જુમ્આની નમાઝ : ફઝીલત અને તાકીદ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 125 to 129)

ફઝીલત અને તાકીદ :

જુમ્આની નમાઝ “ફર્ઝે ઐન” છે. કુર્‌આન શરીફ, હદીષ શરીફ અને ઈજમાએ ઉમ્મતથી સાબિત અને ઇસ્લામની મોટી નિશાનીઓ- માંથી એક નિશાની છે. તેની ફર્ઝિયતને ન માનનાર કાફિર અને વગર ઉઝરે તેને છોડનાર ફાસિક છે.

અલ્લાહ તઆલા પોતાના કલામે પાકમાં ફરમાવે છે કે, યા અય્યુહલ્લઝીન આમનૂ ઈઝા નૂદિય લિસ્સલાતિ મિંય-યવ્મિલ જુમુઅતિ ફસ્અવ ઈલા ઝિક્રિલ્લાહિ વઝરૂલ બય્અ. ઝાલિકુમ ખયરૂલ્લકુમ ઈન કુન્તુમ તઅલમૂન.”

અર્થ : હે ઈમાનવાળાઓ ! જ્યારે જુમ્આના દિવસે (જુમ્આની નમાઝ માટે) અઝાન પુકારવામાં આવે, ત્યારે તમે અલ્લાહપાકના ઝિક્ર તરફ દોડો અને ખરીદ-વેચાણ (વેપાર)ને છોડી દો. એ તમારા માટે બેહતર છે, જો તમે જાણો તો.

આ આયતમાં ઝિક્રનો મતલબ જુમ્આની નમાઝ અને તેનો ખુત્બો છે. ‘દોડો’ એ શબ્દનો મતલબ (જેટલી તૈયારીઓ સાથે એ નમાઝ માટે જવાનો હુકમ છે તેટલી) તૈયારીઓ સાથે નમાઝ માટે જવાનો છે.

રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, દરેક દિવસોમાં અફઝલ જુમ્આનો દિવસ છે. એ જ દિવસે હઝરત આદમ (અલૈ.)ને પેદા કરવામાં આવ્યા, અને એ જ દિવસે તેઓની વફાત થઈ. જુમ્આના દિવસે જ સૂર ફૂંકવામાં આવશે. જેથી તમામ મખ્લૂક મરી જશે. અને તે જ દિવસે કિયામત કાયમ કરવામાં આવશે. એ દિવસે મારા ઉપર દુરૂદ શરીફ સંખ્યાબંધ પઢ્યા કરો. કેમકે એ જ દિવસે તમારૂ દુરૂદ મારી આગળ પેશ કરવામાં આવે છે. સહાબા (રદી.)એ અર્ઝ કરી : યા રસૂલલ્લાહ (સલ.) ! અમારા દુરૂદ આપની હુઝૂરમાં કેવી રીતે પેશ કરવામાં આવશે ? જ્યારે કે આપ (સલ.)ના હાડકાં (પણ કબરમાં) બોસીદા થઈ ગયા હશે ? આપ (સલ.)એ ફરમાવ્યું કે, ખુદાપાકે નબીઓ અને રસૂલો (અલૈ.)ના બદન મુબારકને જમીન ઉપર હંમેશ માટે હરામ કર્યા છે. (એટલે કે માટી બની જતા નથી, પણ જીવતા માણસની જેમ તાજા રહે છે. માટી તેમને ખાઈ શકતી નથી.) (અબૂ દાઉદ, નસઈ, ઈબ્ને માજહ)

સરકારે દો આલમ (સલ.)એ ફરમાવ્યું કે, સઘળા દિવસોનો સરદાર અને ખુદાપાકની જનાબમાં સૌ કરતાં મોટો જુમ્આનો દિવસ છે. અને ખુદાપાકની જનાબમાં રમઝાનની ઈદ અને બકરહ ઈદ કરતાં પણ એનો રૂત્બો વધારે છે. (ઈબ્ને માજહ)

આપ (સલ.)એ ફરમાવ્યું કે, જુમ્આની રાત સફેદ રાત છે. (રાત અંધારી થાય છે, પણ એ રાત નૂરાની છે તેથી સફેદ કહેવાય) અને જુમ્આનો દિવસ ચકચકિત (નૂરના લીધે) દિવસ છે. (ઈબ્ને માજહ)

નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસ જુમ્આના દિવસે બને તેટલી સારી રીતે ગુસલ કરી પાક-સાફ થઈ જાય. પછી પોતાના માથામાં તેલ લગાડી કપડાંઓને (અત્તરથી) સુગંધિત કરી નમાઝ પઢવા જાય. જ્યારે મસ્જિદમાં દાખલ થાય તો કોઈ માણસને તેની જગ્યાએથી ઉઠાડીને પોતે બેસે નહીં. પછી તેના નસીબમાં જેટલી નફલ નમાઝો હોય તેટલી પઢે. જ્યારે ઈમામ ખુત્બો પઢે ત્યારે ચૂપ બેસે, તો ગુજરેલા જુમ્આથી આ જુમ્આ સુધીના તેના તમામ ગુનાહો માફ થઈ જશે. (બુખારી શરીફ)

રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, જે કોઈ જુમ્આના દિવસે સારી રીતે ગુસલ કરે અને મસ્જિદમાં જલ્દીથી પગપાળા જાય (સવારી પર બેસીને ન જાય), પછી ખુત્બો સાંભળે એ દરમ્યાન કોઈ નકામુ (વ્યર્થ) કામ કરે નહીં, તો તેને દરેક પગલે એક વર્ષ સુધી પૂરેપુરી રીતે કરેલી ઈબાદતનો સવાબ મળે છે. એટલે કે એક વર્ષના રોઝા રાખવાનો અને એક વર્ષ સુધી નમાઝ પઢવાનો.

નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, જુમ્આના દિવસે એક ઘડી એવી આવે છે કે, તે દરમ્યાન કોઈ મુસલમાન દુઆ માંગે, તો દુઆ જરૂર કબૂલ થશે. (બુખારી, મુસ્લિમ) હદીષ શરીફમાં બયાન થયેલી એ ઘડી કઈ છે, તેને માટે આલિમોમાં મતભેદ છે.

હઝરત શેખ અબ્દુલહક્ક મુહદ્દિસ દહેલ્વી (રહ.)એ પોતાની કિતાબ ‘શર્હે સિફરૂસ સઆદત’માં એ સબંધી ચાલીસ મંતવ્યો લખ્યા છે. પરંતુ તેમાં બે મંતવ્યને વધારે સહીહ ગણ્યા છે. (૧) એ કે, તે ઘડી ખુત્બો શરૂ થયા પછી નમાઝ પૂરી થાય ત્યાં સુધી છે. અને (ર) એ કે, તે ઘડી સૂર્યમાં રતાશ આવી જાય તે વખતે છે. આ બીજા કોલ (મંતવ્ય)ને ઘણા આલિમોએ પસંદ કરેલ છે. અને ઘણી સહીહ હદીષો એને ટેકો આપે છે.

મજકૂર શેખ દહેલ્વી (રહ.) ફરમાવે છે કે, હઝરત ફાતિમહ (રદી.) જુમ્આના દિવસે કોઈ બાંદી (નોકરાણી)ને હુકમ કરતા કે, જ્યારે દિવસ આથમવા લાગે તો મને ખબર કરી દે, જેથી દુઆ અને ઝિક્રમાં લાગી જાય. એ હદીષ સહીહ છે. (અશિઅતુલ્લમઆત) હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું કે, જે મુસલમાન જુમ્આના દિવસે કે જુમ્આની રાત્રે મૃત્યુ પામે છે, ખુદા તઆલા તેને કબરના અઝાબથી બચાવે છે. (તિરમિઝી શરીફ)

જુમ્આના દિવસે નમાઝ પહેલાં અથવા પછી “સૂરએ કહફ પઢવાનો ઘણો સવાબ છે. હુઝૂર (સલ.)એ ફરમાવ્યું કે, જુમ્આના દિવસે (કોઈપણ વખતે) જે માણસ “સૂરએ કહફ” પઢશે, તેના માટે અર્શના નીચેથી આસમાન જેટલુ ઉંચુ એક નૂર પેદા થશે, જે તેને કિયામતના દિવસે અંધારામાં ઉપયોગી થઈ પડશે. અને આ જુમ્આથી પાછલા જુમ્આ સુધીના જેટલા ગુનાહો તેનાથી થયા હશે, તે સર્વે માફ થઈ જશે. (શર્હે સિફરૂસ સઆદત)

હઝરત અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, હુઝૂરે અકરમ  (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસે જુમ્આની રાત્રે “સૂરએ હામીમ દુખાન” પઢી, તેના સર્વે ગુનાહો માફ કરી દેવામાં આવે છે. (તિર્મિઝી)

તબરાની અને અસ્બહાનીમાં હઝરત અબૂ ઉમામહ (રદી.)ની રિવાયતમાં એટલું વર્ણન વધારે છે કે, અલ્લાહ તઆલા તે માણસનું ઘર જન્નતમાં બનાવે છે.

નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, વગર ઉઝરે જે માણસ જુમ્આની નમાઝ છોડે છે, તેને મુનાફિક લખી દેવામાં આવે છે. તે એવી કિતાબમાં કે, જેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. (મિશ્કાત) એટલે કે તે માણસ હંમેશા ખુદાપાકની જનાબમાં મુનાફિક ગણાશે. અલબત્ત, જો પોતે તૌબા કરે અથવા અલ્લાહપાક પોતાની રહમતથી માફ કરી દે, તો જુદી વાત છે.

બીજી એક હદીષ શરીફમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસ ત્રણ જુમ્આ(ની નમાઝ) વગર ઉઝરે છોડશે, તો ખુદાપાક તેના દિલ પર મહોર મારી દેશે. (તિરમિઝી શરીફ) બીજી રિવાયતમાં છે કે, ખુદાપાક તેનાથી નારાજ થઈ જાય છે.

હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)ની રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસ દિવસના રોઝા રાખે છે, રાત્રે નમાઝ પઢે છે, પરંતુ જુમ્આ અને જમાઅતમાં આવતો નથી, તે દોઝખમાં છે. (તિરમિઝી શરીફ)

બીજી ઘણી હદીષોમાં જુમ્આની નમાઝના માટે સખત તાકીદ બયાન કરવામાં આવી છે. તેને છોડનારના માટે ઘણા સખત અઝાબો બયાન થયા છે.

હઝરત જાબિર (રદી.) નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી રિવાયત કરે છે કે, રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું : “જે માણસ અલ્લાહપાક અને કિયામતના દિવસ પર યકીન રાખતો હોય, તેણે જુમ્આની નમાઝ પઢવી જરૂરી છે. સિવાય કે બીમાર માણસ, મુસાફિર, ઔરત, છોકરો કે છોકરી અને (શરીઅત મુજબના) ગુલામ. જો કોઈ માણસ (મજકુર નમાઝને છોડી) નકામા કોઈ કામમાં અથવા વેપારમાં લાગી જશે, તો ખુદાપાક પણ તેના તરફથી પોતાની રહેમત ખેંચી લે છે. અને તે (ખુદાપાક) બેપરવા અને તારીફને લાયક છે.” (મિશ્કાત શરીફ)

Log in or Register to save this content for later.