ઈદના દિવસની સુન્નતો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 140 to 142)

(૧) શરીઅતના હુકમ મુજબ (સ્ત્રી-પુરૂષે) પોતાને શણગારવુ. (ર) ગુસલ કરવુ. (૩) મિસ્વાક કરવુ. (૪) પોતાની પાસે જે સારામાં સારા કપડાં હોય તે પહેરવા. (પ) ખુશ્બૂ (અત્તર વિગેરે) લગાડવુ. (૬) સવારે જલ્દી ઉઠવુ. (૭) ઈદની નમાઝ ઈદગાહમાં પઢવી. (૮) ઈદગાહમાં વહેલા જવુ. (૯) પગે ચાલીને જવુ. (૧૦) ઈદગાહે એક રસ્તેથી જવુ અને બીજે રસ્તેથી આવવુ. (૧૧) ઈદુલ ફિત્રના દિવસે ઈદગાહ જતી વખતે કોઈ મીઠી વસ્તુ ખાવી. જેવી કે ખારેક વિગેરે ખાય તો ત્રણ, પાંચ, સાત (એકી સંખ્યામાં) ખાવી. ઈદુલ અદહાના દિવસે નમાઝ પહેલાં કોઈ ચીજ ન ખાવી, સુન્નત છે. (૧ર) ઈદુલ ફિત્રના દિવસે ઈદગાહ જતા પહેલાં સદકએ ફિત્ર (ગરીબોને) આપી દેવો. (૧૩) ઈદુલ ફિત્રની નમાઝ વાર લગાડીને પઢવી સુન્નત છે અને ઈદુલ અદહાની નમાઝ વખત થતાં જલ્દીથી અદા કરે. કેમકે આ ઈદમાં માલદારો ઉપર કુર્બાની વાજિબ છે. (૧૪) ઈદુલ ફિત્રના દિવસે ધીમેથી અને ઈદુલ અદહાના દિવસે ઉંચા અવાજે રસ્તે ચાલતાં આ તકબીર “અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર વલિલ્લાહિલ હમ્દ” પઢતાં પઢતાં ઈદગાહે જવું. આ તકબીરને તકબીરે તશરીક કહે છે.

  • તકબીરે તશરીક અરફાના દિવસથી એટલે કે ૯મી ઝિલ્હજ્જની ફજરની નમાઝથી લઈને ૧૩મી ઝિલ્હજ્જની અસરની નમાઝ સુધી જે કુલ ત્રેવીસ નમાઝો થાય છે, તે દરેક નમાઝ જમાઅત સાથે પઢ્યા પછી તુરત જ બુલંદ અવાજે એકવાર “તકબીરે તશરીક” કહેવી વાજિબ છે.
  • એકલો નમાઝ પઢનાર, ઔરત અને મુસાફિર પણ જો તકબીરે તશરીક પઢે તો બેહતર છે. કેમકે ઈમામ અબૂ યૂસુફ અને ઈમામ મુહમ્મદ (રહ.)ના મંતવ્ય (મઝહબ) મુજબ મજકુર લોકો ઉપર પણ ‘તકબીરે તશરીક’ કહેવુ વાજિબ છે.
  • ફર્ઝ નમાઝ બાદ તરત જ તકબીર કહેવી જોઈએ. તે કહ્યા પછી ઈસ્તિગફાર અને ‘અલ્લાહુમ્મ અન્તસ સલામ’ વિગેરે પઢે.
  • જો ઈમામ તકબીર કહેવી ભૂલી જાય તો મુક્તદી તરત જ તકબીર કહી દે. ઈમામનો ઈન્તેજાર ન કરે.
  • મર્દોએ એ તકબીર બુલંદ અવાઝથી કહેવી વાજિબ છે. અને ઔરતોએ જોઈએ કે ધીમેથી પઢે.
  • ઈદની રાતની ઘણી ફઝીલત હદીષોમાં બયાન થયેલી છે. ઈદની રાતને ઈનામની રાત કહેવામાં આવી છે. એ રાત્રે અલ્લાહ તઆલા તરફથી પોતાના બંદાઓને ઈનામો વહેંચવામાં આવે છે. માટે આ રાતને ખાસ ઈબાદતમાં ગાળવી જોઈએ અને દુઆ કરવી જોઈએ. નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસ સવાબની નિય્યતથી બન્ને ઈદોની રાતોમાં જાગે અને ઈબાદતમાં ગાળે, તો તેનું દિલ તે દિવસે નહીં મરે, જે દિવસે બધાના દિલો મરી જશે. એટલે કે કિયામતના દિવસે જીવતું રહેશે. (ગભરાટના કારણે તેને બેહોશી નહીં થાય)
  • હદીષ શરીફમાં છે કે, જે માણસ આ પાંચ રાતો ઈબાદતના માટે જાગશે, તેના માટે જન્નત વાજિબ કરી દેવામાં આવશે : (૧) આઠમી ઝિલ્હજ્જની રાત (ર) અરફાની રાત એટલે કે, નવમી ઝિલ્હજ્જની રાત (૩) ઈદુલ અદહાની રાત (૪) ઈદુલ ફિત્રની રાત (પ) શબેબરાત એટલે કે પંદરમી શઅબાનની રાત.

હઝરત સઅદ બિન ઔસ અન્સારી (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું : ઈદુલ ફિત્રના દિવસે અલ્લાહ તઆલાના ફરિશ્તા ગલીકૂચીઓના નાકાઓ ઉપર ઉભા રહે છે. અને પુકાર કરે છે કે, મુસલમાનો ! અલ્લાહ તઆલાની તરફ સવેળા જાઓ, તમારો રબ્બે કરીમ થોડી સરખી ઈબાદતને પણ કબૂલ કરી લે છે, અને ઘણો સવાબ આપે છે. તમને રોઝાઓનો હુકમ થયો હતો, તમે રોઝા પૂરા રાખી લીધા, તમે રાતોમાં કિયામ પણ કર્યો, જાઓ તમારી ઈબાદતનો બદલો લઈ લો. જ્યારે લોકો નમાઝથી ફારિગ થઈ જાય છે, તો એક પુકારનાર પુકારે છે કે, તમારા રબે તમને બખ્શી દીધા. જાઓ, તમે તમારા ઘરોએ મગફુર (ગુનાહ માફ થયેલ હાલતમાં) થઈને પાછા વળો. તમારા રોઝા, તમારી નમાઝો કબૂલ કરી લેવામાં આવી. તમને તમારી હાજતો પૂરી કરવાનો વાયદો અપાય ચૂક્યો. એ દિવસ ઈનામનો છે. આસ્માનોમાં એ દિવસનું નામ “યવમુલ જાઈઝહ” છે.

લોકોએ જોઈએ કે, પરવરદિગારે અર્પણ કરેલા ઈદના ખુશીના દિવસને અને ઈદની બરકતવાળી રાતને ઈબાદતમાં ગુજારી તેની બક્ષિશો, ઈનામો, ઈકરામો અને રહેમતોથી લાભ ઉઠાવવો જોઈએ. અને આ મુબારક દિવસોએ નકામા ખેલતમાશા કે એવા કોઈ ગુનાહ અને બુરાઈના કામથી દૂર રહી જરૂર બચવું જોઈએ.

Log in or Register to save this content for later.