જમાઅતથી નમાઝના મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 117 to 120)
  • જ્યારે ફર્ઝ નમાઝની તકબીર થતી હોય તે વખતે નમાઝ પઢવી મકરૂહ છે. પરંતુ જો ફજરની સુન્નતો ન પઢી હોય અને એક રક્‌અત પણ જમાઅત સાથે મળી જવાનો ભરોસો હોય, તો પઢી લેવું મકરૂહ નથી. તેમજ જમાઅત ઉભી થયા અગાઉ જો સુન્નતે મુઅક્કદહ પઢવી શરૂ કરી દીધી હોય, તો સુન્નતો પૂરી કરી લે.
  • કોઈ માણસ નફલ નમાઝ શરૂ કરી ચૂક્યો હોય અને ફર્ઝ નમાઝ જમાઅત સાથે શરૂ થાય, તો નફલ નમાઝને તોડે નહીં, પરંતુ તેને જોઈએ કે, બે રક્‌અત પઢીને સલામ ફેરવી નાંખે. (જો તેણે ચાર રક્‌અતની નિય્યત કરી હોય.)
  • ફર્ઝ નમાઝ થતી હોય તો તે વખતે કોઈપણ સુન્નત નમાઝ શરૂ કરે નહીં. (ફજરની સુન્નતો સિવાય) દા.ત. ઝોહરની ચાર રક્‌અત સુન્નત પહેલા પઢવામાં આવે છે, તેને છોડી દે અને તેવી જ રીતે જુમ્આની સુન્નતો પઢવાની બાકી હોય તો બેહતર એ છે કે, ફર્ઝ નમાઝ પઢ્યા પછી પઢે. એટલું જ નહીં પણ સુન્નત એ છે કે, ફર્ઝ પછીની સુન્નતોને પહેલા પઢે અને તે પછી બાકી રહી ગયેલી ચાર રક્‌અત સુન્નત પઢે.
  • ઝોહરની ચાર રક્‌અત સુન્નતે મુઅક્કદહ જમાઅત ઉભી થવા અગાઉ શરૂ કરી ચૂક્યો હોય તો ઘણા ફુકહાઓનો મજબૂત મત એ છે કે, તે ચાર રક્‌અત પુરી કરી લે. અને જો ત્રીજી રક્‌અત શરૂ કરી લીધી હોય તો હવે ચાર રક્‌અત પુરી કરી લેવું જરૂરી છે.
  • ફર્ઝ નમાઝ પઢાતી હોય તે વખતે જે સુન્નતો પઢવામાં આવે, પછી તે સવારની હોય અથવા તો કોઈ બીજા વખતની હોય, તે એવી જગ્યાએ પઢવામાં આવે, જે મસ્જિદ (જમાઅતખાના)થી અલગ હોય. કારણકે જે જગ્યાએ ફર્ઝ નમાઝ થતી હોય એવા વખતે તે જગ્યાએ બીજી કોઈ નમાઝ પઢવી મકરૂહે તહરીમી છે. જો તેને કોઈ એવી જગ્યા ન મળે, તો સફથી અલગ રહીને મસ્જિદના કોઈ ખૂણામાં પઢી લે.
  • કેટલાક માણસો જ્યારે મસ્જિદમાં આવીને ઈમામને રુકૂઅમાં જુએ છે, ત્યારે જલ્દીથી દોડીને રુકૂઅમાં જ તકબીરે તહરીમહ કહીને નમાઝમાં શામેલ થઈ જાય છે. તેઓની નમાઝ તદ્દન થતી જ નથી. કેમકે તકબીરે તહરીમહ સીધા ઉભા રહેવાની હાલતમાં રક્‌અત બાંધતી વખતે કહેવી ફર્ઝ છે. જો ઉભા રહીને તકબીરે તહરીમહ (અલ્લાહુ અકબર) કહેવામાં આવી ન હોય, તો તે દુરૂસ્ત થશે નહીં. અને જ્યારે તકબીરે તહરીમહ જ દુરૂસ્ત ન થઈ, તો નમાઝ કેમ કરી દુરૂસ્ત થઈ શકે ?
  • જો કોઈ રુકન ઈમામની સાથે અદા કરવામાં ન આવે, જેવી રીતે કે, ઈમામ રુકૂઅ કરે અને મુક્તદી રુકૂઅ કરે નહીં અથવા ઈમામ બે સિજદહ કરે અને મુક્તદી એક જ સિજદહ કરે અથવા કોઈ રુકન ઈમામ કરતાં આગળથી શરૂ કરે અને તે રુકન પુરો થઈ જાય ત્યાં સુધી ઈમામ તેમાં શામેલ ન થયા હોય. દા.ત. ઈમામ કરતાં અગાઉ મુક્તદી રુકૂઅમાં ચાલ્યો જાય અને ઈમામ રુકૂઅ કરે તે પહેલાં ઉભો થઈ જાય, એ બન્ને હાલતોમાં મુક્તદીની નમાઝ દુરૂસ્ત થશે નહીં.
  • મુક્તદીએ પહેલી સફમાં જગ્યા હોવા છતાં બીજી સફમાં એકલા ઉભા રહેવું મકરૂહે તહરીમી છે.
  • મુક્તદીએ પોતાના ઈમામ કરતાં પહેલાં કોઈ કામ શરૂ કરવું મકરૂહે તહરીમી છે.
