વુઝૂના મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 25 to 29)
  • વરસાદનું પાણી, નદી-નાળાં, ઝરણાં, કૂવા, તળાવ અને દરિયાના પાણીથી વુઝૂ અને ગુસલ (સ્નાન) બન્નેવ દુરૂસ્ત છે. પાણી ચાહે મીઠુ હોય કે ખારૂ. (મસાઈલે વુઝૂ : રર)
  • રેલગાડીના સંડાસની ટાંકીનું પાણી પાક હોય છે. એનાથી વુઝૂ કરવું અને પીવું બન્નેવ જાઈઝ અને દુરૂસ્ત છે. (મસાઈલે વુઝૂ : ૨૪)
  • તડકામાં ગરમ થયેલા પાણીથી સફેદ દાગ પડી જવાનો અંદેશો (ભિતી) છે, એટલે એનાથી વુઝૂ અને ગુસલ (સ્નાન) કરવું જોઈએ નહીં. (મસાઈલે વુઝૂ : ર૫)
  • ગટરોનું નાપાક પાણી આજકાલની સાયન્સ પદ્ધતિઓ મુજબ સાફ કરવાથી સાફ તો થઈ જશે, પરંતુ ગટરનું નાપાક પાણી એ પદ્ધતિથી પાક થશે નહીં.
  • ઘેરથી વુઝૂ કરીને મસ્જિદમાં આવવું અફઝલ અને ઘણું સારૂં છે. એની ફઝીલતો હદીષોમાં પણ આવી છે. કારણ કે તેમાં મસ્જીદ અને જમાઅતનો એહતેરામ છે. (મસાઈલે વુઝૂ : ૩૫)
  • વુઝૂ કહે છે ત્રણ અવયવો (મ્હોં, હાથ અને પગ)ને ધોવાને તેમજ માથાનો મસોહ કરવાને. હવે જ્યારે કોઈ માણસે ગુસલ (સ્નાન) કરી લીધું, તો એમાં વુઝૂ આવી જ ગયું. ગુસલથી પહેલાં વુઝૂ કરી લેવું સુન્નત છે, પરંતુ કોઈ માણસ ગુસલથી પહેલાં વુઝૂ ન કરે, તો પણ ગુસલ થઈ જશે અને ગુસલમાં વુઝૂ પણ આવી જશે.

ખુલાસો એ કે, લોકોમાં પ્રચલિત છે કે, ગુસલ પછી (નમાઝ માટે) વુઝૂ કરે છે, તો એ ગલત છે. વુઝૂ ગુસલથી પહેલાં કરવું જોઈએ, જેથી ગુસલની સુન્નત અદા થઈ જાય. ગુસલ પછી વુઝૂ કરવાનો કોઈ મતલબ નથી. (મસાઈલે વુઝૂ : ૩૬/૩૭)

  • ગુસલ પછી જ્યાં સુધી વુઝૂ ન તૂટે, વુઝૂ કરવાની કોઈ જરૂરત રહેતી નથી. (મસાઈલે વુઝૂ : ૩૭)
  • ગુસલ પહેલાં વુઝૂ કર્યું અને પછી ગુસલના દરમિયાન વુઝૂ તૂટી ગયું, પરંતુ ગુસલ દરમિયાન વુઝૂના બધા અવયવો પણ ધોવાઈ ગયા અને એના બાદ વુઝૂ તોડવાવાળી કોઈ વસ્તુ થઈ નથી, તો વુઝૂ થઈ ગયું. નમાઝ પણ પઢી શકે છે. (ઉપરોક્ત હવાલો)
  • ઉભા ઉભા વુઝૂ કરવામાં છાંટા ઉડવાનો ભય રહે છે, એટલા માટે જ્યાં સુધી બની શકે,બેસીને વુઝૂ કરવું જોઈએ. હા, જો કોઈ માણસને મજબૂરી હોય, તો ઉભા ઉભા વુઝૂ કરવામાં કોઈ વાંધો નથી.
