહેલુ કુંડાળુ મોટુ છે. જે આપﷺ ના મુબારક ચહેરા શરીફની સામુ છે. ત્યારબાદ વચમાં નાની જાળી છે. તે છોડીને બીજા બે કુંડાળા સાથે–સાથે છે. જેમાં પહેલા કુંડાળા સામે હઝરત અબૂબક્ર સિદ્દીક રદી.ની કબર મુબારક છે અને બીજા કુંડાળા સામે હઝરત ઉમર રદી.ની કબર શરીફ છે. હવે ત્યાં નામોના બોર્ડ લાગી ગયા છે. તે તખ્તી વાંચી તે પ્રમાણે ઉભા રહે.

પ્રથમ મોટા કુંડાળા સામે સલાતો–સલામ પઢયા બાદ આપﷺ થી શફાઅત ચાહે અને આ પ્રમાણે કહે :

یَا رَسُوْلَ اللّٰہِ اَسْئَلُکَ الشَّفَاعَۃَ وَاَتَوَسَّلُ بِکَ اِلَی اللّٰہِ فِیْ اَنْ اَمُوْتَ مُسْلِمًا عَلٰی مِلَّتِکَ وَسُنَّتِکَ، فَاِنَّ الْخَطَایَا قَدْ   قَصَمَتْ ظُھُوْرَنَا اَشْھَدُ اَنَّکَ بَلَّغْتَ الرِّسَالَۃَ، فَجَزَاکَ اللّٰہُ خَیْرًا،جَزَاکَ اللّٰہُ عَنَّا اَفْضَلَ مَا جَازیٰ نَبِیًا عَنْ اُمَّتِہٖ، اَللّٰھُمَّ اَعْطِ سَیِّدَنَا عَبْدَکَ وَرَسُوْلَکَ مُحَمَّدَنِالْوَسِیْلَۃَ وَالْفَضِیْلَۃَ وَالدَّرَجَۃَ الرَّفِیْعَۃَ وَابْعَثْہٗ مَقَامًا مَّحْمُوْدَانِ الَّذِیْ وَعَدْتَّہٗ اِنَّکَ لَا تُخْلِفُ الْمِیْعَادَ، وَاَنْزِلْہُ الْمَنْزِلَ الْمُقَرَّبَ عِنْدَکَ اِنَّکَ سُبْحَانَکَ ذُوْالْفَضْلِ الْعَظِیْمِ۔

યા રસૂલલ્લાહ હું આપની શફાઅતનો ચાહક છું અને અલ્લાહ તઆલાથી વસીલો ચાહું છું કે અલ્લાહ પાક મને ઈસ્લામ અને આપના રસ્તા તથા તરીકા ઉપર મોત આપે, કારણકે ગુનાહોના ભારે (બોજે) મારી કમર તોડી નાંખી છે. આપ મારા માટે ઈસ્તિગફાર ચાહો. હું ગવાહી (સાક્ષી) આપુ છું કે, આપે અલ્લાહ પાકનો સંદેશો પહોંચાડી આપ્યો. અલ્લાહ પાક આપને તેનાથી બેહતર બદલો આપે. જે કોઈ નબીને તેમની ઉમ્મત તરફથી મળ્યો હોય.

અય અલ્લાહ પાક ! આપ હમારા સરદાર અને પ્યારા રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને વસીલહ, ફઝીલત અને ઉંચા દરજા સાથે મકામે મહમૂદ ઉપર પહોંચાડો, જેનો આપે વાયદો કર્યો છે. બેશક, આપની શાન વઅદા ખિલાફીની નથી, અને પોતાની પાસે નઝદીકીવાળો દરજો અર્પણ કરો. બેશક, આપની ઝાત તમામ એબોથી પાક અને ઘણી એહસાન કરવાવાવાળી છે. આ શબ્દોમાં જેટલો વધારો કરવા ચાહે કરી શકે છે. પરંતુ કોઈ બેઅદબીવાળા શબ્દો ન નીકળે તેનો ખ્યાલ રાખે.

એટલા જ માટે બુઝુર્ગો સલાતો–સલામના શબ્દો જેટલા ઓછા પ્રમાણમાં હોય, પરંતુ સુકૂનથી પઢવામાં આવે તેને વધુ પસંદ કરે છે. પઢવામાં ઘણી જ વિનમ્રતાનો ખ્યાલ રાખે.

જે લોકોએ સલામ પહોંચાડવાનું કહયું છે તેમના નામો યાદ ન રહે તો ટૂંકમાં ફકત એમ કહે કે જેટલા મુસલમાન ભાઈ–બહેનોએ મને સલામ પહોંચાડવાનું કહયુ છે તેમના તરફથી આપﷺ ને સલામ પેશ કરૂં છું.

