Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 120 to 123)
Views:
165
- દાઢી મુંડાવવી મોટો ગુનોહ છે. એ જ રીતે એવી દાઢી રાખવી જે સુન્નત મુજબ ન હોય અથવા જેમાં સુન્નતની અદાયગીના બદલે ફેશન હોય અને બીજી કોઈ કૌમ (ગેરમુસ્લિમ)ની નકલ હોય તો ફુકહાએ એવા માણસની ઈમામતને મકરૂહ કહી છે. અને આવા માણસે પોતે પણ ઈમામત કરવાથી બચવું જોઈએ. તેમ છતાં જો આવી વ્યક્તિ નમાઝ પઢાવી દે, તો નમાઝ થઈ જશે. ફરીથી દોહરાવવાની જરૂરત નથી. (કિતાબુલ ફતાવા : ૩૧૪/ર)
- જે આમિલ (તાવીઝ વગેરેનો અમલ કરનાર) શિર્ક અથવા બિદઅતથી ભરપૂર વાતો અને કાર્યોથી અમલ કરતો હોય, ગેર મહરમ ઓરતો (સ્ત્રીઓ) સાથે એકાંત રાખતો હોય અથવા ગૈબની વાતો જાણવાનો દાવો કરતો હોય, તો આવા આમિલોની ઈમામત દુરૂસ્ત નથી. (કિતાબુલ ફતાવા : ૩૧૬/ર) અફસોસ સાથે કહેવું પડે છે કે, આજકાલ આવા આમિલો વધી ગયા છે. અને ઘણી બધી બાબતો જેમકે પરસ્ત્રીથી પરદો વગેરેમાં શરીઅતના કાયદાકાનૂનોનું સરેઆમ ઉલ્લંઘન કરે છે.
- ફાસિક (છડેચોક ગુનોહ કરનાર) અને બિદઅતીને ઈમામ બનાવવો જાઈઝ નથી અને એવા ઈમામની પાછળ નમાઝ મકરૂહે તહરીમી છે. (ફતાવા રહીમિય્યહ : ૪૧/૩)
- જે માણસ ઈમામત જેવા ઉચ્ચ પદ પર બિરાજમાન હોય, એણે ક્રિકેટ જેવી બદનામ અને બેકાર રમતમાં તલ્લીન થવું, એનાથી દિલચસ્પી રાખવી, કોમેન્ટ્રી સાંભળવી, આ બધા કામો એના પદને શોભાસ્પદ અને લાયક નથી. એનાથી ઈમામ ગાફિલ લોકોની જેમ દેખાય છે. અને લોકોની નજરમાં ઈમામનો દબદબો, ઈઝઝત વગેરે ઓછી થઈ જાય છે. અને જો એ માણસ એટલો બધો વ્યસ્ત રહેતો હોય કે નમાઝ કઝા થઈ જાય, જમાઅત છૂટી જાય, તો એને ઈમામ બનાવવો મકરૂહે તહરીમી છે.(ફતાવા રહીમિય્યહ : ૪૭/૩)
- જે ઈમામની પત્ની શરઈ રીતે પરદો કરતી નથી અને ઈમામ તેને આ કૃત્ય (બેપર્દગી)થી રોકતો પણ નથી, બલ્કે એનાથી રાજી છે તથા આ ઈમામથી વધારે લાયકાતવાળો માણસ હાજર છે, તો આ ઈમામની પાછળ નમાઝ મકરૂહ છે. હા, જો તે પત્નીને બેપરદા રહેવાથી તો રોકે છે, પણ પત્ની તેની વાત માનતી નથી, તો ઈમામત મકરૂહ નથી. (કિતાબુલ મસાઈલ : ૩૮૧)
- ઘુંટીથી નીચે સુધી પાયજામો પહેરવો જાઈઝ નથી. એવો માણસ ફાસિક છે. એની પાછળ નમાઝ મકરૂહે તહરીમી છે. (કિતાબુલ મસાઈલ : ૩૮૧) અંગ્રેજી વાળ રાખવાનો પણ આ જ હુકમ છે.
