ઝકાતનો સવાબ

Chapter : રોઝા અને ઝકાતના જરૂરી મસાઈલ

(Page : 68 to 70)

અલ્લાહપાકનો બીજો ભારે ઉપકાર અને અહેસાન એ છે કે, તેણે ઝકાત તથા સદકાતનો બહુ મોટો સવાબ મુકર્રર કર્યો છે. અને તેણે આપેલા માલમાંથી જ આપણે જે કંઈ તેના હુકમ અનુસાર ઝકાત વા સદકાતના નામે તેના રસ્તામાં ખર્ચ કરીએ છીએ, તો તે તેનાથી ઘણો ખુશ થાય છે. અને તેના ઉપર ઘણા મોટા સવાબનો વાયદો ફરમાવે છે.

કુર્‌આન મજીદમાં ઈર્શાદ છે : (અર્થાત્‌) જે લોકો પોતાનો માલ અલ્લાહપાકની રાહમાં ખર્ચ કરે છે, તેઓમાં તે ખર્ચવાની મિસાલ (અલ્લાહપાકને ત્યાં) તે દાણા સમાન છે, જે(નો છોડ ઉગીને તે) સાત કંટીઓ કાઢે અને દરેક ડુંડામાં સો દાણા હોય. અને જેને અલ્લાહપાક ચાહે છે, તેના માટે એથી વધુ કરી આપે છે. અલ્લાહ તઆલા ઘણો ઉદાર અને સર્વ કંઈ જાણનાર છે. જે લોકો પોતાનો માલ અલ્લાહ તઆલાના રસ્તામાં ખર્ચ કરે છે, ફરી ખર્ચ કર્યા પછી (જીભથી) ઉપકાર જતાવતા કે સતાવતા નથી, તેઓ માટે તેમના પરવરદિગાર પાસે તેનો સવાબ (બદલો) મળશે અને (કિયામતમાં) ન તેઓને કંઈ ડર (સવાબ ઘટવાનો) હશે, ન તેઓ દિલગીર થશે.

આ આયતમાં ઝકાત આપનારાઓ અને અલ્લાહપાકની રાહમાં ખર્ચ કરનારાઓ માટે અલ્લાહપાક તરફથી ત્રણ વાયદા કરવામાં આવ્યા છે : (૧) જેટલું તેઓ ખર્ચ કરે છે, અલ્લાહપાક તેઓને તેના બદલે સેંકડો ગણું વધારે આપશે. (ર) તેઓને ઘણો અજર અને સવાબ તેમજ મોટી મોટી નેઅમતો મળશે. (૩) કિયામતના દિવસે તેઓને કંઈ ડર, ચિંતા કે દિલગીરી થશે નહીં. સુબ્હાનલ્લાહ !

  • આપ (સલ.)એ ફરમાવ્યું : “દરેક સવારે બે ફરિશ્તા આસ્માન પરથી ઉતરી આ દુઆ કરે છે. એક કહે છે : ઈલાહી ! નેક કાર્યોમાં ખર્ચ કરનારને વધુ આપ. બીજો કહે છે : બખીલના માલને બરબાદ કર.” (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)
  • સદકો કરવાથી માલમાં કંઈ ઘટાડો થતો નથી. ખયરાત આપનાર જ્યારે ખયરાત આપે છે, તો એ ખયરાત માંગનારના હાથમાં જવા પહેલા અલ્લાહપાકના હાથમાં પહોંચી જાય છે. (તબરાની)
  • અલ્લાહ તઆલાનું ફરમાન છે : “હે મારા બંદા ! ખર્ચ કર, ડર નહીં. જેટલું ખર્ચ કરશે, તેટલું વધુ મળશે.” (બુખારી, મુસ્લિમ)
  • ખયરાત અલ્લાહપાકના ગઝબ (પ્રકોપ)ને બુઝાવી દે છે, અને ઈન્સાનને ભૂંડી મૌતથી બચાવે છે. (તિરમિઝી શરીફ)
  • જે માણસ એવી છૂપી રીતે ખયરાત કરે કે જમણા હાથની ડાબા હાથને પણ જાણ થતી નથી, તો એ માણસ કિયામતમાં અર્શે ઈલાહીની છાયામાં હશે. (બુખારી શરીફ)
  • મિસ્કીનને ખયરાત આપવાનો તો એક ઘણો સવાબ મળે છે, પરંતુ સગાને ખયરાત આપવાથી બમણો સવાબ મળે છે. એક ખયરાતનો અને બીજો સિલારહમીનો. (નસાઈ)
  • ત્રણ વાતો એવી છે, કે જેણે તેને અખત્યાર કરી લીધી તેણે ઈમાનની મજા ચાખી લીધી. પ્રથમ એ કે, માત્ર અલ્લાહપાકની જ બંદગી કરે. બીજી એ કે, લા ઈલાહ ઈલ્લલ્લાહ પર તેને સાચું ઈમાન અને એઅ્‌તેકાદ હોય. ત્રીજી એ કે, પ્રત્યેક વર્ષે દિલની પૂરી ખુશી સાથે પોતાના માલની ઝકાત અદા કરે. જે માણસ આ ત્રણ વાતોને અપનાવશે, તેને ઈમાનની મજા અને મીઠાશ પ્રાપ્ત થશે. (અબૂ દાઉદ શરીફ)

અલ્લાહ તઆલા આપણા સૌને ઈમાનની મજા અને તેની લિજ્જત નસીબ કરે. વળી, ઝકાત અને સદકાત ઉપર જે સવાબ તથા જે ઈન્આમ અલ્લાહપાક તરફથી આખિરતમાં મળશે, તે સિવાય આ દુનિયાની ઝિંદગીમાં પણ તેનાથી કેટલાક ફાયદા પ્રાપ્ત થાય છે. ઉદાહરણરૂપે ઝકાત અને સદકાત અદા કરનાર મુઅમિનનું દિલ ઘણુ ખુશ અને સંતોષી રહે છે, અને ગરીબોને તેના ઉપર ઈર્ષા થતી નથી, બલ્કે તેઓ તેની ભલાઈ ઈચ્છે છે. અને તેના તરફ મુહબ્બતની નજરથી જુએ છે. સામાન્ય દુનિયાની નજરોમાં પણ એવા માણસનું ઘણુ માન હોય છે. અને સર્વે લોકોની મુહબ્બત તથા હમદર્દી એવા માણસને હાસિલ થાય છે તથા અલ્લાહ તઆલા તેના માલમાં ઘણી બરકત આપે છે.

અલ્લાહપાક આપણને તવફીક આપે કે, રસૂલુલ્લાહ (સલ.)ની આજ્ઞા અને ઇસ્લામી તઅલીમ પ્રમાણે ચાલીને અમો દીન તથા દુન્યાની નેઅમતો અને દવલતો હાસિલ કરીએ.

Log in or Register to save this content for later.