નમાઝ પઢવાની રીત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 74 to 86)

જ્યારે નમાઝનો વખત થઈ જાય ત્યારે સૌપ્રથમ સારી રીતે સુન્નત તરીકા પ્રમાણે વુઝૂ કરો. વુઝૂ કર્યા પછી જ્યારે નમાઝ માટે ઉભા રહો ત્યારે પોતાના દિલમાં સારી રીતે એ ખ્યાલ લાવો કે, અમો ખતાકાર અને ગુનેહગાર બંદા છીએ. અને તે માલિક અને મઅબૂદની સામે ઉભા રહીએ છીએ, જે અમારા જાહિર અને બાતિન, દૃશ્ય-અદૃશ્ય સર્વે હાલતોને સારી રીતે જાણે છે. અને કિયામતના દિવસે અમારે તેની જ સામે રજૂ થવાનું છે.

ત્યાર બાદ કિબ્લા તરફ મોઢું કરીને દિલમાં ખ્યાલ કરે કે, હું ફલાણા વખતની ફર્ઝ, સુન્નત, નફલ અથવા તો વિત્ર નમાઝ આટલી રક્‌અત પઢું છું. ઝબાનથી કહે તો બેહતર છે. દા.ત. ફજરની સુન્નત પઢવી હોય તો “હું ફજરની બે રક્‌અત સુન્નત પઢું છું, વાસ્તે અલ્લાહ તઆલાના, મોઢું મારૂં કા’બા શરીફ તરફ.”

એવી જ રીતે ફર્ઝ નમાઝ જમાઅત સાથે પઢતા હોય તો એટલું વધારવું કે, આ ઈમામની પાછળ (ઈક્તેદામાં). દા.ત. અસરની ફર્ઝ પઢવી હોય તો “હું અસરની ચાર રક્‌અત ફર્ઝ પઢું છું, વાસ્તે અલ્લાહના, મોઢું મારૂં કા’બા શરીફ તરફ, આ ઈમામની પાછળ.”

મતલબ કે, દરેક નમાઝની રક્‌અત અને વખતનું નામ લઈને ઝબાન અને દિલમાં પણ એ જ ખ્યાલ કરે. પછી કાનો સુધી બન્ને હાથ ઉઠાવી ઝબાનથી તકબીરે તહરીમહ “અલ્લાહુ અકબર” કહે. અને બન્ને હાથ ડુંટીની નીચે બાંધે. અલ્લાહ તઆલાની આગળ પોતાની હાજરીનું પુરૂ ધ્યાન આપી “સના” પઢે.

سُبْحَانَکَ اللّٰھُمَّ وَ بِحَمْدِکَ وَتَبَارَکَ اسْمُکَ وَ تَعَالٰی جَدُّکَ وَلَا اِلٰہَ غَیْرُکَ۔

સુબ્હાનકલ્લાહુમ્મ વ-બિહમ્દિક વ-તબારકસ્મુક વ-તઆલા જદ્‌દુક વ-લાઈલાહ ગયરૂક.

અર્થ : અય અલ્લાહપાક ! તુ પવિત્ર છે, અને તારા જ માટે સઘળા વખાણ છે. અને બરકતવાળુ છે તારૂં નામ અને તારી શાન ચઢિયાતી છે અને તારા સિવાય કોઈ મઅબૂદ નથી.

પછી “અઉઝુબિલ્લાહિ મિનશ્શયતા નિર્રજીમ” પઢે.

અર્થ : હું અલ્લાહપાકની પનાહ લઉં છું ધુત્કારેલા શયતાનથી.

પછી “બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ” પઢે.

અર્થ : શરૂ કરૂં છું અલ્લાહપાકના નામથી, જે મોટો મહેરબાન અને ઘણો જ રહેમવાળો છે.

ત્યાર બાદ “સૂરએ ફાતિહા” (અલ્હમ્દુ શરીફ) પઢે.

