Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 160 to 165)
Views:
300
- શરીઅત પ્રમાણે જે મુસાફિર હોય તેણે ચાર રક્અતવાળી ફર્ઝ નમાઝને કસર પઢવી જોઈએ. એટલે કે ઝોહર, અસર અને ઈશાંની ફર્ઝ નમાઝોમાં ચાર રક્અતને બદલે બે-બે રક્અત પઢવી જોઈએ. ફજર, મગરિબ અને વિત્ર નમાઝમાં કોઈ રક્અત ઓછી પઢવાની નથી, તે હંમેશની જેમ જ પુરી પઢે. સુન્નતો માટે જલ્દીમાં કે ભાગદોડમાં હોય તો ફજરની સુન્નતો સિવાય એવા મોકા ઉપર બીજી સુન્નતો છોડી દે અને જો એવી ભાગદોડમાં ન હોય અને નિર્ભયપણે અને આરામથી હોય, તો સફરમાં પણ સુન્નતો પૂરી પઢે. એમાં કમી નથી.
- ઝોહર, અસર અને ઈશાંની નમાઝ બે રક્અતથી વધુ પઢે નહીં. જો પુરી ચાર રક્અત પઢશે, તો ઝોહરની છ રક્અત પઢનારની જેમ ગુનેહગાર થશે. અને જો ભૂલથી ચાર રક્અત પઢાઈ ગઈ, તો તેમાં જો વચ્ચે અત્તહિય્યાત પઢીને કાયદો કર્યો છે, તો સહ્વનો સિજદો કરી લેવાથી બે રક્અત ફર્ઝ અદા થઈ જશે અને બે રક્અત નફલ થશે. પણ જો વચ્ચે કાયદો કરવો રહી ગયો હશે, તો ફર્ઝ નમાઝ થશે નહીં. ચારેય રક્અતો નફલ થશે અને ફર્ઝ નમાઝ ફરી પઢવી પડશે.
- જો કોઈની સફરની હાલતમાં નમાઝ કઝા થઈ જાય, તો ઘેર આવીને છૂટી ગયેલી નમાઝ કઝા પઢવામાં પણ કસર પઢવી જોઈએ. એટલે કે બે રક્અત જ પઢવી જોઈએ. જો સફરથી પહેલાં કોઈ નમાઝ કઝા થઈ હોય, તો તે સફરની હાલતમાં પણ કજા પઢવામાં ચાર રક્અત પૂરી પઢે.
- દરિયામાં સ્ટીમર કે વહાણના ચાલવામાં કે ટ્રેનમાં ચાલતી ગાડીએ નમાઝ પઢી શકાય છે. ઉભા રહીને પઢવામાં માથુ ફરે અથવા પડી જવાનો ડર હોય તો બેસીને પઢે. પરંતુ જો નમાઝ પઢવામાં સ્ટીમર કે ટ્રેન ફરી જાય અને કિબ્લો બીજી તરફ થઈ ગયો, તો નમાઝમાં જ ફરી જાય અને કિબ્લા તરફ મોઢુ કરી લે.
- મુસાફિર જ્યારે મુકીમ ઈમામની પાછળ તે જ વખતની (અદા નમાઝ) નમાઝ પઢે, ત્યારે તેણે ચાર રક્અત પુરી પઢવી ફર્ઝ છે.
- નમાઝનો વખત જતો રહ્યા પછી કઝા પઢવામાં ફજર અને મગરિબમાં મુકીમ ઈમામની ઈક્તેદામાં પઢી શકે છે. પણ ઝોહર, અસર અને ઈશાંની નમાઝ કઝા પઢવામાં મુકીમની ઈક્તેદા જો મુસાફિર કરશે, તો તેની નમાઝ દુરૂસ્ત થશે નહીં. કારણ કે મુસાફિર ઉપર હવે બે જ રક્અત કઝા કરવી વાજિબ છે, અને મુકીમ ઉપર ચાર રક્અત કઝા કરવી વાજિબ છે.