  • આજકાલ ઘરોમાં વોશબેસીન લગાવેલા હોય છે. લોકો ત્યાં જ ઉભા રહીને વુઝૂ કરી લે છે. વુઝૂ આ રીતે કરવાથી પણ થઈ તો જાય છે, પરંતુ ઉત્તમ અને શ્રેષ્ઠ એ છે કે, કિબ્લા તરફ મોઢુ રાખી બેસીને વુઝૂ કરે. હા, જો બેસી શકાય એમ છે જ નથી, તો ઉભા રહીને વુઝૂ કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ છાંટાથી બચવું જોઈએ. (મસાઈલે વુઝૂ : ૩૮)
  • જો કોઈ માણસ માથે વિગ (બનાવટી વાળ) પહેરે છે, તો એનો વપરાશ જાઈઝ નથી. અને ન એના વપરાશ માટે માણસને મજબૂરી છે. તેથી માથાનો મસહ કરતી વખતે વિગ કાઢવી જરૂરી છે. અને જો કોઈ માણસ વિગ પર મસોહ કરશે, તો તેનું વુઝૂ થશે નહીં. (મસાઈલે વુઝૂ : ૩૯)
  • અમૂક લોકો વુઝૂમાં ત્રણ વાર કોહણીઓ સુધી હાથ ધોઈને પછી ત્રણ વાર પાણી વહાવે છે, તો આ રીતે છ વખત થઈ જાય છે. અગર ત્રણથી વધારે વાર તે એ એતેકાદ (શ્રદ્ધા અને યકીન)થી ધોવે છે કે, આ સવાબ અથવા સુન્નત છે, તો એ મકરૂહે તહરીમી છે. અને જો એ શ્રદ્ધા નથી, તો બેકાર (ફુઝૂલ) હોવાના લઈ મકરૂહે તન્ઝીહી છે. અને જો શક દૂર કરવા માટે ત્રણથી વધારે વાર ધોઈ લે, તો મકરૂહ નથી, પરંતુ મસ્જીદ અને મદ્રસાના વકફ પાણીથી ત્રણથી વધારે વાર ધોવું જાઈઝ નથી. (મસાઈલે વુઝૂ : ૪૦/૪૧)
  • મહેંદી અથવા એવો રંગ, જેમાં વરખ ન હોય, એનું બદન પર લાગેલું રહેવું વુઝૂમાં રૂકાવટ નહીં બને. (કિતાબુલ મસાઈલ : ૧૩પ)
  • નીલ પોલીશ લગાવવાથી નખ સુધી પાણી પહોંચતું નથી, માટે વુઝૂ કરતી વખતે એને કાઢવું જરૂરી છે, નહીં તો પાકી થશે નહીં. એ જ રીતે હોઠ પર લગાવવામાં આવતી સ્ટીક જો ઘટ્ટ (ઉંડાણમાં ઉતરે એવી) હોય તો વુઝૂ વખતે એને કાઢવું જરૂરી છે. એને કાઢ્યા વગર વુઝૂ અને ગુસલ સહીહ થશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૧૩પ)
  • પેઈન્ટ (કલર, રંગ) શરીર પર પાણી પહોંચવામાં આડ બને છે, જેથી એ શરીર પર બાકી રહેવાની હાલતમાં વુઝૂ થશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૧૩પ)
  • વોટ આપતી વખતે નિશાનીરૂપે જે સહી લગાડવામાં આવે છે, તેનો અસર ઉંડાણમાં ઉતરે એવો નથી, જેથી એના લાગેલા રહેવા છતાં વુઝૂ અને ગુસલ થઈ જશે. (કિતાબુલ મસાઈલ : ૧૩૬)
  • એટેચ્ડ બાથરૂમમાં જો નાપાકી સામે ન હોય, તો વુઝૂ કરતી વખતે ઝબાનથી પણ બિસ્મિલ્લાહ પઢી શકાય છે. પરંતુ જો નાપાકી સામે (દેખાતી) હોય, તો ઝબાનથી ન પઢે, બલ્કે દિલમાં પઢી લે. એ જ રીતે સતર (છુપાવવાના અવયવો) ખુલ્લા હોવાની હાલતમાં પણ ઝબાનથી બિસ્મિલ્લાહ પઢવાની મનાઈ છે. (કિતાબુલ મસાઈલ : ૧૪૦)
  • મુસ્તહબ એ છે કે, કોઈ ઉંચી જગ્યાએ બેસીને વુઝૂ કરે, જેથી વપરાશમાં આવેલ પાણીના છાંટાથી હિફાઝત (બચાવ) થઈ જાય. (કિતાબુલ મસાઈલ : ૧૪પ)
