Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 36 to 38)
હાજી જ્યારે હજની પાકી નિય્યત કરી તલ્બિયહ પઢે છે તો એના માટે અમુક હલાલ વસ્તુઓ હરામ થઈ જાય છે. એટલા માટે એને એહરામ કહે છે. સાથે ચાદરોને પણ એહરામ કહે છે.
એહરામના પ્રકાર : હજના ત્રણ પ્રકારોને લઈને એહરામના પણ ત્રણ પ્રકાર છે.
[૧] ફકત હજનો એહરામ બાંધવો એને ઈફરાદ કહે છે.
[ર] હજના દિવસોમાં પ્રથમ ફકત ઉમરહનો એહરામ બાંધવો અને ઉમરહ બાદ ૮ ઝિલ્હજ્જના હજનો એહરામ બાંધવો. એને તમત્તુઅ કહે છે.
[૩] હજના દિવસોમાં હજ અને ઉમરહ બંનેવનો સાથે એહરામ બાંધવો. પ્રથમ ઉમરહ કરવો અને ત્યારબાદ ૮મી ઝિલ્હજ્જ સુધી પણ એહરામમાં રહેવું અને આ જ એહરામમાં ૮મી તારીખથી હજની પ્રક્રિયા પણ શરૂ કરવી.
આ ત્રણેવ એહરામમાં નિય્યત અલગ–અલગ રીતે કરવાની છે. ઈફરાદમાં ફકત હજની નિય્યત કરવી. નિય્યત દિલમાં પણ કરી શકે છે અને શબ્દોમાં પણ ઉચ્ચાર કરી શકે છે. પોતાની ભાષામાં પણ અદા થઈ શકે છે અને અરબીના શબ્દો યાદ હોય તો તેમાં પઢવી બેહતર છે.
નિય્યતના શબ્દો આ છે : અય અલ્લાહ ! હું હજનો ઈરાદો કરૂં છું. તુ મારા માટે હજને આસાન ફરમાવ અને મારી હજને કુબૂલ ફરમાવ.
તમત્તુઅઃ તમત્તુઅમાં ફકત ઉમરહની નિય્યત કરવાની છે. નિય્યતના શબ્દો આ છે : અય અલ્લાહ ! હું ઉમરહનો ઈરાદો કરૂં છું. તુ મારા માટે એને આસાન ફરમાવ અને કુબૂલ ફરમાવ. ત્યારબાદ ૮ ઝિલ્હજ્જના હજ માટે ઉપર દર્શાવેલ ઈફરાદની નિય્યતના જેમ ફકત હજની નિય્યત કરે.
કિરાન : કિરાનમાં હજ અને ઉમરહની ભેગી નિય્યત કરવાની છે. તેના શબ્દો આ મુજબ છે : અય અલ્લાહ ! હું હજ અને ઉમરહ બંનેવનો ઈરાદો કરૂં છું. બંનેવને મારા માટે આસાન ફરમાવ અને કુબૂલ ફરમાવ.
મસ્અલા : તમત્તુઅનો એહરામ ઉમરહ પૂરો કર્યા બાદ બાલ કપાવ્યા કે મુંડાવ્યા પછી ખૂલી જશે અને ૮ ઝિલ્હજ્જ સુધી સામાન્ય કપડાં પહેરી શકશે. જ્યારે ઈફરાદ અને કિરાનમાં હજ પૂરી કર્યા બાદ સામાન્ય કપડાં પહેરી શકશે.
મસ્અલા : હજ અને ઉમરહ અદા કરવામાં ત્રણેવ પ્રકારના મસ્અલા એક જ પ્રમાણે રહેશે. ફકત એટલો ફર્ક રહેશે કે ૧૦ ઝિલ્હજ્જના મિનામાં કુર્બાની કરવી કારિન અને મુતમત્તિઅ માટે વાજિબ રહેશે. અને મુફરિદ માટે ફકત મુસ્તહબ છે.
મસ્અલા : જો કોઈએ ગુસલ, વુઝૂ કર્યા વગર અને એહરામની સુન્નતો પઢયા વગર એહરામ બાંધ્યું તો એ પ્રમાણે જાઈઝ છે, પરંતુ સુન્નત વિરૂદ્ધ કૃત્ય ગણાશે. માટે આ પ્રમાણે કરવું મકરૂહ છે.
Log in or Register to save this content for later.