જમાઅતની તાકીદ અને તેની ફઝીલત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 12-13)

રસૂલુલ્લાહ (સલ.)ની હદીષોથી એ પણ જણાય છે કે, નમાઝની ખરી ફઝીલત અને બરકત પ્રાપ્ત થવા માટે જમાઅત સાથે નમાઝ પઢવી પણ શર્ત છે. અને એની એટલી સખત તાકીદ છે કે, જે લોકો બેદરકારી અને સુસ્તીને લઈ જમાઅતમાં હાજર થતા ન હતા, તેઓ વિશે આપ (સલ.)એ એક વાર ફરમાવ્યું કે “મારૂં દિલ ચાહે છે કે હું તેઓના ઘરોને આગ ચાંપી દેવડાવું.” (મુસ્લિમ શરીફ)

માત્ર આ એક હદીષથી એનો અંદાજો થઈ શકે છે કે, જમાઅતને ત્યજી (છોડી) દેવું અલ્લાહપાક અને તેના રસૂલ (સલ.)ને કેટલે દરજ્જે નાપસંદ છે.

હદીષમાં આવ્યું છે કે, જમાઅત સાથે નમાઝ પઢવાનો સવાબ એકલા પઢવા કરતાં સત્તાવીસ ગણો વધુ મળે છે. (બુખારી, મુસ્લિમ)

પાબંદી સાથે જમાઅતથી નમાઝ પઢવામાં આખિરતના સવાબ ઉપરાંત એમાં બીજા ઘણા મહાન લાભો સમાયેલા છે.

  • જમાઅતની પાબંદીથી માણસમાં વખતની પાબંદીની લાયકાત પેદા થાય છે.
  • રાત-દિવસમાં પાંચ વખત મહોલ્લાના સર્વે મુસ્લિમ ભાઈઓ એક નજગ્યાએ ભેગા થાય છે. જેનાથી ઘણા લાભો પ્રાપ્ત થઈ શકે છે.
  • જમાઅતની પાબંદીથી નમાઝની પુરી પાબંદી નસીબ થાય છે. જે લોકો જમાઅતની પાબંદી નથી કરતા, તો ઘણી વખત જોવામાં આવે છે કે, તેઓની નમાઝો વધુ કઝા થવા પામે છે.
  • જમાઅતની સાથે નમાઝ પઢનાર દરેક માણસનો સૌથી મોટો લાભ એ છે કે, તે સંપૂર્ણ જમાઅતની નમાઝનો એક ભાગ બની જાય છે. જેમાં અલ્લાહપાકના એવા નેક-સાલેહ બંદા પણ હોય છે, જેઓની નમાઝ બહુ નમનતા અને આજિઝીવાળી હોય છે કે જેને અલ્લાહપાક કબૂલ ફરમાવે છે. અને અલ્લાહપાકની શાને કરીમીથી એ જ આશા છે કે, જ્યારે તે જમાઅતના અમુક (પરહેઝગાર) લોકોની નમાઝ કબૂલ ફરમાવશે, તો તેઓની સાથે નમાઝ પઢનારા બીજા (સામાન્ય) લોકોની નમાઝ પણ કબૂલ કરી લેશે. ચાહે તેઓની નમાઝ એવા દરજ્જાની ન હોય.

આપણામાંથી દરેક માણસે વિચારવું જોઈએ કે, કોઈ સખત લાચારી વગર જમાઅતને છોડવી કેટલા મહાન સવાબ અને કેટલી બરકતોથી પોતાને અભાગ્ય રાખવું છે.

Log in or Register to save this content for later.