Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 68 to 71)
તવાફના પ્રથમ ત્રણ ચક્કરોમાં અક્કડ થઈ ખભા હલાવી ટૂંકા પગલે ઝડપભેર ચાલવાને રમલ કહે છે. આ રમલ ફકત ત્રણ ચક્કરોમાં જ સુન્નત છે. બાકીના ચક્કરોમાં રમલ ન કરવુ સુન્નત છે. રમલ માત્ર તે તવાફમાં જ સુન્નત છે, જેના પછી સઈ કરવામાં આવે. જે તવાફ પછી સઈ ન કરવાની હોય તેના ચક્કરોમાં રમલ ન કરવામાં આવે. પરંતુ જો કોઈ વ્યકિતએ સાતેવ ચક્કરોમાં રમલ કરી લીધો તો તેના પર કોઈ જઝા (સજા) લાગુ પડશે નહિં.
જો વધુ ભીડ હોય અને રમલ થઈ શકે એમ નથી તો ભીડ ઓછી થવાની રાહ જુએ. જ્યારે ભીડ ઓછી થઈ જાય ત્યાર પછી રમલ સાથે તવાફ કરે, પરંતુ હજના દિવસોમાં ભીડ વધુ થઈ જાય છે તે સમયે જો મોકો મળે તો રમલ કરો. મજબૂરીની હાલતમાં રમલ વગર તવાફ કરી શકે છે.
રમલ સાથે તવાફ શરૂ કર્યો અને એક ચક્કર પુરો કરી લીધો. ત્યારબાદ ભીડ એટલી વધી ગઈ કે બીજા ચક્કરો રમલ સાથે પુરા થઈ શકતા નથી તો રમલ કરવાનું છોડી દે અને તવાફના સાત ચક્કર રમલ વગર પુરા કરે.
જો રમલ કરવાનું ભૂલી ગયો અથવા રમલ વગર એક ચક્કર ફરી લીધા પછી યાદ આવ્યું તો બાકીના બે ચક્કરોમાં રમલ કરે, પરંતુ ત્રણ ચક્કર પુરા કરી લીધા બાદ યાદ આવે તો પછી રમલ ન કરે. કારણકે પ્રથમ ત્રણમાં જ રમલ સુન્નત છે. બાકીના ચાર ચક્કરોમાં રમલ ન કરવુ સુન્નત છે.
કારિન અને મુતમત્તિઅ પહેલો જે તવાફ કરશે તે ઉમરહનો તવાફ હશે. એના પછી ઉમરહની સઈ કરવી એમના માટે જરૂરી છે. માટે એમણે પહેલા તવાફમાં ઈઝતિબાઅ અને રમલ કરવો સુન્નત છે, પરંતુ મુફરિદે ફકત હજનો એહરામ બાંધ્યો છે. એનો પહેલો તવાફ તવાફે કુદૂમ હશે, જેનાં પછી હજ માટે સઈ કરવી હાલ જરૂરી નથી અને ઈખ્તિયાર છે કે હજની સઈ હમણા કરી લે અથવા તવાફે ઝિયારત પછી ૧૦મી ઝિલ્હજ્જના કરે. જો મુફરિદ હજની સઈ તવાફે કુદૂમની સાથે કરવા ચાહે તો તે પણ પહેલા તવાફમાં (તવાફે કુદૂમ) ઈઝતિબાઅ અને રમલની સુન્નત અદા કરે, પરંતુ અફઝલ છે કે હજની સઈ તવાફે ઝિયારત પછી જ કરે.
કોઈ માણસ બિમારી અથવા ઘડપણને લઈ રમલ નથી કરી શકતો તો કાંઈ વાંધો નથી.
આઠ (૮) પ્રકારના તવાફોમાં રમલ સુન્નત છે, જે નીચે મુજબ છે :
[૧] ઉમરહના તવાફમાં એટલા માટે કે આ તવાફ પછી તરત જ સઈ કરવાની હોય છે.
[ર] તવાફે કુદૂમના પછી જે ફકત હજ અર્થે ગયો છે, ઉમરહ નથી કરવાનો, જો તે સઈ કરવા ચાહે તો તેના માટે તવાફે કુદૂમના પછી સઈ કરવી મસ્નુન છે.
[૩] મુતમત્તીઅ (અલગ–અલગ એહરામથી હજ તથા ઉમરહ કરનાર) જ્યારે ઉમરહના અરકાનમાંનો તવાફ કરશે તો તેમાં પણ રમલ સુન્નત છે. કારણકે તેના પછી સઈ છે.
[૪] મુતમત્તીઅ જ્યારે હજના અરકાન અદા કરશે, તો તેમાં સઈથી પહેલા કરવામાં આવતા તવાફમાં રમલ સુન્નત છે.
[પ] કારિન (એક જ એહરામથી હજ તથા ઉમરહ કરનાર)ના માટે તવાફે કુદૂમમાં. કારણકે તેના પછી સઈ કરવામાં આવે છે.
[૬] કારિન જ્યારે હજના અરકાન અદા કરશે તો સઈથી પહેલાના તવાફમાં રમલ મસ્નુન છે.
[૭] મક્કાવાળા અથવા મુતમત્તીઅ એહરામ બાંધ્યા પછી જો અરફાતના દિવસ પહેલા જ ભીડથી બચવાના ઈરાદે સઈથી ફારિગ થઈ જવા ચાહતા હોય તો તે સઈથી પહેલા એક નફલી તવાફ કરવો જરૂરી છે. તો આ તવાફમાં પણ રમલ કરવો મસ્નુન છે.
[૮] માથુ મૂંડાવવા અથવા વાળ કપાવવા પહેલા તવાફે ઝિયારત કરવાનો છે. અને અરફાતના દિવસ પહેલાં સફા–મરવહની સઈ નથી કરી, તો આ સૂરતમાં તવાફે ઝિયારતમાં રમલ અને ઈઝતિબાઅ બન્નેવ મસ્નુન છે.
Log in or Register to save this content for later.