  • વુઝૂ પછી રૂમાલથી લૂંછવામાં કોઈ વાંધો નથી. પરંતુ બેહતર એ છે કે, વધારે માત્રામાં ન લૂછે, જેથી વુઝૂનો અસર બાકી રહે. (કિતાબુલ મસાઈલ : ૧૪૭)
  • અત્તરનું પૂમડું જો કાનના કોઈ ખૂણામાં હોય તો મસોહ કરતી વખતે એને હટાવવું સુન્નત છે. અને જો કાનના કાણામાં હોય તો કાઢી નાખવું મુસ્તહબ છે.(કિતાબુલ મસાઈલ : ૧૪૭)
  • જો રાતના સમયે કોઈ કારણે ગુસલની જરૂરત પડી અને તે વખતે ગુસલ કરવા માટે સમય છે, તો બેહતર એ છે કે ગુસલ કરી લે. અને જો ગુસલ ન કરે, તો ઈસ્તિન્જા અને વુઝૂ કરીને સૂઈ જાય એ પણ સુન્નત છે. (મસાઈલે વુઝૂ : ૩ર-૩૩)
  • વુઝૂ હોવા છતાં બીજી નમાઝના સમયે ફરી વુઝૂ કરે તો ઘણો સવાબ છે. (મસાઈલે વુઝૂ : ૩૪)
  • વુઝૂના દરમિયાન વુઝૂ તૂટી જાય, દા.ત. હાથ, મ્હોં ધોઈ લીધા પછી વુઝૂ તૂટી ગયું, તો એના માટે ફરીથી વુઝૂ કરવું જરૂરી છે. (મસાઈલે વુઝૂ : ૩૪)
  • મસ્જીદના વુઝૂખાનાનું પાણી ખાસ વુઝૂ માટે જ હોય છે. એને મસ્જીદથી બહાર લઈ જવું દુરૂસ્ત નથી. હા, એ વાત અલગ છે કે, મસ્જીદમાં બોરીંગ કરાવનાર કે ટાંકી વિગેરે બનાવી આપનારે બનાવ્યા બાદ લોકોને લઈ જવાની પરવાનગી આપી હોય તો લઈ જઈ શકે છે. (મસાઈલે વુઝૂ : ૩૪)
  • વુઝૂ કર્યા બાદ મસ્જીદમાં પ્રવેશતી વખતે મસ્જીદની ટાઈલ્સ, મારબલ કે સફો પર વુઝૂના પાણીના જે ટીપાં પડે છે, તે નાપાક નથી હોતા. (મસાઈલે વુઝૂ : ૩પ)
  • હોઝ પર વુઝૂ કરતી વખતે એ રીતે સાવચેતીથી કામ લેવું જોઈએ કે છાંટા હોઝમાં ન પડે. હા, છાંટા પડવાથી હોઝ નાપાક નહીં થાય. (મસાઈલે વુઝૂ : ૩પ)
  • જો કોઈ વ્યક્તિ વુઝૂ કરતી વેળા મિસ્વાક કરે છે, તો મ્હોં વગેરે ધોયા પછી પણ એના દાંતમાંથી લોહી નીકળતું રહે છે, તો એવા સમયે એણે બીજી વાર વુઝૂ કરવું જોઈએ. (મસાઈલે વુઝૂ : ૪૭)
  • કોઈ મજલીસ અને સભામાં કે લોકોની સામે એ રીતે મિસ્વાક કરવું કે લાળ ટપકતી રહે, મકરૂહ છે. (મસાઈલે વુઝૂ : ૪૬)
  • દાંત પર મેલ આવી જવાના સમયે, સૂઈને ઉઠ્યા પછી, મ્હોમાં ખરાબ વાસ આવવાના સમયે, ખાનએ કઅબામાં દાખલ થવાના સમયે, કોઈ મજલિસ અને સભામાં જવા માટે અને કુર્‌આને પાકની તિલાવત માટે મિસ્વાક કરવું મુસ્તહબ છે. (મસાઈલે વુઝૂ : ૫૦)
  • દાઢી, મૂંછ અને ભવાંના વાળ એટલા ઘાટ્ટ હોય કે ચામડી નજરમાં ન આવે, તો જે ચામડી વાળમાં ઢંકાય જવાને કારણે દેખાતી નથી એને ધોવી ફર્ઝ નથી. એ જગ્યા પર જે વાળ છે, તેના ઉપર પાણી વહાવી દેવું કાફી થઈ જશે. હા, જે વાળ ચહેરાની હદમાં છે, તેને ધોઈ લેવા વાજીબ છે. જે ચહેરાની હદથી બહાર છે, એને ધોવા વાજીબ નથી. (મસાઈલે વુઝૂ : પ૪-પપ)
Log in or Register to save this content for later.