તવાફની બે રકઅત

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 67 - 68)

દરેક તવાફ પછી બે રકઅત પઢવી વાજિબ છે. ચાહે તવાફ નફ્‌લ હોય, વાજિબ હોય કે ફર્ઝ. આ બે રકઅતનું મકામે ઈબ્રાહીમ અલયહિસ્સલામના પાછળ પઢવું સુન્નત અને અફઝલ છે. મકામે ઈબ્રાહીમના પાછળ હોવાનો અર્થ એ કે, મકામે ઈબ્રાહીમ નમાઝી અને કાબા શરીફના વચમાં આવે. જેટલો નજીક હોય તે બહેતર છે. પરંતુ ભીડના સમયે નજીક જવામાં પોતાને તથા બીજા તવાફ કરવાવાળા ભાઈઓને તકલીફ અને પરેશાની થાય છે, તો થોડે દૂર રહી પઢી લે.

મસ્અલો : આ બે રકઅત મકરૂહ સમયમાં પઢવી જાઈઝ નથી. એટલે કે સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઝવાલના સમયે અને ફર્ઝને અસરની નમાઝ પછી ન પઢે. જો કે તવાફ આ સમયે પણ જાઈઝ છે.

મસ્અલો : બે રકઅતને નાની સૂરતો (મસ્નુન છે કે સૂરએ કાફિરૂન પ્રથમ રકઅતમાં અને સૂરએ ઈખ્લાસ બીજી રકાઅતમાં પઢે) અને મુખ્તસર દુઆ સાથે પઢે. જેથી મકામે ઈબ્રાહીમ પાસે બીજાને પણ મોકો મળે અનેલોકોને તકલીફ ન થાય. નફલી નમાઝો અને લાંબી લાંબી દુઆઓ અહીંયા ન પઢે, બલ્કે ઉપર સહનમાં ચાલ્યો જાય અથવા મતાફના પાછલા ભાગમાં જઈ પઢે, પરંતુ મસ્જિદની બહાર પઢવી મકરૂહ છે.

મસ્અલો : આ બે રકઅતો તવાફ પછી તરત પઢવી જોઈએ, કારણ વગર મોડુ કરવુ મકરૂહ છે.

મસ્અલો : એક સાથે એકથી વધુ તવાફ કરી બધાની બે–બે રકઅતો એક સાથે પઢવી મકરૂહ છે. હાં, જો મકરૂહ સમય હોય તો વાંધો નથી કે એક સમયમાં વધુ પ્રમાણમાં તવાફ કરી મકરૂહ ટાઈમ નીકળી ગયા બાદ દરેક તવાફની અલગ–અલગ બે રકઅતો પઢે.

Log in or Register to save this content for later.