اَلْحَمْدُ لِلہِ رَبِّ الْعَالَمِیْنَ (۱) اَلرَّحْمٰـنِ الرَّحِیْمِ (۲)  مَالِکِ یَوْمِ الدِّیْنِ (۳) إِیَّاکَ نَعْبُدُ وَإِیَّاکَ نَسْتَعِیْنُ (۴) اِہْدِنَــــا الصِّرَاطَ المُستَقِیْمَ (۵)  صِرَاطَ الَّذِیْنَ أَنعَمْتَ عَلَیْھِمْ (۶) غَیْرِ المَغْضُوبِ عَلَیْھِمْ وَلَا الضَّالِّیْن (۷)

અલ્હમ્દુ લિલ્લાહિ રબ્બિલ આલમીન, અર્રહમા નિર્રહીમ, માલિકિ યવ-મિદ્‌દીન, ઈય્યાક નઅ્‌બુદુ વ ઈય્યાક નસ્તઈન. ઈહ્‌દીનસ્સિરાતલ મુસ્તકીમ, સિરાતલ્લઝીન અન્‌અમ્ત અલયહિમ ગયરિલ મગદૂબિ અલયહિમ વલદ-દાલ્લીન. (આમીન)

અર્થ : દરેક પ્રકારના વખાણ અલ્લાહપાકને માટે જ છે, જે સઘળા જગતનો પાલનહાર છે. મહાન કૃપાળુ અને ઘણો દયાળુ છે. કિયામતના દિવસનો માલિક છે. (હે અલ્લાહપાક !) તારી જ અમે બંદગી કરીએ છીએ અને તારાથી જ અમે મદદ માંગીએ છીએ. તુ અમને સીધા માર્ગે ચલાવ. તેઓના માર્ગે કે જેઓ ઉપર તેં ફઝલ કર્યો છે, ન તેઓના માર્ગે કે જેઓ પર તારો કોપ ઉતર્યો અને ન ભટકેલાઓના માર્ગે. (હે અલ્લાહ ! મારી આ દુઆ કબૂલ કરી લે.)

ત્યાર બાદ કોઈ સૂરત અથવા સૂરતનો અમુક ભાગ પઢે. નીચે કુર્‌આન શરીફની છેવટની સાત સૂરતો તર્જમા સાથે શામેલ છે :

إِنَّا أَعْطَیْنَاکَ الْکَوْثَرَ (۱) فَصَلِّ لِرَبِّکَ وَانْحَرْ (۲) إِنَّ شَانِئَکَ ھُوَ الْأَبْتَرُ(۳)

ઈન્ના અઅ્‌તયના કલ કવસર. ફસલ્લિ લિરબ્બિક વન્હર. ઈન્ન શાનિ-અક હુવલ અબ્તર.

અર્થ : (હે નબી !) બેશક, અમે તમને કવષર બક્ષિશ આપી છે. માટે તમે તમારા પરવરદિગાર માટે નમાઝ પઢો અને કુર્બાની કરો. બેશક, તમારો દુશ્મન જ નામોનિશાન વિનાનો થઈ જનાર છે.

قُلْ یَا أَیُّھَا الْکَافِرُوْنَ (۱) لَا أَعْبُدُ مَا تَعْبُدُوْنَ  وَلَا أَنتُمْ عَابِدُوْنَ (۲) مَا أَعْبُدُ وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ (۳) وَلَا أَنتُمْ عَابِدُوْنَ مَا أَعْبُدُ (۴) لَکُمْ دِیْنُکُمْ وَلِیَ دِیْنِ (۵)

કુલ યા અય્યુહલ કાફિરૂન, લા અઅ્‌બુદુ મા તઅ્‌બુદુન વલા અન્તુમ આબિદુન મા અઅ્‌બુદ, વલા અન આબિદુમ્મા અબત્તુમ, વલા અન્તુમ આબિદુન મા અઅ્‌બુદ, લકુમ દીનુકુમ વલિયદીન.

અર્થ : (હે નબી !) કહી દો કે, હે કાફિરો ! જે (મૂર્તિઓ)ને તમે પૂંજો છો, તેને હું પૂંજતો નથી. અને ન તમે તે (ખુદાપાક)ને પૂંજો છો,  જેને હું પૂંજુ છું. અને ન મારે તે (મૂર્તિઓ)ને પૂંજવી છે, જેની તમે પૂંજા કરો છો. અને ન તમે તે (ખુદા)ને પૂજશો, જેને હું પૂંજતો રહીશ. તમારા માટે તમારો માર્ગ અને મારા માટે મારો માર્ગ છે.

