નમાઝ તોડનારી ચીઝો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 94 to 97)

જે ચીજોથી નમાઝ ફાસિદ એટલે કે તૂટી જાય છે, તેને મુફસિદાતે નમાઝ કહે છે. અને તે નમાઝને ફરીથી પઢવી જરૂરી થઈ જાય છે.

  • નમાઝમાં વાત કરવી, જાણી જોઈને હોય કે ભૂલથી, થોડી હોય કે વધારે, દરેક હાલતમાં નમાઝ તૂટી જાય છે.
  • નમાઝમાં માણસને સલામ કરવાના ઈરાદાથી “અસ્સલામુ અલયકુમ” અથવા એવો કોઈ શબ્દ જીભથી કહેવો અથવા કોઈને સલામનો જવાબ “વઅલયકુમુસ્સલામ” કહ્યું, તો પણ નમાઝ જતી રહી.
  • નમાઝમાં કોઈ ખુશખબરી સાંભળી “અલ્હમ્દુલિલ્લાહ” કહ્યું અથવા કોઈ મૌતની ખબર સાંભળી “ઈન્ના લિલ્લાહ” પઢ્યું, ત્યારે પણ નમાઝ જતી રહી.
  • કોઈનો છોકરો પડી ગયો અને તેના પડતાં જ “બિસ્મિલ્લાહ” કહ્યું, તો પણ નમાઝ જતી રહી.
  • નમાઝમાં છીંક આવી અને તેના પર “અલ્હમ્દુલિલ્લાહ” કહ્યું તો નમાઝ તૂટી નથી, પણ એવું કહેવું જોઈએ નહીં. પરંતુ જો કોઈ બીજો છીંકનાર પર “યરહમુકલ્લાહ” કહે, તો નમાઝ જતી રહી.
  • નમાઝમાં “આહ, ઉફ” અથવા “હાય” કહેવું અને મુસીબતના કારણે અવાઝથી રડવું નમાઝને તોડે છે. પરંતુ જો ખુદાપાકના ખૌફ અથવા જન્નત-દોઝખની યાદથી હૈયું ભરાઈ આવી જોરથી અવાઝ નીકળી જાય તો નમાઝ તૂટતી નથી.
  • નમાઝમાં એટલું ફરી જવું કે સીનો કિબ્લહ તરફથી ફરી જાય, તો નમાઝ તૂટી જશે.
  • જરૂરત વગર ગળુ સાફ કરવા ખંખારવામાં જો એકાદ અક્ષર પણ ઉત્પન્ન થાય, તો નમાઝ તૂટી જશે. પરંતુ ન છૂટકે અને લાચારીએ ખંખારવું દુરૂસ્ત છે. નમાઝ તૂટતી નથી.
  • નમાઝની અંદર કુર્‌આન શરીફમાં જોઈને કિરાઅત પઢવાથી નમાઝ તૂટી જાય છે.
  • પોતાના ઈમામ સિવાય બીજા કોઈને લુકમો દેવો, એટલે કે કુર્‌આન શરીફ પઢવામાં ભૂલ બતલાવવાથી નમાઝ તૂટી જશે.
  • મોઢામાં પાન દબાવી રાખી તેનું થૂંક ગળામાં ઉતારવાથી નમાઝ તૂટી જશે.
  • નમાઝમાં ભૂલથી અથવા જાણી જોઈને કોઈ ચીઝ ખાવી, એટલે સુધી કે તલ અથવા સોપારીનો ટુકડો પણ ઉઠાવી ખાઈ લીધો, તો નમાઝ તૂટી જશે. દાંતમાં ભરાયેલી વસ્તુ ચણાથી ઓછી હોય અને તે ગળી જાય, તો નમાઝ થઈ જશે. પરંતુ જો ચણા બરાબર અથવા તેના કરતાં મોટી હશે, તો નમાઝ તૂટી જશે.
  • અમલે કસીર કરવાથી નમાઝ તૂટી જાય છે. એટલે કે નમાઝમાં કોઈ એવું કામ કરવું (જે નમાઝની દુરૂસ્તી માટે ન હોય), કે જેથી જોનાર માણસ એમ સમજે કે આ માણસ નમાઝમાં નથી.
  • નમાઝમાં એક રૂકનમાં હાથ ઉઠાવી ત્રણ વાર ખંજવાળવાથી નમાઝ ફાસિદ થઈ જશે. જો દરેક વખતે હાથ ન ઉઠાવે, તો ફાસિદ થશે નહીં. એકવાર ખંજવાળ્યું તો મકરૂહ છે.
  • નમાઝની અંદર દુઆમાં કોઈ એવી વસ્તુ માંગવી કે, જે રીતે માણસોથી માંગવામાં આવે છે, જેમકે યા અલ્લાહપાક ! તું મને તેલ કે મીઠુ આપ અથવા મને આજે એકસો રૂપિયા આપી દે અથવા તો ફલાણી સ્ત્રી સાથે મારી શાદી કરાવી દે. એવી વસ્તુઓ માંગવાથી નમાઝ તૂટી જાય છે.
  • નમાઝમાં અલ્લાહુ અકબર કહેતી વખતે અલીફને વધારીને એટલે કે લંબાવીને પઢવાથી, જેમકે “અ….લ્લાહુ અકબર” અથવા “અલ્લાહુ અ….કબર” કહ્યું, તો નમાઝ તૂટી જશે. એવી જ રીતે અકબર કહેવામાં ‘બે’ને લંબાવીને “અલ્લાહુ અકબ….ર” કહ્યું, તો પણ નમાઝ જતી રહેશે.
  • નમાઝમાં સતર (નગ્નતા) ખૂલી જાય, ત્યારે એટલી વાર થોભવું કે ત્રણ વાર “સુબ્હાનલ્લાહ” કહી શકે (કેટલાક આલિમોના નજદીક એક રૂકન બરાબર થોભવું), તો નમાઝ તૂટી જશે. એનાથી ઓછી વારમાં નમાઝ ફાસિદ થશે નહીં.
  • નમાઝમાં પોતાના ઈમામથી આગળ વધી જઈ ઉભો રહેશે, તો નમાઝ તૂટી જશે.
  • નમાઝમાં એક સાથે બે સફ જેટલું ચાલવાથી નમાઝ તૂટી જશે. પરંતુ એક સફ જેટલું ચાલીને એક રૂકન થોભી, વળી એક સફ જેટલું ચાલે, તો નમાઝ તૂટશે નહીં. હદષ (વુઝૂ તૂટી જવું) વગેરે કારણે ચાલે તેના મસ્અલા અલગ છે.
  • સિજદહમાં પાછળથી બન્ને પગ જમીન ઉપરથી એકી સાથે ઉંચા લઈ લેવાથી નમાઝ તૂટી જાય છે.
  • નમાઝમાં કુર્‌આન મજીદ પઢવામાં એવી કોઈ મોટી ભૂલ કરવી કે, જેથી તેના અર્થમાં ફેરફાર થઈ જાય અથવા તેના ભાવાર્થનું રૂપ બદલાઈ જાય, તો નમાઝ ફાસિદ થઈ જશે.
  • નમાઝમાં ખડખડાટ હસવાથી નમાઝ અને વુઝૂ બન્ને તૂટી જાય છે. આ ઉપરાંત નમાઝ તોડનારી બીજી ચીજો પણ છે.
Log in or Register to save this content for later.