Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 205 to 209)
મસ્જિદે જવા માટે ઘેરથી નીકળતી વખતે ઘેરથી નીકળવાની દુઆ પઢો. અને જ્યારે મસ્જિદમાં દાખલ થાઓ, તો જમણો પગ પહેલાં રાખો અને અલ્લાહુમ્મ સલ્લિ વ સલ્લિમ અલા સય્યિદિના મુહમ્મદ પઢીને આ દુઆ પઢો : અલ્લાહુમ્મફ તહલી અબ્વાબ રહ્મતિક.
જમાઅતની વાર હોય તો બેસવા પહેલાં બે યા ચાર રક્અત તહિય્યતુલ મસ્જિદ પઢો.
કાચા પ્યાજ (ડુંગળી), લસણ કે બીજી કોઈ બદબૂદાર ચીઝ ખાઈને મસ્જિદમાં ન જાઓ. કારણકે ફરિશ્તાઓને તકલીફ થાય છે. કેટલાક લોકો હુક્કો, સિગારેટ યા બીડી પીને મસ્જિદમાં જાય છે. તેમના મોઢામાંથી બદબૂ આવે છે, અને નજીકવાળા નમાઝી સુદ્ધાંને પરેશાન કરી દે છે. તેઓએ જોઈએ કે મસ્જિદમાં જવા પહેલાં મિસ્વાક વિગેરેથી મોઢુ બરાબર સાફ કરી લે, બલ્કે ઈલાયચી વગેરે ખાઈને જાય, તો બેહતર છે. એવી જ રીતે કપડાં જો મેલાં હોય અથવા પસીનાની વાસ આવી રહી હોય, તો ધોઈ લે. શક્ય હોય તો અત્તર વગેરે ખુશ્બૂ લગાડે. સારાંશ કે, અલ્લાહપાકના દરબારનો અદબ અને અલ્લાહ તઆલાના નિકટતમ લોકો એટલે કે ફરિશ્તાઓની લતાફત (કોમળ, પવિત્ર અને ઉત્તમ હોવા)નો, પાક-સાફ તબીયતનો પુરો લિહાઝ રાખો. કેરોસીન યા બીજી કોઈ બદબૂવાળી વસ્તુ મસ્જિદમાં ન બાળો, બલ્કે મિણબત્તી અથવા તો સરસવના તેલનો ઉપયોગ કરો. ચિરાગ અને બત્તીને સાફ રાખો. એવું ન કરો કે, તાક અને દીવાળ સુદ્ધાં તેલથી ચીકણી થઈ જાય.
મસ્જિદમાં જઈને કિસ્સા, કહાણી અને શાયરી ન કહો, તેમજ દુન્યાની વાતો ન કરો. બલ્કે બોલવાની જરૂરત પણ હોય તો ધીમેથી બોલો. જેમકે હાકિમની કચેરીમાં બૂમો પાડતાં ડર લાગે છે.
જેટલો વખત જમાઅતના ઈન્તેજારમાં બેસો, તો અદબની સાથે માથુ ઝુકાવીને અલ્લાહપાકના ઝિક્રમાં લાગેલા રહો.
થુંક, રીંટ યા શરીરનો મેલ મસ્જિદમાં ન નાંખો. મસ્જિદની ચટાઈઓ પર ન સુવો, કેમકે વકફમાં બેએહતિયાતી અને બે-મોકા વપરાશ થવા ઉપરાંત તેમાં પસીનાની ગંધ આવવા લાગે છે.
પહેલી સફમાં ઈમામની નજદીક અને જમણી તરફ જગ્યા લેવાની કોશિષ કરો. કેમકે એમાં વધારે સવાબ છે. પરંતુ સફોને ચીરતા યા ગરદનોને ફલાંગતા ન ચાલો. કેમકે મુસલમાનોને તકલીફ આપવાનો ગુનોહ સવાબ કરતાં વધી જશે. વળી, એ પણ ખ્યાલ રાખો કે, ઈમામની જમણી અને ડાબી તરફ નમાઝી બરાબર રહે. જો ડાબી તરફ ઓછા છે, તો એવી સૂરતમાં ડાબી બાજુ ઉભા થઈ જવું, જેથી ઈમામ વચમાં રહે. એમાં વધારે સવાબ છે.
જમાઅત પુરી થઈ જવા પછી નમાઝીઓએ છુટા છુટા થઈને સુન્નતો વગેરે પઢવી જોઈએ. જેથી આવનારને એ શક ન થાય કે જમાઅત થઈ રહી છે.
કેટલાક લોકો જગ્યા બદલવાને એટલુ જરૂરી સમજે છે કે, ચાહે પાછળ કોઈ નમાઝ પઢી રહ્યો હોય, તો પણ બરાબરવાળાને પકડીને પોતાની જગ્યાએ ઉભો કરે છે, અને પોતે તેની જગ્યાએ ઉભો થઈ જાય છે. એ સારૂ નથી. જો જગ્યા હોય તો પાછળ હટી જાઓ, નહિંતર સફના નમાઝીઓનું તેમજ ઈમામનું જરા આગળ સરકી જવું કાફી છે. કેમકે સફ તૂટી જવાથી જમાઅત થવાનો શક જતો રહેશે.