إِذَا جَاءَ  نَصْرُ اللہِ وَالْفَتْحُ (۱) وَرَأَیْتَ النَّاسَ یَدْخُلُوْنَ فِیْ دِیْنِ اللہِ أَفْوَاجًا (۲) فَسَبِّحْ بِحَمْدِ رَبِّکَ وَاسْتَغْفِرْہُ، إِنَّہُ کَانَ تَوَّابًا (۳)

ઈઝા જા-અ નસ્રૂલ્લાહિ વલ્‌-ફત્હુ, વ-ર-અયતન્નાસ યદ્‌- ખુલુન ફી-દીનિલ્લાહિ અફવાજા, ફસબ્બિહ્‌ બિહમ્દિ રબ્બિક વસ્તગ્ફિરહુ ઈન્નહુ કા-ન તવ્વાબા.

અર્થ : (હે નબી !) જ્યારે અલ્લાહપાકની મદદ અને (મક્કાની) ફતેહ આવી પહોંચી, અને તમે લોકોને જોઈ લીધા કે, અલ્લાહપાકના દીનમાં ટોળેટોળાં દાખલ થઈ રહ્યા છે, ત્યારે પોતાના પરવરદિગારની ખૂબીઓ સાથે પવિત્રતાનું વર્ણન કરો અને તેનાથી બક્ષીશ માંગો. બેશક, તે બહુ જ માફી આપનાર છે.

تَبَّتْ یَدَا أَبِیْ لَھَبٍ وَّتَبَّ (۱) مَا أَغْنٰی عَنْہُ مَالُہٗ وَمَا کَسَبَ (۲)  سَیَصْلٰی نَارًا ذَاتَ لَھَبٍ (۳)  وَّامْرَأَتُہُ حَمَّالَۃَ الْحَطَبِ (۴)  فِیْ جِیْدِھَا حَبْلٌ مِّن مَّسَدٍ (۵)

તબ્બત યદા અબી લહબિંવ વતબ્બ. મા અગ્ના અન્હુ મા લુહુ વમા કસબ. સયસ્લા નારન ઝાત લહબિંવ વમ્રઅતુહ. હમ્મા લતલ હતબિ ફી-જી-દિહા હબ્લુમમીમ મસદ.

અર્થ : અબૂ લહબના હાથ ભાંગે અને તેનો નાશ થાય, ન તો તેનો માલ તેને કામ લાગ્યો અને ન તેની કમાણી. હવે તે (મર્યા પછી) એક ભડકાવાળી આગમાં પડશે, અને તેની સ્ત્રી પણ જે (કાંટાવાળા) લાકડા ઉઠાવી લાવે છે, તેણીની ગરદનમાં ખૂબ વણેલી દોરડી હશે.

قُلْ ھُوَ اللہُ أَحَدٌ (۱) اَللہُ الصَّمَدُ (۲) لَمْ یَلِدْ وَلَمْ یُوْلَدْ وَلَمْ یَکُن لَّہُ کُفُوًا أَحَدٌ (۳)

કુલહુ વલ્લાહુ અહદ્‌, અલ્લાહુસ્સમદ, લમ યલિદ વલમ યુલદ, વલમ યકુલ્લહુ કુફૂવન અહદ્‌.

અર્થ : (હે નબી !) કહી દો કે, તે અલ્લાહપાક એકલો જ છે. (તે) અલ્લાહપાક બેનિયાઝ છે. (કોઈનો ગરજવાન નથી, સૌ તેના જ ગરજવાન છે.) તેનાથી કોઈ જન્મ્યો નથી, અને ન તે કોઈથી જન્મ્યો અને તેના સમાન બીજો કોઈ જ નથી.

قُلْ أَعُوْذُ بِرَبِّ الْفَلَقِ (۱)  مِن شَرِّ مَا خَلَقَ (۲)  وَمِنْ شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ (۳)  وَمِنْ شَرِّ النَّفَّاثَاتِ فِیْ الْعُقَدِ (۴)  وَمِنْ شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ (۵)

કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. મિન શર્રિ મા ખલક. વમિન શર્રિ ગાસિકિન ઈઝા વકબ. વમિન શર્રિન નફ્ફાસાતિ ફિલ ઉકદ. વમિન શર્રિ હાસિદિન ઈઝા હસદ.

