Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 187 to 191)
જનાઝાની નમાઝના ફર્ઝો, સુન્નતો અને રીત :
જનાઝાની નમાઝમાં બે ચીઝો ફર્ઝ છે : (૧) ચાર વખત તકબીર “અલ્લાહુ અકબર” કહેવું. (ર) કિયામ એટલે કે ઉભા રહીને નમાઝ પઢવી. જેવી રીતે ફર્ઝ અને વાજિબ નમાઝોમાં કિયામ ફર્ઝ છે. અને આ નમાઝમાં રુકૂઅ, સિજદહ કે કાએદહ નથી.
જનાઝાની નમાઝમાં ત્રણ ચીજો સુન્નત છે : (૧) અલ્લાહપાકની હમ્દ કરવી (સના પઢવી). (ર) હુઝૂર (સલ.) પર દુરૂદ પઢવું અને (૩) મય્યિત માટે દુઆ કરવી.
જનાઝાની નમાઝ ફર્ઝે કિફાયહ છે. જમાઅત એમાં શર્ત (ફર્ઝ) નથી. જો એકલો માણસ પણ જનાઝાની નમાઝ પઢી લેશે, તો પણ ફર્ઝ અદા થઈ જશે, પછી તે બાલિગ મર્દ હોય અથવા ઔરત. પણ અહીં જમાઅતની વધારે જરૂર છે. એટલા માટે કે, આ મય્યિત માટે દુઆ છે. અને કેટલાક મુસલમાનોનું ભેગા થઈને અલ્લાહપાકની જનાબમાં દુઆ કરવી એક ખાસ અસર ધરાવનારી વસ્તુ છે. જેથી અલ્લાહપાકની રહમત અને દુઆની કબૂલિયત તરત થાય છે.
જનાઝાની નમાઝ પઢવાની રીત એ છે કે, મસ્જિદ સિવાય બીજી કોઈ જગ્યાએ મય્યિતને પોતાની આગળ રાખી કિબ્લા સામે મોઢુ કરી વુઝૂની સાથે નમાઝ માટે સફ બાંધી ઉભા થવું. જો માણસો વધારે હોય તો ત્રણ, પાંચ અથવા સાત સફો બનાવવી સારી છે. ઈમામ મય્યિતની છાતી સામે બરાબર ઉભા રહે. દરેક લોકો જનાઝાની નમાઝની નિય્યત આ પ્રમાણે કરે કે, “હું આ જનાઝાની નમાઝ મય્યિત માટે દુઆ કરવા પઢું છું, વાસ્તે અલ્લાહ તઆલાના, આ ઈમામની પાછળ” પછી ઈમામ મોટેથી અને મુક્તદી ધીમેથી તકબીર “અલ્લાહુ અકબર” કહે અને બન્ને હાથ કાનો સુધી ઉઠાવી દુંટી નીચે બાંધી લે. ઈમામ તથા મુક્તદી ધીમેથી સના (સુબ્હાન કલ્લાહુમ્મ) પૂરી પઢે. તેમાં ‘વતઆલા જદ્દુક’ પછી ‘વ જલ્લ સનાઉક’ પણ પઢી લે તો બેહતર છે. ફરી ઈમામ મોટેથી અને મુક્તદી ધીમેથી બીજી તકબીર “અલ્લાહુ અકબર” હાથ ઉઠાવ્યા વગર કહે. તે પછી દુરૂદ શરીફ પઢે, જે નમાઝના આખરી કાએદહમાં અત્તહિય્યાત પછી દુરૂદે ઈબ્રાહીમ પઢવામાં આવે છે, તે પઢે તો વધારે સારૂં છે. અને દુરૂદ પઢવા પછી બીજી તકબીરની જેમજ ત્રીજી તકબીર કહે અને હાથ ઉઠાવે નહીં. તકબીર કહેવા પછી મય્યિત માટે દુઆ કરે. જો મય્યિત બાલિગ પુરૂષ અથવા સ્ત્રી હોય તો આ દુઆ પઢે :
اَللّٰھُمَّ اغْفِرْ لِیْ حَیِّنَا، وَ مَیِّتِنَا، وَ شَاھِدِنَا، وَ غَائِبِنَا، وَ صَغِیْرِنَا، وَ کَبِیْرِنَا، وَ ذَکَرِنَا، وَ اُنْثٰنَا، اَللّٰھُمَّ مَنْ اَحْیَیْتَہٗ مِنَّا فَاَحْیِہٖ عَلَی الْاِسْلَامِ، وَ مَنْ تَوَفَّیْتَہٗ مِنَّا فَتَوَفَّہٗ عَلَی الْاِیْمَانِ
અલ્લાહુમ્મગફિર લિહય્યિના વ મય્યિતિના વ શાહિદિના વ ગાઈબિના વ સગીરિના વ કબીરિના વ ઝકરિના વ ઉન્સાના અલ્લાહુમ્મ મન અહ્યયતહુ મિન્ના ફ અહ્યયિહી અલલ ઈસ્લામ, વમન તવફ્ફયતહુ મિન્ના ફ તવફ્ફહુ અલલ ઈમાન.
