પાંચ વખતની નમાઝ પઢવાની રક્‌અતો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 72 to 74)

ફજરની નમાઝ : પ્રથમ બે રક્‌અત સુન્નતે મુઅક્કદહ

પછી બે રક્‌અત ફર્ઝ

ઝોહરની નમાઝ : પ્રથમ ચાર રક્‌અત સુન્નતે મુઅક્કદહ

પછી ચાર રક્‌અત ફર્ઝ

તે પછી બે રક્‌અત સુન્નતે મુઅક્કદહ

તે પછી બે રક્‌અત નફલ

અસરની નમાઝ : પ્રથમ ચાર રક્‌અત સુન્નત મુસ્તહબ

પછી ચાર રક્‌અત ફર્ઝ

મગરિબની નમાઝ : પ્રથમ ત્રણ રક્‌અત ફર્ઝ

પછી બે રક્‌અત સુન્નતે મુઅક્કદહ

પછી બે રક્‌અત નફલ

ઈશાંની નમાઝ : પ્રથમ ચાર રક્‌અત સુન્નત મુસ્તહબ

પછી ચાર રક્‌અત ફર્ઝ

તે પછી બે રક્‌અત સુન્નતે મુઅક્કદહ

તે પછી બે રક્‌અત નફલ

તે પછી ત્રણ રક્‌અત વિત્ર વાજિબ

તે પછી બે રક્‌અત નફલ

જુમ્આની નમાઝ : પ્રથમ ચાર રક્‌અત સુન્નતે મુઅક્કદહ

પછી બે રક્‌અત ફર્ઝ (જમાઅત સાથે)

તે પછી ચાર રક્‌અત સુન્નતે મુઅક્કદહ

તે પછી બે રક્‌અત સુન્નત મુસ્તહબ

તે પછી બે રક્‌અત નફલ

આવી રીતે પાંચ વખતની નમાઝમાં સત્તર રક્‌અત નમાઝ ફર્ઝ છે, અને ત્રણ રક્‌અત નમાઝ વિત્ર વાજિબ. તે ફર્ઝની બરાબર છે. તે પઢવી જરૂરી છે. આમાંથી કોઈપણ નમાઝ છોડવાથી સખ્ત ગુનાહ અને અઝાબને પાત્ર ઠરશે.

બાલિગ થવાથી લઈને અત્યાર સુધીમાં કોઈ નમાઝ પઢવી છૂટી (બાકી) ગયેલી હોય, તો તેની કઝા પઢવી જરૂરી છે.

જેટલા દિવસની નમાઝ કઝા બાકી હોય, ઉપર મુજબ ફર્ઝ અને વિત્રની જ કઝા કરવી પડશે. જલ્દીથી કોશિશ કરી નમાઝ પઢી

લેવી જોઈએ.

એવી જ રીતે પાંચ વખતની નમાઝમાં બાર રક્‌અત સુન્નત નમાઝ “મુઅક્કદહ” એટલે કે તે પઢવી જરૂરી છે. અને આ નમાઝ માટે હદીષ શરીફમાં પઢવાની તાકીદ છે. આ નમાઝને વગર કારણે છોડવાથી ગુનોહ થશે. “મુસ્તહબ” સુન્નતો પઢવાથી ઘણો સવાબ મળે છે, અને ન પઢવાથી કશો ગુનોહ નથી.

નફલ નમાઝ ઉભા રહીને પઢવાથી પુરો સવાબ મળે છે, અને બેસીને પઢવાથી અડધો સવાબ મળે છે.

હદીષ શરીફમાં ફજરની બે રક્‌અત સુન્નતની ઘણી તાકીદ આવેલી છે. જેથી ફજરની નમાઝ માટે કોઈ દિવસ મોડું થઈ જાય અથવા તો આખર વખત હોય, અથવા તો જમાઅતમાં શામેલ થવામાં એક રક્‌અત પણ મળી શકે તેમ ન હોય (જમાઅતની એક રક્‌અત મળી શકે તેમ હોય તો પ્રથમ સુન્નત પઢી લે), તો ફર્ઝ પઢી લે. અને જ્યારે સૂર્ય નીકળી થોડો ઉંચે આવે ત્યારે બે રક્‌અત સુન્નતની કઝા પઢવી જરૂરી છે. તેવી જ રીતે ફજરની નમાઝ કઝા થઈ જાય ત્યારે ઝવાલ પહેલાં સુન્નત અને ફર્ઝ નમાઝની કઝા પઢવી પડશે.

એવી રીતે ઈશાંની નમાઝ કઝા થઈ ગઈ હોય તો ઈશાંની નમાઝ કઝા પઢવામાં ચાર રકાત ફર્ઝ સાથે વિત્રની પણ કઝા પઢવી જરૂરી છે.

રમઝાનુલ મુબારકમાં ઈશાંની નમાઝ પછી વીસ (૨૦) રક્‌અત તરાવીહ “સુન્નતે મુઅક્કદહ” છે.

બન્ને ઈદના દિવસે બબ્બે રક્‌અત નમાઝ પઢવી વાજિબ છે.

આ ઉપરાંત રોજની નફલ નમાઝો પણ છે. જેના પઢવાની ઘણી ફઝીલત હદીષ શરીફમાં બયાન થઈ છે. જેવી કે, ઈશ્રાક, ચાશ્ત, અવ્વાબીન, તહજ્જુદ વિગેરે. જેનું બયાન નફલ નમાઝમાં આવશે, ઈન્શાઅલ્લાહ.

Log in or Register to save this content for later.