નમાઝના મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 87 to 94)
  • દરેક રક્‌અતમાં ધીમા અવાજે ‘બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ’પઢીને અલ્હમ્દુ શરીફ પઢે. અને જ્યારે સૂરત મેળવે ત્યારે પણ સૂરતથી પહેલાં બિસ્મિલ્લાહ પઢે. એ જ બેહતર છે.
  • ફર્ઝ નમાઝમાં પહેલી બે રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ પછી સૂરત પઢવી વાજિબ છે. જો ભૂલથી રહી જાય, તો ત્રીજી અને ચોથી રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ બાદ સૂરત મેળવીને નમાઝ પઢે અને સહ્‌વનો સિજદહ પણ કરે. જો જાણીબુઝીને એવું કર્યું તો નમાઝ ફરીથી પઢે.
  • ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ સાથે કોઈ સૂરત પઢી લીધી, તો નમાઝમાં જરા પણ નુકસાન નથી, નમાઝ સહીહ છે.
  • જો ફર્ઝની ત્રીજી અને ચોથી રક્‌અતમાં અલ્હમ્દુ શરીફ ન પઢી હોય અને ત્રણ વાર “સુબ્હાનલ્લાહ” કહે એટલી વાર એમ જ ઉભા રહ્યા હોય, ત્યારે પણ નમાઝ દુરૂસ્ત છે. પરંતુ અલ્હમ્દુ શરીફ પઢવી બેહતર છે.
  • જેવી રીતે કુર્‌આન શરીફમાં આગળ-પાછળ સૂરતો લખાયેલી છે, તે પ્રમાણે નમાઝમાં પઢવી જોઈએ. અમ્માના સિપારા પ્રમાણે પઢે નહીં. પહેલી રક્‌અતમાં જે કોઈ સૂરત પઢો, તો હવે બીજી રક્‌અતમાં તેના પછીની કોઈ સૂરત પઢે, તેના પહેલાંની પઢે નહિ. જેમકે પ્રથમ રક્‌અતમાં “કુલ યા અય્યુહલ કાફિરૂન” પઢી, તો હવે બીજી રક્‌અતમાં “ઈઝા જા-અ” અથવા “કુલહુ વલ્લાહુ અહદ” અથવા તો તે પછીની કોઈ સૂરત પઢે. પણ “અલમ્‌તર” કે “લિઈલાફિ” વિગેરે તેના ઉપરની સૂરત ન પઢે. એવી રીતે પઢવું મકરૂહ છે. અને જો ભૂલથી પઢાઈ જાય તો મકરૂહ નથી.
  • બીજી રક્‌અતોમાં પ્રથમ રક્‌અત કરતાં મોટી (લાંબી) સૂરત પઢે નહીં, મકરૂહ છે.
  • નમાઝમાં કોઈ ખાસ સૂરત મુકર્રર કરવી, એટલે કે હંમેશા તે જ સૂરત પઢ્યા કરે અને બીજી કોઈ સૂરત પઢે નહીં, એમ કરવું મકરૂહ છે.
  • જ્યારે કોઈ સૂરત શરૂ કરે, તો વગર જરૂરતે તેને છોડી બીજી સૂરત શરૂ કરવી મકરૂહ છે.
  • કુર્‌આન શરીફને સહીહ પઢવું વાજિબ છે. દરેક અક્ષરને ઠીક ઠીક પઢે. ‘હમઝા’ અને ‘ઐન’માં જે ફેર છે, એવી જ રીતે મોટી ‘હૈ’ અને ‘હે’માં, ‘ઝાલ’, ‘ઝે’, ‘ઝોય’ અને ‘દુવાદ’માં તેમજ ‘સીન’, ‘સુવાદ’ અને ‘સે’માં ઠીક રીતે ઉચ્ચાર કરીને પઢે. એક અક્ષરની જગ્યાએ બીજા અક્ષરને પઢે નહીં.
  • જો કોઈથી કોઈ અક્ષરનો ઉચ્ચાર સહીહ નીકળતો ન હોય, જેમકે ‘હૈ’ની જગ્યાએ ‘હે’ પઢે છે, અથવા ‘ઐન’ નીકળતો નથી કે ‘સે, સીન, સુવાદ’ દરેકને ‘સીન’ પઢે છે, તો સહીહ પઢવાની કોશિશ કરવી લાઝિમ છે. જો સહીહ પઢવાની મહેનત અને કોશિશ નહીં કરે, તો ગુનેહગાર થશે. અને તેની નમાઝ સહીહ થશે નહીં. પરંતુ જો મહેનત કરવા છતાં પણ ઠીક ઉચ્ચાર ન થાય તો લાચારી છે.