અર્થ : અય અલ્લાહપાક ! અમારા જીવતાઓને અને મરણ પામેલાઓને, અને હાજર રહેલાઓને અને ગેરહાજર રહેલાઓને, નાનાઓને અને મોટાઓને, પુરૂષોને અને સ્ત્રીઓને બખ્શી દે. હે અલ્લાહપાક ! અમારામાંથી જેને તું જીવતો રાખે, તેને ઇસ્લામ પર જીવતો રાખજે અને જેને તું મૌત આપે, ઈમાન સાથે મૌત આપજે.
જો નાબાલિગ છોકરાની મય્યિત હોય તો આ દુઆ પઢે :
اَللّٰھُمَّ اجْعَلْہُ لَنَا فَرَطًا، وَ اجْعَلْہُ لَنَا اَجْرًا وَّ ذُخْرًا، وَّ اجْعَلْہُ لَنَا شَافِعًا وَّ مُشَفَّعًا
“અલ્લાહુમ્મજ અલહુ લના ફરતંવ વ જ્અલ્હુ લના અજરંવ વ ઝુખરંવ વ જ્અલહુ લના શાફિઅંવ વ મુશફ્ફઆ.”
અર્થ : અય અલ્લાહપાક ! આ બાળકને અમારા માટે છૂટકારા (નજાત)નો પહેલાથી વસીલો બનાવ. અને (એની જુદાઈની મુસીબત) અમારા માટે બદલો અને પુંજી બનાવ અને તેને અમારી શફાઅત કરનાર અને શફાઅત કબૂલ થયેલો બનાવ.
જો મય્યિત નાબાલિગ છોકરીની હોય તો પણ એ જ દુઆ પઢે. પરંતુ તેમાં એટલો ફેર કરો કે, “જઅલ્હુ”ના બદલે “જઅલ્હા”
અને “શાફિઅંવ વ મુશફ્ફઆ”ની જગ્યાએ “શાફિઅતંવ વ મુશફ્ફઅહ” પઢે.
દુઆ પઢી લીધા પછી ચોથી તકબીર કહે અને હાથ ઉઠાવે નહીં. ચોથી તકબીર પછી સલામ ફેરવી દે. જેવી રીતે નમાઝમાં સલામ ફેરવવામાં આવે છે. આ જનાઝાની નમાઝમાં અત્તહિય્યાત અને કુર્આન શરીફ વિગેરે પઢવાનું નથી.
નમાઝથી ફારિગ થઈને તરત જ જનાઝાને લઈ જવું જોઈએ. ચાલતાં ચાલતાં કલિમહ વિગેરે પઢે, તો મનમાં પઢે. જોરથી પઢવું મકરૂહ છે. આ મય્યિતની પહેલી મંઝીલ છે. એ જ પ્રમાણે આપણે પણ આપણા માટે કબર, હિસાબ-કિતાબ અને જગતની અસ્થિરતા પ્રત્યે ધ્યાન ધરવું જોઈએ, અને દિલમાં મય્યિત માટે બખ્શિશ અને હિસાબની આસાની માટે દુઆ કરતા રહેવું જોઈએ. પછી કબ્રસ્તાનમાં પહોંચીને મય્યિતને દફન કરે.
