મદીના મુનવ્વરહના અદબો-ફઝીલતો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 172 to 176)

અલ્લાહ પાકના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના રોઝએ અકદસની ઝિયારત પ્રત્યેક મુઅમિન માટે અનેરા સૌભાગ્યની વાત છે. અને મુઅમિનના દરજ્જાઓની તરક્કી માટે એક સબળ માધ્યમ છે. એટલે અલ્લાહ પાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની મુહબ્બતમાં ગળાડૂબ દરેક મુસલમાનની દિલી તમન્ના હોય છે કે તેને મદીના મુનવ્વરા જવાની મુબારક તક સાંપડે. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના રોઝા મુબારકની ઝિયારત નસીબ થાય. એક શાયર તેને એવી રીતે વ્યકત કરે છે :

વો દિન ખુદા કરે કે મદીનાકો જાએં હમ

ખાકે દરે રસૂલકા સુરમા લગાએં હમ

હઝારોં બાર તુઝ પર એ મદીનામેં ફિદા હોતા

જો બસ ચલતા તો મરકર ભી ન મેં તુઝસે જુદા હોતા

ખુદ અલ્લાહ પાકના રસૂલﷺ એ પણ તેનો આદેશ આપ્યો છે. ઝિયારત કરનારાઓ (દર્શનાર્થીઓ)ને પોતાની શફાઅત (ખુદાપાક સમક્ષ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની ભલામણ)ના હકદાર ઠેરવ્યા છે. અને સ્થિતિ હોવા છતાં ઝિયારત નહી કરનારને બેશરમ અને ઝાલિમ કહ્યો છે. નમૂના ખાતર કેટલાક ઈર્શાદાત જોઈએ.

૧. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, ‘‘જેણે મારી કબ્ર મુબારકની ઝિયારત કરી, તેના માટે મારી શફાઅત વાજિબ થઈ ગઈ.”

ર. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો ઈર્શાદ છે કે, ‘‘જે શખ્સ મારી ઝિયારત માટે આવે અને મારી ઝિયારત સિવાય તેનો કોઈ મકસદ ના હોય, તો હું તેની શફાઅત કરીશ.” [મિશ્કાત]

૩. આપﷺ એ ફરમાવ્યું કે, ‘‘જેણે હજ કરી, પછી મારી કબ્રની ઝિયારત કરી, તો તે એવા લોકો જેવો છે, જેમણે મારી હયાતીમાં મારી ઝિયારત કરી.” [મિશ્કાત]

૪. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, જે મારી ઝિયારત માટે આવે તો તે કિયામતના દિવસે મારી પાડોશમાં હશે. [મિશ્કાત]

પ. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, જેણે બયતુલ્લાહની હજ કરી અને મારી ઝિયારત નહીં કરી, તો તેણે મારી ઉપર ઝુલ્મ કર્યો. [ઈબ્ને અદી]

આ પ્રકારની અનેક રિવાયતોને લક્ષમાં રાખી બહુમતી ફુકહાએ કિરામે ઝિયારતને ‘‘સુન્નત”નો દરજ્જો આપ્યો છે. ફત્હુલકદીરના કર્તા અલ્લામા ઈબ્ને હુમામ રહ.એ લગભગ ‘‘વાજિબ” જેવો દરજ્જો આપ્યો છે. અને ખયરૂદ્દીન રમલી રહ. જેવા અન્ય કેટલાક સંશોધનવૃત્તિ ધરાવતા વિદ્વાનોએ સારી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યકિત માટે મદીનાપાકની હાજરી વાજિબ લખી છે. એટલે દરેક મુસલમાને, જેને અલ્લાહ તઆલાએ ક્ષમતા તથા શકિત આપી હોય, આ સૌભાગ્ય પ્રાપ્ત કરવાની ભરપૂર કોશિશ કરવી જોઈએ. કબ્ર મુબારકની ઝિયારતની સાથોસાથ મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમાં નમાઝ પઢવાની નેકબખ્તી પણ હાસીલ થાય છે. જે મસ્જિદમાં અલ્લાહ પાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખુદાના દરબારમાં સજદા કર્યા, નમાઝો પઢી, ખુત્બા (પ્રવચનો) આપ્યા, દુઆઓ કરી, એતેકાફ કર્યા, અને જ્યાં આપના ઈર્શાદ મુજબ ‘‘એક નમાઝ અન્ય મસ્જિદોમાં હજાર નમાઝથી અફઝલ છે” અને જ્યાં જમીનનો તે બરકતવંત ભાગ પણ આવેલ છે, જેને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ‘‘જન્નતના બગીચાઓમાંથી એક બગીચો” કહ્યો છે.

