Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 191 to 196)
- ઈન્તિકાલ પછી બની શકે એટલુ વહેલા દફનાવવાની કોશિશ કરવી જોઈએ. આજકાલ સગા-વ્હાલાઓની રાહ જોવામાં સવારની સાંજ અને સાંજની સવાર કરવામાં આવે છે. આ રીતે રાહ જોઈને મોડું કરી મય્યિતને રોકી રાખવી બેહતર નથી. (કિતાબુલ ફતાવા : ૧૪૦/૩)
- આજકાલ ગુસ્સામાં લોકો પોતાની ઔલાદ અથવા કોઈક વ્યક્તિને એમ કહે છે : “મારા પરવા પછી મારી મય્યિત પર આવતો નહીં” અથવા “મારા જનાઝાને અડતો નહીં” તો આ બધા ગુસ્સાના શબ્દો છે. એનો કોઈ એતેબાર કરવામાં આવશે નહીં. એના જનાઝાની નમાઝમાં શરીક થવું જોઈએ. બલ્કે એના માટે ખાસ દુઆ કરવી જોઈએ, જેથી એની જીંદગીમાં આ વ્યક્તિથી કોઈ તકલીફ પહોંચી હોય તો બની શકે છે કે એના મૃત્યુ બાદ આ વ્યક્તિના દુઆનો અમલ કંઈક અંશે એને મિટાવી દે. (કિતાબુલ ફતાવા : ૧૪ર/૩)
- સૌથી સારી વાત એ છે કે, મય્યિતને એના નજીકના સગા-વ્હાલા ગુસલ આપે. હા, જો સગા-વ્હાલા ગુસલની રીત (પધ્ધતિ)થી વાકેફ (જાણકાર) ન હોય, તો પછી કોઈ બીજો માણસ પણ ગુસલ આપી શકે છે, જે દીનદાર અને મસ્અલાઓથી વાકેફ હોય. બેહતર એ છે કે, ગુસલ આપનાર વુઝૂની હાલતમાં હોય. (કિતાબુલ મસાઈલ : પ૪૬)
- ગુસલ આપવાવાળો પોતાની નજીક કોઈ ખુશ્બૂ (અગરબત્તી) મૂકે. જે જગ્યાએ ગુસલ આપવામાં આવે ત્યાં પરદો કરે. ગુસલ આપવાવાળો અને તેને મદદ કરનાર સિવાય વધારાના માણસો બિલ્કુલ ન હોવા જોઈએ. મય્યિતના વાળમાં કાંસકી ન કરવામાં આવે, નખ પણ કાપવામાં ન આવે અને વાળ પણ કાપવામાં ન આવે. (કિતાબુલ મસાઈલ : પ૪૯)
- મય્યિતને ઈસ્તિન્જો હાથીયા પહેરીને કરાવવો જરૂરી છે. (કિતાબુલ મસાઈલ : પપ૧)
- બુટ-ચપ્પલ પહેરીને અથવા કાઢીને એના ઉપર પગ મૂકીને નમાઝ પઢવામાં બુટ-ચપ્પલનું પાક હોવું જરૂરી છે. બુટ-ચપ્પલ પાક હશે, તો નમાઝ થઈ જશે. નહીંતર નમાઝ સહીહ થશે નહીં. (ફતાવા રહીમિય્યહ : પ૦૦/૩)
- નમાઝ પઢાવનાર નેક, દીનદાર છે, પરંતુ તે ઉભો રહી શકતો નથી, તો જો તે બેસીને નમાઝ પઢાવશે, તો પણ નમાઝ સહીહ થઈ જશે. (ફતાવા રહીમિય્યહ : પર૩/૩)
- જનાઝાને ખામોશીથી લઈ જવાનો હુકમ છે. હદીષ શરીફમાં છે કે, જનાઝો લઈ જતી વખતે ખામોશ અને ચૂપચાપ રહેવું અલ્લાહ તઆલાને ખૂબ પસંદ છે. એટલા માટે કલિમહ વગેરે જોરથી પઢવામાં ન આવે. આહિસ્તા અને ધીમા અવાજે (દિલમાં) પઢે તો જાઈઝ છે, નહીંતર મકરૂહ છે. (ફતાવા રહીમિય્યહ : પ૩૬/૩)
- અમૂક લોકો કફન પર પણ અત્તર લગાવે છે, જે સહીહ નથી. અત્તર મય્યિતના માથા અને દાઢી પર અને કપૂર ફક્ત મય્યિતના સિજદાના અવયવો પર લગાવવાનો હુકમ છે. (કિતાબુલ મસાઈલ : પપ૮)
- જનાઝા પર આયતુલ કુર્સી અથવા યાસીન શરીફ લખેલી ચાદર નાખવી એહતેરામની વિરૂદ્ધ અને નાજાઈઝ છે. (કિતાબુલ મસાઈલ : પપ૮)