  • જો ‘ઐન, હૈ’ વિગેરે અક્ષરોનો ઉચ્ચાર ઠીક નીકળે છે, પણ એવી બેપરવાઈથી પઢે છે કે, ‘હૈ’ની જગ્યાએ ‘હે’, ‘ઐન’ની જગ્યાએ ‘હમ્ઝા’ પઢતો રહે છે, અને તેનો કાંઈ ખ્યાલ કરવામાં આવતો નથી, તો પણ ગુનેહગાર છે. નમાઝ સહીહ થતી નથી.
  • જો કોઈને બિલ્કુલ નમાઝ આવડતી ન હોય અથવા કોઈ નવો મુસલમાન થયો હોય, તો દરેક જગ્યાએ “સુબ્હાનલ્લાહ, સુબ્હાનલ્લાહ” વિગેરે પઢતો રહે, તો પણ ફર્ઝ અદા થઈ જશે, પરંતુ નમાઝ બરાબર પઢતાં શીખવું જોઈએ. જો નમાઝ શીખવામાં સુસ્તી અને લાપરવાહી કરશે, તો ગુનેહગાર થશે.
  • નિય્યત બાંધતી વખતે હાથ ઉઠાવવા સુન્નત છે. જો કોઈ હાથ ન ઉઠાવે, તો પણ નમાઝ દુરૂસ્ત છે, પણ સુન્નતની વિરૂદ્ધ છે. જો કોઈ રુકૂઅ પછી સારી રીતે ઉભો ન થયો અને જરા સરખુ માથુ ઉપાડી એમ જ સિજહદમાં ચાલ્યો ગયો (તો કવમહ અદા ન થયો, જેથી વાજિબ છૂટી ગયો), તો ફરીથી નમાઝ અદા કરે. જો ભૂલથી એમ થઈ ગયું તો સહ્‌વનો સિજદહ કરે.
  • જો બન્ને સિજદહ વચ્ચે જરા સરખુ માથુ ઉંચકીને બીજો સિજદહ કર્યો, તો એક જ સિજદહ થયો, બે સિજદહ અદા થયા નહીં (જેથી ફર્ઝ છૂટી ગયો), તેથી નમાઝ થઈ નહીં. અને જો બેસવાની લગભગ ઉઠે અને પુરૂ બેસે નહિં અને બીજો સિજદહ કરે (ત્યારે જલ્સો અદા ન થયો, જેથી વાજિબ છૂટી ગયો), તો ફરીથી નમાઝ પઢવી પડશે. અને જો ભૂલથી એમ થઈ ગયું તો સહ્‌વનો સિજદહ કરી લે.
  • સિજદહ કરતી વખતે નાક અને માથુ બન્ને જમીન ઉપર રાખવુ જોઈએ. માત્ર માથુ મૂકવાથી નમાઝ અદા થઈ જશે, પરંતુ મકરૂહ છે. જો માથુ જમીન પર ન ટેકવે અને માત્ર નાક જ જમીન પર મૂકે, તો નમાઝ થશે નહીં. જો કોઈ લાચારી હોય તો માત્ર નાક ટેકવવું પણ દુરૂસ્ત છે.
  • નમાઝ પઢનારની સામેથી કોઈ માણસ પસાર થવા માંગે, તો નમાઝ પઢવાની હાલતમાં તેને હાથથી રોકવું એટલે કે, તેને પસાર ન થવા દેવો જાઈઝ છે. એવી શરતે કે, તેને રોકવામાં અમલે કસીર ન થઈ જાય. અને જો અમલે કસીર થઈ જશે, તો નમાઝ તૂટી જશે.
  • ઉઘાડા માથે નમાઝ પઢવી મકરૂહ છે, પરંતુ અલ્લાહપાકની હુઝૂરમાં પોતાની આજીઝી અને ખાકસારી તેમજ પોતાને તદ્દન ઘટાડવાની નિય્યતથી ઉઘાડા માથે નમાઝ પઢે તો વાંધો નથી. તેમ છતાં આદત બનાવવી જોઈએ નહીં.