અર્થ : કહો કે હું સવારના પ્રકાશના પરવરદિગારનો આશ્રય લઉં છું, તેની તમામ મખ્લૂકની બુરાઈથી. અને અંધારાની બુરાઈથી, જ્યારે તે પ્રસરી જાય. અને (જાદુ, ટુચકા માટે) ગાંઠો પર ફૂંકો મારનારીઓની બુરાઈથી અને હસદ કરનારની બુરાઈથી, જ્યારે તે

અદેખાઈ કરે.

قُلْ أَعُوْذُ بِرَبِّ النَّاسِ (۱)  مَلِکِ النَّاسِ (۲)  إِلٰہِ النَّاسِ (۳)  مِنْ شَرِّ الْوَسْوَاسِ الْخَنَّاسِ (۴)  الَّذِیْ یُوَسْوِسُ فِیْ صُدُورِ النَّاسِ (۵) مِنَ الْجِنَّۃِ وَ النَّاسِ (۶)

કુલ અઉઝુ બિરબ્બિન્નાસ. મલિકિન્નાસ. ઈલાહિન્નાસ. મિન શર્રિલ વસ્વાસિલ ખન્નાસ. અલ્લઝી યુવસવિસુ ફી સુદૂરિન્નાસ. મિનલ જિન્નતિ વન્નાસ.

અર્થ : કહો કે હું સર્વ માણસોનો પાલનહાર, સર્વના બાદશાહ અને સૌના મઅબૂદનો આશરો લઉં છું. વસવસા નાખનાર, સંતાઈ જનાર (શયતાન)ની બુરાઈથી, જે લોકોના દિલોમાં વસવસા નાંખે છે, જિન્નાતમાંથી હોય કે માણસોમાંથી.

મતલબ કે, અલ્હમ્દુ શરીફ બાદ કુર્‌આન મજીદની કોઈ સૂરત અથવા કોઈ સૂરતમાંથી એક મોટી આયત અથવા તો નાની ત્રણ આયતો દરેક નમાઝમાં આટલી કિરાઅત, એટલે ઓછામાં ઓછું આટલું કુર્‌આન શરીફ પઢવું જરૂરી છે.

જ્યારે કુર્‌આન શરીફ પઢી ચૂકો, તો અલ્લાહ તઆલાની શાનની મોટાઈ અને પ્રતાપનું ધ્યાન ધરતાં દિલ અને જીભ વડે “અલ્લાહુ અકબર” કહેતાં રુકૂઅમાં ચાલ્યા જાવ અને “સુબ્હાન રબ્બિયલ અઝીમ” (અર્થ : પાક છે મારો પરવરદિગાર, જે મોટી શાનવાળો છે.) ત્રણ વાર, પાંચ વાર અથવા સાત વાર પઢે.

રુકૂઅમાં જ્યારે અલ્લાહ તઆલાની પવિત્રતા અને મોટાઈના આ શબ્દો મોઢે બોલે ત્યારે પણ દિલમાં તેની પવિત્રતા તથા મોટાઈનું પુરેપુરૂં ધ્યાન હોવું જોઈએ. તે પછી રુકૂઅથી માથુ ઉંચકે અને “સમીઅલ્લાહુલિમન્‌ હમિદહ” (અર્થ : અલ્લાહ તઆલાએ તે બંદાની સાંભળી (કબૂલ કરી) જેણે તેની તારીફ કરી.) કહેતાં સીધા ઉભા થઈ જાઓ અને હાથોને પોતાની હાલત પર છોડી દો. તેના પછી “રબ્બના લકલ્‌ હમ્દ” (અર્થ : હે અમારા પાલનહાર ! સર્વે તારીફ તારા માટે જ છે.) કહે.

રુકૂઅ કર્યા પછી ઉભા રહેવાનું નામ કવ્મહ છે. ત્યાર બાદ ફરી દિલ અને જીભ વડે “અલ્લાહુ અકબર” કહે અને પોતાના આકા અને પાલનહારની આગળ સિજદહમાં પડી જાય. અને અલ્લાહપાકનું પુરૂં ધ્યાન ધરીને તેમજ તેને પોતાની સામે હાજિર સમજીને તેને સંબોધન કરીને જીભથી તેમજ દિલોજાનથી કહે “સુબ્હાન રબ્બિયલ અઅલા” (અર્થ : પાક છે મારો પરવરદિગાર, જે બહુ ઉંચી શાનવાળો છે) ત્રણ વાર, પાંચ વાર અથવા સાત વાર કહે.

