જમાઅતથી નમાઝ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 109 to 116)

ફઝીલત અને રીત :

ફર્ઝ નમાઝ જમાઅત સાથે પઢવી પુરૂષો ઉપર વાજિબ અથવા સુન્નતે મુઅક્કદહ છે. હનફી મઝહબના ઘણાખરા મુહક્કિકો એટલે કે મહાન આલિમોનો અભિપ્રાય છે કે, જમાઅત વાજિબ છે. અને ઘણાખરાના મતે વાજિબ જેવી સુન્નતે મુઅક્કદહ છે.

વગર ઉઝરે માત્ર સુસ્તીથી જમાઅતથી નમાઝ છોડનાર ગુનેહગાર છે. કુન્યા વિગેરે કિતાબોમાં છે કે, વગર ઉઝરે જમાઅત છોડનારને સજા કરવી ઇસ્લામી હાકેમ ઉપર વાજિબ છે. અને તેની પાડોશમાં રહેતા લોકો જો તેને આ બાબતની સૂચના નહિં કરે, તો ગુનેહગાર થશે.

મસ્જિદમાં જવા માટે ‘ઈકામત’ સાંભળવાની રાહ જોશે (ઘરમાં, મસ્જિદના ઓટલે કે બજારમાં), તો ગુનેહગાર થશે. એટલા માટે કે, જો ઈકામત સાંભળીને નમાઝ પઢવા જશે ત્યારે એક કે બે રક્‌અતો અથવા પુરી જમાઅત જવાની બીક છે.

ઈમામ મુહમ્મદ (રહ.)થી રિવાયત છે કે, જુમ્આ અને જમાઅત ના માટે જલ્દી જલ્દી ચાલીને જવું દુરૂસ્ત છે. જો તેમાં વધુ તકલીફ થાય તેમ ન હોય.

આગલા બુઝુર્ગો એટલે કે નેક લોકો (સલફે સાલિહીન)ને ત્યાં એવો નિયમ હતો કે, જો કોઈની એક વખતની પણ જમાઅત છૂટી જતી, તો એનો તેને ઘણો જ રંજ અને સદમો થતો. લોકો તેનીમાતમપુર્સી એટલે કે દિલગીરી અને દિલાસો આપવા સાત દિવસ સુધી તેને ત્યાં જતા.

જમાઅતની મહત્વતા અને તાકીદના માટે એટલી બધી સહીહ હદીષો છે કે, જો તે બધી એકઠી કરવામાં આવે તો એક મોટી કિતાબ તૈયાર થઈ શકે છે. તે બધી પઢવાથી એનો ચોખ્ખો સાર એ નીકળે છે કે, નમાઝ પૂરેપૂરી રીતે અદા થવા માટે જમાઅત એક મોટા દરજ્જાની શર્ત છે. હુઝૂર (સલ.)એ તેને કોઈ પણ વખતે છોડી નથી. એટલે સુધી કે બીમારીની હાલતમાં જ્યારે કે આપ ચાલવાની શક્તિ ધરાવતા ન હતા, તો પણ બે માણસોના ખભે હાથ મૂકીને આપ (સલ.) મસ્જિદમાં તશરીફ લઈ આવ્યા અને જમાઅતથી નમાઝ અદા કરી. જમાઅત છોડનાર પર આપને ઘણો ગુસ્સો આવતો. જમાઅત છોડવા પર સખતમાં સખત સજાનો પણ આપ ઈરાદો ફરમાવતા હતા.

રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, જો લોકોને જમાઅતનો સવાબ જણાય આવે તો તેઓ ગમે તેટલા લાચાર હોય, તો પણ જમાઅત તરફ દોડી આવે. જમાઅતની પહેલી સફ એવી છે કે, જાણે ફરિશ્તાઓની સફ. એકલા નમાઝ પઢવા કરતાં બે માણસોની જમાઅત બેહતર છે. ફરી જેટલા માણસો વધારે હશે, તેટલી જ એ જમાઅત અલ્લાહપાકને વધુ પ્રિય છે. (અબૂ દાઉદ)

હઝરત ઉસ્માન (રદી.) રિવાયત કરે છે કે, જનાબ નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસે ઈશાંની નમાઝ જમાઅત સાથે અદા કરી, તેને અડધી રાત સુધી ઈબાદતનો સવાબ મળે છે. અને જેણે ઈશાં અને ફજરની નમાઝ જમાઅતથી અદા કરી, એને પૂરી રાત ઈબાદત કરવાનો સવાબ મળશે. (મુસ્લિમ, અબૂ દાઉદ)

આપ (સલ.)એ ફરમાવ્યું કે, જમાઅત માટે મસ્જિદમાં જનારનું દરેક પગલું એક નેકીને વાજિબ કરે છે અને એક ગુનોહ મટાડે છે.