- જનાઝાની નમાઝ વખતે જનાઝો ઉલટો મૂકાય જાય એટલે કે જે બાજુ પગ હોવા જોઈએ એ બાજુ માથુ અને જે બાજુ માથુ હોવું જોઈએ એ બાજુ પગવાળો ભાગ મૂકાય જાય, તો હવે જ્યારે જનાઝાની નમાઝ પઢી લીધા પછી ખબર પડે તો કોઈ વાંધો નથી. નમાઝ ફરી પઢવાની જરૂરત નથી. હા, જાણી જોઈને આમ કરવું મકરૂહ છે. (ફતાવા રહીમિય્યહ : ૪૯૩/૩)
- મય્યિતને સુન્નત તરીકા મુજબ અત્તર અને કપૂર લગાવવામાં આવે, સૂરમો લગાવવામાં ન આવે. (ફતાવા રહીમિય્યહ : પ૪૩/૩)
- સ્ત્રીનો ઈન્તિકાલ થઈ જાય અને તેનો પતિ હયાત હોય તો સ્ત્રીના કફનની જવાબદારી પતિના શિરે છે. અને જો પતિ હયાત ન હોય, તો સ્ત્રીએ છોડેલ માલ-મિલ્કતમાંથી કફન આપવામાં આવે. આજકાલના રિવાજ પ્રમાણે સ્ત્રીના કફનની જવાબદારી એના માં-બાપ કે ભાઈઓ વગેરે ઉપર નથી. (ફતાવા રહીમિય્યહ : પ૪૪/૩)
- કબર ઉપર નામની તખ્તી વગેરેથી મર્હુમને કોઈ ફાયદો કે સવાબ નથી. સવાબ અને મય્યિતનો ફાયદો એમાં છે કે, પોતાની યથાશક્તિ મુજબ ગરીબોની મદદ કરે અથવા લોકહિત (રિફાહે આમ)નું કોઈ કામ કરવામાં આવે. (ફતાવા રહીમિય્યહ : પ૪પ/૩)
- હઝરત અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, હુઝૂર (સલ.)એ ફરમાવ્યું : જેણે મસ્જિદમાં જનાઝાની નમાઝ પઢી, એના માટે કોઈ સવાબ નથી. એટલા જ માટે ઈમામ અબૂ હનીફા (રહ.) અને મોટાભાગના ફકીહોના મંતવ્ય મુજબ મસ્જિદમાં જનાઝાની નમાઝ પઢવી બેહતર નથી. અને વગર કારણે પઢવી મકરૂહ છે.
મસ્જિદનું સહેન ખાસ નમાઝ પઢવા માટે જ બનાવ્યું હોય અને એ ભાગનો પણ મસ્જિદની જેમ જ અદબ-એહતેરામ થતો હોય તો પછી એનો હુકમ પણ મસ્જિદની જેમ જ છે. જેથી સહેનમાં નમાઝ પઢવી પણ બેહતર નથી.
હા, જો મસ્જિદની બહાર એટલી જગ્યા ન હોય કે ત્યાં જનાઝાની નમાઝ અદા કરી શકે, તો પછી જરૂરતના કારણે મસ્જિદમાં પણ અદા કરી શકાય છે. (કિતાબુલ ફતાવા : ૧૬પ/૩)
- હજ્જ અને ઉમરહ માટે લોકો સઊદી જાય છે, તો મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં ફર્ઝ નમાઝો પછી મોટે ભાગે જનાઝાની નમાઝ પણ થાય છે. અને તેમાં ઈમામ સાહેબ એક જ સલામ ફેરવે છે. તો તેમના અનુકરણ (ઈક્તેદા)માં આપણે પણ એક જ સલામ ફેરવીએ તો એની ગુંજાઈશ છે. તેમ છતાં આપણે બીજી સલામ પણ ફેરવી લેવી જોઈએ. (કિતાબુલ ફતાવા : ૧૭૪/૩)
- મય્યિતને ગુસલ આપ્યા બાદ કોઈ જગ્યાએ લોહી નીકળે, તો ફરીવાર ગુસલ આપવાનું નથી. ફક્ત લોહી સાફ કરી લેવું કાફી થઈ જશે. અને એ જગ્યા પર રૂ મૂકી દેવામાં પણ વાંધો નથી. (ફતાવા ઉસ્માની : ૬૧૭-૬૧૮/૧)
- કોઈ વ્યક્તિ અકસ્માતે આગમાં બળીને ભથ્થુ (કોલસો) થઈ ગયો, તો એને ન ગુસલ આપવામાં આવે, ન નમાઝ પઢવામાં આવે. એને કોઈ પાક કપડામાં લપેટીને દફન કરી દેવામાં આવે. (કિતાબુલ મસાઈલ : પ૬૦)
- કોઈ બિલ્ડીંગ પડી જવાના કારણે અથવા ધરતીકંપના કારણે કોઈ માણસ કાટમાળમાં દબાય જાય અને ઘણા પ્રયત્નો પછી પણ તેને જીવતો ન કાઢી શકાયો, તો જ્યાં સુધી પાકુ યકીન હોય કે લાશ ફુલીને ફાટી નહીં હોય, ત્યાં સુધી ઉપરથી એની જનાઝાની નમાઝ પઢી શકાય છે. (કિતાબુલ મસાઈલ : પ૬૧)