ખુશનસીબ છે તે લોકો જેમને રોઝએ અકદસની ઝિયારત અને મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમમાં હાજરી નસીબ થાય. મૌલાએ કરીમ આપણને બધાને આ મહાન દૌલતથી નવાજે, આમીન… જે લોકોને આ મુબારક તક મળવાની ઉમ્મીદ હોય તેઓ જો નીચે જણાવેલ અદબોનું પાલન કરે તો તેમને અત્યંત લાભકારક નીવડશે, ઈન્શાઅલ્લાહ. જ્યારે મદીના મુનવ્વરા તરફ પ્રયાણ કરે તો એમ નિય્યત કરે કે ‘‘હું મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અને કબ્ર મુબારકની ઝિયારત માટે આ પ્રવાસ કરી રહ્યો છું.”

મક્કા અથવા જિદ્દહથી રવાના થતા પહેલા બેહતર છે કે, મદીના મુનવ્વરા જવાની નિય્યતથી ગુસ્લ (સ્નાન) કરે, કપડાં બદલે, અને અત્તર લગાડે.

મદીના મુનવ્વરાની આ યાત્રા અદબપૂર્વક સંપન્ન કરે. તેમજ ઉમળકાભેર તેમાં શામેલ થાય. જો શેર શાયરીની રસરુચી ધરાવતા હોય તો નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના પ્રેમમાં પ્રાણ ફૂંકવા માટે નઅતના શએર પઢે અને મુહબ્બતના અંદાઝમાં દુરૂદ શરીફ પઢતા રહે. દા.ત. આ અરબી શએર :

یَا رَبِّیْ صَلِّ وَسَلِّمْ دَآئِمًا اَبَدَا

عَلٰی حَبِیْبِکَ خَیْرِ الْخَلْقِ کُلِّھِمٖ۔

યા રબ્બિ સલ્લિ વસલ્લિમ દાઈમન અબદા

અલા હબીબિક ખયરિલ ખલ્કિ કુલ્લિહિમ

જેમ જેમ મદીના શરીફ નજીક આવતુ જાય, દુરૂદો સલામમાં વધારો કરતો જાય, કારણકે એક મુસલમાન માટે દુરૂદ શરીફથી બહેતર આપની નજદીકી પ્રાપ્ત કરાવનાર કોઈ સાધન નથી.

જ્યારે મદીના મુનવ્વરહ તરફ સફર કરે તો રસ્તામાં વધુ પ્રમાણમાં દુરૂદ શરીફ પઢતો રહે અને જ્યારે મદીના શરીફની ઈમારતો નજર પડે તો દુરૂદ શરીફ પઢી આ દુઆ પઢે :

اَللّٰہُمَّ ھٰذَا حَرَمُ نَبِیِّکَ فَاجْعَلْہُ وِقَایَۃً لِیْ مِنَ النَّارِ وَاَمَانًا مِّنَ الْعَذَابِ  وَسُوْئِ الْحِسَابِ۔

અલ્લાહુમ્મ હાઝા હરમુ નબિય્યિક ફજઅલ્હુ વિકાયતનલીમિનન્નાર વઅમાનમ્મિનલ્અઝાબ વસુઈલ્હિસાબ.

અર્થ : અય અલ્લાહ ! આ આપના નબીﷺ નું હરમ છે. એને મારા માટે જહન્નમથી અને અઝાબ તથા બૂરા હિસાબ કિતાબથી અમનનો ઝરીઓ બનાવો, આમીન….

મુસ્તહબ છે કે મદીના મુનવ્વરહમાં દાખલ થતા પહેલાં અથવા મસ્જિદે નબવી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં દાખલ થતા પહેલાં ગુસલ કરે અથવા વુઝૂ કરે. પાક–સાફ કપડાં (પોતાના કપડાંમાં જે સારા હોય) પહેરી ખુશ્બૂ લગાવી શહેરમાં દાખલ થાય. (આજકાલ બસોવાળા સીધા જ રહેઠાણ ઉપર લઈ જાય છે. તો પોતાના રૂમમાં આવી ગુસલ, ખુશ્બૂ વગેરે લગાવે.) દુઆ અને દુરૂદ શરીફના વિર્દ સાથે ઘણા જ અદબ અને વિનમ્રતાથી શહેરમાં પ્રવેશે. અને આ બાબતનો ખ્યાલ રાખે કે આ તે જમીન છે, જેના ઉપર જગ્યાએ જગ્યાએ રસૂલﷺ ના કદમ મુબારક લાગેલા છે.

Log in or Register to save this content for later.