બીજી હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, સવાર-સાંજ મસ્જિદ તરફ જનારાઓ માટે અલ્લાહપાક મહેમાનીનો સામાન તૈયાર કરે છે. (બુખારી, મુસ્લિમ)

જેણે સારી રીતે પૂરેપુરૂં વુઝૂ કર્યું અને ફર્ઝ નમાઝ પઢવા ઘેરથી નીકળ્યો અને મસ્જિદમાં જઈ ઈમામની સાથે નમાઝ પઢી, તો એના સર્વે ગુનાહ માફ થઈ ગયા. (ઈબ્ને ખુઝયમહ)

વળી બીજી હદીષ શરીફમાં છે કે, જેટલો વખત નમાઝના ઈન્તેજારમાં ગુજરશે, તે બધો વખત નમાઝમાં લેખાશે. આ સિવાય મસ્જિદમાં નમાઝ પઢવાના સવાબ વિશે હઝરત અનસ બિન માલિક (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, “માણસને ઘરમાં એક નમાઝનો, કબીલા અથવા મહોલ્લાની મસ્જિદમાં પચ્ચીસ નમાઝ બરાબર, જ્યાં જુમ્આ પઢાતી હોય એટલે કે જુમ્આ મસ્જિદમાં પાંચસો નમાઝ બરાબર, મસ્જિદે અકસા (બયતુલ મુકદ્દસ)માં પચાસ હજાર નમાઝ બરાબર અને મારી આ મસ્જિદ (મસ્જિદે નબવી)માં પચાસ હજાર નમાઝ બરાબર અને મસ્જિદે હરામ (મક્કા મુકર્રમહ)માં એક લાખ નમાઝ બરાબર સવાબ મળે છે. (ઈબ્ને માજહ)

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદી.)થી રિવાયત છે કે, આપ (સલ.)એ ફરમાવ્યું કે, એકલા નમાઝ પઢવા કરતાં જમાઅતથી નમાઝ પઢવાનો સવાબ સત્તાવીસ ઘણો વધારે છે. (બુખારી, મુસ્લિમ)

આપ (સલ.)એ ફરમાવ્યું કે, ચાલીસ દિવસ સુધી તકબીરે ઉલા સાથે જમાઅતથી નમાઝ અદા કરનાર દોઝખ અને નિફાકથી છૂટકારો મેળવી લે છે. (તિરમિઝી શરીફ)

જ્યારે ચાલીસ દિવસની નમાઝનો સવાબ આટલો બધો છે, તો જે લોકો હંમેશા જમાઅતની પાબંદી કરે છે, તેમના સવાબનું તો પૂછવું જ શું ?

આ સિવાય જમાઅતથી નમાઝ પઢવામાં ઈમામની આમીન સાથે ફરિશ્તાઓની આમીન કહેવી, મુસલ્લા ઉપર નમાઝ પઢી રહ્યા પછી જ્યાં સુધી બેઠા હોઈએ ત્યાં સુધી ફરિશ્તાઓની તેના માટે મગફિરત અને રહેમતની દુઆ કરવી, આવી રીતે ઘણો અગણિત સવાબ અને તેની ફઝીલતનું વર્ણન હદીષ શરીફમાં આવ્યું છે.

ખરેખર, આપ (સલ.)એ આપણને હિદાયતના માર્ગે ચાલવાની સૂચનાઓ આપી છે, જેમાંની આ એક નમાઝ છે. અને તે એવી મસ્જિદોમાં કે જ્યાં જમાઅત થતી હોય. જે માણસ એવો ઈરાદો રાખતો હોય કે, કિયામતમાં ખુદાપાકની જનાબમાં મુસલમાન થઈને જાય, તો તેને જોઈએ કે પાંચ વખતની નમાઝ જમાઅતમાં શામેલ થઈને પઢે અને રસૂલુલ્લાહ (સલ.)ની સુન્નત ઉપર મજબૂતીની સાથે અમલ કરે. જો તમે એકલા નમાઝ પઢી લેશો, તો તમારાથી તમારા નબી (સલ.)ની સુન્નત છૂટી જશે. જો તમારા નબી (સલ.)ની સુન્નત છોડી દેશો, તો બેશક ગુમરાહ થઈ જશો એટલે કે ભટકી જશો.