- ઉઝર (કારણ) વગર સવારી પર જનાઝો લઈ જવો મકરૂહ છે. પરંતુ જો કોઈ ઉઝર હોય, દા.ત. કબ્રસ્તાન દૂર હોય, તો જનાઝો સવારી પર લઈ જવાની ગુંજાઈશ છે. (કિતાબુલ મસાઈલ : પ૬પ)
- જો કોઈ માણસને જનાઝાની નમાઝની દુઆ યાદ ન હોય તો ફક્ત “અલ્લાહુમ્મગ ફિરલના વલિવાલિદયના વલહુ વલિલ મુઅમિનીન વલ મુઅમિનાત” પઢતો રહે. અને એ પણ યાદ ન હોય તો ફક્ત ચાર તકબીર કહેવાથી નમાઝ થઈ જાય છે. (કિતાબુલ ફતાવા : પ૭૪)
- જનાઝાની નમાઝના ફર્ઝ બે છે : (૧) જેમાં કિયામની (ઉભા રહેવાની) તાકાત છે, તેમણે કિયામ કરવો. (ર) ચાર તકબીરો કહેવી. આ બે ફર્ઝ અદા કરવા દરેકના માટે આસાન છે. એમાં કોઈ તકલીફ નથી. એટલે દુઆ આવડતી નથી અથવા કોઈ બીજુ બહાનું કાઢી નમાઝથી દૂર રહેવું ન જોઈએ. (કિતાબુલ મસાઈલ : પ૬૯)
- ઈદગાહમાં જનાઝાની નમાઝ પઢવી દુરૂસ્ત છે, મકરૂહ નથી. (કિતાબુલ મસાઈલ : પ૭૬)
- અમૂક લોકો મરનારનો ફોટો અથવા અવાજ (મોબાઈલ કે ટેપ રેકોર્ડર વગેરેમાં) સાચવીને રાખે છે. તો યાદ રહે કે ફોટો લેવો હરામ છે. મૃત્યુ બાદ પણ કોઈ માણસને ગુનાહનો ઝરીયો અને માધ્યમ બનાવવું અન્યાયી (જુલ્મ) છે. આ કૃત્ય બિલ્કુલ જાઈઝ નથી. બની શકે છે કે, મૃત્યુ બાદ ફોટો લેવાનો ગુનોહ ઘણો મોટો હોય અને ટેપરેકોર્ડર વગેરેમાં અવાજ સાચવી રાખવામાં કોઈ વાંધો નથી. (કિતાબુલ ફતાવા : ર૪૯/૩)
- જમીન એકદમ નરમ હોય અથવા પાણીનું ઝરણું હોય, તો મય્યિતને તાબૂતમાં મૂકીને દફન કરી શકાય છે. ચાહે તાબૂત લાકડાનું હોય, પથ્થરનું હોય કે લોખંડનું હોય. અને તાબૂતમાં નીચે થોડી માટી પાંથરી દેવામાં આવે. (કિતાબુલ મસાઈલ : પ૮૬)
- કબરમાં મય્યિતની સાથે “અહદનામુ” મૂકવું, જેમાં કલિમએ તય્યિબહ અને કુર્આન શરીફની આયતો વગેરે લખવામાં આવે છે, તે જાઈઝ નથી. એમાં અલ્લાહ તઆલાના મુબારક નામની બેઈઝઝતી થાય છે. એ જ રીતે લખેલું કફન પણ મય્યિતને પહેરાવવું દુરૂસ્ત નથી.
- એવી વસિય્યત કે ફલાણો મને ગુસલ આપે, ફલાણો દફન કરે, ફલાણો જનાઝાની નમાઝ પઢાવે, ફલાણી જગ્યા પર મને દફન કરવામાં આવે, શરીઅતની રૂએ એનો કોઈ એતેબાર નથી. આ બધી વાતો મય્યિતના ઈખ્તેયાર (અધિકાર)ની નથી. આ બધા અધિકારો વારસદારોના છે. વારસદારો જે વસ્તુ બેહતર સમજે તેના ઉપર અમલ કરે. (ફતાવા રહીમિય્યહ : પર૩/૩)
- કબ્રસ્તાનમાં કબરોની ઉપર લીલી ઘાસ અને વૃક્ષો હોય છે, તો તેમાં મુસ્તહબ એ છે કે, કબરની ઉપરની ઘાસ વગેરે કાપવામાં ન આવે. એનાથી મય્યિતને ફાયદો થાય છે. હા, સૂકાય ગયા બાદ કાપવામાં વાંધો નથી. (પરંતુ સળગાવવામાં ન આવે.) હા, કબરની આજુબાજુની ઘાસથી લોકોને તકલીફ થતી હોય, તો એને કાપીને રસ્તો સાફ કરી શકાય છે. (ફતાવા રહીમિય્યહ : પ૩૦/૩)