હઝરત અબૂબક્ર રદી.: ત્યારબાદ વચલી નાની સરખી જાળી છોડી જે બે નાના કુંડાળા છે તેમાંથી પહેલા કુંડાળા સામે ઉભા રહી હઝરત અબૂબક્ર સિદ્દીક રદી.ને સલામ પેશ કરે.

اَلسَّلَامُ عَلَیْکَ یَا خَلِیْفَۃَ رَسُوْلِ اللّٰہِ وَثَانِیَہٗ فِیْ الْغَارِ، وَرَفِیْقَہٗ فِیْ الْاَسْفَارِ، وَاَمِیْنَہٗ عَلَی الْاَسْرَارِ اَبَابَکْرِنِ الصِّدِّیْقِ، جَزَاکَ اللّٰہُ عَنْ اُمَّۃِ مُحَمَّدٍ خَیْرًا

અય અલ્લાહ તઆલાના રસૂલﷺના ખલીફા, ગુફાના સાથી, સફરોના સહવાસી, ભેદોના અમાનતદાર, અબૂબક્ર સિદ્દીક રદી. અલ્લાહ તબારક વ તઆલા આપને પુરી ઉમ્મત તરફથી બેહતરીન બદલો આપે.

હઝરત ઉમરે ફારૂક રદી.: ત્યાર પછી એક હાથ જેટલું હટીને બીજા નાના કુંડાળા સામે ઉભા રહીને હઝરત ઉમર રદી.ને સલામ પેશ કરે.

اَلسَّلَامُ عَلَیْکَ یَا اَمِیْرَ الْمُؤْمِنِیْنَ عُمَرَ الْفَارُوْقَ الَّذِیْ اَعَزَّ اللّٰہُ بِہٖ الْاِسْلَامَ ، اِمَامَ الْمُسْلِمِیْنَ مَرْضِیًا حَیًّا وَمَیِّتًا جَزَاکَ اللّٰہُ عَنْ اُمَّۃِ مُحَمَّدٍ خَیْرًا

અય અમીરૂલ મુઅમિનીન ઉમરે ફારૂક રદી. આપના કારણે અલ્લાહ પાકે ઈસ્લામને ઈઝઝત અર્પણ કરી, આપ પર સલામ. અલ્લાહ પાકે આપને મુસલમાનોના ચાહક ઈમામ બનાવ્યા અને જીવન તથા મૃત્યુ બાદ પણ ચાહયા. અલ્લાહ તઆલા આપને ઉમ્મત તરફથી બેહતરીન બદલો આપે.

ત્યારબાદ બંનેવ કુંડાળાના વચમાં રહી બંનેવ સહાબાને સંબોધીને કહે :

اَلسَّلَامُ عَلَیْکُمَا  یَا ضَجِیْعَیْ رَسُوْلِ اللّٰہِ صَلَّی اللّٰہُ عَلَیْہِ وَسَلَّمَ وَرَفِیْقَیْہِ وَوَزِرَیْہِ جَزَاکُمَا اللّٰہُ اَحْسَنَ الْجَزَائِ جِئْنَاکُمَا نَتَوَسَّلُ بِکُمَا اِلٰی رَسُوْلِ اللّٰہِ صَلَّی اللّٰہُ عَلَیْہِ وَسَلَّمَ  لِیَشْفَعَ لَنَاوَ یَدْعُوْلَنَا رَبَّنَا اَنْ یُّحْیِیَنَا عَلٰی مِلَّتِہٖ وَسُنَّتِہٖ وَیَحْشُرَنَا فِیْ زُمْرَتِہٖ وَجَمِیْعَ الْمُسْلِمِیْنَ

અય અલ્લાહ પાકના રસૂલﷺ ના સાથે આરામ ફરમાવનાર સાથીઓ, વઝીરો, રફીકો, અલ્લાહ પાક આપ બંનેવને બેહતરીન બદલો આપે. અમો આપ સમક્ષ એટલા માટે આવ્યા છે કે, તમોને આપﷺ સુધી પોતાનો વસીલો (વાસ્તો) બનાવીએે. જેથી રસૂલુલ્લાહﷺ અમારી શફાઅત કરે અને અમારા પરવરદિગારથી દુઆ કરે. તે અમોને આપﷺ ના રસ્તા અને સુન્નતો પર જીવંત રાખે અને આપની સાથે તમામ મુસલમાનોને હશરના મેદાનમાં ઉઠાવે. ત્યારપછી આપﷺ સામે આવી ફરી સલાતો સલામ પેશ કરી કિબ્લા તરફ મોઢુ કરી અલ્લાહ તઆલાથી દુઆ કરે. પોતાના માટે, માં–બાપ માટે અને બધા મુસલમાનો માટે દુન્યા અને આખિરતની ભલાઈની દુઆ માંગે.