સિજદહની હાલતમાં જ્યારે આ કલિમહ ઝબાન પર હોય ત્યારે દિલમાં પોતાની પરાધિનતા, લાચારી તથા હલકાઈનો અને અલ્લાહ પાકની પવિત્રતા તથા અતિ ઉચ્ચતર હોવાનું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ. આ ધ્યાન પ્રમાણમાં જેટલું વધારે અને જેટલું ઉંડુ હશે, તેટલી જ નમાઝ સારી અને વધુ કિંમતી થશે. કારણકે એ જ નમાઝની રૂહ છે.

ત્યાર બાદ “અલ્લાહુ અકબર” કહેતાં માથુ ઉંચકે અને સારી રીતે બેસી જાય. (એને જલસો કહે છે.)

પછી “અલ્લાહુ અકબર” કહેતાં બીજો સિજદહ કરે અને એમાં પણ પહેલા સિજદહની જેમજ “સુબ્હાન રબ્બિયલ અઅલા” ત્રણ વાર, પાંચ વાર અથવા તો સાત વાર પઢે. પછી “અલ્લાહુ અકબર” કહેતાં પહેલાં માથુ અને નાક ઉપાડે અને ઘુટણો પર હાથ રાખીને સીધા ઉભા થઈ જાય.

બીજી રક્‌અતમાં પહેલી રક્‌અતની જેમજ હાથ બાંધે અને પછી “અલ્હમ્દુ શરીફ” અને તેના પછી કુર્‌આન શરીફની કોઈ સૂરત અથવા આયત પહેલી રક્‌અતની જેમજ પઢે. પછી રુકૂઅ કરે, પછી કવમહ, સિજદહ, જલસો અને બીજો સિજદહ અદા કરે. હવે જલસાની જેમ જમણો પગ ઉભો કરી ડાબા પગ ઉપર બેસી જાય. (આ બેસવાનું નામ કાએદહ છે.) ત્યાર બાદ તશહ્‌હુદ પઢે.

اَلتَّحِیَّاتُ لِلہِ وَالصَّلَوٰتُ وَالطَّیِّبَاتُ، اَلسَّلَامُ عَلَیُکَ اَیُّھَا النَّبِیُّ وَرَحْمَۃُ  اللہِ وَ بَرَکَاتُہٗ، اَلسَّلَامُ عَلَیْنَا وَ عَلٰی عِبَادِ اللہ الصَّالِحِیْنَ، اَشْھَدُ اَنْ لَّا اِلٰہَ اِلَّا اللہُ وَ اَشْھَدُ اَنَّ مُحَمَّدًا عَبْدُہٗ وَ رَسُوْلُہٗ

અત્તહિય્યાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ અસ્સલામુ અલયક અય્યુહન્નબિય્યુ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. અસ્સલામુ અલયના વઅલા ઈબાદિલ્લાહિસ્સાલિહિન. અશ્‌હદુ અલ્લાઈલાહ ઈલ્લલ્લાહુ વ અશ્‌હદુ અન્ન મુહમ્મદન અબ્દુહૂ વ રસૂલુહ.

અર્થ : અદબ અને તઅઝીમના સઘળા શબ્દો અલ્લાહપાકને માટે જ છે. અને સઘળી ઈબાદતો તથા સદકાઓ (ખયરાતો) અલ્લાહ પાકને માટે જ છે. હે નબી ! તમારા ઉપર સલામ અને અલ્લાહપાકની રહમત તથા તેની બરકતો થાઓ. અમારા ઉપર તેમજ અલ્લાહના નેક બંદાઓ ઉપર સલામ થાઓ. હું સાક્ષી આપું છું કે, અલ્લાહ તઆલા સિવાય કોઈ બંદગીને લાયક નથી, તેમજ સાક્ષી આપું છું કે, મુહમ્મદ (સલ.) અલ્લાહપાકના બંદા અને તેના રસૂલ છે.

