Chapter : દીનમાં નમાઝની મહત્વતા અને અગત્યતા
(Page : 9)
અલ્લાહપાક તથા રસૂલ (સલ.) પર ઈમાન લાવવા અને તૌહીદ તથા રિસાલતની ગવાહી પછી ઇસ્લામમાં સૌથી પહેલો અને સૌથી મહાન ફર્ઝ નમાઝ છે.
કુર્આન મજીદની સંખ્યાબંધ આયતોમાં અને આપ (સલ.)ની સેંકડો હદીષોમાં નમાઝ વિશે ઘણી સખત તાકીદ ફરમાવવામાં આવી છે. અને તેને દીનનો થાંભલો અને દીનનો પાયો કહેવામાં આવી છે.
નમાઝમાં એ ખાસ તાસીર (અસર અને ગુણ) છે કે, જો તેને યોગ્ય રીતે અદા કરવામાં આવે અને અલ્લાહ તઆલાને હાઝિર-નાઝિર સમજીને ધ્યાનપૂર્વક આજીઝી અને નમ્રતા સાથે પઢવામાં આવે તો તેનાથી માણસનું દિલ પાક-સાફ થઈને તેની ઝિંદગી સુધરી જાય છે, અને બુરાઈઓ તેનાથી છૂટી જાય છે, તેમજ નેકી તથા સચ્ચાઈની મુહબ્બત, ખુદાતઆલાનો ખૌફ તેના દિલમાં પેદા થાય છે. એટલા જ માટે રસૂલુલ્લાહ (સલ.)નો દસ્તુર (નિયમ) હતો કે જ્યારે કોઈ માણસ આપની પાસે આવી ઇસ્લામ સ્વીકારતો, ત્યારે આપ (સલ.) તૌહીદની તઅલીમ આપ્યા પછી પ્રથમ તેનાથી નમાઝનો જ કરાર લેતા હતા.મતલબ કે કલિમહ પછી નમાઝ જ ઇસ્લામની જડ (બુન્યાદ) છે.
Log in or Register to save this content for later.