બીમારની નમાઝ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 167 to 169)

નમાઝને કોઈ હાલતમાં છોડવી ન જોઈએ. જ્યાં સુધી ઉભા રહેવાની શક્તિ છે, ત્યાં સુધી ઉભા રહીને નમાઝ પઢવી જોઈએ અને જ્યારે બીમારીમાં ઉભુ ન થવાય, તો બેસીને નમાઝ પઢે. જો રુકૂઅ અને સિજદહ કરવા જેટલી પણ શક્તિ ન હોય, તો રુકૂઅ અને સિજદહને ઈશારાથી અદા કરે. રુકૂઅના ઈશારા કરતાં સિજદહના ઈશારામાં માથુ વધારે નમાવે. સિજદો કરવા માટે તકીયો અથવા કોઈ ઉંચી વસ્તુ રાખવી બેહતર નથી. જ્યારે સિજદહ કરવાની શક્તિ ન હોય તો માત્ર ઈશારાથી કરી લે. તકીયા પર સિજદહ કરવાની કોઈ જરૂરત નથી.

જો ઉભા રહેવાની શક્તિ હોય, પણ ઉભા રહેવામાં ઘણી તકલીફ થતી હોય અથવા બીમારી વધી જવાનો ડર હોય તો બેસીને નમાઝ પઢવી દુરૂસ્ત છે.

જો બેસવાની પણ શક્તિ ન રહે, તો સુતાં સુતાં નમાઝ પઢી લે. સુઈને નમાઝ પઢવાની આ રીત છે કે, પાછળ મોટો તકીયો વિગેરે મૂકીને એવી રીતે સુવે કે માથુ ઘણું ઉંચુ રહે અને બેસવાને લગભગ થાય અને પગ કિબ્લા તરફ લંબાવે. જો શક્તિ હોય તો કિબ્લા તરફ પગ લંબાવે નહિં, પણ ઘુંટણ ઉભા રાખે અને માથાના ઈશારાથી નમાઝ પઢે અને સિજદહનો ઈશારો વધુ નીચો કરે. જો મોટા તકીયાથી ટેકવીને પણ બેસી ન શકે કે માથુ અને સીનો ઉંચો રહે, તો કિબ્લા તરફ પગ કરીને તદ્દન ચત્તો સૂઈ જાય. પરંતુ માથા નીચે કોઈ ઉંચો તકીયો રાખે કે જેથી મ્હોં કિબ્લા તરફ થાય. આસ્માન તરફ મોઢુ રાખે નહીં. ફરી માથાના ઈશારાથી નમાઝ પઢે. રુકૂઅનો ઈશારો ઓછો કરે અને સિજદહનો ઈશારો વધુ કરે. જો ચત્તા ન સૂવે પણ જમણી અથવા ડાબી કરવટ ઉપર કિબ્લા તરફ મોઢુ કરીને સૂવે અને માથાના ઈશારાથી રુકૂઅ-સિજદહ કરે એ પણ દુરૂસ્ત છે. પરંતુ ચત્તા સૂઈને પઢવું ઘણું સારૂ છે.

જ્યારે માથાથી ઈશારો કરવાની પણ શક્તિ ન રહે, તો નમાઝને મુલ્તવી રાખે. ફરી જો એક રાત-દિવસ કરતાં વધારે તેની આ હાલત રહી તો છૂટી ગયેલી નમાઝ તેને માફ છે. તેની કઝા પણ તેના માથે નથી, પરંતુ જો એક રાત-દિવસમાં અથવા એથી ઓછા વખતમાં તેને ઈશારો કરવાની શક્તિ આવી ગઈ, તો છૂટી ગયેલી નમાઝોની ઈશારાથી કઝા પઢે. એવી જ રીતે જો સારો-સાજો માણસ પણ બેહોશ થઈ જાય અને એક રાત અને એક દિવસ કરતાં વધુ બેહોશીમાં પડ્યો રહે, તો તેને પણ કઝા પઢવી વાજિબ નથી. અને એક રાતદિવસમાં અથવા તેથી ઓછા વખતમાં બેહોશી જતી રહી, તો કઝા પઢવી વાજિબ છે.

જો બીમારનું બીછાનું નાપાક હોય અને તેને બદલવામાં તેને ઘણી તકલીફ થતી હોય, તો તેના ઉપર જ નમાઝ પઢવી દુરૂસ્ત છે.

બીમારપુર્સી માટે જવામાં ઘણો સવાબ છે. હદીષ શરીફમાં છે કે, જ્યારે કોઈ મુસલમાન પોતાના મુસલમાન ભાઈની બીમારપુર્સી કરવા સવારના વખતે જાય છે, તો ૭૦ હજાર ફરિશ્તા સાંજ સુધી તેના માટે રહમત અને મગફિરતની દુઆ કરે છે. અને જે સાંજના સમયે જાય છે, તેના માટે સવાર સુધી ૭૦ હજાર ફરિશ્તા રહમત અને મગફિરતની દુઆ કરે છે. (તિરમિઝી, અબૂ દાઉદ)

જે માણસે સારી રીતે વુઝૂ કર્યું અને માત્ર સવાબની નિય્યતથી પોતાના મુસલમાન ભાઈની બીમારપુર્સી કરવા માટે જાય છે, તો એ માણસ જહન્નમથી ૬૦ વર્ષની મુસાફરીના અંતર જેટલો દૂર થઈ જાય છે. (અબૂ દાઉદ)

બીજી હદીષ શરીફમાં છે કે, જ્યારે તું બીમાર પાસે જાય, તો તેની પાસે દુઆની માંગણી કર. કારણકે બીમારની દુઆ એવી છે, જેવી કે ફરિશ્તાઓની દુઆ. (ઈબ્ને માજહ)

હદીષ શરીફમાં છે કે, જે પોતાની બીમારીમાં ૪૦ વખત “લા ઈલાહ ઈલ્લા અન્ત સુબ્હાનક ઈન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન” પઢશે, અને ફરી તે જ બીમારીમાં તે મરણ પામે, તો તેને એક શહીદના બરાબર સવાબ મળશે. અને જો સારો થઈ જશે, તો તમામ ગુનાહોથી પાક થઈ સારો થશે. (હાકિમ)

Log in or Register to save this content for later.