Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 196 to 200)
જ્યારે કોઈ મુસલમાનના મરવાની ખબર સાંભળો, તો “ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન” પઢો. મય્યિતને નવડાવવા અને દફનાવવામાં જલ્દી કરો. પાડોશીઓ અને સગા-વહાલાઓને મૌતની ખબર કરી દો. પોતાના મુરદાને પોતે નવડાવો. જો ઔરત હોય તો ઘરની ઔરતો નવડાવે. તેણીઓને નવડાવવાનો તરીકો શીખવાડો. કારણકે પોતાના અઝીઝની આખરી ખિદમતને કબ્રસ્તાનના ફકીરના હવાલે કરી દેવી ઘણી શરમની વાત છે.
મય્યિતને નવડાવવામાં ઘરના જ વાસણનો ઉપયોગ કરે. આજે રિવાજ થઈ ગયો છે કે, મય્યિતને પરાયો (ઘરનો નહીં એવો) બનાવી દે છે, અને તેને નવડાવવા માટે વાસણો બજારથી ખરીદવા જરૂરી સમજે છે. અને તે વાસણને પોતાના વપરાશમાં લેવાથી પણ ડરે છે તથા શરમ મેહસુસ કરે છે, અને મસ્જિદમાં મોકલી આપે છે. આ મોટી બેમુરવ્વતીની વાત છે. જો ઘરના વાસણોની નાપાકીનો ખ્યાલ હોય, તો તેને ધોઈને પાક કરી લો.
પહેલાં પાણી ગરમ કરાવો. જો સહુલતથી થઈ શકે તો બોરડીના પાંદડા તેમાં નાંખી દો, નહીં તો ખાલી પાણી પણ ચાલશે. તે સિવાય જરૂરી ચીઝો પણ મંગાવી લો. જેમકે કપૂર, થોડી મુલ્તાની માટી અથવા ગુલે ખિત્મી, સાબુ કે ખલી, એક મુઠ્ઠી રૂ, થોડુંક લોબાન, અગર, ઉદ અથવા ધૂણીવાળી બીજી કોઈ ખુશ્બૂ, હનૂત (અત્તર), સંદલ વિગેરે ખુશ્બૂ મર્દના માટે હનૂતમાં ઝાફરાન અને તુન (પીળા રંગનું ઘાસ)ને મેળવો.
મુલ્તાની યા ખડીને એક વાસણમાં ભીંજાવી દો અને તખ્તો યા ચોકી બિછાવીને લોબાન વિગેરેની ધુણી ત્રણ, પાંચ કે સાત વાર આપો.
મય્યિતને નવડાવવું :
મય્યિતને તેના કપડાં ઉતારીને તખ્તા પર એવી રીતે સુવડાવો કે જેવી રીતે કબરમાં સુવડાવો છો. જેથી તેનું માથુ ઉત્તર તરફ રહે. અથવા તો એવી રીતે સુવડાવો કે, પગ કિબ્લા તરફ ન હોય. દુંટીથી લઈને ઘુટણોના નીચે સુધી લુંગી ઓઢાડેલી રાખો. ઔરતને ઔરતો જ નવડાવે. ઔરતનું સતર પણ તેટલું જ છુપાવેલું રાખવું જરૂરી છે.
હવે ભીંજવેલી ખિત્મી યા મુલ્તાની માટી તેના માથા યા દાઢીના વાળો પર ચોળો અને ધોઈ નાંખો.
ત્યાર બાદ પોતાના હાથ પર કપડાંની થેલી ચઢાવીને મુર્દાને ઈસ્તિન્જો (તહારત) કરાવો અને તેના શરીર પર જો કોઈ નાપાકી લાગેલી હોય તો તેને ધોઈ નાંખો. પછી તેને વુઝૂ કરાવો. એવી રીતે કે, પહેલાં ત્રણ વાર મોઢુ ધોવો. પછી કુલ્લીને બદલે રૂઈને ભીંજવીને ત્રણ વખત દાંતો અને હોઠો પર ફેરવી દો. એવી જ રીતે નાકના નસ્કોરામાં પણ. જો એવી હાલતમાં મૌત થઈ હોય કે ન્હાવુ વાજીબ હતું. દા.ત. ઔરત સુવાવડની હાલતમાં યા હૈઝની હાલતમાં મરી હોય, તો મોઢા અને નાકમાં ભીંજવેલી રૂઈ ફેરવવા પર બસ ન કરો, બલ્કે ત્રણ વખત પાણી નાંખો અને રૂઈથી સૂકવી લો.
ત્યાર બાદ કોણીઓ સુધી ત્રણ વાર હાથ ધુઓ. પછી માથા અને કાનોનો મસહ કરો અને પછી ઘુંટી સુધી પગ ધુઓ.