મસ્જિદમાં જઈ જમાઅતથી નમાઝ પઢવામાં ન કોઈ એવી મહેનત છે, કે ન કોઈ એવી તકલીફ. જ્યારે તેનો એટલો બધો સવાબ છે, તો એવો કોણ માણસ હશે કે જે એકનો અનેકાઅનેક ઘણો નફો મળી રહ્યો હોવા છતાં તેને જતો કરે ? એનું કારણ એ જ હોઈ શકે કે આપણને આ નફાની પરવા નથી. આખિરતના આ નફાને હલકો (મામૂલી) સમજી છોડી દેવામાં આવે છે ! જ્યારે માણસ દુનિયાના વેપારમાં આનો, બે-આના, રૂપિયાના નફા પાછળ રાત-દિવસ લાગેલો રહે છે અને તેની કોશિશમાં જ વેપાર અને દુકાનનું નુકસાન સમજીને જમાઅતને છોડી દે છે, પણ જે લોકોને અલ્લાહ તઆલાની અઝમત અને તેના વાયદાઓ ઉપર પૂરો ભરોસો અને યકીન છે, અને જેઓને સરવરે કાએનાત (સલ.)ની સુન્નત સાથે દિલોજાનથી મુહબ્બત છે, અને જેની સામે આખિરતના આ સવાબ અને નફાની ખરી કિંમત છે, એવા લોકો પોતાના માલિક અને મૌલાની પુકાર (અઝાન) પર ફિદા થઈ “લબ્બયક” કહેતાં ફરમાંબરદાર બની મસ્જિદમાં હાજર થઈ જાય છે.

  • જમાઅતથી નમાઝ પઢવામાં ઈમામની પાછળ (ઈકતેદામાં) નમાઝ પઢવાની નિય્યત કરવી ફર્ઝ છે.
  • જ્યારે ઈકામત થાય ત્યારે સફમાં બરાબર ખભાથી ખભો મીલાવીને એવી રીતે ઉભા રહે કે, વચમાં જગ્યા ન રહે. આગલી સફમાં જગ્યા હોય તો બીજી સફ શરૂ ન કરે. જમણી અને ડાબી તરફનો ખ્યાલ કરીને ઉભા રહે, જેથી એક જ તરફ માણસો વધુ ન થઈ જાય.
  • નિય્યત કરીને જ્યારે ઈમામ નમાઝ શરૂ કરવા અલ્લાહુ અકબર” કહીને કોલ બાંધે, ત્યારે મુક્તદી પણ અલ્લાહુ અકબર” કહીને નમાઝમાં શામેલ થઈ જાય અને “સના” પઢે.