  • જે રક્‌અતનો રુકૂઅ ઈમામની સાથે મળી ગયો હોય, તે રક્‌અત મુક્તદીને પૂરી મળેલી ગણાશે. પણ જો રુકૂઅ ઈમામ સાથે મળ્યો ન હોય તો એ રક્‌અત મળેલી ગણાશે નહીં.
  • મુક્તદીએ કિરઅત પઢવી જોઈએ નહીં. ઈમામનું પઢવું તમામ મુક્તદીઓ તરફથી બસ છે. બલ્કે ઈમામ જ્યારે કિરઅત પઢતા હોય ત્યારે મુક્તદીએ અલ્હમ્દુ શરીફ, કોઈ સૂરત યા દુઆ પઢવી મકરૂહે તહરીમી છે.
  • ઈમામની સાથે જમાઅતનો છેલ્લો કાએદહ મળી જાય, ત્યારે પણ જમાઅતનો સવાબ મળશે.
  • નમાઝના તમામ ફર્ઝો અને વાજિબોમાં તમામ મુક્તદીઓ પર વાજિબ છે કે, ઈમામની તાબેદારી કરે. પણ સુન્નતો વિગેરેમાં તાબેદારી કરવી મુક્તદીઓ પર વાજિબ નથી. જો ઈમામ અગર શાફિઈ મઝહબના હોય અને રુકૂઅમાં જતી વખતે અને રુકૂઅથી ઉઠતી વખતે તે પોતાના હાથોને કાનો સુધી ઉઠાવે, ત્યારે હનફી મઝહબવાળા મુક્તદીએ હાથ ઉઠાવવા ન જોઈએ. એવી જ રીતે શાફિઈ ઈમામ ફજરની નમાઝમાં કુનૂત પઢે, ત્યારે હનફી મુક્તદી પઢે નહીં.
  • પાંચ બાબતમાં ઈમામની તાબેદારી કરવી, એટલે કે ઈમામ જે ક્રિયા કરે તે ક્રિયા મુક્તદી પણ કરે અને જો ઈમામ ન કરે તો મુક્તદી પણ ન કરે. (૧) દુઆએ કુનૂત પઢવી, (ર) કાએદએ ઉલા, (૩) ઈદની તકબીરો, (૪) તિલાવતનો સિજદહ, (પ) સહવનો સિજદહ. આ પાંચ બાબતો ઈમામ કરે તો મુક્તદી પણ કરે. અને જો ઈમામથી ભૂલથી રહી જાય તો મુક્તદી પણ છોડી દે અને ઈમામની તાબેદારી કરે.
  • ચાર બાબતો એવી છે કે જેમાં ઈમામની તાબેદારી મુક્તદી ન કરે. એટલે કે ઈમામ કરે તો પણ મુક્તદીએ ન કરવી જોઈએ. (૧) ઈદની તકબીરો વધારે કહે, એટલે કે ચોથી તકબીર કહે ત્યારે મુક્તદી ન કહે, (ર) જનાઝાની નમાઝમાં ચાર તકબીરથી વધુ કહે તો મુક્તદી અનુકરણ ન કરે, (૩) ઈમામ કોઈ રુકન વધારે કરે એટલે કે ઈમામે બે વાર રુકૂઅ કર્યો, તો તેમાં પણ તાબેદારી ન કરે, (૪) ઈમામનું પાંચમી રક્‌અત માટે ઉભા થઈ જવું, તો એમાં પણ ઈક્તેદા ન કરે.
  • જો ઈમામ ચોથી રક્‌અતે બેસી અત્તહિય્યાત પઢીને ઉભા થાય, તો મુક્તદી બેસીને ઈમામની રાહ જુએ. અને ઈમામ બેસી જઈ સલામ ફેરવે, તો તેમની સાથે સલામ ફેરવે. જો ઈમામે પાંચમી રક્‌અતનો સિજદહ કર્યો, તો મુક્તદીએ સલામ ફેરવી લેવી. અને જો ઈમામ ચોથી રક્‌અત પર બેસ્યા વગર અને આખરી કાએદહ વગર ઉભા થઈ ગયા, તો મુક્તદી રાહ જુએ. હવે જો ઈમામ પાંચમી રકઅતના સિજદહ પહેલાં બેસી જાય, તો ઈમામની તાબેદારી કરે. એટલે કે તેમની સાથે સલામ ફેરવે. પણ જો તેમણે પાંચમી રક્‌અતનો સિજદહ કરી લીધો, તો દરેક મુક્તદીઓની પણ નમાઝ ફાસિદ થઈ જશે. મુક્તદીના એકલા સલામથી કોઈ લાભ ન થશે. ફરીથી નમાઝ પઢવી પડશે.
  • કોઈ માણસ મહોલ્લાની કે ઘર આગળની મસ્જિદમાં એવા વખતે પહોંચ્યો કે જમાઅત થઈ ચૂકી છે, તો તેના ઉપર મુસ્તહબ છે કે, જમાઅત માટે બીજી મસ્જિદમાં જાય કે પોતાના ઘેર આવીને ઘરના માણસોને ભેગા કરી જમાઅત કરી લે. તે તેને ઇખત્યાર છે.
Log in or Register to save this content for later.