નમાઝ પઢવા પહેલાં સાત વસ્તુ ફર્ઝ (શર્ત) છે

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 58 to 59)

(૧) બદનનું પાક હોવું : બદનના પાક હોવાનો મતલબ એ છે કે, ગુસલની હાજત ન હોય અને શરીર ઉપર કોઈ જાતની નાપાકી કે ગંદકી લાગેલી ન હોય અને બદનનું વુઝૂની સાથે હોવું જરૂરી છે.

નજાસત બે પ્રકારની હોય છે : એક તે ગંદકી કે જે જાહેર રીતે જોવામાં આવે છે, તેને નજાસતે હકીકી કહે છે. જેમકે માણસનો ઝાડો, પેશાબ, મની (વિર્ય), લોહી, શરાબ વગેરે.

બીજી નજાસતે હુકમીયહ છે કે, જે શરીઅતના હુકમથી સાબિત હોય, જેમકે ગુસલની હાજત હોય. ત્યારે નમાઝ પઢવા માટે પહેલી શર્ત એ છે કે, ગુસલની હાજત ન હોય તેમજ શરીરના કોઈ ભાગ ઉપર જાહેરી નાપાકી પણ લાગેલી ન હોય અને બદન વુઝૂથી પાક (પવિત્ર) કરેલું હોય.

(૨) કપડાનું પાક હોવું : એટલે કે નમાઝ પઢનારના શરીર ઉપર પહેરેલા કપડાં ઉપર કોઈ જગ્યાએ નાપાકી લાગેલી ન હોય. કપડાનું પાક હોવું જરૂરી છે. એમાંથી કોઈ એક કપડાં ઉપર અથવા બદનના કોઈ ભાગ ઉપર નજાસતે ગલીઝહની પાતળી વસ્તુઓનો ફેલાવો એક રૂપિયા બરાબર અથવા તેથી ઓછો હોય અને નજાસતે ખફીફહનો બદનમાં અથવા પહેરેલા એક કપડામાંથી કોઈ એક ભાગના ચોથા હિસ્સાથી ઓછી લાગેલી હોય તો નમાઝ થઈ જશે, પણ મકરૂહ થશે.

નજાસતે ગલીઝહ : માણસનો ઝાડો, પેશાબ વિગેરે. જાનવરોનું છાણ, હરામ જાનવરોનો પેશાબ અને માણસ તથા જાનવરોનું વહેતુ લોહી, શરાબ, મરઘી તથા બતકની હગાર નજાસતે ગલીઝહ છે.

નજાસતે ખફીફહ : હલાલ જાનવરોનો પેશાબ અને હરામ પક્ષીઓની હગાર નજાસતે ખફીફહ છે.

(૩) નમાઝ પઢવાની જગ્યાનું પાક હોવું : એટલે કે નમાઝીના બન્ને પગ, ઘુંટણો અને હાથોની તેમજ સિજદાની જગ્યા પાક હોવી જરૂરી છે. કોઈ નાપાક જગ્યા અથવા કપડા કે બીછોના ઉપર પાક કપડું બીછાવી નમાઝ પઢી શકાય છે. પણ નીચેની ગંદકીની વાસ અથવા રંગ જાહેર થાય નહીં તો નમાઝ દુરૂસ્ત છે.

(૪) સતર ઢાંકવું : પુરૂષોએ દુંટીથી ઘુંટણો સુધી પોતાનું શરીર ઢાંકવું ફર્ઝ છે. અને સ્ત્રીઓએ બન્ને હાથ-પગના પંજા અને મ્હોં સિવાય પુરા શરીરને ઢાંકવું ફર્ઝ છે.

નમાઝમાં સતર (નગ્નતા)નો કોઈ ભાગ એટલે કે, જેટલો ભાગ છુપાવવો ફર્ઝ છે, તેમાંથી કોઈપણ એક અવયવનો ચોથો ભાગ અચાનક ખુલી જાય અને ત્રણ વાર “સુબ્હાનલ્લાહ” કહી શકે એટલી વાર ઉઘાડો રહે, તો નમાઝ જતી રહેશે, ફરીથી પઢે. અને જો ખુલતાં જ તુરત ઢાંકી લીધો, તો નમાઝ દુરૂસ્ત થશે.

સતર બાબતે અમુક મસાઇલ બીજી પોસ્ટમાં લખેલા છે.

(પ) નમાઝનો વખત હોવો : એટલે કે નમાઝ અદા કરવા માટે આ શર્ત છે કે, તેના માટે જે વખત નક્કી કરવામાં આવ્યો છે, તે જ વખતે નમાઝ

પઢવામાં આવે. તે વખતથી પહેલાં પઢશે, તો નમાઝ દુરૂસ્ત થશે નહીં. અને તે વખત પછી પઢશે તો અદા થશે નહીં, બલ્કે કઝા થશે.

રાત-દિવસમાં પાંચ વખતની પાંચ નમાઝો ફર્ઝ છે. એ સિવાય એક નમાઝ વિત્ર વાજિબ છે. તે સિવાય સુન્નતે મોઅક્કદા, મુસ્તહબ, સુન્નત અને નફલ નમાઝ છે. નમાઝના વખતો અને રકાતોનું બયાન આગળ આવશે.

(૬) કિબ્લા તરફ મ્હોં કરી નમાઝ પઢવી : નમાઝ પઢતી વખતે નમાઝ પઢનારનું મ્હોં કઅબતુલ્લાહ શરીફની દિશા તરફ હોવું જરૂરી છે.

કિબ્લા બાબતે મસાઇલ બીજી એક પોસ્ટમાં લખેલા છે.

(૭) નમાઝની દિલમાં નિય્યત કરવી ફર્ઝ છે : ઝબાનથી નિય્યત કહેવી મુસ્તહબ છે. દિલથી ઈરાદો કરવાને નિય્યત કહે છે. જે નમાઝ પઢવી હોય, તેનો (નિય્યતમાં) ઈરાદો કરે. જેમકે આજની ફજરની બે રકાઅત ફર્ઝ પઢું છું અથવા આજની અસરની ફર્ઝ પઢું છું. માત્ર આટલી નિય્યત કરવી પણ બસ છે, નમાઝ થઈ જશે.

ઈમામની પાછળ નમાઝ પઢવામાં મુક્તદીએ પોતાના ઈમામની પાછળ નમાઝ પઢવાની નિય્યત કરવી ફર્ઝ છે. તેથી ઈમામની પાછળ નમાઝ પઢવામાં “આ ઈમામની પાછળ ઝોહરની ચાર રકાત ફર્ઝ નમાઝ પઢું છું” અથવા જે કોઈ પણ વખતની નમાઝ હોય તેની એ પ્રમાણે નિય્યત કરે.

નિય્યત બાબતે અમુક મસાઇલ બીજી પોસ્ટમાં લખેલા છે.

નમાઝ પઢવા પહેલાંની આ સાત ચીજો ફર્ઝ છે. એટલે કે નમાઝ પઢવા પહેલાંની જરૂરી શરતો છે.

Log in or Register to save this content for later.