ગુસલના મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 44 to 45)
  • નખમાં આટો સૂકાઈ ગયો હોય અથવા નખ ઉપર નીલ પોલીશ અથવા બીજી કોઈ સખત ચીઝ લગાડેલી હોય અથવા તો બદનના કોઈ હિસ્સા ઉપર કોઈ એવી સખત ચીઝ લગાડેલી હોય કે જેથી પાણી અંદર પહોંચી ન શકે, તો તેને છોડાવવું અને પાણી પહોંચાડવું જરૂરી છે. જો પાણી પહોંચશે નહિં, તો ગુસલ થશે નહીં.
  • કાન અને ડુંટીમાં પણ ધ્યાન રાખી પાણી પહોંચાડવું જરૂરી છે. વાળોમાં પણ ધ્યાનથી તેની જડોમાં પાણી પહોંચાડવું જરૂરી છે. એક વાળ પણ કોરો રહી જશે, તો ગુસલ થશે નહીં.
  • સ્ત્રીઓએ પેશાબની જગ્યા આગળની ચામડીની અંદર પાણી પહોંચાડવું ફર્ઝ છે. જો પાણી નહીં પહોંચશે, તો ગુસલ થશે નહીં.
  • જો વાળમાં અથવા હાથ-પગમાં તેલ લગાડેલું હોય કે જેથી બદન ઉપર પાણી સારી રીતે ઠરતું નથી અને પડતાં જ સરી જાય છે, તો તેનો કોઈ વાંધો નથી. જ્યારે સઘળા બદન અને માથા પર પાણી નાંખ્યું તો ગુસલ થઈ ગયું.
  • ગુસલ કરવામાં ભૂલથી કોઈ ભાગ ધોવાનો ભૂલી ગયા હોય તો તે ભાગને ધોઈ લેવો. ફરીથી પુરૂં ગુસલ કરવાની જરૂરત નથી.
  • ન્હાયા પછી બીજીવાર વુઝૂ કરવાની જરૂરત નથી. ગુસલમાં વુઝૂ પણ સાથે થઈ જાય છે.
  • નગ્ન હાલતમાં ન્હાતી વખતે કિબ્લારૂખ ઉભા રહેવું મના છે. અદબની રૂએ પણ ઠીક નથી. ગુસલ વાજીબ હોય ત્યારે કુર્‌આન શરીફને અડકવું તેમજ મસ્જીદમાં જવું હરામ છે. અને કુર્‌આન શરીફનું મોઢેથી પઢવું પણ મના છે.
  • જે માણસે દાંતોનું ચોકઠું લગાવ્યું હોય, તો ગુસલ કરતી વખતે તેને બહાર કાઢવું જરૂરી નથી. હા, શ્રેષ્ઠ એ છે કે એને બહાર કાઢીને કોગળા કરે. (કિતાબુલ મસાઈલ : ૧૬પ)
  • દાંત હલવાના કારણે સોના-ચાંદીના તારથી દાંત બાંધી દીધા હોય અથવા ખોખરા દાંતમાં મસાલો (ચાંદી વગેરે) ભરી દીધું હોય તો ગુસલ વખતે એને કાઢવું જરૂરી નથી. (કિતાબુલ મસાઈલ : ૧૬પ)
  • ટેસ્ટ ટ્યુબમાં કાઢવામાં આવતું વીર્ય સાચવવામાં આવે છે, પછી એને ઈન્જેક્શનની સીરીંઝ (Syringe) અથવા ટ્યુબ મારફત અંદર પહોંચાડવામાં આવે છે. આ રીતે ટ્યુબ મારફત વીર્ય ઔરતની રહમદાની (ગર્ભાશય)માં પહોંચાડવાથી ગુસલ વાજીબ થશે નહીં. (જદીદ ફિકહી મસાઈલ : ૯૯)
  • નિરોધ સાથે સંભોગ કરવાથી ગુસલ વાજીબ થઈ જશે. (જદીદ ફિકહી મસાઈલ : ૧૦૦)
  • ગુસલ વાજીબ હોવાની હાલતમાં કુર્‌આન મજીદ લખવું દુરૂસ્ત નથી. એટલે સુધી કે કાગળ એ રીતે મૂકવામાં આવે કે એના ઉપર હાથ ન પડે, તો પણ દુરૂસ્ત નથી. ચાહે એક આયતથી પણ ઓછું લખવાનું હોય. એનાથી એ જણાય આવે છે કે, ગુસલ વાજીબ હોવાની હાલતમાં કુર્‌આન શરીફનું લખવું કે ટાઈપ કરવું દુરૂસ્ત થશે નહીં. (જદીદ ફિકહી મસાઈલ : ૧૦ર)
Log in or Register to save this content for later.