તરાવીહ અને રમઝાનુલ મુબારક

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 149 TO 152)
  • રમઝાન શરીફમાં તરાવીહની નમાઝ મર્દો અને ઔરતો પર ર૦ રક્‌અત પઢવી સુન્નતે મુઅક્કદહ છે.
  • તરાવીહની નમાઝ જમાઅતથી પઢવું સુન્નતે કિફાયહ છે. અને તરાવીહની નમાઝનો વખત ઈશાંની નમાઝ પછીથી લઈને ફજરનો વખત થાય ત્યાં સુધી રહે છે.
  • તરાવીહની નમાઝને બબ્બે રક્‌અતની નિય્યત કરી દસ સલામથી ર૦ રક્‌અત પઢવી મસનુન છે. દર ચાર રક્‌અતે એટલી વાર બેસવું કે, જેટલી વારમાં ચાર રક્‌અત પઢવામાં આવી હોય, મુસ્તહબ છે. (થોડીવાર બેસે તો પણ વાંધો નથી.)
  • જેટલી વાર આરામ લેવા બેસો, તેમાં તસ્બીહ વિગેરે પઢે. અથવા કોઈ નફલ નમાઝ (એકલા) પઢે. અથવા તો ચૂપ બેસે, તેને અખત્યાર છે.
  • રમઝાન મુબારકમાં અનુક્રમે કુર્‌આન શરીફનું તરાવીહમાં એક વાર પુરૂ પઢવું સુન્નતે મુઅક્કદહ છે. લોકોની સુસ્તીના કારણે છોડે નહીં. જો એ વાતની બીક હોય કે પુરૂ કુર્‌આન શરીફ પઢવામાં આવશે, તો લોકો નમાઝ પઢવા આવશે નહીં, અને જમાઅત પડી ભાંગશે અથવા તો ઘણો અણગમો હોય, તો બેહતર એ છે કે, લોકોને ભારે ન પડે એટલું જ પઢવામાં આવે અથવા તો અલમતર કયફ….” થી પઢે અથવા તો બીજી ગમે તે સૂરતો પઢે.
  • જો લોકોને કુર્‌આન શરીફ સાંભળવાનો શોખ હોય તો તરાવીહમાં બે વાર કુર્‌આન શરીફનું ખત્મ કરવું અફઝલ છે. ત્રણ વાર ખત્મ કરવું તેનાથી વધુ બેહતર છે.
  • કોઈ માણસ મસ્જિદમાં એવા સમયે પહોંચે કે, ઈશાંની જમાઅત થઈ ચૂકી હોય, તો તેણે પહેલા ઈશાંની નમાઝ પઢવી જોઈએ. (ઈશાંની ૪ ફર્ઝ અને ર સુન્નત) પછી તરાવીહની જમાઅતમાં શામેલ થઈ જાય. એ દરમ્યાન તરાવીહની છૂટી ગયેલી રક્‌અતોને વિત્ર પઢ્યા પછી પઢે. એ માણસ પણ વિત્ર જમાઅતની સાથે અદા કરે.
  • જે લોકોએ ઈશાંની નમાઝ જમાઅતથી પઢી ન હોય, તેવા લોકો તરાવીહની નમાઝ જમાઅત કરી પઢી શકતા નથી. કેમકે તરાવીહ ઈશાંની નમાઝના તાબે છે. પણ જે લોકો ઈશાંની નમાઝ જમાઅતથી પઢીને તરાવીહની નમાઝ જમાઅતથી પઢતા હોય તેમાં શામેલ થઈને તરાવીહની નમાઝ પઢી શકે છે.
  • વિત્રને તરાવીહની નમાઝ પછી પઢવી બેહતર છે. જો પહેલાં પઢે તો પણ દુરૂસ્ત છે.
  • કોઈ માણસ ઈશાંની નમાઝ પછી તરાવીહ પઢી ચૂક્યો હોય અને તરાવીહ પઢ્યા પછી તેને યાદ આવ્યું કે, ઈશાંની નમાઝમાં કાંઈ એવી નુકસાની રહી ગઈ કે જેથી ઈશાંની નમાઝ થઈ નહીં, તો તેણે જોઈએ કે, ઈશાંની નમાઝ ફરીથી પઢે અને તરાવીહને પણ ફરીથી પઢે.
  • કેટલાક લોકો રક્‌અતની શરૂઆતથી જમાઅતમાં શામેલ નથી થતા અને જ્યારે ઈમામ રુકૂઅમાં જવા લાગે છે, ત્યારે શામેલ થઈ જાય છે, એ ગુનાહની વાત અને મકરૂહ છે. રક્‌અતની શરૂઆતથી જ જમાઅતમાં શામેલ થઈ જવું જોઈએ.