- માથામાં વગર કારણે કાળા રંગની મહેંદી લગાડનાર ઈમામની ઈમામત મકરૂહ છે. (કિતાબુલ મસાઈલ : ૩૮૧)
- વ્યાજુ લેવડદેવડ કરવાવાળા પર હદીષ શરીફમાં લા’નત અને ફિટકાર કરવામાં આવી છે. કારણ કે તે ઘણો મોટો ગુનોહ છે. આવી લેવડદેવડ કરનારની પાછળ ઈમામત મકરૂહ થશે અને આવા માણસને ઈમામ બનાવનાર ગુનાહને પાત્ર ઠરશે. (કિતાબુલ ફતાવા : ર૯૯/ર)
- કોઈ કારણસર શહેરમાં કરફ્યુ હોય અને બહાર નીકળવાની કાયદાકીય અને કાનૂની મનાઈ હોય, તો આવી હાલતમાં પોતાની જાન, ઈઝઝત અને આબરૂની હિફાઝત જરૂરી છે. અને જમાઅત છોડવાની ઈજાઝત (પરવાનગી) છે. (કિતાબુલ મસાઈલ : ૩૮પ)
- જે માણસ ભયંકર બીમારીમાં સપડાયેલો હોય અથવા હાથપગ કપાયેલા હોય કે કોઈ જાલિમના જુલ્મ (અત્યાચાર)ની બીકે છૂપાય ગયો હોય (ભૂગર્ભમાં ચાલ્યો ગયો હોય) કે ઘડપણને કારણે હરવા-ફરવાથી લાચાર હોય, તો આવા લોકો માટે જમાઅત છોડવાની ગુંજાઈશ છે. (કિતાબુલ મસાઈલ : ૩૮૭)
- જમાઅતથી નમાઝ પઢવામાં સફ સીધી કરવી જરૂરી છે. એમાં અમૂક લોકો પગની આંગળીઓ તરફથી અને અમૂક લોકો પગની એડીઓ તરફથી સફ સીધી કરે છે. પરંતુ દરેકના પગ સરખા ન હોવાના કારણે સફમાં બધા આગળ-પાછળ થઈ જાય છે. માટે નમાઝમાં ઘુંટીઓ અને પીંડીઓના આધારે સફ સીધી કરવી જોઈએ. (કિતાબુલ ફતાવા : ર૭૬-ર૭૭/ર)
- ઈમામ સાહેબ જે જમાઅતખાનામાં નમાઝ પઢાવી રહ્યા છે, તે ભાગથી સફની ગણત્રી થશે. એટલે મસ્જિદમાં બે માળ હોય અને બન્નેમાં નમાઝ થતી હોય, તો ઈમામ સાહબ જ્યાં નમાઝ પઢાવે છે એમાં દા.ત. પાંચ સફ છે, તો ઉપર નમાઝીઓની પહેલી સફને છઠ્ઠી સફ ગણવામાં આવશે (પહેલી નહીં). (કિતાબુલ ફતાવા : ૩૮૦/ર)
- જે મસ્જિદના ઈમામ સાહેબના અકીદા (માન્યતાઓ) વધુ સહીહ, બાઅમલ અને વધુ પરહેઝગાર હોય એવા ઈમામની પાછળ નમાઝ પઢવી જોઈએ. (ફતાવા ઉસ્માની : ૪૩૭/૧)
- આજકાલ દુકાનો પર ઘણા બધા માણસો કામ કરતા હોય છે, તો જો દુકાનની આજુબાજુમાં એકથી વધુ મસ્જિદો હોય અને બન્ને મસ્જિદોમાં જમાઅતનો સમય અલગ-અલગ હોય તો એમ કરી શકાય છે કે, અમૂક લોકો એક મસ્જિદમાં નમાઝ પઢી લે અને અમૂક લોકો બીજી મસ્જિદમાં. અને જો એક જ મસ્જિદ હોય તો પાંચ-સાત મિનિટ માટે દુકાન બંધ કરી દેવામાં આવે. આ થોડો વખત ઈન્શાઅલ્લાહ વેપાર-ધંધામાં બરકતનો જરીયો બની જશે, નુકસાનનો નહીં. કેમકે બીજી બધી જરૂરતો માટે તો દુકાન બંધ કરીએ જ છીએ. તેમ છતાં અંતિમ દરજ્જો એ છે કે, અમૂક લોકો મસ્જિદમાં ચાલ્યા જાય અને અમૂક લોકો દુકાનમાં જમાઅત કરી લે. આ એક હદ સુધી ગુંજાઈશ છે. પણ નમાઝ બિલ્કુલ ન છોડે. (કિતાબુલ ફતાવા : ર૭૧/ર)
Log in or
Register to save this content for later.