હવે જો ત્રણ કે ચાર રક્‌અત ફર્ઝ નમાઝ પઢવાની નિય્યત કરી હોય તો અત્તહિય્યાત (તશહ્‌હુદ) પઢીને અલ્લાહુ અકબર કહેતાં ઉભા થઈ જાઓ અને ત્રીજી અને ચોથી રક્‌અતમાં બીજી રક્‌અતની જેમ ફક્ત અલ્હમ્દુ શરીફ પઢીને રુકૂઅમાં જાય, સૂરત પઢે નહીં. અને જો વાજિબ અથવા તો સુન્નત કે નફલ નમાઝની નિય્યત કરી હોય તો ત્રીજી અને ચોથી રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ બાદ સૂરત પઢવી પડશે. સૂરત પઢ્યા બાદ રુકૂઅમાં જાય અને પહેલી બે રક્‌અતની જેમજ કવમહ, સિજદહ, જલસો વિગેરે કરી (રક્‌અતો પૂરી કરી) આખરી રક્‌અતમાં બેસી જાય.

નમાઝની છેવટમાં બેસવાને આખરી કાએદહ કહે છે. આખરી કાએદહમાં બેસીને પહેલાં અત્તહિય્યાત (તશહ્‌હુદ) પઢે અને ત્યાર બાદ દુરૂદ શરીફ અને દુઆ પઢવી.

اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّ عَلٰی اٰلِہٖ مُحَمَّدٍ کَمَا صَلَّیْتَ عَلٰی اِبْرَاھِیْمَ وَ عَلٰی اٰلِ اِبْرَاھِیْمَ اِنَّکَ حَمِیْدٌ مَّجِیْدٌ، اَللّٰھُمَّ بَارِکْ عَلٰی مُحَمَّدٍ وَّ عَلٰی اٰلِ مُحَمَّدٍ، کَمَا بَارَکْتَ عَلٰی اِبْرَاھِیْمَ وَ عَلٰی اٰلِ اِبْرَاھِیْمَ، اِنَّکَ حَمِیْدٌ مَّجِیْدٌ

અલ્લાહુમ્મ સલ્લિઅલા મુહમ્મદિંવ વઅલા આલિ મુહમ્મદિન કમા સલ્લય્‌ત અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઈન્નક હમીદુમ મજીદ. અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિંવ વઅ્‌લા આલિ મુહમ્મદિન કમા બારક્‌ત અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઈન્નક હમીદુમ મજીદ.

અર્થ : અય અલ્લાહપાક ! તુ હઝરત મુહમ્મદ (સલ.) પર તથા મુહમ્મદ (સલ.)ની આલ ઉપર ખાસ રહમત મોકલ, જેવી કે તેં ખાસ રહમત ઈબ્રાહીમ (અલૈ.) પર તથા ઈબ્રાહીમ (અલૈ.)ની આલ પર મોકલી છે. સાચે જ તુ મહાન તારીફને લાયક તથા બુઝુર્ગીવાળો છે. અય અલ્લાહપાક ! તુ હઝરત મુહમ્મદ (સલ.)ની તથા તેમની આલ પર બરકતો ઉતાર, જેવી કે તેં ઈબ્રાહીમ (અલૈ.) પર તથા ઈબ્રાહીમ (અલૈ.)ની આલ પર બરકતો નાઝિલ કરી. બેશક, તુ અતિ વખાણને પાત્ર બુઝુર્ગીવાળો છે.

આ દુરૂદ શરીફ મૂળ હુઝૂર (સલ.) માટે તથા આપની આલ માટે (એટલે કે, આપના ઘરવાળાઓ તથા આપની સાથે દીની સબંધ રાખનારાઓ માટે) રહમત તથા બરકતની દુઆ છે. આ દીની નેઅમત તથા નમાઝની દોલત આપણને રસૂલુલ્લાહ (સલ.)ની મારફતે જ પ્રાપ્ત થઈ છે. જેથી અલ્લાહ તઆલા તરફથી હુઝૂર (સલ.)ના આ અહેસાનનો આભાર માનવા માટે આપણા ઉપર મુકર્રર કરવામાં આવ્યું છે કે, જ્યારે નમાઝ પઢીએ તો તેની આખરમાં હુઝૂર (સલ.) માટે તેમજ આપની આલ માટે પણ રહમત તથા બરકતની દુઆ કરીએ. ત્યારે આપણે જોઈએ કે, દરેક નમાઝની આખરમાં તશહ્‌હુદ પઢી રહ્યા પછી આપણે હુઝૂર (સલ.)ના અહેસાનોને યાદ કરતાં ખરા દિલથી તેમના ઉપર આ દુરૂદ શરીફ પઢીએ અને તેમના માટે રહમત તથા બરકતની દુઆ માંગીએ.