- જો ઈમામ મુસાફિર હોય તો તેની પાછળ મુકીમ નમાઝ પઢી શકે છે, પરંતુ મુસાફિર ઈમામ બે રક્અતો પઢી સલામ ફેરવી દે ત્યારે મુકીમ મુક્તદીઓ સલામ ફેરવ્યા વિના ઉભા થઈ જાય અને પોતપોતાની બે રકઅતો પુરી કરી લે. તે બન્ને રક્અતો પઢવામાં સૂરએ ફાતિહા અને સૂરત પઢે નહીં. જો કોઈ ભૂલ થઈ જાય તો સહવનો સિજદહ પણ કરે નહીં.
- મુસાફિર ત્યાં સુધી મુકીમ ગણાશે નહિં, જ્યાં સુધી તે પંદર દિવસ એક જ જગ્યાએ થોભવાનો ઈરાદો કરી ન લે. એથી જો તેણે કોઈ સ્થળે પહોંચી એવો ઈરાદો કર્યો કે, આઠ-દસ દિવસ રહી પછી જઈશ. ફરી આઠ દિવસનો ઈરાદો કર્યો, વળી કોઈ કામ નીકળ્યું, વળી આઠ દિવસ રહેવાનો ઈરાદો કર્યો. એ જ મુજબ મહિનાઓ ગુજરી જાય અને કદી તેણે એ દરમ્યાન પંદર દિવસ થોભવાનો ઈરાદો કર્યો ન હોય, તો એવો માણસ મુસાફિર રહેશે. તેણે કસર નમાઝ પઢવી જોઈએ.
- મુસાફિર જો પંદર દિવસ અથવા તો વધુ રહેવાની નિય્યત કરી ચૂકયો હોય તો હવે મુકીમ ગણાશે. ફરી જો નિય્યત બદલી નાંખે અને પંદર દિવસ પહેલાં ચાલવાનો ઈરાદો કરે, તો પણ હવે મુસાફિર બનશે નહીં અને પુરેપુરી નમાઝ પઢે.
- ત્રણ મંઝીલ ચાલીને એવા સ્થળે પહોંચે કે જ્યાં તેનું ઘર હોય, તો ત્યાં મુસાફિર રહેશે નહીં. ત્યાં ચાહે ઓછું રહે અથવા વધુ રહે, પુરેપૂરી નમાઝ પઢે.
- જો કોઈ એક મંઝિલ અથવા બે મંઝિલની સફર કરે અથવા જે રસ્તેથી સફર કરે તે રસ્તો ત્રણ મંઝિલથી ઓછો હોય, તો આ સફરથી શરીઅતનો હુકમ બદલાતો નથી. તે મુસાફિર કહેવાશે નહીં. તેણે પુરી નમાઝ પઢવી પડશે. અને ત્રણ મંઝિલ અથવા તેથી વધુ કેટલાએ માઈલ દૂર સ્થળે જવાના ઈરાદે નીકળે, તો મુસાફિર થઈ જશે.
- કોઈ માણસ એટલા મોટા શહેરમાં રહે છે, જેની લંબાઈ આશરે પ૦-પપ માઈલ છે. એક વ્યક્તિ શહેરના એક ખૂણામાં (શહેરના એક કિનારા પર) રહે છે અને તેને શહેરના બીજા છેડે જવું છે, જ્યાં પગપાળા ત્રણ દિવસનો રસ્તો છે, એટલે કે ૪૮ માઈલથી વધુ અંતર છે, તો પણ કસર જાઈઝ નથી. ચાહે શહેર કેટલું પણ પહોળુ અને લાંબુ હોય. (ફતાવા ઉસ્માની : પ૪૪/૧)
- હા, જો એટલા મોટા શહેરોમાં લોકોએ પોતાની આદત મુજબ અમૂક વિસ્તારની હદ બનાવી છે અથવા સરકારી વહીવટીતંત્ર તરફથી એમાં હદ કરવામાં આવી છે, તો હવે પોતાની બનાવેલી હદ અથવા સરકારી હદ ઓળંગવાથી મુસાફિર થઈ જશે. ચાહે ઘરો અને કારખાના વગેરે ઓળંગવાના બાકી હોય. દા.ત. દિલ્હીથી ગાઝીયાબાદ સફર કરવાવાળો માણસ જ્યારે ગાઝીયાબાદની હદમાં પ્રવેશી જશે, ત્યારે મુસાફિર થઈ જશે. જ્યારે આજે દિલ્હી અને ગાઝીયાબાદ ભેગું થઈ ગયું છે. (કિતાબુલ મસાઈલ : પ૧૪)