  • નમાઝ પઢવામાં ટોપી કે ફેંટો પડી જાય, તો તે જ હાલતમાં તેને ઉઠાવીને પહેરી લેવું બેહતર છે. પરંતુ જો તેને પહેરવામાં અમલે કસીરની જરૂર પડે, તો પહેરે નહીં.
  • કુરતો અથવા ખમીસની આસ્તીનો (બાંયો) ચઢાવી રાખી, કોહણી ખુલ્લી રાખી નમાઝ પઢવી મકરૂહ છે.
  • નમાઝમાં કોઈએ બૂટ-ચંપલ ઉપાડ્યા અને એ ડર છે કે, જો નમાઝ તોડશે નહીં તો તે લઈને નાસી જશે, તો એના માટે નમાઝ તોડવી દુરૂસ્ત છે.
  • નમાઝમાં પેશાબ-પાખાનાની સખ્ત હાજત થાય, તો નમાઝ તોડે અને એનાથી ફારિગ થયા પછી પઢે.
  • માં-બાપ, દાદા-દાદી અથવા નાના-નાની જો કોઈ મુસીબતના કારણે અવાજ આપે, તો ફર્ઝ નમાઝ તોડી દેવી વાજિબ છે. પરંતુ જો કોઈ જરૂરત વગર બોલાવે, ત્યારે ફર્ઝ નમાઝ તોડવી દુરૂસ્ત નથી.
  • નમાઝ પઢવામાં કોઈ એવી વાત બને કે, કોઈ ચીઝમાં બગાડ કે ખરાબ થવાનો અથવા તો ચાલી જવાનો કે ચોરાઈ જવાનો, મતલબ કે ચાર આના અથવા તેથી વધુ નુકસાન થવાનો ડર હોય ત્યારે નમાઝ તોડવી દુરૂસ્ત છે.
  • માં-બાપને હુકમ છે કે, ઔલાદ જ્યારે સાત વર્ષની થાય ત્યારે તેને નમાઝ પઢાવે. અને જો દસ વર્ષની થઈ જાય અને નમાઝ ન પઢે, તો મારીને પણ નમાઝ પઢાવે.
  • પેશાબ અથવા કોઈ નાપાકી શીશીમાં ભરીને ખિસ્સામાં મૂકી અને તે શીશી ખિસ્સામાં રાખીને નમાઝ પઢી, તો નમાઝ જાઈઝ થશે નહીં. (કિતાબુલ મસાઈલ : રપ૦)
  • નમાઝ પઢવાની હાલતમાં પોતે ચાલી શકે એવું નાનું બાળક, જેનું શરીર નાપાક છે અથવા કપડાં નાપાક છે, અને એવી હાલતમાં તે નમાઝ પઢતા માણસ ઉપર ચઢી જાય, તો નમાઝ ફાસિદ થશે નહીં. હા, જો તે બાળક પોતે ચાલી શકતું નથી અને કોઈ બીજી વ્યક્તિ તેને ઉઠાવીને નમાઝ પઢતી વ્યક્તિ ઉપર બેસાડી દે અને એના શરીર કે કપડાં પર નાપાકી છે, અને એ જ હાલતમાં નમાઝીએ એક રૂકન અદા કરી લીધો, તો નમાઝ ફાસિદ થઈ જશે. (કિતાબુલ મસાઈલ : રપ૧)
  • કોઈ માણસ એવા મુસલ્લા-સફ પર નમાઝ પઢે છે, જેનો એક ખૂણો નાપાક છે, પરંતુ નમાઝીની જગ્યા અને સિજદાની જગ્યા પાક છે, તો એના ઉપર નમાઝ દુરૂસ્ત છે.(કિતાબુલ મસાઈલ : રપ૧)
  • કોઈ માણસ એવી નાપાક ચાદર ઓઢીને નમાઝ પઢે, જેનો એક ખૂણો નાપાક છે અને રુકૂઅ-સજદા કરતી વખતે તે નાપાક ભાગ પણ હરકત કરે છે (હલે છે), તો એવી ચાદર ઓઢીને નમાઝ પઢવી દુરૂસ્ત નથી. હા, ચાદર એટલી લાંબી અને પહોળી છે કે એને ઓઢીને નમાઝ પઢે તો નમાઝીની હરકતોથી નાપાક ભાગ હરકતમાં ન આવે (ન હલે), તો નમાઝ થઈ જશે. (રપ૧)