મય્યિતને કબરમાં મૂકતી વખતે “બિસ્મિલ્લાહિ વઅલા મિલ્લતિ રસૂલિલ્લાહ” કહેવું મુસ્તહબ છે. મય્યિતને કબરમાં મૂકી જમણી બાજુ (કિબ્લહ તરફ)એ તેનું મોઢુ કરી દેવું સુન્નત છે. અને કબરમાં (મય્યિતને દફન કરવામાં) મટોડી નાંખતી વખતે મુસ્તહબ એ છે કે, માથા તરફથી નાંખવાની શરૂઆત કરે. દરેક જણ પોતાના બન્ને હાથો ભરીને માટી કબરમાં નાખે. પહેલી વખતે ‘મિન્હા ખલકનાકુમ’ પઢે, બીજી વખતે ‘વ ફીહા નુઈદુકુમ’ પઢે અને ત્રીજી વખતે ‘વ મિન્હા નુખરિજુકુમ તારતન ઉખરા’ પઢે. દફન કર્યા પછી થોડી વાર કબર પાસે ઉભા રહેવું અને મય્યિતના માટે દુઆએ મગફિરત માંગવી અથવા કુર્આન મજીદ(માંથી કંઈક) પઢીને તેનો સવાબ પહોંચાડવો મુસ્તહબ છે. કબર પર માટી નાંખ્યા પછી તેના ઉપર પાણી છાંટવું મુસ્તહબ છે. જનાઝાની સાથે જવું, જનાઝાની નમાઝ પઢવી અને મય્યિત માટે દુઆ કરવી ઘણો સવાબ છે. અને તેમાં શરીક થનાર અને મય્યિત બન્ને માટે હદીષમાં ઘણી ફઝીલત બયાન થઈ છે.
હદીષ શરીફમાં છે કે, જે કોઈ માણસ મુસલમાનના જનાઝામાં સવાબની નિય્યતથી શરીક થાય અને તેની જનાઝાની નમાઝ પઢે, તો તેને એક ‘કિરાત’ બરાબર સવાબ મળે છે. અને જે નમાઝ પછી દફનક્રિયામાં પણ શામેલ થાય છે, તેને બે કિરાત બરાબર સવાબ મળે છે. દરેક કિરાત ઉહદના પહાડ બરાબર છે. (બુખારી, મુસ્લિમ)
બીજી એક હદીષ શરીફમાં છે કે, જે જનાઝાની નમાઝમાં અલ્લાહપાકની સાથે શિર્ક ન કરવાવાળા ચાલીસ માણસો (મુસ્લિમ) શામેલ થાય છે, તો અલ્લાહપાક તેને બખ્શી આપે છે. અને તેમની શફાઅત કબૂલ કરી લે છે. (મુસ્લિમ શરીફ)
હદીષ શરીફમાં છે કે, જે મય્યિત ઉપર ત્રણ સફો જનાઝાની નમાઝ પઢે છે, તેના ઉપર જન્નત વાજિબ થઈ જાય છે. (અબૂ દાઉદ)
આ સિવાય હદીષ શરીફમાં છે કે, નબીએ કરીમ (સલ.) પોતે પણ મય્યિતની દફનક્રિયા પછી તેના માટે ઈસ્તિગફાર કરતા હતા. અને લોકોને પણ ફરમાવતા હતા કે, એ વખત હિસાબનો છે. તમારા ભાઈ માટે અડગતાની દુઆ માંગો અને મગફિરત ચાહો. (અબૂ દાઉદ) અને આપ (સલ.)એ ફરમાવ્યું કે, તમારા મુડદાઓની ભલી વાતો બયાન કરો, અને બુરાઈ કરવાથી જીભને બંધ રાખો. (અબૂ દાઉદ) વધુમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, જો કોઈ મય્યિતના માટે ચાર, ત્રણ અથવા બે માણસો પણ સારો કહી દે, તો અલ્લાહ તઆલા તેને બખ્શી દે છે. (બુખારી શરીફ)
Log in or Register to save this content for later.