દુરૂદ શરીફ પઢી લીધા બાદ પોતાના માટે આ દુઆ માંગીએ અને ત્યાર બાદ સલામ ફેરવીએ.

اَللّٰھُمَّ اِنِّیْ ظَلَمْتُ نَفْسِیْ ظُلْمًا کَثِیْرًا، وَّ لَا یَغْفِرُ الذُّنُوْبَ اِلَّا اَنْتَ، فَاغْفِرْ لِیْ مَغْفِرَۃً مِّنْ عِنْدِکَ وَارْحَمْنِیْ، اِنَّکَ اَنْتَ الْغَفُوْرُ الرَّحِیْمُ

અલ્લાહુમ્મ ઈન્ની ઝલમ્તુ નફસી ઝુલ્મન કસીરંવ વલા યગફિરૂઝ ઝુનૂબ ઈલ્લા અન્ત ફગફિરલી મગફિરતંમ મિન ઈન્દિક વર્‌હમ્ની ઈન્નક અન્તલ ગફુરૂર રહીમ.

અર્થ : હે અલ્લાહપાક ! મેં મારી જાન પર ઘણો જ ઝુલ્મ કર્યો છે (અને તારી આજ્ઞાપાલન તથા ઈબાદતમાં મારાથી ભારે કસૂર થયો છે) અને તારા સિવાય કોઈપણ ગુનાહોને બક્ષનાર નથી, તો તું મને માત્ર પોતાના ફઝલથી બક્ષી દે અને મારા ઉપર રહમ કર. બેશક, તું જ બક્ષનાર, ઘણો રહમકર્તા છે.

આ દુઆમાં પોતાના કસૂરો તથા ગુનાહોનો એકરાર છે. અને અલ્લાહપાકની બક્ષિસ અને દયાની યાચના છે. ખરેખર, બંદાઓ માટે લાયક એ જ છે કે, તે નમાઝ જેવી ઈબાદત કરવા પછી પણ પોતાના કસૂરોનો એકરાર કરે અને પોતાને દોષિત તથા ગુનેહગાર સમજે અને અલ્લાહપાકની બક્ષિસ તેમજ તેની રહમતને પોતાનો આશ્રય સમજે અને ઈબાદતના કારણે તેમાં કંઈ ગર્વ ઉત્પન્ન થવા પામે નહીં. કારણકે અલ્લાહપાકની ઈબાદતનો હક આપણાથી કોઈ પણ રીતે અદા થઈ શકતો નથી.

આ સિવાય કુર્‌આન શરીફની આ દુઆ પણ પઢી શકાય છે:

رَبَّنَا اٰتِنَا فِی الدُّنْیَا حَسَنَۃً وَّ فِی الْاٰخِرَۃِ حَسَنَۃً وَّ قِنَا عَذَابَ النَّارِ

રબ્બના આતિના ફિદ્‌ દુન્યા હસનતંવ વફિલ આખિરતિ હસનતંવ વકિના અઝાબન્નાર.

અર્થ : હે અમારા પરવરદિગાર ! તું અમને દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને દોઝખના અઝાબથી અમને બચાવ.

ત્યાર બાદ અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ” (અર્થ : સલામ થાઓ તમારા ઉપર અને અલ્લાહપાકની રહમતો) કહેતાં પહેલા જમણી તરફ સલામ ફેરવે અને પછી “અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ” કહી ડાબી તરફ સલામ ફેરવે.

ઉપર મુજબ ફર્ઝ, સુન્નત અને નફલ નમાઝ પઢવાની રીતનું વર્ણન થયું. હવે ઈશાંની વિત્ર નમાઝની રીત આ મુજબ છે :

વિત્રની ત્રણ રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ બાદ સૂરત પઢવી અને ત્રીજી રક્‌અતમાં સૂરત પઢ્યા બાદ “અલ્લાહુ અકબર” કહીને શરૂ નમાઝની જેમ કાનો સુધી હાથ ઉઠાવી પાછા હાથ બાંધી લેવા અને ત્યાર બાદ “દુઆએ કુનૂત” પઢવું.