  • તરાવીહની નમાઝ ઉભા રહીને પઢવી જોઈએ. તાકાત (શક્તિ) હોવા છતાં બેસીને પઢવું મકરૂહ છે.
  • એક માણસ બે જગ્યાએ તરાવીહ પઢાવે, તો (ફતવા માટે) ભરોસાપાત્ર મંતવ્ય મુજબ બીજી મસ્જિદવાળા મુક્તદીઓની તરાવીહ દુરૂસ્ત થશે નહીં. (મસાઈલે તરાવીહ : ર૭)
  • હાફિઝ સાહેબ ફેશનેબલ છે, લિબાસ પણ શરઈ નથી, માથાના વાળ પણ ફેશનેબલ છે, પરંતુ જો તે પોતાની આવી ખરાબ આદતોને છોડી દેવાનો પાકો વાયદો કરે, તો તરાવીહમાં ઈમામ બની શકે છે. નહીંતર આવો વ્યક્તિ ઈમામતના પદને લાયક નથી. ઈમામત કરશે તો નમાઝ મકરૂહ થશે. (મસાઈલે તરાવીહ : ૩૩)
  • ગરમીના કારણે મસ્જિદનું જમાઅતખાનું અને સહેન છોડીને ધાબા પર ઈશાની નમાઝ અને તરાવીહની જમાઅત કરવી મકરૂહ છે. હા, મસ્જિદ અને સહેન ભરાય જાય અને અમૂક લોકોને અંદર સહેનમાં જગ્યા ન મળે, તો તેઓ ધાબા પર જઈ શકે છે. કારણ કે આ મજબૂરી છે. (મસાઈલે તરાવીહ : ૪૪-૪પ)
  • જો કોઈએ તરાવીહની ચાર રકઅત એક સલામ સાથે પઢી અને બીજી રકઅત પર કાએદહ કર્યો, તો ચારેય રકઅતો સહીહ થઈ જશે. અને જો બીજી રકઅત પર કાએદહ કર્યો નથી, તો છેલ્લી બે રકઅતો જ માન્ય ગણાશે અને પહેલી બે રકઅતો ગણત્રીમાં આવશે નહીં. જેથી તે બે રકઅતોમાં જે કુર્‌આન પઢ્યું છે, તે ફરી પઢવામાં આવશે. (કિતાબુલ મસાઈલ : ૪૮૬)
  • એક માણસે એક જગ્યાએ તરાવીહની નમાઝ પઢી લીધી અથવા પઢાવી, પછી બીજી જગ્યાએ પહોંચ્યો તો ત્યાં તરાવીહ થઈ રહી હતી અને આ માણસ તે જગ્યાએ નફલની નિય્યતથી તરાવીહની જમાઅતમાં શામેલ થઈ ગયો, તો એમાં શરઈ દૃષ્ટિએ કોઈ વાંધો નથી. (કિતાબુલ મસાઈલ : ૪૮૮)
  • અમૂક વેળા તરાવીહમાં ઈમામથી ભૂલથી એવું પણ થઈ જાય છે કે, સિજદહની આયત પઢીને તિલાવતનો સિજદહ કર્યા બાદ ઉભા થાય છે, તો અલ્હમ્દુ શરીફ પઢીને આગળની કિરાઅત (કુર્‌આન) પઢે છે, તો શરીઅતની રૂએ એનાથી નમાઝમાં કોઈ પણ પ્રકારની ખરાબી આવશે નહીં. (કિતાબુલ મસાઈલ : ૪૮૯)
  • ઈમામે તરાવીહની બીજી રકઅત પર કાએદહ ન કર્યો અને ત્રીજી રકઅત પર કાએદહ કરીને સલામ ફેરવી, તો બે રકઅત ફરી પઢવી પડશે. અને એમાં જે કુર્‌આન પઢ્યું છે, તે પણ ફરી પઢવું પડશે. અને જે ત્રણ રકઅત પઢી તે ગણત્રીમાં આવશે નહીં. (ફતાવા રહીમિય્યહ : ૩૧૦-૩૧૧/૩)
  • રમઝાનના પુરા મહિનામાં તરાવીહ પઢવી સુન્નતે મુઅક્કદહ છે. જો કુર્‌આને કરીમ મહિનો પુરો થાય તે પહેલાં ખત્મ થઈ જાય, દા.ત. ર૭મી કે ર૧મીએ પુરૂ થઈ જાય, તો પણ બાકી રહેલી રાતોમાં તરાવીહ તો પઢવાની જ છે, છોડવાની નથી. કુર્‌આન ખત્મ થઈ ગયું તો ‘અલમતર’ વિગેરે સૂરતોથી પઢે.
Log in or Register to save this content for later.