સના પઢ્યા પછી મુક્તદી અઉઝુ બિસ્મિલ્લાહ અને અલ્હમ્દુ શરીફ” કાંઈ ન પઢે. જો ઈમામ કિરાઅત ધીમેથી પઢે, જેમકે ઝોહર અને અસરની નમાઝમાં પઢે છે, ત્યારે અલ્લાહ તઆલાના દરબારની હાજરીનું પૂરેપુરૂં ધ્યાન ધરીને શાંત ઉભા રહે. અને જો ફજર, મગરિબ, ઈશાં અથવા જુમ્આ, તરાવીહની નમાઝ હોય, જેમાં ઈમામ અલ્હમ્દુ શરીફ અને સૂરત ઉંચા અવાજથી પઢે છે, તે ધ્યાનથી સાંભળે. જ્યારે ઈમામ અલ્હમ્દુ શરીફ પૂરી કરીને “વલદ્‌દાલ્લીન” પઢી લે, ત્યારે મુક્તદી ધીમેથી આમીન” કહે. પછી ઈમામ કિરાઅત પઢે તે સાંભળે. ત્યાર પછી ઈમામ રુકૂઅમાં જાય ત્યારે મુક્તદી પણ રુકૂઅમાં જાય અને ઈમામ રુકૂઅથી ઉઠીને સમિઅલ્લાહુલિમન હમિદહ” કહે, ત્યારે મુક્તદી રબ્બના લકલ હમ્દ” કહે. ત્યાર પછી સિજદહ, જલસો અને કાએદહ (દરેક રક્‌અતમાં)માં ઈમામની તાબેદારી કરે. રુકૂઅમાં રુકૂઅની તસ્બીહ, સિજદહમાં સિજદહની તસ્બીહ, કાએદહમાં તશહ્‌હુદ (અત્તહિય્યાત), દુરૂદ શરીફ, દુઆ” વિગેરે જે રીતે નમાઝમાં પઢવામાં આવે છે, તે પ્રમાણે પઢે. ઈમામથી પહેલાં કોઈ રૂકન અદા કરે નહીં. ન ઈમામની પહેલાં રક્‌અત બાંધે, ન રુકૂઅમાં જાય, ન રુકૂઅથી માથુ ઉઠાવે, ન સિજદહમાં જાય. મતલબ કે દરેક રુકનને મુક્તદીએ પોતાના ઈમામ સાથે એવી રીતે અદા કરવા સુન્નત છે કે, ઈમામની સાથે જ રક્‌અત બાંધે, રુકૂઅ પણ ઈમામની સાથે જ કરે, સિજદહ પણ તેની સાથે જ બજાવી લાવે. રુકૂઅ અને સિજદહની તસ્બીહ પૂરી પઢતાં પહેલાં જો ઈમામ ઉઠી જાય, તો તેની સાથે જ ઉઠી જાય. પણ જો પહેલા કાએદહમાં મુક્તદી અત્તહિય્યાત પૂરી પઢે તે પહેલાં જો ઈમામ ઉભા થઈ જાય, તો મુક્તદીએ અત્તહિય્યાત પૂરી પઢીને ઉભા થવું. તેવી જ રીતે જો આખરી  એદહમાં મુક્તદી અત્તહિય્યાત, દુરૂદ શરીફ અને દુઆ પઢી રહે તે પહેલાં જો ઈમામ સલામ ફેરવી લે, તો મુક્તદીને જોઈએ કે, અત્તહિય્યાત પઢી રહ્યા પછી સલામ ફેરવે.

નમાઝ પૂરી થયા પછી બન્ને હાથ છાતી સુધી ઉઠાવીને ફેલાવે અને ખુદા તઆલાથી પોતાના માટે દુઆ માંગે અને ઈમામ તમામ મુક્તદીઓના માટે પણ દુઆ કરે. દુઆ માંગ્યા પછી બન્ને હાથોને મોઢા પર ફેરવે. જો મુક્તદીઓ ચાહે તો પોતપોતાની દુઆ માંગી શકે છે અથવા ઈમામ જે દુઆ માંગે તે સાંભળી આમીન કહે.

જે નમાઝ પછી સુન્નતો પઢવાની હોય છે, જેવી કે ઝોહર, મગરિબ અને ઈશાં, તો તે નમાઝ પછી દુઆમાં વધારે વાર લગાડે નહીં, પણ ટૂંકી દુઆ માંગીને સુન્નતો પઢવા લાગી જાય.

આપ (સલ.) જ્યારે નમાઝથી સલામ ફેરવતા, ત્યારે આ દુઆ પઢતા : અલ્લાહુમ્મ અન્તસ્સલામ, વમિનકસ્સલામ, તબારકત યા ઝલઝલાલિ વલ ઈકરામ. (અર્થ : અય અલ્લાહ ! તુ જ સલામ છે, અને તારાથી જ સલામતી છે. અને તુ બરકતવાળો છે, હે અઝમત અને બક્ષીસના માલિક.)

જે ફર્ઝ નમાઝ પછી સુન્નતો પઢવાની નથી, તેઓના પઢ્યા પછી અને જે ફરઝો પછી સુન્નતો હોય છે તે સુન્નતોને પઢ્યા પછી અસ્તગફિરૂલ્લાહલ્લઝી લા ઈલાહ ઈલ્લા હુવલ હય્યુલ કય્યુમ”, ત્રણ વાર આયતુલ કુર્સી” (અલ્લાહુ લા ઈલાહ…થી અલિય્યુલ અઝીમ સુધી) એક વાર અને કુલ્હુવલ્લાહ, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક, કુલ અઉઝુ બિરબ્બિન્નાસ” ત્રણે સૂરતો એક-એક વાર પઢીને ૩૩ વાર સુબ્હાનલ્લાહ”, ૩૩ વાર અલ્હમ્દુલિલ્લાહ” અને ૩૪ વાર અલ્લાહુ અકબર” પઢવું મુસ્તહબ છે. (શર્હ મ.ફલાહ)

