Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 209 to 212)
ઇસ્લામની તઅલીમમાં દુઆ માટે પણ ખાસ શિક્ષણ આપવામાં આવ્યું છે અને તાકીદ કરવામાં આવી છે.
કુર્આન શરીફમાં ઈર્શાદ છે : “વ કાલ રબ્બુકુ મુદઉની અસ્તજીબ લકુમ.” (પારહ-ર૪)
અર્થ : અને તમારા પરવરદિગારે ફરમાવ્યું કે, મારાથી દુઆ માંગો, હું કબૂલ કરીશ.
બીજી જગ્યાએ ઈર્શાદ છે : “વ ઈઝા સઅલક ઈબાદી અન્ની ફઈન્ની કરીબ, ઉજીબુ દઅવતદ દાઈ ઈઝા દઆની.” (પારહ-ર)
અર્થ : અને (હે રસૂલ !) જ્યારે તમારાથી મારા બંદા મારા સબંધી પૂછે છે (તેમને બતાવો કે), હું તેઓથી નજીક જ છું. કોઈ પુકારનાર જ્યારે મને પુકારે છે, તો તેની પુકાર સાંભળું છું.
રસૂલુલ્લાહ (સલ.)એ અમને એ પણ બતાવ્યું છે કે, પોતાની ઝરૂરતોને અલ્લાહ તઆલાથી માંગવી અને દુઆ કરવી ઘણા ઉંચા દરજ્જાની ઈબાદત છે.
હદીષ શરીફમાં છે કે, “દુઆ ઈબાદત છે.” બીજી રિવાયતમાં છે : “દુઆ ઈબાદતનું મગજ છે.” (તિરમિઝી શરીફ) અલ્લાહપાકને ત્યાં દુઆથી અધિક કોઈ વસ્તુનો દરજો નથી. (તિરમિઝી શરીફ) “દુઆ મુઅ્મિનનું હથિયાર છે, દીનનો સ્થંભ છે, આસ્માન અને જમીનનું નૂર છે.” (હાકિમ)
અલ્લાહ તઆલા કરીમ પણ છે અને એની આંખમાં હયા પણ છે. જ્યારે કોઈ બંદો એની સામે હાથ લંબાવે છે, તો એ બંદાના હાથ ખાલી ફેરવતાં એને શરમ આવે છે. (અબૂ દાઉદ)
અલ્લાહપાક તે માણસથી નારાજ થાય છે, જે પોતાની હાજતો તેની પાસે માંગે નહીં. એક હદીષ શરીફમાં છે કે, “અલ્લાહ તઆલા તે બંદા પર નારાજ થાય છે, જે પોતાની હાજતો અને જરૂરતો તેની પાસે માંગતો નથી.”(તિરમિઝી શરીફ)
સુબ્હાનલ્લાહ ! દુનિયામાં જો કોઈ માણસ પોતાના કોઈ ખાસ મિત્રથી અથવા પોતાના કોઈ સગા-વહાલાથી પણ વારંવાર પોતાની જરૂરતોનો સવાલ કર્યા કરે, તો તેનાથી અકળાઈને ગુસ્સે થઈ જાય છે. પરંતુ અલ્લાહપાક પોતાના બંદાઓ પર એવો મહેરબાન છે કે, તે ન માંગવાથી ગુસ્સે થઈ જાય છે, અને નારાજ થાય છે.
એક હદીષ શરીફમાં છે કે, “જે માણસના માટે દુઆના દરવાજા ખુલી ગયા (એટલે કે અલ્લાહપાક તરફથી તેને દુઆ માંગવાની તવફીક મળી અને દુઆ કરવાનું જેને નસીબ થયું), તો તેના માટે અલ્લાહપાકની રહમતના દરવાજા ખુલી ગયા.” (તિરમિઝી શરીફ)
સારાંશ કે, કોઈ હાજત અને હેતુ માટે અલ્લાહ તઆલાથી દુઆ કરવી, જેવી રીતે તે હાજતને હાસિલ કરવાની એક યુક્તિ છે, તેવી જ રીતે એ ઉત્તમ દરજ્જાની ઈબાદત પણ છે. જેથી અલ્લાહ તઆલા ઘણો રાજી અને ખુશ થાય છે. અને એના કારણે રહમતના દરવાજા ઉઘાડી આપે છે. આ સ્થિતિ દરેક દુઆની છે. ચાહે તે કોઈ દીની હેતુના માટે કરવામાં આવે અથવા કોઈ દુન્યવી જરૂરતના માટે. પરંતુ શર્ત એ છે કે, કોઈ બૂરા અથવા નાજાઈઝ કામ માટે ન હોય. નાજાઈઝ કામ માટે દુઆ કરવું પણ નાજાઈઝ અને ગુનોહ છે.
