તૌબા અને ઇસ્તિગફાર

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 215 to 218)

તૌબા અને ઈસ્તિગફારનો મતલબ એ છે કે, જ્યારે કોઈ બંદાથી અલ્લાહપાકની નાફરમાની અને ગુનાહનું કોઈ કામ થઈ જાય, તો તે એ માટે પસ્તાવો કરીને શરમિંદા થાય અને ભવિષ્યમાં તે ગુનાહથી બચવાનો પાકો નિશ્ચય કરીને અલ્લાહ તઆલાની પાસે પોતાના થઈ ગયેલા ગુનાહની માફી માંગે. કુર્‌આન અને હદીષમાં આવ્યું છે કે, એટલું કરવાથી અલ્લાહ તઆલા તે બંદાથી રાજી થઈ જાય છે, અને તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે.

એટલું યાદ રાખવું જોઈએ કે, તૌબા માત્ર જીભ વડે થતી નથી, બલ્કે કરેલા ગુનાહ પર દિલથી પશ્ચાતાપ, રંજ તથા ખેદ થવો જરૂરી છે. તેમજ ભવિષ્યમાં ફરીથી એ ગુનોહ ન કરવાનો સાચા દિલથી ઈરાદો હોવો આવશ્યક છે. એવી તૌબા પછી ગુનેહગાર ગુનાહની અસરથી તદ્દન પાક-સાફ થઈ જાય છે, બલ્કે અલ્લાહ તઆલાને પહેલાંથી પણ વધુ વહાલો થઈ જાય છે.

સૂરએ તહરીમમાં ઈર્શાદ છે : યા અય્યુહલ્લઝીન આમનૂ તૂબૂ ઈલલ્લાહિ તવબતન નસૂહા અસા રબ્બુકુમ અંય યુકફ્ફિર અનકુમ સય્યિઆતિકુમ વ યુદખિલકુમ જન્નાતિન તજરી મિન તહતિહલ અન્હાર.” (પારહ-ર૮)

અર્થ : હે ઈમાનવાળાઓ ! અલ્લાહપાકના આગળ તૌબા કરો, સાચી તૌબા. આશા છે કે, (એ તૌબા પછી) તમારો માલિક તમારા ગુનાહ નષ્ટ કરી નાંખશે અને તમને જન્નતના એવા બગીચાઓમાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહે છે.

સૂરએ માઈદહમાં ગુનેહગાર, કસૂરવાર બંદાઓ સબંધી ઈર્શાદ છે : અફલા યતૂબૂન ઈલલ્લાહિ વ યસ્તગફિરૂનહ વલ્લાહુ ગફુરૂર રહીમ.” (પારહ-૬)

અર્થ : તેઓ અલ્લાહપાકથી તૌબા કેમ કરતા નથી ? અને માફી કેમ યાચતા નથી ? અલ્લાહપાક તો ઘણો જ ક્ષમા આપનાર, અતિશય મહેરબાન છે.

સૂરએ અન્આમમાં કેવું વહાલભર્યું ફરમાન છે :

અર્થ : અને હે નબી ! જ્યારે તમારી પાસે અમારા તે બંદાઓ આવે, જેઓ અમારી આયતો પર ઈમાન રાખે છે, તો તમે તેઓને કહી દો કે, તમારા ઉપર સલામતી થાય. તમારા પરવરદિગારે પોતાના ઉપર દયાને જરૂરી કરી લીધી છે. તમારામાંથી જે કોઈ નાદાનીના કારણે ગુનાહનું કામ કરી લે, પછી તે તૌબા કરી લે અને પોતાની કરણીને સુધારી લે, તો અલ્લાહપાક ઘણો માફ કરનાર અને અતિ મહેરબાન છે.

અલ્લાહપાકની શાને રહમત પર કુરબાન ! તેણે તૌબાનો દરવાજો ઉઘાડીને આપણા જેવા ગુનેહગારોનો મસ્અલો આસાન કરી દીધો. નહીં તો આપણું ઠેકાણું ક્યાં હતું ? આ આયતો પછી રસૂલુલ્લાહ (સલ.)ની થોડીક હદીષો પણ સાંભળી લો.

નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું : અલ્લાહ તઆલા ફરમાવે છે કે, અય મારા બંદા ! તમે રાત-દિવસ ગુનાહો કરો છો, અને હું બધા જ ગુનાહો માફ કરી શકું છું. જેથી તમે મારાથી ઈસ્તિગફાર કરતા રહો, હું તમને બખ્શી દઈશ. (મુસ્લિમ શરીફ)

અલ્લાહ તઆલા દરેક રાત્રે પોતાની રહમત અને બક્ષિસનો હાથ લંબાવે છે, કે દિવસનો ગુનેહગાર તૌબા કરી લે. તથા અલ્લાહપાક દરેક દિવસે હાથ લંબાવે છે, કે રાત્રે ગુનાહ કરવાવાળો તૌબા કરી લે. અને અલ્લાહપાકનો આ મામલો તે વખત સુધી જારી રહેશે, જ્યાં સુધી કે કિયામતના લગભગ સૂર્ય પશ્ચિમથી નીકળે. (મુસ્લિમ શરીફ)

એક વાર શયતાને અરજ કરી કે, ઈલાહી ! તારી ઈઝઝત અને જલાલની કસમ ! જ્યાં સુધી તારા બંદાઓમાં છેલ્લો શ્વાસ બાકી રહેશે, ત્યાં સુધી તેમને ભમાવતો રહીશ. તો અલ્લાહપાકે ફરમાવ્યું કે, મને પણ મારી ઈઝઝત અને જલાલની કસમ ! જ્યાં સુધી મારા બંદા મારાથી તૌબા-ઈસ્તિગફાર કરતા રહેશે, ત્યાં સુધી હું તેમને બખ્શતો રહીશ. (મુસ્નદે અહમદ)

ગુનાહોથી તૌબા કરવાવાળો માણસ એવો પાક-સાફ થઈ જાય છે, જાણે કે તેણે ગુનોહ કર્યો જ ન હોય.

બંદો જે કોઈ પણ ભાષા અને શબ્દોમાં અલ્લાહપાકથી તૌબા-ઈસ્તિગફાર કરે અને માફી ચાહે, અલ્લાહપાક તેને સાંભળવાવાળો અને કબૂલ કરવાવાળો છે. હુઝૂરે અકરમ (સલ.)એ બુઝુર્ગ સહાબીઓને તૌબા અને ઈસ્તિગફારના અમૂક ખાસ-ખાસ શબ્દો પણ શીખવ્યા છે. અને હુઝૂર (સલ.) પોતે પણ તેને પઢતા હતા. તે શબ્દો ખરેખર ઘણા જ બરકતવાળા અને બહુ જ કબૂલ થવા પાત્ર અને અલ્લાહપાકને અતિશય વહાલા છે. તેમાંથી અત્રે થોડા લખ્યા છે. તેને યાદ કરી લો અને તે વડે તૌબા-ઈસ્તિગફાર કરતા રહો.

 અસ્તગફિરૂલ્લાહલ્લઝી લા ઈલાહ ઈલ્લા હુવલ હય્યુલ કય્યુમ વઅતુબૂ ઈલયહ.”

અર્થ : હું માફી અને બખ્શીશ ચાહું છું તે અલ્લાહપાકથી, જેના સિવાય કોઈ મઅ્‌બૂદ નથી. તે જીવતો અને સદા કાયમ રહેનાર છે. અને હું તેના તરફ તૌબા કરૂં છું.

હદીષ શરીફમાં છે કે, જે માણસ અલ્લાહપાકથી આ કલિમહ વડે તૌબા અને ઈસ્તિગફાર કરશે, અલ્લાહપાક તેના ગુનાહ માફ કરી દેશે. ભલેને તેણે જિહાદના મેદાનમાંથી ભાગવાનો ગુનોહ કર્યો હોય. (જે અલ્લાહપાકના નજદીક મહાન ગુનોહ છે.) (અબૂ દાઉદ)

બીજી હદીષમાં છે કે, જે માણસ રાત્રે સુતી વખતે ત્રણ વાર આ કલિમહ વડે અલ્લાહપાકથી તૌબા અને ઈસ્તિગફાર કરે, તો અલ્લાહ તઆલા તેના બધા ગુનાહ માફ કરી દેશે. ભલેને તે સમુદ્રના ફીણ બરાબર કેમ ન હોય. (તિરમિઝી શરીફ)

આ સિવાય અસ્તગફિરૂલ્લાહ” (હું અલ્લાહ તઆલાથી માફી ચાહું છું.) આ ઘણું જ ટૂકું ઈસ્તિગફાર છે. એને દરેક વખતે પઢતા રહેવાની ટેવ પાડી લેવી જોઈએ. તે સિવાય અસ્તગફિરૂલ્લાહલ અઝીમ” અથવા અસ્તગફિરૂલ્લાહ રબ્બી મિન કુલ્લિ ઝમ્બિન વઅતૂબૂ ઈલયહ” પઢતા રહેવું જોઈએ.

હદીષ શરીફમાં છે કે, ખુશખબરી અને મુબારકબાદી છે તે શખ્સને, જેના આમાલનામામાં “ઈસ્તિગફાર” વિશેષ પ્રમાણમાં લખાયેલું હોય. (ઈબ્ને માજહ)

Log in or Register to save this content for later.