  • જો નાપાક જમીન સૂકાઈ જાય અને એના ઉપર નાપાકીની અસર કે ગંધ ન આવે, તો એના ઉપર નમાઝ પઢવી જાઈઝ છે, પરંતુ એ જગ્યા પર તયમ્મુમ દુરૂસ્ત નથી. (કિતાબુલ મસાઈલ : રપ૧-રપર)
  • નાપાક લીલી જગ્યા પર અથવા નાપાક સૂકી જમીન પર એવું જાડુ કપડું, ચટાઈ કે પ્લાસ્ટીક પાંથરીને નમાઝ પઢે, જેનાથી જમીનની નાપાકી કપડાં કે ચટાઈની ઉપર ખબર ન પડે, તો નમાઝ થઈ જશે. (કિતાબુલ મસાઈલ : રપર)
  • સફર દરમિયાન માણસ પાસે મુસલ્લો કે પાક કપડું ન હોય તો ફોટા વગરનું સમાચારપત્ર બિછાવીને નમાઝ પઢવી દુરૂસ્ત છે. (કિતાબુલ મસાઈલ : રપર)
  • જમીનને પહેલાં છાણથી લીપી ત્યાર બાદ એના ઉપર પાક માટી એટલી માત્રામાં લીપી કે ગોબર, છાણ ઢંકાઈ ગયું અને એની વાસ જણાય આવતી નથી, તો એ જગ્યા પર નમાઝ પઢવી જાઈઝ છે. અને જો છાણની વાસ આવતી હોય, તો ત્યાં કોઈ પાક કપડુ, ચટાઈ વગેરે પાથર્યા વગર નમાઝ થશે નહીં. (કિતાબુલ મસાઈલ : રપ૩)
  • જમીન નાપાક હોય અને બુટ-ચપ્પલનો ઉપરનો ભાગ પાક હોય તો બુટ-ચપ્પલ કાઢી એના ઉપર ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવી દુરૂસ્ત છે. (કિતાબુલ મસાઈલ : રપ૩)
  • મસ્જિદથી અડીને શૌચાલય અને સ્નાનગૃહ (ટોયલેટ, બાથરૂમ) બનાવ્યું હોય અને જરૂરતના સમયે તેના ઉપર સફ બનાવીને નમાઝ પઢી, તો નમાઝ થઈ જશે. (કિતાબુલ ફતાવા : ૧પ૯/ર)
  • નમાઝ સહીહ થવા માટે કોઈ ખાસ પ્રકારનું પહેરણ (લિબાસ) શર્ત નથી, એવા દરેક પહેરણમાં નમાઝ થઈ જશે જેનાથી સતર (છૂપાવવાના અંગો) ઢંકાઈ જાય. હા, જે પેન્ટ, લેંઘો, લૂંગી વગેરે ઘુંટીથી નીચે હોય અથવા એવું પહેરણ પહેર્યું હોય, જેમાં બીજી કોઈ કૌમ (ગેરમુસ્લિમ)ની નકલ થઈ જાય છે, તો એવા કપડાંમાં નમાઝ મકરૂહ છે. (ફતાવા ઉસ્માની : ૪૦૬/૧)
  • મક્કા-મદીનાની છાપવાળા એવા મુસલ્લા જેના ઉપર કોઈ સજીવનો ફોટો ન હોય અથવા ફોટો એવો છે કે બહુ ખબર પડતી નથી, તો વાંધો નથી. પરંતુ એનાથી નમાઝીનું ધ્યાન હટી જાય છે એટલે આવા ફોટાવાળા મુસલ્લા નમાઝી સામે ન હોય તો ઘણું હિતાવહ છે. (કિતાબુલ ફતાવા : ર૩ર/ર)
  • નમાઝમાં ઓળખપત્ર ખિસ્સામાંથી નીચે પડી ગયો અને સિજદાની જગ્યા પર નથી, તો વાંધો નથી. જો થોડી અમથી હરકતથી ઉઠાવી શકાતો હોય તો ઉઠાવી લે, નહીં તો એ જ હાલતમાં પડી રહેવા દે અને નમાઝ પૂરી કરે. પરંતુ જો સિજદો કરવાની જગ્યાએ હોય તો જરૂર ઉઠાવી લેવો જોઈએ. કારણ કે એમાં ફોટાને સિજદો કરવાનો વહેમ થાય છે. (કિતાબુલ ફતાવા : ર૩૩/ર)