જે માણસની એક અથવા વધુ રક્‌અત ઈમામ સાથે છૂટી ગઈ હોય તેને “મસબુક” કહે છે. મસબુક ઈમામની નમાઝ પૂરી થયા પછી નમાઝ પૂરી કરવા માટે ઉભો થઈ જાય અને પોતાની બાકી રહેલી રક્‌અતોને એકલા નમાઝ પઢનારની જેમ પઢે. એવી રીતે કે, પહેલા તે રક્‌અતો પઢે કે જેમાં કિર્‌અત પઢવી ફર્ઝ છે. પછી તે રક્‌અતોને પઢે, જેમાં કિર્‌અત પઢવાની નથી. અને ઈમામ સાથે જે રક્‌અતો પઢી ચૂક્યા હોય, તે રક્‌અતોના હિસાબે કાએદહ કરે.

દા.ત. ઝોહરની ત્રણ રક્‌અત થઈ ગયા પછી જમાઅતમાં શામેલ થયો હોય ત્યારે તેને એક રક્‌અત ઈમામ સાથે પઢ્યા પછી જ્યારે ઈમામ સલામ ફેરવે ત્યારે બાકીની રક્‌અત પઢવા ઉભો થાય ત્યારે પહેલી રક્‌અતની જેમ સના, અઉઝુ, બિસ્મિલ્લાહ, અલ્હમ્દુ શરીફ અને સૂરત પઢે. પછી રુકૂઅ, સિજદહ વિગેરે કરી કાએદહ કરે. કેમકે ઈમામ સાથે એક રક્‌અત મળેલી તે હિસાબે હવે તેની બે રક્‌અત થઈ, જેથી પહેલો કાએદહ કરવો વાજિબ થયો. કાયદો પૂરો કરી પછી બીજી રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ અને સૂરત પઢીને રુકૂઅ, સિજદહ કરીને ઉભો થાય અને ત્રીજી રક્‌અતમાં ફક્ત અલ્હમ્દુ શરીફ પઢીને રુકૂઅમાં જાય. આવી રીતે પોતાની ચાર રક્‌અત પૂરી થવાથી આખરી કાએદહ કરી સલામ ફેરવે.

એવી જ રીતે મગરિબની નમાઝમાં જમાઅતની ત્રીજી રક્‌અતમાં શામેલ થયા હોય ત્યારે પણ મસબુકે પોતાની બે રકઅતો પઢવામાં પહેલી રક્‌અત પઢીને વચ્ચે કાએદહ કરવો જોઈએ. એના પછી બીજી રક્‌અત પઢી આખરી કાએદહ કરી નમાઝ પૂરી કરે.

મસબુકે પોતાની બાકી રહેલી રક્‌અતો પઢવામાં કોઈ સહવ (ભૂલ) થઈ જાય, તો તેણે સહવનો સિજદહ કરવો વાજિબ છે.

મસબુકે વિત્રની નમાઝમાં જો ઈમામ સાથે દુઆએ કુનૂત પઢી લીધી હોય, તેમજ વિત્રની ત્રીજી રક્‌અતનો રુકૂઅ પણ ઈમામની સાથે મળી ગયો હોય, ત્યારે તેણે પોતાની બાકી રહી ગયેલી બે રક્‌અતમાં દુઆએ કુનૂત પઢવાની નથી.

મસબુકે જો ભૂલથી જમાઅત સાથે સલામ ફેરવી દીધી અને સલામ ફેરવ્યા પછી કોઈ એવી વાત થઈ ન હોય કે જેથી નમાઝ જતી રહે, તો પોતાની બાકી રહેલી નમાઝ પઢવા ઉભા થઈ પોતાની નમાઝ પૂરી કરે. જો ઈમામના સલામ ફેરવ્યા પહેલાં અથવા બિલ્કુલ તેમની સાથે જ સલામ ફેરવી હોય તો મસબુકના માથે સિજદએ સહવ નથી. અને જો ઈમામના સલામ ફેરવ્યા પછી સલામ ફેરવી હોય તો સહવનો સિજદહ કરી લે.

Log in or Register to save this content for later.