ખુશુઅ અને ખુઝુઅ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 13 to 15)

ખુશુઅ અને ખુઝુઅ સાથે નમાઝ પઢવાનો મતલબ એ છે કે, અલ્લાહપાકને હાઝિર-નાઝિર સમજી એવી રીતે નમાઝ પઢવામાં આવે કે, દિલ તેની મુહબ્બતથી ભરપૂર હોય તેમજ તેનો ખૌફ તથા તેની મોટાઈના ખ્યાલથી ડુબેલું હોય. જેવી રીતે એક મુજરિમ (અપરાધી) કોઈ મોટા હાકિમ અને બાદશાહની સામે ઉભો રહે છે. ઉભા રહેવાની સ્થિતિમાં વિચાર કરે કે, હું મારા રબ અલ્લાહપાકની સામે હાજર છું. અને તેની તઅઝીમ (સન્માન) માટે ઉભો છું અને તે મને જોઈ રહ્યો છે.

તેવી જ રીતે જ્યારે રુકૂઅ કરે તો એવો વિચાર કરે કે, હું તેની જ આગળ ઝૂકી રહ્યો છું. એવી જ રીતે સિજદો કરતી વેળા એવો વિચાર કરે કે, હું તેની હુઝૂરમાં સિજદો કરી રહ્યો છું. અને તેની આગળ પોતાની હલકાઈ અને લાચારી જાહેર કરી રહ્યો છું. વળી, સૌથી સારી વાત તો આ છે કે, ઉભા રહેવાની હાલતમાં તથા રુકૂઅમાં કે સિજદામાં જે કંઈ પઢવામાં આવે તેને સમજી-વિચારીને પઢે. નમાઝની ખરેખરી મજા (લુત્ફ) ત્યારે જ આવે છે, જ્યારે કે જે કાંઈ તેમાં પઢવામાં આવે તેના અર્થ અને મતલબ સમજીને પઢવામાં આવે. નમાઝમાં જે કાંઈ પઢવામાં આવે છે, તેના અર્થ યાદ કરી લેવા બહુ સહેલા છે. જે આ કિતાબમાં લખવામાં આવ્યા છે.

નમાઝમાં ખુશુઅ અને ખુઝુઅ અર્થાત્‌ નમ્રતા, આજિઝી અને અલ્લાહ તઆલા પ્રત્યે દિલ પરોવવું એ ખરેખર નમાઝની રૂહ-આત્મા છે. અલ્લાહપાકના જે બંદા એવી નમાઝ પઢે છે, તેમની નજાત અને કામિયાબી યકીની છે.

કુર્‌આન શરીફમાં છે :

અર્થ : કામિયાબ અને સફળ તે જ ઈમાનવાળા છે, જેઓ પોતાની નમાઝો ખુશુઅ સાથે અદા કરે છે. (પારહ-૧૮)

એક હદીષ શરીફમાં રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, પાંચ નમાઝો અલ્લાહ તઆલાએ (પોતાના બંદાઓ ઉપર) ફર્ઝ કરી છે. જે માણસે સારી રીતે વુઝૂ કરી તેને ઠીક વખતે પઢી, અને રુકૂઅ તથા સિજદા પણ જેવા કરવા જોઈએ તેવા જ કર્યા, અને ઘણા ખુશુઅ સાથે અદા કર્યા, તો એવા માણસ માટે અલ્લાહપાકનો વાયદો છે કે તેને બખ્શી દેશે. અને જેણે એવું ન કર્યું (એટલે જેણે ઠીક ઠીક નહીં પઢી) તો તેના માટે અલ્લાહપાકનો કોઈ વાયદો નથી. તે ચાહશે તેને બખ્શી દેશે અને ચાહશે તો તેને શિક્ષા કરશે. (મિશ્કાત શરીફ)

જો આપણી ઈચ્છા છે કે, આખિરતના અઝાબથી મુક્તિ મળે અને અલ્લાહ તઆલા આપણને બખ્શી દે, તો આ હદીષ શરીફના વર્ણન મુજબ પાંચ વખતની નમાઝને સારામાં સારી રીતે પઢીએ. છેવટમાં અમો ફરી કહીએ છીએ કે, નમાઝ એવી કીમીયા સમાન તાસીરવાળી ઈબાદત છે કે, જો તેને ધ્યાનપૂર્વક મતલબ કે સમજીને ખુશુઅ અને ખુઝુઅની સાથે અદા કરવામાં આવે, તો તે માણસને અઅ્‌માલ અને અખ્લાકમાં ફરિશ્તા (જેવો) બનાવી શકે છે.

રસૂલુલ્લાહ (સલ.)ને પોતાની ઉમ્મત વિશે નમાઝ પર કાયમ રહેવાની એટલી ફિકર હતી કે છેક છેલ્લી ઘડીએ જ્યારે કે હુઝૂર (સલ.) આ દુનિયાને ત્યાગી રહ્યા હતા અને જીભથી કંઈ બોલવું પણ ભારે હતું, ત્યારે પણ આપે પોતાની ઉમ્મતને નમાઝ ઉપર કાયમ રહેવા અને તેને કદી નહીં છોડવા વિશે ભારપૂર્વક વસીય્યત ફરમાવી હતી.

ત્યારે આજે જે મુસલમાનો નમાઝ પઢતા નથી અને નમાઝને કાયમ કરવા તથા તેને રિવાજ આપવાની કોશિશ નથી કરતા, તેઓ અલ્લાહ તઆલાના વાસ્તે વિચારે કે કિયામતના દિવસે તેઓ કેમ કરી હુઝૂર (સલ.)ની સામે જઈ શકશે, અને કેવી રીતે તેમનાથી આંખો મેળવી શકશે ! જ્યારે કે તેઓ હુઝૂર (સલ.)ની આખરી વસીય્યતને પણ પાયમાલ કરી રહ્યા છે.

આવો, આપણે સઘળા હઝરત ઈબ્રાહીમ (અલ.)ના શબ્દોમાં દુઆ કરીએ :

અર્થ : હે પરવરદિગાર ! મને તથા મારી અવલાદને નમાઝ કાયમ રાખનાર બનાવ. હે પરવરદિગાર ! મારી દુઆ કબૂલ ફરમાવ. હે પરવરદિગાર ! મને તથા મારા માં-બાપને તેમજ સૌ ઈમાનવાળાઓને કિયામતના દિવસે બખ્શી દેજે.

Log in or Register to save this content for later.