Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 73 to 77)
સફા–મરવા તે જગ્યાઓ છે, જ્યાં હઝરત હાજિરહ રદી.એ પાણીની શોધમાં દોડ લગાવી હતી. હવે આ બંનેવ હરમ શરીફની મસ્જિદની સાથે છે અને મતાફમાંથી જ પગથિયા ચઢીને મસ્જિદનું સહન પુરૂં થતાં બાબુસ્સફાથી થોડે જ દૂર સફા પહાડી શરૂ થઈ જાય છે. હજરે અસ્વદની નિશાનીવાળી કાળી પટ્ટી જ્યાં પુરી થાય છે ત્યાં મોટા અક્ષરે અરબી અને ઇંગ્લીશમાં અસ્સફાનું બોર્ડ લગાડેલું છે. તેનાથી થોડા આગળ જતાં પહાડની નિશાની શરૂ થઈ જાય છે. જવા–આવવાના રસ્તાઓ અલગ–અલગ છે. વચમાં ગ્રીન લાઈટો લગાડેલી છે. ત્યાં પુરૂષોએ દોડ લગાડવાની છે.
સઈની રીત :
સફા–મરવહના ખાસ પ્રકારના સાત ચક્કર લગાડવાને સઈ કહે છે. હજ અને ઉમરહમાં આ સઈ કરવી વાજિબ છે. જે તવાફ બાદ સઈ કરવાની છે તે તવાફથી ફારિગ થઈ હજરે અસ્વદને ઈસ્તિલામ કરે. આ નવમો ઈસ્તિલામ થશે, જે મુસ્તહબ છે. ત્યારબાદ આપﷺ ની સુન્નત પ્રમાણે બાબુસ્સફાથી સફા પહાડી પર કઅબા શરીફ દેખાય તે પ્રમાણે થોડા ઉપર ચઢીને આ પ્રમાણે નિય્યત કરે : અય અલ્લાહ ! હું આપની રઝામંદી માટે સફા–મરવાના સાત ચક્કરોનો ઈરાદો કરૂં છું. આપ મારા માટે આસાન ફરમાવી કુબૂલ કરો. દિલથી નિય્યત કરવી કાફી છે, પરંતુ મોઢેથી કહેવી અફઝલ છે. પછી બંનેવ હાથ એ પ્રમાણે ઉઠાવે, જેવી રીતે દુઆમાં ઉઠાવવામાં આવે છે. નમાઝની તકબીરે તહરીમાના જેમ ન ઉઠાવે. જેમ કે ઘણા અભણ માણસો કરે છે. અને તકબીરે તહલીલ (લા ઈલાહ ઈલ્લલ્લાહ) જોરથી તથા દુરૂદ શરીફ ધીમેથી પઢી વિનમ્રતા અને આજિઝીના સાથે દુઆ માંગે. આ જગ્યાએ દુઆ કબૂલ થાય છે. દુઆમાં કલિમએ તૌહીદ પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી સાબિત છે.
لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَلَہٗ الْحَمْدُ یُحْیٖ وَیُمِیْتُ وَھُوَ عَلٰی کُلِّ شَیٍٔ قَدِیْرٌ، لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ اَنْجَزَ وَعْدَھٗ وَنَصَرَ عَبْدَھٗ وَھَزَمَ الْاَحْزَابَ وَحْدَھٗ۔
“લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહુ લા શરીક લહુ લહુલ્મુલ્કુ વલહુલ્હમ્દુ યુહયી વયુમીતુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર. લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહુ અન્જઝ વઅદહુ વન સર અબ્દહુ વહઝમલ્અહઝાબ વહદહુ”
એ જ પ્રમાણે આ આયતે કરીમા પણ પઢવી સાબિત છે :
اَبْدَ أُبِمَا بَدَأَاللّٰہُ بِہٖ اِنَّ الصَّفَا وَالْمَرْوَۃَ مِنْ شَعَائِرِ اللّٰہِ۔
અબ્દઉ બિમા બદઅલ્લાહુ બિહિ ઈન્નસ્સફા વલ્મરવત મિન શઆઈરિલ્લાહ”
આ તકબીર તથા દુઆઓ ત્રણ વખત પઢે. ત્યારબાદ ઝિક્ર કરતાં કરતાં સફાથી મરવહ તરફ સામાન્ય ગતિથી ચાલે. પછી જ્યારે લીલા રંગના થાંભલા છ ફૂટના અંતરે દૂર હોય ત્યાંથી ઝડપથી ચાલવાનું શરૂ કરે અને બીજા લીલા રંગની લાઈટોથી છ ફૂટ આગળ સુધી રહે. પછી પોતાની સામાન્ય ચાલ પકડી લે. તે વખતે આપ સ.અ.વ.થી આ દુઆ સાબિત છે :
رَبِّ اغْفِرْ وَارْحَمْ وَتَجَاوَزْ عَمَّا تَعْلَمْ اِنَّکَ اَنْتَ الْاَعَزُّ الْاَکْرَمُ۔
રબ્બિગ્ફિર વર્હમ વતજાવઝ અમ્મા તઅલમ ઈન્નક અન્તલ અઅઝઝુલ્અકરમ”
આ સિવાય જે દુઆ ચાહે પઢી શકે છે.
આ પ્રમાણે સફાથી મરવહ સુધી પહોંચવાથી એક ચક્કર પૂરો થશે ત્યાં પણ ખૂબ વિનમ્રતા અને આજિઝીથી દુઆ માંગે. ત્યાર પછી મરવહથી સફા સુધી બીજો ચક્કર ગણાશે. ત્યાં પણ લીલી લાઈટોથી ઝડપથી ચાલવાનું શરૂ કરી બીજી લાઈટોથી ૬ ફૂટ આગળ ઝડપથી ચાલે. આ પ્રમાણે સફાથી શરૂ કરી મરવહ ઉપર સાત ચક્કર પુરા થશે. આ મુજબ સઈનો અમલ પૂરો થશે.
સઈના વાજિબો :
૧. સઈ એવા તવાફ પછી કરવામાં આવે, જેમાં મોટી નાપાકી એટલે કે માસિક, સુવાવડવસ્થા તથા જનાબતથી પાક હોય.
ર. સઈના સાત ચક્કર પુરા કરવા (સઈના પ્રથમ ચાર ચક્કર ફર્ઝ છે). ત્યાર પછીના ત્રણ વાજિબ છે.
૩. ઉઝર વગર પગપાળા સઈ કરવી.
૪. ઉમરહની સઈ એહરામની હાલતમાં કરવી.
પ. સફા–મરવહ વચ્ચેનું અંતર પુરૂ પાર કરવુ.
૬. ક્રમવાર એટલે પ્રથમ સફાથી શરૂ કરી મરવહ પર સઈ ખતમ કરવી.
સઈની સુન્નતો :
૧. હજરે અસ્વદને ઈસ્તિલામ કરી સઈ માટે મસ્જિદથી બહાર નીકળવુ.
ર. તવાફ પછી તરત સઈ કરવી.
૩. સફા–મરવહ પર થોડે ઉપર સુધી ચઢવુ.
૪. સફા–મરવહ પર ચઢી કિબ્લા તરફ મોઢું કરવુ.
પ. સઈના ચક્કરોને લગાતાર કરવા.
૬. જનાબત અને હૈઝ (માસિક)થી પાક હોવુ. સઈ માટે જનાબત (ગુસલની હાજત) અને માસિકથી પાક હોવુ શર્ત અને વાજિબ નથી, પરંતુ મુસ્તહબ છે કે પાક રહે, ચાહે હજની સઈ હોય કે ઉમરહની. અગવડ (ઉજર) હોય તો વાંધો નથી.
૭. સતર છુપાવવુ દરેક હાલતમાં ફર્ઝ છે, પરંતુ સઈની હાલતમાં વધુ ખ્યાલ રાખે.
૮. લીલી લાઈટો પાસે ઝડપથી ચાલવુ.
Log in or Register to save this content for later.