અત્રે એક વાત એ પણ યાદ રાખવાની છે કે, દુઆ જેટલી પણ અંતરની ઉંડાણથી અને પોતાને એટલા પ્રમાણમાં લાચાર અને નિર્બળ સમજીને તથા અલ્લાહપાકની કુદરત અને રહમતને જેટલા યકીન સાથે કરવામાં આવશે, તેટલા જ પ્રમાણમાં તેની દુઆ કબૂલ થવાની વધારે આશા રહેશે. અને જે દુઆ દિલથી ન કરવામાં આવે, બલ્કે રસ્મ-રિવાજ તરીકે માત્ર જીભ વડે કરવામાં આવે, તો તે ખરી રીતે દુઆ જ નથી.
હદીષ શરીફમાં છે કે, “અલ્લાહપાક એવી દુઆ કબૂલ કરતો નથી, જે દિલની ગફલતની સાથે કરવામાં આવે.” (તિરમિઝી શરીફ)
જો કે અલ્લાહ તઆલા દરેક વખતની દુઆ સાંભળે છે, પરંતુ હદીષોથી જણાય છે કે, અમુક ખાસ સમયમાં દુઆ વિશેષ કબૂલ થાય છે. જેમકે ફર્ઝ નમાઝ પછી, રાતના પાછલા ભાગમાં, રોઝા ઈફતાર કરતી વેળા, જુમ્આના દિવસે, વિગેરે.
આ પણ યાદ રાખવું જોઈએ કે, દુઆ કબૂલ થવા માટે માણસનું પરહેઝગાર હોવુ શર્ત નથી. જો કે એ વાત નિઃસંદેહ છે કે, અલ્લાહ તઆલા નેક અને મકબૂલ બંદાઓની દુઆ વધારે કબૂલ કરે છે, પરંતુ એવુ પણ નથી કે, સામાન્ય લોકો અને ગુનેહગારોની દુઆ સાંભળવામાં જ ન આવે. એટલા માટે કોઈ એમ સમજીને કે, અમારા જેવા ગુનેહગારોની દુઆથી શું થશે ? કૃપાળુ અને માયાળુ અલ્લાહપાક જેવી રીતે પોતાના ગુનેહગાર બંદાઓને ખવડાવે-પિવડાવે છે, તેવી જ રીતે તેની દુઆઓ પણ સાંભળે છે. માટે દરેકે અલ્લાહ તઆલાથી દુઆ માંગવી જ જોઈએ.
વળી, જો અમુક વખત દુઆ કરવાથી મતલબ પુરો ન થાય, તો પણ નિરાશ અને નાઉમ્મીદ થઈને દુઆ ત્યજી (છોડી) દેવી જોઈએ નહીં. અલ્લાહ તઆલા આપણી ઈચ્છાનો પાબંદ નથી. કદી કદી તેની હિકમતનો તકાઝો એ જ હોય છે કે, દુઆ મોડી કબૂલ કરવામાં આવે. અને બંદાની બેહતરી પણ તેમાં જ હોય છે. પરંતુ બંદો પોતાની અજ્ઞાનતાથી તેને જાણતો નથી, તેથી ઉતાવળીયો બને છે અને નિરાશ થઈને દુઆ કરવાનું છોડી દે છે. સારાંશ કે, બંદાને જોઈએ કે, પોતાની જરૂરતો અને પોતાના હેતુઓ માટે અલ્લાહપાકથી દુઆ માંગ્યા જ કરે. કોણ જાણે અલ્લાહપાક ક્યા દિવસે અને કઈ ઘડીએ સાંભળી લે. અને પુરેપૂરૂ યકીન રાખવું જોઈએ કે, દુઆ કદી પણ અકારત જવાની નથી.
બને ત્યાં સુધી દુઆ એવા સારા શબ્દોમાં કરવી જોઈએ, જેનાથી પોતાની નમ્રતા અને લાચારી તથા અલ્લાહપાકની મહત્તા, મોટાઈ જાહેર થાય. કુર્આન શરીફમાં ઘણી દુઆઓ બતાવવામાં આવી છે. એ ઉપરાંત હદીષોમાં પણ રસૂલુલ્લાહ (સલ.)ની સેંકડો દુઆઓ આવી છે. સૌથી સારી દુઆઓ એ જ છે, જે કુર્આન શરીફ અને હદીષ શરીફમાં આવી છે. તે પૈકી અમૂક ટૂંકી અને જામેઅ (ખૂબ વિસ્તૃત) દુઆઓ આ કિતાબની છેવટમાં આપી છે.
Log in or Register to save this content for later.