જ્યાં સુધી મદીનહ મુનવ્વરહમાં રોકાય, વધુ પ્રમાણમાં રોઝએ અકદસની સામે હાજર થઈ સલામ પેશ કરે. ખાસ કરીને પાંચેવ નમાઝો બાદ જરૂરથી સલામ પઢીને પસાર થાય.

હદીષ શરીફમાં છે કે, જે માણસ રોઝએ અકદસ પાસે ઉભો રહી આ આયત તિલાવત કરે :

اِنَّ اللّٰہَ وَمَلٰٓئِکَتَہٗ یُصَلُّوْنَ عَلَی النَّبِیِّ یٰٓأَیُّھَا الَّذِیْنَ اٰمَنُوْا صَلُّوْا عَلَیْہِ وَسَلِّمُوْا تَسْلِیْمًا

ઈન્નલ્લાહ વમલાઈકતહુ યુસલ્લુન અલન્નબિય્યિ યા અય્યુહલ્લઝીન આમનુ સલ્લૂ અલયહિ વસલ્લિમૂ તસ્લીમા

ત્યારબાદ સિત્તેર વખત આ દુરૂદ શરીફ પઢે :

صَلَّی اللّٰہٗ عَلَیْکَ وَسَلَّمَ یَا مُحَمَّدْ۔

સલ્લલ્લાહુ અલય્ક વસલ્લમ યા મુહમ્મદ

તો ફરિશ્તા તેને પુકારશે : સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ વઅલય્ક યા ફુલાના અને તેની હાજતો અલ્લાહ પાક પુરી ફરમાવશે.

બેહતર છે કે, યા મુહમ્મદની જગ્યાએ તઅઝીમને ખાતર યા રસૂલલ્લાહ કહે. જ્યારે પણ રોઝએ અતહર પાસેથી (ચાહે બહારથી) પસાર થાય, ઉભા રહી ટૂંકમાં સલાતો સલામ પઢી લે.

રોકાણ દરમિયાન જો કોઈ વખતે ખાસ મઝારે મુબારક પર હાજરીનો મોકો ન મળે તો મસ્જિદમાં કોઈપણ જગ્યાએ ઉભા રહી સલાતો સલામ પેશ કરી શકે છે. પરંતુ મઝારે મુબારકની સામે હાજર થઈ પઢવાનો સવાબ અને ફઝીલતને પહોંચી શકતું નથી. ઔરતોએ પણ રોઝએ અકદસ ઉપર હાજર થઈ સલામ પેશ કરવી જોઈએ. એમના માટે સાઉદી સરકારે સમય નક્કી કર્યો છે. તે માલૂમ કરી તે સમયે પહોંચવાની કોશિશ કરે. અને બુલંદ આવાઝથી સલાતો સલામ ન પઢે. કારણકે ઔરતોનો અવાઝ પણ સતરમાં શામિલ છે અને રોઝએ અકદસનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે.

નોંધઃ અમુક બુઝુર્ગોનો અનુભવ છે કે, રોઝએ અકદસ સામે ઉભા રહી બીજી દુઆઓ સાથે અલ્લાહ પાકથી દીનની ખિદમત માટે પોતાની ઝાતને કબૂલ કરવા આપﷺ થી દરખાસ્ત તથા વાયદો કરો, તેની બરકતો ખૂબ જાહેર થશે.

મદીના મુનવ્વરહના રોકાણ દરમિયાન ચાલતા, ઉઠતા,બેસતા , વધુમાં વધુ દુરૂદ શરીફનો વિર્દ રાખે. હદીષ શરીફમાં દુરૂદ શરીફની ઘણી ફઝીલતો દર્શાવવામાં આવી છે. સાથે સાથે એ વાતનો ખ્યાલ રાખે કે પોતાની બધી જ નમાઝો જમાઅત સાથે મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમાં જ પઢે. કારણકે આ મસ્જિદમાં એક નમાઝનો સવાબ એક હજાર નમાઝો બરાબર છે. [મુસ્લિમ શરીફ]

ઈબ્ને માજહ શરીફની રિવાયતમાં પચાસ હજાર નમાઝોના સવાબ બરાબર સવાબ ફરમાવ્યો છે. [ઈબ્ને માજહ] Log in or Register to save this content for later.