વુઝૂમાં પહેલાં કાંડા સુધી હાથોનું ધોવું ફક્ત જીવતાઓને માટે છે. કેમકે તેઓ એ જ હાથોથી પોતાનું મોઢુ ધોશે અને મુર્દાને વુઝૂ બીજો શખ્સ કરાવે છે, માટે નવડાવનાર પોતાના હાથ ધુએ અને મુર્દાને વુઝૂ કરાવે. વુઝૂ મોઢુ ધોવડાવવાથી શરૂ કરે.
વુઝૂ કરાવતી વખતે મુર્દાના કાનો, આંખો અને નાકના નસ્કોરા પર રૂ મૂકી દો, જેથી પાણી અંદર ન જાય. સંડાસ અને પેશાબની જગ્યા પર રૂ મૂકવુ મકરૂહ છે.
મુર્દાને જરા ડાબા પડખે ફેરવી દઈને કમરના સીધા ભાગ પર પાણી નાંખો. ત્યાર પછી જમણા પડખે ફેરવી દઈને એવી જ રીતે કમરનો ડાબો ભાગ ધુઓ અને ત્રણ વાર પાણી રેડી દો.
ત્યાર બાદ કમરની તરફ ટેકો લગાડીને મુર્દાને કંઈક બેસાડવાના લગભગ કરો અને તેનું પેટ ધીમે ધીમે નીચેની તરફ ચોળો. જો કંઈક પાણી જેવું યા નજાસત નીકળે, તો ફક્ત તેને ધોઈ નાંખો. ગુસલ અને વુઝૂને ફરી ન દોહરાવો.
હવે આખા શરીર પર ત્રણ વાર પાણી રેડીને કોઈ કપડાથી સૂકવી લો. અને ભીંજેલી રૂઈ કાન, આંખ, મોં પરથી ઉઠાવી લો. નવડાવવાની હાલતમાં “ગુફરાનક યા રહમાન” પઢતા રહો.
મય્યિતના નખ કાપવા અને વાળોમાં કાંસકી કરવી મના છે.
આજે રિવાજ છે કે, સુવાવડી અને હૈઝવાળી ઔરતને બે વખત નવડાવવામાં આવે છે. એ ગલત છે. એવી જ રીતે મુર્દાના ગુસલના પાણી પર પગ રાખવા દુરૂસ્ત નથી, અથવા તેના ઓળંગવાથી મુર્દાની બીમારી લાગી જાય છે. અને તે કારણે જ ખાડો ખોદીને તખ્તો તેની ઉપર રાખે છે, જેથી બધુ પાણી તેમાં જ ભેગુ થઈને સુકાઈ જાય, એ ખ્યાલ પણ બિલ્કુલ ગલત છે. બેહતર એ છે કે, મય્યિતને એવી જગ્યાએ નવડાવવામાં આવે, જ્યાં પાણીનો ઢાળ હોય અને તે નળીમાં થઈને વહી જાય.
કેટલાક લોકો ૪૦ દિવસ સુધી તે લાંબા ખાડા પર જેનું નામ “લહદ” રાખી મૂક્યું છે, ચિરાગ સળગાવે છે અને સમજે છે કે, અહીં મુર્દાની રૂહ રહે છે અને અંધારામાં તેનો જીવ ગભરાશે. તો એ ખ્યાલ ઘણો જ ગંદો અને શરીઅતના ખિલાફ છે.
મય્યિતને નવડાવવા પછી કફન પર રાખી દો અને માથા અને દાઢી પર અત્તર લગાડી દો. સજદો કરતી વખતે શરીરના જે જે ભાગો જમીન પર લાગે છે, દા.ત. માથુ, નાક, બેઉ હથેળીઓ, બેઉ ઘુટણો, બેઉ પગની આંગળીઓ પર કપૂર ચોળી દો.
કેટલાક લોકો કફનમાં અત્તર લગાડે છે અથવા મુર્દાના કાનમાં અત્તરનું પુમડું રાખે છે, એ જહાલત છે. શરીઅતના તરીકાથી આગળ ન વધવું જોઈએ.
જો ખાવિંદ (પતિ) મરી ગયો, તો તેની ઔરતે તેને નવડાવવું, કફનાવવું દુરૂસ્ત છે. પરંતુ જો ઔરત મરી જાય, તો ખાવિંદે તેના શરીરને અડકવું યા હાથ લગાડવો જાઈઝ નથી. અલબત્ત, જોવું દુરૂસ્ત છે, અને કપડાંની ઉપરથી હાથ લગાડવો પણ દુરૂસ્ત છે. બેહતર એ છે કે, જેનું સગપણ વધારે નજદીક હોય, તે નવડાવે. જો તે નવડાવી ન શકે, તો પછી કોઈ દીનદાર માણસ નવડાવે.
Log in or Register to save this content for later.