اَللّٰھُمَّ اِنَّا نَسْتَعِیْنُکَ وَ نَسْتَغْفِرُکَ وَنُؤْمِنَ بِکَ وَ نَتَوَکَّلُ عَلَیْکَ وَ نُثْنِیْ عَلَیْکَ الْخَیْرَ، وَنَشْکُرُکَ وَلَا نَکْفُرُکَ، وَ نَخْلَعُ وَ نَتْرُکُ مَنْ یَّفْجُرُکَ اَللّٰھُمَّ اِیَّاکَ نَعْبُدُ وَ لَکَ نُصَلِّیْ، وَنَسْجُدُ وَ اِلَیْکَ نَسْعٰی، وَ نَحْفِدُ وَ نَرُجُوْ رَحْمَتَکَ  وَنَخْشٰی عَذَابَکَ، اِنَّ عَذَابَکَ بِالْکُفَّارِ مُلْحِقٌ

અલ્લાહુમ્મ ઈન્ના નસ્તઈનુક વ નસ્તગફિરૂક વનુઅ્‌મિનુ બિક વનતવક્કલુ અલય્‌ક વનુષની અલયકલ ખૈર, વ નશ્કુરૂક વલા નકફુરૂક વ નખ્લઉ વ નત્રુકુ મંય યફજુરૂક, અલ્લાહુમ્મ ઈય્યાક નઅ્‌બુદુ વલકનુસલ્લી વ નસ્જુદુ વઈલયક નસ્આ વ નહફિદુ વ નરજુ રહ્‌મતક વ નખ્શા અઝાબક, ઈન્ન અઝાબક બિલ કુફ્ફારિ મુલ્હિક.

અર્થ : અય અલ્લાહપાક ! અમે તારાથી મદદ માંગીએ છીએ અને મગફિરત ચાહીએ છીએ. અમે તારા પર ઈમાન લાવીએ છીએ અને તારા પર ભરોસો કરીએ છીએ. ખૂબીની સાથે તારી તઅરીફ કરીએ છીએ અને તારો શુક્ર અદા કરીએ છીએ. તારી નાશુક્રી કરતા નથી. અને જે તારી નાફરમાની કરે, તેનાથી અલગ થઈએ છીએ અને તેને છોડીએ છીએ. હે અલ્લાહપાક ! અમે તારી જ બંદગી કરીએ છીએ અને તારા જ માટે નમાઝ પઢીએ છીએ અને સિજદો કરીએ છીએ. તારી જ તરફ દોડીએ અને લપકીએ છીએ અને તારાથી જ રહમતની ઉમ્મીદ રાખીએ છીએ અને તારા અઝાબથી ડરીએ છીએ. બેશક, તારો અઝાબ કાફિરોને થનારો છે.

જો કોઈને દુઆએ કુનૂત યાદ ન હોય, તો બીજી કોઈ દુઆ પઢે. જેમકે “રબ્બના આતિના ફિદ્‌ દુન્યા…” પઢે.

દુઆએ કુનૂત પઢ્યા પછી રુકૂઅમાં જાય અને બીજી નમાઝોની જેમ કવમહ, બન્નેવ સિજદહ, કાએદહ વિગેરે કરી સલામ ફેરવે.

વિત્રની પહેલી અથવા બીજી રક્‌અતમાં ભૂલથી દુઆએ કુનૂત પઢી લીધી હોય તો તેની કશી ગણત્રી નથી. ત્રીજી રક્‌અતમાં ફરીથી પઢે અને સહ્‌વનો સિજદહ પણ કરે.

વિત્રમાં દુઆએ કુનૂત પઢવાનું ભૂલી જવાય તો સહ્‌વનો સિજદહ વાજિબ થશે. જો રુકૂઅમાં પણ યાદ આવી જાય તો પણ હવે પાછા ઉભા થવું જોઈએ નહીં. સહ્‌વનો સિજદહ કરી લેવો.

રમઝાન મહિનામાં વિત્ર જમાઅત સાથે પઢવામાં મુક્તદીએ જો દુઆએ કુનૂત પૂરી પઢી ન હોય અને તે પહેલાં ઈમામ રુકૂઅમાં ચાલ્યા જાય, તો મુક્તદી દુઆએ કુનૂત પઢવાનું છોડીને ઈમામની સાથે રુકૂઅ કરે.

વિત્રની નમાઝ અમલની રૂએ ફર્ઝના બરાબર છે. જો ઈશાંની નમાઝ કઝા થઈ જાય, તો વિત્રની પણ કઝા પઢવી જોઈએ. જો વિત્ર છોડી દેશે, તો ગુનેહગાર થશે.

Log in or Register to save this content for later.