  • આજકાલ મસ્જિદોમાં ઈમામો માટે માઈક્રોફોન, માઈક સિસ્ટમ પ્રચલિત છે. જેમાં માઈક છાતી પર ચોંટાડી દેવામાં આવે છે. નમાજ પઢતાં પઢતાં એ માઈકને બંધ કરવું અથવા કાઢી નાખવું નમાઝમાં મોટું કાર્ય (અમલે કસીર) નથી. અને જો માઈક ખરાબ થઈ જવાના લઈ ઘોંઘાટ જેવો અવાજ આવતો હોય તો એવા સમયે નમાઝમાં જ ઈમામ સાહેબે બંધ કરી દેવું અથવા છાતી પરથી હટાવી દેવું ફાયદાકારક અને ઉત્તમ છે. નહીંતર ધ્યાન પણ હટી જશે અને નમાઝમાં અડચણ ઉભી કરશે. (કિતાબુલ ફતાવા : ર૪ર/ર)
  • ટાઈનો હેતુ શું છે ? અમૂક લોકો કહે છે કે, ટાઈ ક્રોસ (ઈસાઈ લોકોનું એક ધાર્મિક ચિહ્ન)ની જગ્યાએ પહેરવામાં આવે છે. જો ટાઈનો હેતુ આ જ હોય તો ખરેખર તે પહેરવી દુરૂસ્ત નથી. બીજા અમૂક લોકોનું કહેવું છે કે, તેનો ઉપયોગ બટન છૂપાવવા માટે છે, જેની શરૂઆત હિટલરે કરી છે. તો આ હેતુના કારણે નાજાઈઝ તથા હરામ કહેવું તો દુરૂસ્ત નથી, પરંતુ નમાઝમાં અને નમાઝની બહાર પણ એનાથી બચવું બેહતર છે. (કિતાબુલ ફતાવા : ર૧૪/ર)
  • ઈનશર્ટ કરવાને કારણે કમરની નીચેનો ભાગ સાફ ઉપસી આવે છે. જેના કારણે એક રીતે બેપરદા થઈ જવાય છે. એટલે નમાઝની બહાર પણ ઈનશર્ટ કરવાથી બચવું જોઈએ. અને પેન્ટ જ પહેરવું હોય તો થોડું ઢીલું રાખે અને ખમીસ કે શર્ટ નીચેના ભાગેથી લંબાઈમાં હોય. નમાઝની હાલતમાં સતર (છૂપાવવાના અવયવો) તરફ ઘણું ધ્યાન આપવામાં આવે છે. (કિતાબુલ ફતાવા : ર૨૮-રર૯/ર)

નોંધ : ચુસ્ત પેન્ટ અને શોર્ટ શર્ટ પહેરીને નમાઝ પઢતી વખતે સિજદહ તથા રૂકૂઅમાં સતરનો ભાગ દેખાવાનો કે ખૂલી જવાનો ભય છે. જેથી શર્ટ પણ લંબાઈમાં પહેરવો જોઈએ.

  • આઈડેન્ટીટી કાર્ડ, બસ પાસ (કે એવી જરૂરી વસ્તુ) જેના ઉપર ફોટો હોય છે, એની સાચવણી માટે અમૂક વેળા ખિસ્સામાં પણ મૂકવું પડે છે. એટલે આવી વસ્તુઓ ખિસ્સામાં મૂકીને, પગના નીચે દબાવીને અથવા કપડામાં વીંટીને નમાઝ પઢવાથી નમાઝ મકરૂહ થશે નહીં. (કિતાબુલ ફતાવા : રર૦/ર)
  • મુસલ્લાઓ પર આજકાલ હરમૈન શરીફૈનની છાપનો રિવાજ પ્રચલિત છે. આવા મુસલ્લા પર ઉભા રહેવામાં એ બરકતવંત જગાનું અપમાન કે અનાદર નથી. તેમ છતાં મુસલ્લાઓ ઉપર આવી બરકતવંત જગાઓની છાપ યથાયોગ્ય નથી. (કિતાબુલ ફતાવા : ર૩૩/ર)
Log in or Register to save this content for later.