હજના વાજિબો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 27 to 29)

વાજિબ અંગે એ જાણવુ જરૂરી છે કે, જો કોઈ વાજિબ ભૂલથી અથવા જાણી જોઈને અદા નહીં થશે તો તેનો બદલો આપવો જરૂરી છે. ચાહે કુર્બાની સ્વરૂપે હોય કે સદકા સ્વરૂપે (જેની વિગત જિનાયતના પ્રકરણમાં આવશે). હાં, જો કોઈ કામ ખરેખર મજબુરીને કારણે છૂટી જશે તો બદલો (જઝા) લાઝિમ થશે નહીં.

હજના મૂળ વાજિબ છ (૬) છે :

[૧] મુઝદલીફામાં થોભવું (જેનો ટાઈમ સુબ્હે સાદિકથી લઈ સૂરજ ઉગ્યા સુધી છે).

[ર] સફા–મરવા વચ્ચે સઈ કરવી.

[૩] (રમી) શયતાનને કાંકરીઓ મારવી.

[૪] કારિન અને મુતમત્તિઅ માણસે કુર્બાની કરવી.

[પ] હલક (વાળ મુંડાવવા) અથવા કસ્ર (કપાવવા).

[૬] આફાકી (મીકાતથી બહાર રહેનાર)એ તવાફે વિદાઅ કરવો.

આ છ (૬) વાજિબોમાંથી દરેક વાજિબ સાથે અન્ય વાજિબો સંકળાયેલા છે. એમ કુલ ૩પ વાજિબો છે, પરંતુ અસલ વાજિબ છ (૬) છે.

હજના તે વાજિબો જેને છોડવાથી દમ વાજિબ થતો નથી

હજમાં ઘણા બધા એવા વાજિબો છે, જેમાં ઉલમા વચ્ચે મતભેદ છે. પરંતુ તેમના છોડવાથી ‘દમ વાજિબ થતો નથી. આ જ સહીહ છે, તેનામાંના ચાર અહિંયા રજૂ કરીએ છીએ :

[૧] મુઝદલિફાના રસ્તામાં મગરિબ અને ઈશા ન પઢતાં મુઝદલિફા પહોંચવા સુધી મુલ્તવી કરવી વાજિબ છે. માટે જો રસ્તામાં કોઈએ બન્નેવ નમાઝો પઢી લીધી તો મુઝદલિફા પહોંચી ફરીથી પઢવી પડશે, પરંતુ ‘દમ વાજિબ ન થશે, ન બીજી કોઈ સજા વાજિબ થશે. બલ્કે ગુનેહગાર થશે.

[ર] દરેક તવાફ પછી બે રકાત સલાતુત્તવાફ પઢવી વાજિબ છે. માટે જો કોઈ નહિ પઢે તો વાજિબ છોડવાનો ગુનોહ થશે. પણ ‘દમ વાજિબ થવામાં ઉલમાનો મતભેદ છે. અમુક ઉલમા વાજિબ કહે છે, તો અમુક ના પાડે છે. એટલા માટે કે આ નમાઝ હરમની હદમાં અદા કરવી સુન્નત છે, વાજિબ નથી. જો કોઈ પોતાના વતન જઈ અદા કરે તો પણ વાજિબ અદા થઈ જશે. માટે સહીહ મત એ જ છે કે ‘દમ વાજિબ ન થશે.

[૩] સફા પહાડીથી સઈ શરૂ કરવી. સફા–મરવહ વચ્ચે સઈનો પ્રારંભ અમુક ઉલમાના મત મુજબ સફા–મરવહની પહાડીથી કરવો વાજિબ છે. પરંતુ જો કોઈ સઈનો પ્રારંભ સફા પહાડીથી ન કરે તો કોઈના નજદીક ‘દમ વાજિબ થતો નથી. જે ચક્કર મરવહ પહાડીથી શરૂ કર્યો, તેને ફરીથી કરે તો કંઈ વાજિબ ન થશે. અને જો ફરીથી નહિ કરે તો એક સદ્‌કએ ફિત્ર વાજિબ થશે.

[૪] હજરે અસ્વદથી તવાફનો પ્રારંભ કરવો સાહિબે દુર્રે મુખ્તારના મત મુજબ વાજિબ છે. અને મોટાભાગના ઉલમાના કથન અનુસાર સુન્નત છે. આને છોડવાથી સહીહ મત મુજબ ‘દમ વાજિબ થશે નહિ.

Log in or Register to save this content for later.