- જો કોઈ જગ્યાનું અંતર રસ્તાઓના આધારે અલગ-અલગ છે, તો મુસાફિર જે રસ્તેથી જશે તેનો એઅતેબાર કરવામાં આવશે. દા.ત. ભરૂચથી સુરત ટ્રેનમાં પ૯ કિલોમીટર છે, જ્યારે હાઈવે પરથી જવામાં ભરૂચથી કામરેજ ચોકડી ૬૦ કિ.મી. અને ત્યાંથી સુરત ર૦ કિ.મી. છે. એટલે કે ભરૂચથી સુરત ૮૦ કિલોમીટર છે. તો જો કોઈ વ્યક્તિ ટ્રેનથી જશે, તો તેના કિ.મી. જોવામાં આવશે અને હાઈવેથી જશે, તો તેના કિ.મી.ને આધાર બનાવવામાં આવશે. (કિતાબુલ મસાઈલ : પ૧૪)
- કોઈ માણસ શરઈ સફરના ઈરાદે પોતાના શહેરથી નીકળી ગયો અને ૪૮ માઈલનું અંતર કાપ્યું ન હતું કે આગળ વધવાનો ઈરાદો મુલ્તવી કરી દીધો, તો એવો માણસ જતી વખતે તો મુસાફિર જ હતો, પરંતુ હવે તેણે જે જગ્યાએથી પાછા ફરવાનો ઈરાદો કર્યો છે, ત્યાંથી જ તેને મુકીમ સમજવામાં આવશે. (કિતાબુલ મસાઈલ : પ૧પ)
- જો કોઈ માણસ સફર દરમિયાન પોતાના વતને અસલીથી પસાર થાય, તો તે શહેરમાં દાખલ થતાં જ મુકીમ થઈ જશે. ચાહે શહેરમાં રોકાવાનો ઈરાદો ન હોય. અને ત્યાંથી જે જગ્યાએ જઈ રહ્યો છે, તે પોતાના વતને અસલીથી સફરના અંતર જેટલું નથી તો તે હવે મુકીમ થઈ જશે. દા.ત. એક માણસ ભરૂચનો રહેવાસી છે, જે મુંબઈ ગયો એટલે મુસાફિર થઈ ગયો. ત્યાંથી તે કામ અર્થે પાલેજ આવવા નીકળી ગયો, તો જ્યારે ટ્રેન ભરૂચથી પસાર થશે, તે મુકીમ થઈ જશે. કારણ કે ભરૂચથી પાલેજનું અંતર ૪૮ માઈલ નથી. અને જો પોતાના વતનથી જ્યાં જવું છે, તે ૪૮ માઈલથી વધુ દૂર છે, તો પોતાનું વતન પસાર કરતાં જ ફરી મુસાફિર થઈ જશે. દા.ત. ઉપરનો વ્યક્તિ મુંબઈથી અમદાવાદ કામ અર્થે પાછો ફર્યો, તો ભરૂચ આવતાં તે મુકીમ થઈ જશે. અને ટ્રેન જ્યારે ભરૂચની હદ વટાવી જશે, એટલે ફરી મુસાફિર થઈ જશે. (કિતાબુલ મસાઈલ : પર૩)
- પતિએ શાદી કર્યા બાદ પત્નીને એના પિયરમાં જ રાખી છે, તો એ પતિ માટે એ શહેર (સાસરી) પોતાના વતન જેવું ગણાશે. એ જ રીતે પત્ની રૂખ્સદ થઈને સાસરે આવી જાય અને પતિના જ ઘરે વસવાટ કરી લે, તો એનું પિયર એના માટે વતને અસલી રહેશે નહીં. હવે સાસરી જ અસલી વતન ગણાશે. એનાથી વિરૂદ્ધ કોઈ પત્ની પોતાના પિયરમાં જ રહે છે અને રૂખ્સદ થઈને સાસરીમાં જઈને કાયમી ધોરણે વસવાટ કર્યો નથી, તે જો કોઈ કામ અર્થે પોતાની સાસરીમાં જશે, તો જો તે ૪૮ માઈલથી દૂર છે, તો મુસાફિર થઈ જશે. અને જો પંદર કે તેથી વધુ દિવસ થોભવાની નિય્યત કરી લે, તો પછી ત્યાં (સાસરીમાં) પૂરી નમાઝ પઢવી પડશે. (કિતાબુલ મસાઈલ : પ૧૭)