નમાઝ પઢનારની સામેથી પસાર ન થાઓ, તેમજ મસ્જીદને (આવ-જા માટે) રસ્તો ન બનાવો. ઓછામાં ઓછું આઠમા દિવસે લોબાન યા અગરબત્તી સળગાવીને મસ્જિદને ખુશ્બૂ આપ્યા કરો, અને ઝાડુ વગેરેનો બંદોબસ્ત રાખો. કેમકે અલ્લાહપાકના ઘરને જેટલું સાફ રાખશો, અલ્લાહપાક તમારાથી રાજી થશે.
જમાઅત ઉભી થઈ ગયા પછી સુન્નતો વગેરે કંઈ ન પઢો, બલ્કે જમાઅતમાં શરીક થઈ જાઓ. અલબત્ત જો ફજરની નમાઝ હોય અને તમને યકીન હોય કે, સુન્નતો પઢીને જમાઅતમાં શામેલ થઈ જવાશે તો પઢી લો, પણ અલગ પઢો. કેટલાક લોકો જ્યાં જમાઅત થઈ રહી છે ત્યાં સુન્નતો પઢવા લાગે છે, એ સારૂં નથી. કારણકે એનાથી જમાઅતની મુખાલિફત માલૂમ પડે છે, જે નિફાકની નિશાની છે તથા ઈમામની કિરઅતથી ધ્યાન પણ વહેંચાશે. માટે જમાઅત જો સહનમાં થાય, તો અંદર ખૂણામાં સુન્નત અદા કરે અને જો અંદર જમાઅત થઈ રહી છે, તો સહનના એક ખૂણામાં સુન્નત અદા કરો. જો અલગ જગ્યા ન મળે, તો સુન્નતોને છોડી દો. સૂરજ ઉગ્યા બાદ ઈશ્રાકનો સમય થાય ત્યારે સુન્નત પઢી લો.
- કોઈના ઉપર મસ્જિદનો કોઈ હક બાકી હોય (જેમકે રૂપિયા) તો મુતવલ્લીને માફ કરવાનો કોઈ હક નથી. (ફતાવા રહીમિય્યહ : ૧ર૭/પ)
- મસ્જિદની બધી વ્યવસ્થા દીની પ્રવૃત્તિઓ અને ધાર્મિક મસ્લેહતોમાં દાખલ છે. એટલે મસ્જિદમાં પણ મસ્જિદ કમિટીની મિટીંગ રાખી શકાય છે. પરંતુ જો અંદરોઅંદર ગાળા-ગાળી, ન કરવા જેવી વાતો, ઠઠ્ઠા મશ્કરી અને શોર-હંગામાની ભિતી હોય, તો મુનાસિબ રહેશે કે મસ્જિદ કમિટીની મિટીંગ મસ્જિદમાં ન રાખવામાં આવે. (કિતાબુલ ફતાવા : ર૪ર-ર૪૩/૪)
- મસ્જિદના લાઉડ સ્પીકરને મસ્જિદના કામો માટે જ વાપરવું જોઈએ. મસ્જિદના સ્પીકર પર હમ્દ, સલાત વગેરે પઢવાનો મામૂલ બનાવી લેવો મુનાસિબ નથી. (કિતાબુલ ફતાવા : રપ૮/૪)
- જે માણસ એઅતિકાફની હાલતમાં ન હોય અને મુસાફિર પણ ન હોય, એણે મસ્જિદમાં સૂવાથી બચવું જોઈએ.(કિતાબુલ ફતાવા : ર૬૦/૪)
- બયતુલખલા (શૌચાલય) પણ એક જરૂરત છે. અને મસ્જિદ તથા મસ્જિદને લગતી જરૂરતોમાં જાઈઝ અને હલાલ પૈસો જ ખર્ચ કરવો જોઈએ. એટલા માટે મસ્જિદના શૌચાલયો પણ વ્યાજના રૂપિયાથી બનાવવા જાઈઝ નથી. (કિતાબુલ ફતાવા : ર૩પ/૪)
- જો કોઈ કિતાબ મસ્જિદમાં વકફ છે, તો કોઈએ લઈ જવી જાઈઝ નથી. મસ્જિદની હદમાં રહીને પઢવી જોઈએ. (અહસનુલ ફતાવા : ૪પ૦/૬)
- મુતવલ્લી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, મસ્જિદની વસ્તુ પોતાના કામમાં વાપરવાનો કોઈને અધિકાર નથી. (અહસનુલ ફતાવા : ૪પ૦/૬)
- નમાઝનો સમય નક્કી કરવો અને એમાં ફેરફાર કરવાનો હક્ક ઈમામનો છે. બીજા લોકો (મુતવલ્લી વગેરે) ઈમામ સાહેબનો અદબ-એહતેરામ રાખીને યોગ્ય મશ્વેરો આપી શકે છે. જબરદસ્તી કરવી મુનાસિબ નથી. હા, ઈમામ સાહેબ પણ નમાઝોનો સમય નક્કી કરવામાં નમાઝીઓની સહુલતનો ખ્યાલ કરે. અઝાન અને જમાઅત વચ્ચે એટલો સમય રાખે કે લોકો પેશાબ-પાણી, વુઝૂ (સુન્નતો)થી પરવારીને જમાઅતમાં શરીક થઈ શકે. (ફતાવા રહીમિય્યહ : ર૧૧/પ)