- શરઈ સફરનું અંતર (ફતાવા રહીમિય્યહના આધારે) ૭૭ કિલો- મીટર (ર૪૭ મીટર) છે. (ફતાવા રહીમિય્યહ : ૩૪૪/૩)
- અમુક સરકારી ડ્રાયવર અને કંડક્ટરોની ડ્યુટી બે દિવસ સુધી લગાતાર રહે છે. જેમાં લાંબી ટ્રીપ આપવામાં આવે છે. રાતવાસો પણ સફરમાં જ હોય છે, તો જો આ ટ્રીપ તેમના ગામથી ૪૮ માઈલ કે તેથી વધુ અંતરે હોય તો તેઓ મુસાફિર થઈ જશે અને નમાઝ કસર પઢવી પડશે. (ફતાવા રહીમિય્યહ : ૩પ૪/૩ થોડા ફેરફાર સાથે) જો કોઈ ટ્રક ડ્રાયવર પોતાના વતને અસલીથી ઓછામાં ઓછું ૪૮ માઈલ જવાના ઈરાદાથી નીકળે, તો તે શરઈ દૃષ્ટિએ મુસાફિર થઈ જશે. નમાઝોમાં કસર કરે. જ્યારે પોતાના અસલી વતનમાં પાછો આવી જાય કે કોઈક જગ્યાએ પંદર દિવસ થોભવાનો ઈરાદો કરી લે, તો તે મુકીમ થઈ જશે. નમાઝો પૂરી પઢવી પડશે. એ જ રીતે જે લોકો સ્ટીમર કે એરલાઈન્સમાં નોકરી કરે છે, અને તેઓની પોતાના અસલી વતનથી ૪૮ માઈલ દૂર જવાની નિય્યત હોય, તો તે શરઈ મુસાફિર થઈ જશે. (ફતાવા રહીમિય્યહ : ૩પ૪-૩પપ/૩)
- અમૂક વિદ્યાર્થીઓ પોતાના વતનથી ૪૮ માઈલ કે તેથી વધુ દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે, તો જ્યારે તેઓ હોસ્ટેલમાં પંદર દિવસ કે તેથી વધુ થોભવાની નિય્યત કરી લે, તો હોસ્ટેલ તેમનું વતને ઈકામત બની જશે. અને જો તે કોઈ વાર પંદર દિવસ થોભવાની નિય્યત ન કરે અને દર રવિવારે પોતાના ઘરે આવશે, તો ઘરે પૂરી નમાઝ પઢવી પડશે અને હોસ્ટેલમાં કસર કરવી પડશે. (મસાઈલે સફર : ૧૧૮)
- એક માણસ કોઈ જગ્યાએ ગયો અને એમ સમજીને કે મારા વતનથી આ જગ્યા ૪૮ માઈલની અંદર છે, અને ચાર રકઅત પઢતો રહ્યો અને પછી ખબર પડી કે ૪૮ માઈલ કે તેથી વધુ અંતર છે, તો આ સફર દરમિયાન જે નમાઝો પઢી છે, એમાં જો પહેલો કાએદહ કર્યો હશે, તો નમાઝ થઈ જશે. (મસાઈલે સફર : ૧૭પ)
- એનાથી ઉલટુ જો કોઈ માણસ કોઈક જગ્યાએ ગયો અને એમ સમજીને કે હું શરઈ દૃષ્ટિએ મુસાફિર છું, નમાઝોમાં કસર કરતો રહ્યો. પછી ખબર પડી કે તે શરઈ રીતે મુસાફિર હતો જ નહીં, તો હવે એ નમાઝોની વિત્ર સાથે કઝા કરવી પડશે. હા, સુન્નતોની કઝા ન કરે. (મસાઈલે સફર : ૧૭૬-૧૭૭)
Log in or
Register to save this content for later.